લાહોરને પંજાબીઅો લહોર કહે છે. અા શહેર પંજાબનું હૃદય ગણાય છે. સુંદર શહેર ! દિલવાળાઅોનું શહેર ! ઉદાર મહેમાનનવાઝ ઇન્સાનોનું શહેર !
અહીં શાહી કિલ્લો છે, શાહી મસ્જિદ છે, શીશમહલ છે, શાલીમાર બાગ અને દાતાનો દરબાર અને બીજું ઘણું છે. લખવા બેસું તો એનો એક અલાયદો લેખ થાય. … ગમે એમ પણ અા એક ભવ્ય શહેર છે. જોવા જેવું શહેર. અને એના વિશે કહેવાય છે કે ‘જિસનું લહોર ના વેખ્યા વો જનમ્યાહી નૈ !’
અા શાનદાર શહેરમાં એક પંજાબી શાયર હતા. નામ હતું ઉસ્તાદ દામન. એ એક સારા દરજી હતા, અાપણા સુરતના ગોપી પરાવાળા ગની દહીંવાળા જેવા. ગનીભાઈ સિદ્ધહસ્ત કવિ હતા. તેમની કેટલીક ગઝલો તો અભૂતપૂર્વ ગણાય છે. અનોખી શૈલી, અદ્દભુત ખયાલ ! ગનીભાઈ અને ઉસ્તાદ દામનમાં કેટલુંક મળતાપણું હતું. એ બન્ને ખુશમિજાજ, યારોના યાર અને દુનિયાથી બેપરવા હતા. ઉસ્તાદ દામનની લાહોરમાં ટેલરિંગ શોપ હતી, જે 1947માં ઉપખંડને અાઝાદી મળી ત્યારે વિરોધીઅોએ બાળી નાખી હતી. કહે છે કે અા અાગમાં કપડાંભેગું, તેમનું ઘણું સાહિત્ય પણ બળી ગયું હતું. અા ઘટનાના તીવ્ર અાઘાતે તેમને વિરક્ત કરી નાખ્યા હતા. અને ત્યાર પછી તેમણે કલંદરાના જિંદગી ગુજારી હતી. 1984માં તેમની વફાત થઈ હતી.
ઉસ્તાદ દામન કોઈ સામાન્ય, ‘હૈસો ભાઈ હૈસો’ કરનારા કવિ ન હતા. સમયની અારપાર જોઈ લેનારી દૃષ્ટિ ધરાવનારા કવિ હતા. અા હકીકતની શાખ પૂરે એવું તેમણે ઘણું લખ્યું છે. નમૂના રૂપે અહીં તેમની ચાર પંક્તિ ટાંકું છું :
દુનિયા હુણ પુરાણી એ, નઝામ બદલે જાણગે,
ઊઠ્ઠ દી સવારી દે, મકામ બદલે જાણગે.
અમીર તે ગરીબ દે, નામ બદલે જાણગે,
અાકા બદલે જાણગે, ગુલામ બદલે જાણગે.
ઉસ્તાદ દામન કહે છે કે અા દુનિયા પુરાણી થઈ ગઈ છે. હવે એના શાસન, શાસકનો બદલાવ થશે, પુરાણું ઉખેડી નવું સ્થાપિત કરાશે. ઊંટોના કારવાનોના પડાવ, મંઝિલો, બદલાશે, અમીર અને ગરીબનું નવું અર્થઘટન થશે, માલિકો – શેઠો બદલાશે અને ગુલામોની ખેપ પણ બદલાઈ જશે. અાજના માલિકો અાવતી કાલના ગુલામો હશે !
ઉસ્તાદે અા પંક્તિઅો કેવી સ્થિતિમાં કહી હશે ? ખુદા જાણે. પણ તેમનું એ દર્શન કેટલું સાચું, સુરેખ છે એ તો જુઅો ! દુનિયા બદલાઈ ગઈ છે. બીજા વિશ્વયુદ્ધ પછીના વિજ્ઞાનજુવાળે દુનિયાની કાયાપલટ કરી નાખી છે. જાણે દુનિયાએ કાયાકલ્પ ન કર્યો હોય !
અા એક અજબ ક્રાંતિ હતી, જે ઉસ્તાદ દામને લાહોર શહેરના કોઈક ખૂણે બેસીને જોઈ હશે. તેમણે કદાચ વૈજ્ઞાનિક સંશોધનો અને તેનાં અાશ્ચર્યકારક પરિણામોની ભરમાર નહીં દેખી હોય, પરંતુ શાહોના તાજ ને તખત તથા સરમુખત્યારોના પોલાદી પગ ઉખડતા – ફેંકાતા તો જરૂર જોયાં હશે ! અને સામાન્ય પ્રજાને અધિકારની શમશીરો ઉપાડીને છડેચોક ફરતીયે જોઈ હશે !
અાવું અદ્દભુત દર્શન મિર્ઝા ગાલિબ, ઇકબાદ અને ફયઝ અહમદ ફયઝ અને અન્ય અનેક કવિઅોને ત્યાં જોવા મળે છે. અહીં અાપણે એ માંહેનું કેટલુંક ચૂંટેલું જોઈશું. મિર્ઝા ગાલિબ એક અનોખા શાયર હતા. પીડાઅોને ય રમાડનારા ને ગમના ગુલારા ઉડખનારા કવિ. તેમને કોઈ સાહિત્યરસિક ભૂલાવી શકે નહીં. યાદ કરવા જ પડે. તેમના પોતાના શબ્દોમાં કહીએ તો :
હૂઈ મુદ્દત કે ‘ગાલિબ’ મર ગયા પર યાદ અાતા હય
વહ હર ઈક બાત પર કેહના કે યું હોતા તો ક્યા હોતા !
તેમણે દુનિયાને બાળકોના ખેલ સ્વરૂપે રજૂ કરતાં એક શેરમાં કહ્યું છે :
બાઝીચએ ઈત્ફાલ હય દુનિયા મેરે અાગે
હોતા હય શબોરોઝ તમાશા મેરે અાગે.
અર્થાત્ : મારી સમક્ષ અા દુનિયા નાનાં બાળકોના ખેલ સમાન છે. એવા ખેલ જે છાશવારે બદલાય છે. − જાણે એક તમાશો ! જે રાત -દિવસ મારી સમક્ષ ભજવાઈ રહ્યો છે. અાજે શું ! અાવતી કાલે શું નું શું ! દરરોજ એક નવો તમાશો ! − પરિવર્તન, પરિવર્તન, પરિવર્તન !
વળી, અા પરિવર્તનની ગતિ તો જુઅો : મેરી રફતાર સે ભાગે હય બયાબાં મુઝ સે !
અા ગતિનું શું કહેવું ? ફાળ ભરતા એ પ્રવાસીને જોઈને બયાબાં, રણ, વગડો પણ ભાગવા માંડે છે. દીવાના પ્રવાસીની ઝપટમાં અાવવાથી બચવા માટે ભાગે છે. પરંતુ એ પ્રવાસી − દિન-બ-દિન બદલાતી અા દુનિયા, ભાગતા રણની ક્યાં પરવા કરે છે ? તેની દૃષ્ટિમાં એ રણની હેસિયત શી છે ? જુઅો ગાલિબ શું કહે છે − એ સંદર્ભે :
જોશે જુનૂં સે કુછ નઝર અાતા નહીં ‘અસદ’
સહરા હમારી અાંખમેં ઈક મુશ્તે-ખાક હય !
યાને દીવાનગીના જોશમાં, સંઘર્ષના જુસ્સામાં ‘અસદ’ (ગાલિબનું શરૂનું તખલ્લુસ અસદ હતું.) અમને તો કંઈ દેખાતું નથી, શું સહરા ને શું વગડો ! સૌ અમારી દૃષ્ટિએ એક મુઠ્ઠી ધૂળથી વિશેષ નથી !
અમારી સંઘર્ષશક્તિ, મનુષ્યનાં સાહસો – પરાક્રમો સામે દુનિયાએ ગોઠણ ટેકવી દેવાં પડશે. અને મનુષ્ય ઇચ્છે એવું સ્વરૂપ એણે ધરવું પડશે. દુનિયા અમારા માટે છે, અમે દુનિયા માટે નથી ! મહાકવિ ‘ઇકબાલ’ના શબ્દોમાં કહીએ તો :
ન તૂ ઝમીં કે લિયે હય ન અાસમાં કે લિયે
જહાં હય તેરે લિયે, તૂ નહીં જહાં કે લિયે.
‘ઇકબાલ’ ઉર્દૂ અને ફારસી ભાષાના શાયર હતા. તેમની શાયરી પ્રણાલિકાગત શાયરીથી અલગ પડે છે. ગાલિબની જેમ તેમણે પણ ચીલો ચાતર્યો હતો અને હિન્દુસ્તાનની ગુલામ પ્રજામાં પ્રાણ ફૂકવા માટે, અાઝાદીનું સાનભાન જગાવી ગુલામીની ઝંજીરો કાપવાનો જુસ્સો જગાવવા ખાતર કલમ ચલાવી હતી. તેમની તો સમગ્ર કવિતા વીરરસથી ભરપૂર છે. અધ્યાત્મ પણ તેમનો પ્રિય વિષય હતો.
અા કવિનું જન્મસ્થળ સિયાલકોટ (પંજાબ), લાહોરમાં વર્ષો સુધી રહ્યા. તેમનો મકબરો પણ લાહોરમાં છે. એમના પૂર્વજો મૂળ કાશ્મીરી બ્રાહ્મણ હતા. ઉસ્તાદ દામનથી બહુ પહેલાં તેમણે વિશ્વપરિવર્તન વિશે ઘણું કહ્યું હતું. તેમનો એક શેર છે :
અાંખ જો કુછ દેખતી હય લબ પે અા સકતા નહીં
મરવે હયરત હું કે દુનિયા ક્યા સે ક્યા હો જાયેગી !
એટલે કે મારી અાંખો પ્રજ્ઞા દૃષ્ટિ જે અદ્દભુત દૃષ્યો દેખી રહી છે, મારું દર્શન મારા અોષ્ટ પર અાવી શકતું નથી. અાશ્ચર્યમાં એવો ગરકાવ છું, ભાવિ પરિવર્તનોનાં અદ્દભુત દૃષ્યોએ, મારા દર્શને મને એવો ચકિત કીધો છે કે અોષ્ઠ ખૂલી શકતા નથી ! શું કહું કે દુનિયા અાવતી કાલે ક્યાંની ક્યાં પહોંચી જશે !
‘ઇકબાલ‘ એક અણુમાં સમગ્ર રણને, સહરાને જુએ છે. યહ ઝર્રા નહીં, શાયદ સિમટા હુઅા સહરા હય ! − તો વળી, તે અા જિંદગીમાં, હયાતીમાં ઉદ્યાનનું સ્વરૂપ બદલી નાખવાની અસામાન્ય શક્તિ જુએ છે. તે કહે છે :
ચાહે તો બદલ ડાલે હયઅત ચમનસ્તાં કી
યે હસ્તી દાના હય બીના હય, તવાના હય.
અર્થાત્ − અા જિંદગી અગર ઇચ્છે તો ઉદ્યાનનું – વિશ્વનું સ્વરૂપ બદલાવી શકે એમ છે. એ બુદ્ધિમાન છે, દૃષ્ટિવાન છે, સ્વાસ્થ્યવાન છે, શક્તિવાન છે.
મતલબ કે મનુષ્યએ તેની શક્તિને પરખવી જોઈએ, તેના પર ભરોસો કરવો જોઈએ અને કમ્મર કસીને અાગેકૂચ કરવી જોઈએ. જાણવું જોઈએ કે જ્યાં ગતિ ત્યાં પ્રગતિ, જ્યાં હિમ્મત ત્યાં સરજત ! સંઘર્ષ વિશે ને હામ – હિમ્મત બાબત ફયઝ અહમદ ફયઝ શું કહે છે ?
અર્સએ દહર કે હંગામે તહે ખાબ સહી
ગર્મ રખ અાતિશે પયકાર સે સીના અપના.
એટલે કે વિશ્વ-અાંગણની ધમાલો અત્યારે ભલે નીંદરમાં, ખાબમાં પડી હોય, પરંતુ તું તારા સીનાને, તારી છાતીને સંઘર્ષના અગ્નિથી ગરમ રાખ. યાને તું સંઘર્ષ નિરંતર ચાલુ રાખ − સુષુપ્ત પડેલી વિશ્વની ધમાલો જાગૃત થઈ જશે અને પરિણામે વિશ્વની શિકલ બદલાઈ જશે, − અાવા અવિરત, અણથક સંઘર્ષ કરનારા જવાનોના મોઢામાં ફયઝ સાહેબ અાવા શબ્દો મૂકે છે :
ચંદ રોઝ અૌર મેરી જાન ! ફક્ત ચંદ હી રોઝ !
ઝુલ્મ કી છાંવ મેં દમ લેને પે મજબૂર હંય હમ
અૌર કુછ દેર સિતમ સેહ લેં તડપ લેં, રો લેં
અપને અજદાદ કી મિરાસ હય મઅઝૂર હય હમ
ચંદ રોઝ અોર મેરી જાન ! ફક્ત ચંદ હી રોઝ !
જુલમની અા છાંઈ, અાપણી લાચાર સ્થિતિ, વારસાગત મળેલી અા દુર્દશા ફક્ત ચંદ રોજ માટે છે. અને ત્યાર પછી ઉજ્જવળ પ્રભાત હશે. કવિ વિશ્વાસપૂર્વક કહે છે :
જો ઈસ સાઅત મેં પિન્હાં હય ઉજાલા હમ ભી દેખેં ગે
જો ફરકે સુબ્હ પર ચમકે ગા તારા હમ ભી દેખેં ગે
ફયઝ સાહેબ કહે છે કે સમયની ભીતર જે અજવાશ ગોપિત છે અને પ્રભાતના લલાટે જે સિતારો ચમકશે તે અમે પણ જોશું ! પરિવર્તનો, ક્રાંતિ વિશ્વની બદલતી શિકલ એ સૌ અમે જોશું. શાહોના તખત ઉથલી ગયા હશે અને તેમના તાજ સામાન્ય પ્રજાના ચરણોમાં હશે ! − અમે જોશું અને કદાચ એ જોવાનું અમારા ભાગ્યમાં ન હોય તો ? જુઅો એના ઉત્તરમાં ફયઝ સાહેબ શું કહે છે :
બલા સે હમને ન દેખા તો અૌર દેખેં ગે
ફરોગે ગુલ્શનો સવતે હઝાર કા મોસમ !
યાને અા ગુલ્શન અને અાનંદોલ્લાસના પોકારોની રોનક અગર અમે ન જોઈ શકીએ તો ભલે − અન્ય લોકો, ભાવિ પેઢીના લોકો જોશે. કષ્ટની અમને પરવા નથી. અમારી ફરજ સંઘર્ષની છે. સંઘર્ષ કરીશું અંતિમ શ્વાસ સુધી. સહર કરીબ હય, દિલ સે કહો ન ઘબરાતેં !
•
[નોંધ : અા લેખમાંની ઉસ્તાદ દામન વિશેની કેટલીક વિગત ‘લોકનાદ’ − અમદાવાદના 2013ના કેલેન્ડર ‘સાંઝી વિરાસત’ના અાધારે લેવામાં અાવી છે. શુક્રિયા.]
[136, Stamford Street, Old Trafford, MANCHESTER M16 9LR, U.K.]
("અોપિનિયન", 26 માર્ચ 2013)
![]()


‘ઝટ્ટ ડોળિ નાંખો રે, મનજળ થંભ થયેલું’
ઓગણીસમી સદીના સાહિત્યના વિવેચન વિશે વાત કરતાં સૌથી પહેલી જરૂર જણાય છે તે ઓગણીસમી સદીના પૂર્વાર્ધ પર સવિશેષ ધ્યાન આપીને એ સમયગાળામાં પ્રગટ થયેલાં પુસ્તકો અને સામયિકોના મહત્ત્વને સમજવાની અને સ્વીકારવાની. આપણા સાહિત્યમાં અર્વાચીન યુગની શરૂઆત નર્મદ-દલપતનાં લખાણોથી જ થઈ એવી માન્યતા આપણા વિવેચનમાં ઘર કરી ગઈ છે. નર્મદ અને દલપત એ આપણા સાહિત્યના અર્વાચીન યુગના બે મુખ્ય અને મહત્ત્વના પુરસ્કર્તા ખરા, પણ સમય દૃષ્ટિએ પહેલા પુરસ્કર્તા નહીં. અર્વાચીનતાનાં વૃત્તિવલણોનો સીધો સંબંધ બે સાહિત્યેતર ઘટનાઓ સાથે રહેલો છે. કાળક્રમે જોતાં આમાંની પહેલી ઘટના તે મુદ્રણનું આગમન અને બીજી ઘટના તે બ્રિટીશ પદ્ધતિના શાળા-શિક્ષણની અને પછી ઉચ્ચ શિક્ષણની શરૂઆત. આ શરૂઆત ૧૯મી સદીના પૂર્વાર્ધમાં મુંબઈમાં થઈ. ૧૮૦૮માં પહેલવહેલું છપાયેલું ગુજરાતી પુસ્તક મુંબઈમાં છપાઈને પ્રગટ થયું ત્યારથી ૧૮૫૨ સુધીમાં આપણી ભાષામાં ઓછામાં ઓછાં ૩૦૦ પુસ્તકો પ્રગટ થયાં હતાં. તેમાંનાં મોટા ભાગનાં પદ્યમાં નહીં, ગદ્યમાં લખાયેલાં હતાં. અને છતાં અર્વાચીન ગુજરાતી ગદ્યની શરૂઆત ૧૮૫૦માં પ્રગટ થયેલા દલપતરામના ‘ભૂત નિબંધ’થી કે ૧૮૫૧માં પ્રગટ થયેલા નર્મદના નિબંધ ‘મંડળી મળવાથી થતા લાભ’થી થઈ, એમ આપણે વર્ષોથી માનતા-મનાવતા આવ્યા છીએ. વાત જો સર્જનાત્મક ગદ્યની જ કરવાની હોય તો તો આ બંને કૃતિઓનું ગદ્ય પણ સર્જનાત્મક ગદ્ય નથી જ. હકીકતમાં અર્વાચીન ગુજરાતી ગદ્યનો આરંભ ૧૮૫૦ કરતાં ઘણો વહેલો પારસીઓ, પાદરીઓ, અને પરદેશી અમલદારોને હાથે થઈ ચૂક્યો હતો. અલબત્ત, તેમાંનું ઘણુંખરું ગદ્ય કાં અનુવાદ માટે, કાં ધર્મપ્રચાર માટે, કાં શાલેય શિક્ષણ માટે પ્રયોજાયું હતું, પણ તેથી એ અર્વાચીન ગદ્ય નહોતું એમ કેમ કહી શકાય? પણ આપણા સાહિત્યના ઇતિહાસમાં થોડા અપવાદોને બાદ કરતાં આપણે પારસીઓ, પાદરીઓ, અને પરદેશીઓના પ્રદાનની તો અવગણના જ કરી છે. ૧૮૪૪માં સુરતથી પ્રગટ થયેલા ‘પિલગ્રિમ્સ પ્રોગ્રેસ’ના અનુવાદ ‘યાત્રાકરી’નો અને અનુવાદક ફાધર વિલિયમ ફ્લાવરનો ઉલ્લેખ આપણા સાહિત્યના ઇતિહાસમાં ક્યાંય જોવા નહીં મળે. ચાલો, એ તો અનુવાદ હતો, પણ ૧૮૪૪માં જ પૂરાં સાતસો પાનાંમાં કાવસજી સોરાબજી કાવસજી પટેલે ‘ચીનનો અહેવાલ’ નામનું પ્રવાસ વર્ણનનું પુસ્તક મુંબઈથી પ્રગટ કરેલું. તેની વાત કોઈએ કરી છે? કરીએ તો તો પછી નર્મદ-દલપતનો ગદ્યના પ્રારંભક હોવાનો હક્ક લૂંટાઈ જાય ને? પણ ખુદ નર્મદે પોતે ગુજરાતી ગદ્યને જન્મ આપ્યાનું માન કેપ્ટન જર્વિસને આપ્યું છે અને ૧૮૨૮ના વરસથી ‘ગદ્યમાં લખવાનું શરૂ થયું’ એમ કહ્યું છે. પણ આ કેપ્ટન જર્વિસ કોણ હતો, એણે શું શું લખેલું એની ભાળ મેળવવાનો પ્રયત્ન કોણે કર્યો છે? ૧૮૬૭માં પ્રગટ થયેલા અભિજ્ઞાન શાકુંતલ નાટકના ઝવેરીલાલ યાજ્ઞિક અને દલપતરામ ખખ્ખરના બે અનુવાદ સંસ્કૃતમાંથી થયેલા પહેલા અનુવાદ તરીકે ઓળખાવાતા આવ્યા છે. પણ એ બંને મહાનુભાવોનો જન્મ પણ નહોતો થયો ત્યારે, છેક ૧૮૨૪માં સંસ્કૃતમાંથી પંચતંત્રનો અનુવાદ ‘પંચોપાખીઆંન’ નામે ફરદુનજી મર્ઝબાનજીએ કર્યો હતો એ વાત સાહિત્યના ઇતિહાસ કે વિવેચનમાં કોઈએ નોંધી છે? ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટી શરૂ થઈ તે પછી કેટલાંક વર્ષો સુધી આ ‘પંચોપાખીઆંન’ પાઠ્યપુસ્તક તરીકે ભણાવાતું હતું અને ૧૮૮૨ સુધીમાં તેની છ આવૃત્તિ પ્રગટ થઈ હતી. તેનાથી પણ પહેલાં, ૧૮૨૧માં બાયબલના નવા કરારનો અનુવાદ સુરતમાં છપાઈને પ્રગટ થયો હતો. જેમ્સ સ્કિનર અને વિલિયમ ફાઈવી નામના લંડન મિશનરી સોસાયટીના બે પરદેશી પાદરીઓ ગુજરાતી ભાષા શીખીને બાયબલનો અનુવાદ ગુજરાતી ગદ્યમાં કરે, જ્યારે નર્મદનો જન્મ પણ થયો નહોતો અને જ્યારે દલપતરામની ઉંમર માંડ દોઢેક વર્ષની હતી ત્યારે કરે, એ હકીકત આપણા વિવેચને કે ઇતિહાસે નોંધી પણ છે? પણ આ બે પાદરીઓ પણ પહેલા ગદ્યકાર નથી. તેમના પહેલાં ‘કમતરીન ખાકસાર મુનશી ડોશાભાઈ મોબેદ શોહરાબજી ભરવચી’એ કરેલો ‘મોગલાઈ ઊનાની હકીમ લોકોનો ઊહવાલ તથા તે લોકોની નશીહતો’ નામનો અનુવાદ ૧૮૧૮માં મુંબઈના ફરદુનજી મર્ઝબાનજીના છાપખાનામાં છપાઈને પ્રગટ થયો હતો. અને આ જ ફરદુનજી મર્ઝબાનજીએ ૧૮૧૫ના ડિસેમ્બરની ૨૫મી તારીખે પોતે કરેલા અનુવાદનું ૪૧૦ પાનાંનું પુસ્તક પોતાના છાપખાનામાં છાપીને પ્રગટ કર્યું હતું. એનું નામ ‘દબેસ્તાનુલ મઝાહેબ.’ કોઈ પુસ્તકનો અનુવાદ પ્રગટ કરતાં પહેલાં કોઈ જાણકાર પાસે તેની ચકાસણી કરાવવાનું આજે પણ આપણને બહુ જરૂરી લાગતું નથી, અને પરિણામે કઢંગા અનુવાદો ખડકાતા જાય છે. ફરદુનજી પોતે ફારસીના સારા જાણકાર હતા, ગુજરાતી તો તેમની માતૃભાષા હતી, છતાં પોતે ફારસીમાંથી કરેલા આ અનુવાદની ચકાસણી તેમણે ત્રણ-ત્રણ જાણકારો પાસે કરાવી હતી અને તેમનાં પ્રમાણપત્ર પ્રસ્તાવનામાં આમેજ કર્યાં હતાં. અને છતાં ગુજરાતી ગદ્યલેખન અંગે આટલી સભાનતાભરી કાળજી રાખનારનું નામ પણ આપણે લેતા નથી. અર્વાચીન મરાઠી સાહિત્યના વિકાસ અને ઘડતરમાં પરદેશીઓ અને પાદરીઓએ આપેલા ફાળા અંગે સંશોધન કરી, અભ્યાસપૂર્વક લખાયેલાં પુસ્તકો પ્રગટ થયાં છે. પણ આપણે પુસ્તકો લખવાની વાત તો દૂર રહી, પરદેશીઓ અને પાદરીઓના ફાળાની નોંધ પણ કેટલી લીધી છે? પારસીઓની ભાષાને ‘અશુદ્ધ’નું લેબલ લગાડીને આપણે પહેલાં તેમના સાહિત્યને મુખ્ય પ્રવાહથી અલગ માનવાનું અને પછી એ અલગ પ્રવાહની અવગણના કરવાનું શરૂ કર્યું. આ વલણની શરૂઆત પોતાની કૃત્રિમ રીતે સંસ્કૃતમય ભાષાનો ફાંકો ધરાવતા પંડિત યુગના કેટલાક લેખકોથી થઈ અને ભાષાશુદ્ધિના આગ્રહી એવા ગાંધી યુગના કેટલાક લેખકોએ એ વલણને વધુ દૃઢ બનાવ્યું. એક ઉદાહરણ રૂપે આ વાક્ય જુઓ : ‘૧૮૨૨માં ગુજરાતની સાહસિક પારસી કોમના એક નબીરાએ ‘મુમબઈ સમાચાર’ નામે અઠવાડિક કાઢવા માંડ્યું … ભલે મુંબઈથી શરૂ થયેલું, પણ આ ગુજરાતી ભાષાનું સાહસ હતું.’ ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રગટ કરેલા બહુખંડી ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ના ત્રીજા ભાગની ભૂમિકામાં યશવંત શુકલે આ શબ્દો લખ્યા છે. બીજે ક્યાંય નહીં ને સાહિત્યના આવા વિસ્તૃત ઇતિહાસમાં પણ આમ નામ વગર મભમ વાત થાય એ કેવું? ‘૧૮૬૪માં એક નાગર નબીરાએ ‘ડાંડિયો’ નામે સામયિક કાઢવા માંડ્યું’ એમ કોઈ લેખક લખે ખરો? ૧૯૭૬માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિમાં આમ છપાયું. ૨૦૦૫માં બીજી શોધિત-વર્ધિત આવૃત્તિ પ્રગટ થઈ ત્યારે પણ એ પારસી નબીરાનું નામ આપવાનું ન તો બીજી આવૃત્તિના વિદ્વાન સંપાદક કે પરામર્શકને જરૂરી લાગ્યું, કે ન તો પ્રકાશક સંસ્થાને જરૂરી લાગ્યું.
નર્મદે પોતાનો પહેલો ગદ્યલેખ ભાષણ રૂપે મુંબઈની બુદ્ધિવર્ધક સભામાં રજૂ કર્યો હતો એટલા પૂરતી આપણે એ સભાને યાદ કરીએ છીએ, પણ આ સભાની પણ વિગતે વાત આપણે કેટલી કરીએ છીએ? હકીકતમાં, ૧૮૫૧માં, લગભગ એક જ વખતે, લગભગ સરખા નામવાળી બે સંસ્થાઓ શરૂ થઈ હતી. તેમાંની એક તે નર્મદે શરૂ કરેલી ‘જુવાન પુરુષોની અન્યોઅન્ય બુદ્ધિવર્ધક સભા’. કોલેજનો અભ્યાસ પડતો મૂકીને નર્મદને સુરત જવું પડ્યું અને તેની દોરવણી વગર આ સભા ઝાઝો વખત ચાલી શકી નહીં. બીજી બાજુ ગંગાદાસ કિશોરદાસે એલ્ફિનસ્ટન કોલેજના પ્રોફેસર પાટન સાથે મસલત કરીને ૧૮૫૧ના આરંભમાં ‘બુદ્ધિવર્ધક હિંદુ સભા’ની સ્થાપન કરી. તેના પહેલા પ્રમુખ હતા પ્રાણલાલ મથુરાદાસ, સેક્રેટરી હતા મોહનલાલ રણછોડદાસ ઝવેરી, જ્યારે ગંગાદાસ પોતે હતા ખજાનચી. ૧૮૫૧ના ફેબ્રુઆરીના ઉત્તરાર્ધમાં નર્મદ મુંબઈ છોડી સુરત ગયો તે પછી ૧૮૫૧ના માર્ચની ૩૦મી તારીખથી તેણે સ્થાપેલી મંડળી પ્રાણલાલ મથુરાદાસવાળી ‘બુદ્ધિ વર્ધક સભા’માં ભળી ગઈ. લગભગ ૧૮૭૦ સુધી આ સભા અને તેનું સામયિક ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ વધતે ઓછે અંશે કાર્યરત રહ્યાં હતાં. ૧૮૯૪-૯૫માં થોડા વખત માટે તે સંસ્થા ફરી સક્રીય બની ત્યારે તેના નામમાંથી ‘હિંદુ’ શબ્દ કાઢી નાખવામાં આવ્યો. છેવટે ૧૯૩૪ના જુલાઈની ૨૯મી તારીખે તે ફાર્બસ ગુજરાતી સભામાં વિલીન થઈ ગઈ. આજે ફાર્બસ ગુજરાતી સભાનું પુસ્તકાલય ઔપચારિક રીતે ‘બુદ્ધિવર્ધક પુસ્તકાલય’ તરીકે ઓળખાય છે એટલા પૂરતું હજી એ સંસ્થાનું નામ રહ્યું છે. પણ આ સંસ્થાના ઇતિહાસ અને કામગીરીની આપણે ઝાઝી ચિંતા કરી નથી. ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ની લગભગ આખી ફાઈલ મુંબઈની કે.આર. કામા ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં સચવાઈ છે. એકના એક ચવાઈ ગયેલા વિષયો પર પીએચ.ડી. માટે ‘શોધનિબંધ’ લખનારાઓની નજર આજ સુધી તેમાં દટાયેલા ખજાનાને શોધી શકી નથી.