૧૫મી ઓક્ટોબરથી મનુભાઈ પંચોળી 'દર્શક'નું જન્મશતાબ્દી વર્ષ શરૂ થઈ રહ્યું છે. દર્શકદાદાને ઇતિહાસના અભ્યાસુ, સાહિત્યકાર કે કેળવણીકાર તરીકે તો સૌ કોઈ ઓળખે છે, પણ તેમને 'જાણવા' માટે થોડું અંગત સાહિત્ય ઘણું ઉપયોગી થઈ પડે. મૃદુલા પ્ર. મહેતાને લખેલા પત્રોમાં તેઓ માત્ર ખૂલ્યા જ નથી, ખીલ્યા પણ છે ત્યારે એ પત્રોમાંથી થોડી પ્રસાદી પામીએ …
મનુભાઈ પંચોળી 'દર્શક'ને આપણે 'સોક્રેટિસ', 'ઝેર તો પીધાં જાણી જાણી', 'કુરુક્ષેત્ર', 'દીપનિર્વાણ' અને 'બંધન અને મુક્તિ' જેવી મૂલ્યવાન નવલકથાઓ, 'પરિત્રાણ' કે 'ગૃહારણ્ય' જેવાં નાટકો, 'વાગીશ્વરીનાં કર્ણફૂલો' જેવા વિવેચનગ્રંથો, 'આપણો વારસો અને વૈભવ' કે રોમ અને ગ્રીસની ઇતિહાસકથાઓ જેવા ઇતિહાસના ગ્રંથો તથા 'સદ્દભિઃ સંગ' જેવી માતબર-માર્ગદર્શક અનુભવકથાના લેખક તરીકે તો જાણીએ-સન્માનીએ છીએ, પણ તેઓ કવિતા પણ લખતા, એ ભાગ્યે જ કોઈ જાણતું હશે. 'કાવ્યનું સત્ય અન્ય શાસ્ત્રો કે અભિગમોના સત્ય કરતાં ચડિયાતું હોય છે' એવું માનનારા મનુભાઈની કવિતાનું કોઈ પુસ્તક નથી, પણ અંગત વ્યક્તિને લખેલા પત્રોમાં તેમનાં કાવ્યો વાંચવા મળે છે. મૃદુલાબહેનને લખેલા એક પત્રમાં મનુદાદાએ વિશ્વ કોસ્મોસ સંદર્ભે પોતે લખેલી એક કવિતા મોકલેલી :
'થીજે છે જલ કો' ક્ષણે,
ને કલકલે કો સમે,
સૂર્યાકર્ષણથી ચઢે ગગનપે
વર્ષા બની વર્ષવા ઃ
કિંતુ સર્વસ્થિતિ મહીં પૃથિવીને
તે પોષતું પ્રેરતું,
ને સ્થિત્યંતર સહુ વિષે
છે સ્થિરતા અર્પતું.'
વોશિંગ્ટન કાર્વરની જીવનકથા 'દેવદૂત' ને 'યુરોપદર્શન' નામનું પ્રવાસવર્ણનનું પુસ્તક લખનારાં મૃદુલા પ્ર. મહેતા સાથે મનુદાદાને આત્મીય સંબંધો હતા. મનુભાઈ લોકભારતી, સણોસરામાં વસે અને મૃદુલાબહેન મણારની લોકશાળામાં રહેતાં. તેમની વચ્ચે વર્ષો સુધી પત્રાચાર ચાલેલો. તાજેતરમાં રિલીઝ થયેલી 'લંચબોક્સ' ફિલ્મે પત્રસંબંધોની કેટલી ય કહાણી અને પત્રસંગ્રહોની યાદ તાજી કરાવી છે. વળી, ૧૫મી ઓક્ટોબરથી મનુદાદાની જન્મશતાબ્દીનું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે મનુદાદા અને મૃદુલાબહેન વચ્ચેના પત્રવ્યવહારનું પુસ્તક 'ચેતોવિસ્તારની યાત્રા' સાંભરી આવ્યું. મૃદુલાબહેનને લખેલા પત્રોમાં મનુદાદા માત્ર ખૂલ્યા જ નથી, ખીલ્યા પણ છે.
મનુદાદાએ પત્રમાં પોતાની યશસ્વી નવલકથા 'સોક્રેટિસ' અંગે ૨૪ નવેમ્બર, ૧૯૭૧ના પત્રમાં લખ્યું છે, "કાલે રાત્રે ૧૧-૫ વાગ્યે 'સોક્રેટિસ'નું છેલ્લું પ્રકરણ પૂરું કર્યું. કેટલુંક ઘણું સારું લખાયું છે. મોટાભાગનું સારું ને થોડું સહ્ય છે. રંગરોગાનનો હાથ શુદ્ધ નકલ વખતે ફરશે ત્યારે દીપી ઊઠશે. એના પર કોઈ મને સાહિત્ય પરિષદનો પ્રમુખ બનાવે તો વધારે પડતું નહીં લાગે." કેવો મિજાજ! આ લેખક વળી બીજા એક પત્રમાં લખે છે, "પ્રેમચંદજીનું પોતાના લખાણ વિશેનું એક મંતવ્ય વાંચ્યું, 'વ્યાસ, વાલ્મીકિ તો ધનવંતરિસમા છે. પણ ધનવંતરિ હોવા છતાં નાના વૈદ્યો તો સંસારમાં હોવાના.' પ્રેમચંદજી પોતાને નાના વૈદ્ય ગણાવે તો આપણે તો વૈદ્ય માટે દવા વાટી આપનારા ગણાઈએને!"
મનુદાદાએ 'ઝેર તો પીધાં જાણી જાણી' નવલકથાના અમર પાત્ર રોહિણીનું રહસ્ય એક પત્રમાં ખોલતાં લખ્યું છે, "'ઝેર તો પીધાં છે …'ના બીજા ભાગનું અંતિમ પ્રકરણ જેમાં રોહિણી અને સત્યકામ વારાફરતી ગાય છે, તે મારાં શ્રેષ્ઠ પ્રકરણોમાંનું એક છે, પણ રાયાણીભાઈનાં (મોહનભાઈ રાયાણી) ભજનો મેં સાંભળ્યાં ન હોત તો આ રોહિણીનું સર્જન ન થાત. સત્યકામનું બની શકત, પણ ઘણા લોકોને જેણે પરિપ્લાવિત કર્યા તે સત્યકામે નહીં, રોહિણીએ."
મનુદાદા ક્યારે ખટમીઠ્ઠા પ્રસંગો પણ લખીને મોકલતા, "પરિત્રાણ ટીવી પર લેવાયું છે. જશવંત ઠાકરની મંડળીએ ભજવ્યું. મને ખબર ન હતી એટલે વાંધો ઉઠાવ્યો, એટલે માફી માગી – ૫૦૧ રૂપિયા આપ્યા ને બરાબર ઊતર્યું છે કે નહીં તે તપાસવા અનુકૂળતાએ જોઈ જવા કહ્યું."
મનુદાદા અને મૃદુલાબહેનના પત્રવ્યવહારમાં સંસ્થાના સામાન્ય પ્રશ્નોથી લઈને શાસ્ત્રો-સિદ્ધાંતોની ચર્ચાઓ ચાલતી. સામ્યવાદ અંગે મનુદાદાએ સચોટ ટિપ્પણી કરેલી, "… સામ્યવાદ, બુદ્ધિમંતો માટે કાળપ્રશ્ન છે. તેમાં રાખેલ બૌદ્ધિક અસાવધાની, આપણી ખેતી, શિક્ષણ, કુટુંબજીવન, આયોજન, વ્યાપાર, ઉદ્યોગ, સાહિત્ય બધાંનું ખગ્રાસગ્રહણ કરશે, કારણ કે એને મન કલા, સાહિત્ય, તત્ત્વજ્ઞાાન, ધર્મ, કુટુંબ, ખેતી, બધું જ વર્ગીય સર્જન છે. કાં તો આ બધાં કોમ્યુિનસ્ટ છે ને કાં તો કોમ્યુિનસ્ટ વિરોધી છે. ધર્મનું ઝનૂન + નિઃશંક સત્યનો ઈજારો + રાજ્યસત્તા, આવો સરવાળો જગતમાં પહેલી વાર થયો છે …"
એક પત્રમાં સુખની સુંદર વ્યાખ્યા પણ મળે છે, "મૂળે આ સુખ છે શું? બહુ ભારે પ્રશ્ન છે. ભલભલા તેમાં ગોથાં, ડૂબકાં ખાય છે, અસારને સાર સમજીને વળગે છે અને પસ્તાય પણ છે, પણ સારનો સાર આ સુખ વિશે મેં અનુભવ, અવલોકનથી કાઢયો છે, તે એ કે સુખ એટલે રુચિ, કલ્પના, વલણો, માન્યતાઓ અને આદર્શો વિશેનો અભેદાનુભવ. આ જ્યાં, જેની જોડે થયું તે સુખ, સ્નેહ-પ્રેમ."
આ પુસ્તકના પહેલા જ પત્રની શરૂઆત છે, "ધારાસભામાં હોઉં પણ ખરો, ન પણ હોઉં. પણ સંગ્રામમાં ખરો. સંગ્રામ એ વૈદિક શબ્દ છે. તેની વ્યુત્ત્પતિ શોધીએ તો ગ્રામ જેમાં મતભેદો ભૂલી સંયુક્ત રીતે ઊભું રહે તે. સં + ગ્રામ. સાધારણ રીતે આવું લડાઈમાં જ બને છે, એટલે સંગ્રામનો અર્થ થઈ ગયો લડાઈ, પણ તે અનિવાર્ય નથી. જીવનના સંયુક્ત કાર્યક્રમમાં હૃદયપૂર્વકના, સહજ ઐક્યનો અનુભવ એ તેનો મૂળ અર્થ છે. આ કાર્યક્રમ શાંતિનો કે સર્જનનો હોઈ શકે."
મનુદાદાના શિક્ષણ, સમાજ અને સંસ્કૃિત અંગેના આદર્શોને સાકાર કરવા માટે એમની જન્મશતાબ્દી નિમિત્તે આપણે કોઈ સંગ્રામ કેમ શરૂ ન કરી શકીએ?
e.mail : divyeshvyas.amd@gmail.com
(સૌજન્ય ઃ ‘સમય-સંકેત’, સંસ્કાર પૂર્તિ, “સંદેશ”, 13.10.2013)
![]()


લોકજીવન એટલે લોકોનું જીવન, જનસાધારણનું જીવન, ભારતના વિશાળ ગ્રામીણ લોકસમાજના સાધારણ મનુષ્યનું જીવન. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યનાં નાટકો – કાવ્યો – કથાઅોમાં વર્ણવાતો સમાજ સામાન્ય રીતે સમાજના ઉચ્ચ કે વિશિષ્ટ વર્ગનો પ્રતિનિધિ હોય છે − રાજા, દેવ, મંત્રી, શ્રેષ્ઠી, સમૃદ્ધ ગણિકા અથવા તેમની સાથે તેમના અનુષંગે જોડાતો સેવકો, ભૃત્યો, મિત્રો, વિદૂષકો, શિષ્યો, વિટ-ચેટ વગેરે પાત્રોનો સમાજ હોય છે. પણ અા બધાં સિવાય પણ એક વિશાળ પ્રજાવર્ગ – પોતાની કશી જ વિશિષ્ટ અોળખ વિનાનો વિશાળ લોકસમુદાય – ભારતના ભૂમિપટ પર હંમેશા અસ્તિત્વ ધરાવતો હતો, કોઈ પણ પ્રજામાં હોય જ. અાવા સમાજનાં થોડાંક ચિત્રો અાપણને વિવિધ સુભાષિતો – સુભાષિતસંગ્રહોમાં છૂટાંછવાયાં વેરવિખેર વેરાયલાં જોવા મળે છે ખરાં.
હાલની ‘ગાહાસત્તસઈ’ પ્રાકૃત પદ્યોનો એક વિશ્વસાહિત્યમાં સ્થાન પામી શકે તેવો અદ્દભુત સંચય છે. અાપણે એને પ્રાકૃત પદ્યોની Golden Treasury અવશ્ય કહી શકીએ. પ્રાકૃતમાં ‘ગાહાસત્તસઈ‘ એટલે સંસ્કૃતમાં ‘ગાથાસપ્તશતી’. નામ પ્રમાણે એમાં સાતસો ગાથાઅો છે. એ હાલની કહેવાય છે પણ સંભવત: હાલ માત્ર એનો સંપાદક છે. એ નામે સાતવાહન વંશનો એક રાજા ઇસુની બીજી સદીમાં અાન્ધ્રમાં થઈ ગયો. પોતાના સમયમાં એના પ્રદેશમાં ગાથાઅોનું જે વિશાળ લોકરચિત સાહિત્ય લોકસમુદાયમાં પ્રચલિત હશે તેમાંથી એણે ઉત્તમ પદ્યો તારવીને અા સાતસોનો સંગ્રહ તૈયાર કર્યો હશે. ગાથા એટલે અાર્યા, માત્રામેળ છંદ, સ્થિતિસ્થાપક, ઘણીવાર વ્યાકરણની ઉપર ઊઠતી લોકભાષાના પ્રવાહી લયને બરાબર ઝીલી શકે તેવો.
થોડાંક ચિત્રો સાથે મનોહર પ્રકાશન કર્યું છે : એનું શીર્ષક જ એમણે તો महिलाएँ (Raka Prakashan, 40-A, Moti Lal Nehru Road, Allahabad – 211 002 Phone no. 9415307687) એવું અાપ્યું છે ! અાપણા દેશમાં જેવી પ્રકૃતિ અનેક નિર્બંધ રમણીય સ્વરૂપોમાં પ્રગટ થતી રહી છે (હવે કદાચ ‘થતી રહી હતી’ એમ કહેવાનો વારો પણ અાવે !) એટલાં જ નિર્બંધ રમણીય રૂપો સ્ત્રીઅોની ચિત્તવૃત્તિઅોનાં − એમની પ્રણયપ્રેરિત પ્રવૃત્તિઅોનાં અહીં પ્રગટ થયા કરે છે. એ પદ્યોને નીતિશાસ્ત્રના માપદંડોથી માપવા જઇશું તો એમાંની કવિતા અાપણા હાથમાંથી સરકી જશે. નૈતિક-અનૈતિક, ઉચિત-અનુચિત જેવાં ખાનાંઅોમાં એને વહેંચવાને બદલે એમાં જીવનનો ઉન્મુક્ત સ્વીકાર અને નારીહૃદયમાં ઊઠતી સહજ ભાવનાઅોનું સરળ નિર્દંભ નિરૂપણ જોઇશું તો અા લોકજીવનને ખુલ્લાશથી અાલેખતાં લોકકાવ્યને અાપણે વધારે માણી શકીશું. વળી એવું પણ નથી કે બધાં જ પદ્યો અાવી ઉન્મુક્ત સ્ત્રીઅોની પ્રણયપ્રવૃત્તિઅોને જ અાલેખે છે. સરસ પ્રણયનાં, શીલવતી ગૃહિણીઅોનાં, દાંપત્યજીવનના અાનંદના પણ અનેક ચિત્રો અહીં મળે છે. સંક્ષેપમાં જેટલી સ્ત્રીઅો, જેટલી એમની મનોવૃત્તિઅો, જેટલી એમની પ્રવૃત્તિઅો, જેટલી એમની પ્રણયછટાઅો વિવિધ છે એટલાં એમનાં રચેલાં અા અાર્યાપદ્યોમાંનાં ચિત્રો વિવિધ છે. અાપણે પદ્યો જ જોઇએ :
મનુભાઈ પંચોળી ‘દર્શક’નો જન્મ ૧૯૧૪ના ઓક્ટોબરની ૧૫મી તારીખે. આવતી કાલથી (15 અૉક્ટોબર 2013) તેમની જન્મ શતાબ્દીનું વર્ષ શરૂ થશે. મનુભાઈ વિદ્યાપુરુષ હતા, સમાજપુરુષ હતા, પણ સૌથી વધુ તો તેઓ શબ્દપુરુષ હતા. ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ જેવા આપણી ભાષાના તેજસ્વી નવલકથાકારોની હરોળમાં આપકર્મે સ્થાન મેળવનાર નવલકથાકાર હતા. તેમની ‘દીપનિર્વાણ’ નવલકથાને ઉમાશંકર જોશીએ ગોવર્ધનરામની ‘સરસ્વતીચંદ્ર’ પછીની એક અગ્રગણ્ય નવલકથા તરીકે ઓળખાવી છે. બે હજાર વર્ષ પહેલાંના ભારતને પશ્ચાદભૂમિ તરીકે રાખીને લેખકે સુચરિતા, સુદત્ત, અને આનંદ વચ્ચેનો પ્રણયત્રિકોણ નાજુકાઈથી આલેખ્યો છે. આજે અહી ‘દીપનિર્વાણ’ની વાત રજૂ કરી છે, તેના મુખ્ય સ્ત્રીપાત્ર સુચરિતાના શબ્દોમાં.