ગ્રંથયાત્રા – 24
બાળકો અને કિશોરો માટેની આ એક અદ્ભુત રસિક વાર્તા છે? હા અને ના. આ એક સાહસ ભરી પ્રવાસકથા છે? હા અને ના. વિક્ટોરિયન યુગના ગ્રેટ બ્રિટનના લોકો, તેમના રીતરિવાજો, તેમની માન્યતાઓ, કેટલીક જાણીતી વ્યક્તિઓ, વગેરેની ઠેકડી ઉડાડતી કટાક્ષકથા છે? હા અને ના. માણસને અંદરથી જોવા અને જાણવા મથતી, તેના ભાવિનો તાગ લેવા મથતી, કંઇક નિરાશાવાદી રૂપકકથા છે આ? હા અને ના. હકીકતમાં આ એક બહુરૂપી સર્જન છે. જેવો વાચક, જેવો સમય, જેવો દેશ તેવો વેશ ધારણ કરી શકતી આ એક અસાધારણ કથા છે. એનું નામ ગલિવર્સ ટ્રાવેલ્સ.
ઇ.સ ૧૭૨૬માં ચાર ભાગમાં પહેલી વાર ગલિવર્સ ટ્રાવેલ્સ પ્રગટ થઈ. ત્યારથી આજ સુધીમાં તેના કંઈ કેટલાયે અનુવાદ, અનુકરણ, રૂપાંતર થઈ ચૂક્યાં છે. નાટક, ફિલ્મ અને ટી.વી.વાળાઓએ પણ તેનો ઉપયોગ કર્યો છે, પણ મુખ્યત્વે બાળકો માટે. ગલિવર્સ ટ્રાવેલ્સ પહેલી વાર પ્રગટ થઈ ત્યારે તેના ચાર ભાગમાંથી એકે ભાગ પર ક્યાં ય તેના ખરા લેખકનું નામ છાપ્યું જ નહોતું. કથાનાયક પોતે જ જાણે લેખક હોય તેમ પુસ્તક પર લેખક તરીકે ‘લેમ્યુએલ ગલિવર’ એવું નામ છાપેલું. એટલું જ નહીં, ગલિવર જાણે ખરેખરી વ્યક્તિ હોય તેમ તેનું કાલ્પનિક ચિત્ર પણ મુખપૃષ્ઠ પર છાપેલું! પુસ્તકનો આરંભ તેના પ્રકાશક રિચર્ડ સિમ્પસને વાચકોને ઉદ્દેશીને લખેલી નોંધથી થાય છે. પોતાના જિગરજાન દોસ્ત અને દૂરના સગા ગલિવર પાસેથી આ પુસ્તકનું લખાણ પોતાને કઈ રીતે મળ્યું તેની વાત તેમાં તેણે કહી છે. ત્યાર બાદ ગલિવરે પ્રકાશકને લખેલો પત્ર મૂક્યો છે. તેમાં પુસ્તકમાંની કેટલીક વાતો અંગે ગલિવરે પોતાનો બચાવ કર્યો છે અથવા ખુલાસા કર્યા છે. આ પત્ર જાણે ખરેખર કોઈ લેખકે તેના પ્રકાશકને લખ્યો હોય તેવી રીતે લખાયો છે. પણ પત્રને અંતે લખેલી તારીખ – એપ્રિલ ૨, ૧૭૨૭ – તરફ ધ્યાન જાય તો તરત સમજાઈ જાય કે ગલિવરનો પત્ર અને પ્રકાશકની નોંધ, બંને વાસ્તવિક નહીં પણ કાલ્પનિક છે, બનાવટી છે. કારણ ૧૭૨૬ની સાલમાં પ્રગટ થયેલા પુસ્તકમાં ૧૭૨૭માં લખાયેલો પત્ર કઈ રીતે છપાયો હોય? વળી બીજી એપ્રિલની તારીખ પણ પુસ્તકના સ્વરૂપની સૂચક છે. આ પુસ્તકમાં પહેલી એપ્રિલ – એપ્રિલ ફૂલ – ની બનાવટ નથી. પણ વાસ્તવિકતા અને કલ્પના, હકીકત અને બનાવટ, અહેવાલ અને તરંગ, એ બધાનું અહીં અજબ મિશ્રણ છે માટે જ એપ્રિલ ફૂલ પછીના દિવસની તારીખ.
ગલિવરના નામે આ પુસ્તક લખનાર તે આઈરિશ પ્રોટેસ્ટન્ટ પાદરી અને કટાક્ષ લેખક જોનાથન સ્વિફ્ટ. એ જમાનાના બ્રિટનના રાજકારણીઓ પર અને સામાજિક રીતરસમો પર આ કૃતિમાં જે વેધક કટાક્ષો છે તેને કારણે સ્વિફ્ટે લેખક તરીકે પોતાનું નામ છાપ્યું નહોતું. અને છતાં સ્વિફ્ટના વિરોધની ઐસી તૈસી કરીને પ્રકાશકે મૂળ લખાણમાંનો કેટલોક ભાગ કાઢી નાખ્યો હતો. પુસ્તક પ્રગટ થયું તે પછી માત્ર એક જ અઠવાડિયામાં તેની બધી નકલો ખપી ગઈ. ત્યારથી આજ સુધીમાં આ પુસ્તક ક્યારે ય આઉટ ઓફ પ્રિન્ટ થયું નથી. પ્રખ્યાત ફ્રેંચ લેખક અને વિચારક વોલ્તેરે ૧૭૨૮માં સ્વિફ્ટને લખેલું: “જેમ જેમ હું તમારી કૃતિ વાંચતો જાઉં છે તેમ તેમ મેં જે કાંઈ લખ્યું છે તે અંગે હું શરમ અનુભવતો જાઉં છું.” અને પ્રખ્યાત કવિ-વિવેચક ટી.એસ. એલિયટે ૧૯૨૬માં આપેલા ક્લાર્ક લેક્ચર્સમાં સ્વિફ્ટને ‘ધ ગ્રેટેસ્ટ રાઈટર ઓફ ઇંગ્લિશ પ્રોઝ’ તરીકે ઓળખાવ્યો હતો.
ગલિવર્સ ટ્રાવેલ્સના ચાર ભાગમાંથી પહેલા બે ભાગ સૌથી વધુ જાણીતા થયા છે અને તેમાં સ્વિફ્ટની સર્જકતા પણ સોળે કલાએ ખીલી ઊઠી છે. પહેલા ભાગમાં ગલિવર છ ઈંચના વહેંતિયા લીલીપુટોના પ્રદેશમાં જઈ ચડે છે. આ વહેંતિયાઓના રીતરિવાજ, રહેણીકરણી, રાજ્ય-વ્યવસ્થા વગેરેના અદ્ભુત ચિત્રણ દ્વારા લેખકે માણસના વામન સ્વરૂપને પ્રગટ કરવાનું નિશાન તાક્યું છે. આ વહેંતિયાઓ માટે સીધો સાદો, નોર્મલ ગલિવર જેવો માણસ એક અજાયબી બની જાય છે. તેઓ જાતજાતની રીતે ગલિવરને માપવાનો અને પામવાનો પ્રયત્ન કરે છે. તો પુસ્તકના બીજા ભાગમાં એ જ ગલિવર મહાકાય વિરાટ લોકોના દેશમાં પહોંચી જાય છે. આ મહાકાય જીવો જીવે છે તદ્દન વ્યવહારુ ભૂમિકા પર. તેમને ન્યાય-અન્યાય, નીતિ-અનીતિ, સારું-નરસું, જેવા ‘અમૂર્ત’ ખ્યાલોમાં નથી ગતાગમ પડતી કે નથી તેની જરૂર પણ જણાતી. પહેલા ભાગમાં લેખકે માણસના દોષોને સૂક્ષ્મદર્શક કાચ વડે જોયા, તો બીજા ભાગમાં તેને મેગ્નિફાય કરીને બતાવ્યા છે.

હંસાબહેન મહેતા
તો ત્રીજા ભાગમાં લેખકે પોતાના સમયના વૈજ્ઞાનિકોની હાંસી ઊડાવી છે. લાગાડો શહેરમાં પ્રખર બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો, સંશોધકો, વિચારકો વસે છે. પણ એવા, કે માણસની ડાબી આંખ વિષે વિચારવામાં જ આખી જિંદગી કાઢી નાખે, પણ માણસને જમણી આંખ પણ હોય છે તે હકીકતની તેમને ખબર પણ ન હોય! ઈન્ટરનેટ સાથે જેને થોડી ઘણી પણ લેવાદેવા હોય તેવી કોઈ પણ વ્યક્તિ ‘યાહૂ’ નામથી અજાણી ન જ હોય. પણ તેમાંથી કેટલાને ખબર હશે કે આ ‘યાહૂ’ નામ પહેલવહેલું સ્વિફ્ટે આ નવલકથામાં યોજ્યું હતું. ચોથા ભાગમાં ગલિવર આ યાહૂ લોકોના દેશમાં જઈ ચડે છે. આ યાહૂ એટલે માણસના રૂપમાં અતિશય બળવાન રાક્ષસ. એનાં રંગઢંગ જંગલી, એની રીતભાત જંગલી. પેલું ફિલ્મી ગીત યાદ છે ને – ‘યાહૂ! ચાહે કોઈ મુઝે જંગલી કહે.’ સ્વિફ્ટ કદાચ સૂચવવા માગે છે કે માણસજાતનું ભાવિ આવા યાહૂ બની રહેવાનું જ છે. આ કૃતિના પહેલા બે ભાગનો અફલાતૂન ગુજરાતી અનુવાદ હંસાબહેન મહેતાએ કર્યો હતો જે ‘ગોળીબારની મુસાફરી’ નામથી ૧૯૪૦માં પ્રગટ થયો હતો.
૧૬૬૭ના નવેમ્બરની ૩૦મી તારીખે ડબ્લીન શહેરમાં સ્વિફ્ટનો જન્મ. તેના જન્મ પહેલાં જ પિતાનું તો અવસાન થયેલું એટલે પિતાનો પ્રેમ ન મળ્યો. માતાની ગરીબીને કારણે પહેલાં સૂયાણી પાસે અને પછી તવંગર કાકા પાસે ઉછર્યો. સારસંભાળ મળ્યાં, પણ પ્રેમ ન મળ્યો. બે સ્ત્રીઓ સાથેના પ્રેમપ્રસંગો પણ નિષ્ફળ નીવડ્યા. રાજકારણમાં પડ્યો પણ બંને વખત જે પક્ષમાં હતો તે પક્ષ ચૂટણીમાં હાર્યો એટલે સ્વિફ્ટની રાજકીય મહત્ત્વાકાંક્ષા પૂરી ન થઈ. ચર્ચમાં પણ અપેક્ષા પ્રમાણેનો ઊંચો હોદ્દો ક્યારે ય ન મળ્યો. લગભગ આખી જિંદગી બહેરાપણાથી અને વર્ટીગોથી પીડાતો રહ્યો. ગાંડપણની હદે પહોંચ્યા પછી ૧૭૪૫ના ઓક્ટોબરની ૧૯મીએ સ્વિફ્ટનું અવસાન થયું.
XXX XXX XXX
28 જાન્યુઆરી 2026
e.mail : deepakbmehta@gmail.com
![]()




ગુજરાત તેના પતંગપ્રેમ માટે જાણીતું છે. દર વર્ષે ગુજરાત સરકાર આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ઉજવે છે. દેશનું એકમાત્ર કાઈટ મ્યુઝિયમ પણ અમદાવાદમાં આવેલું છે. પણ ગુજરાતના આ પતંગપ્રેમના કૌટુંબિક, સામાજિક, આર્થિક, રાજકીય, ઐતિહાસિક, સાહિત્યિક પાસાંનો અભ્યાસ કરતાં પુસ્તક ગુજરાતીમાં કેટલાં લખાયાં? કદાચ એક પણ નહિ. આપણા અભ્યાસીઓને પરદેશના રીત રિવાજ અભ્યાસ કરવા જેવા લાગે છે, પણ આપણી આવી મહત્ત્વની સાંસ્કૃતિક વિરાસત અભ્યાસ કરવા જેવી લાગતી નથી. પણ અંગ્રેજીમાં આવું એક પુસ્તક ૨૦૧૦માં પ્રગટ થયું છે. તેનું નામ પતંગના દોર જેવું લાંબુ લચક છે : ‘અ ડીફરન્ટ ફ્રીડમ : કાઈટ ફ્લાઈંગ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા; કલ્ચર એન્ડ ટ્રેડીશન.’ લેખિકા છે નિકિતા દેસાઈ. યુનાઈટેડ કિંગડમના કેમ્બ્રિજ સ્કોલર્સ પબ્લિશિંગ નામના પ્રતિષ્ઠિત પ્રકાશકે તે પ્રગટ કર્યું છે. લેખિકાને પતંગનો પહેલો પરિચય થયો તે મુંબઈમાં ગાળેલાં બાળપણનાં વર્ષોમાં. તે વખતે હજી મુંબઈમાં ઉતરાણ ઉજવવાનો ઉત્સાહ હતો, આજની જેમ મરી પરવાર્યો નહોતો. ભૂરો પતંગ ને ભૂરો માંજો, બાળપણનો એનો અનુભવ લેખિકાની સ્મૃતિમાં જડાઈ ગયો. એક બાજુ મુંબઈમાં ઉતરાણનાં વળતાં પાણી થવા લાગ્યાં અને બીજી બાજુ લેખિકાએ મુંબઈ છોડી વડોદરામાં વસવાટ કર્યો. અને ઉતરાણની સાચી ઉજવણીનો તેમને અનુભવ થયો. જો કે તે પોતે મોટે ભાગે તો ફીરકી પકડવાનું કે બહુ બહુ તો બીજાએ ઉડાવેલા પતંગની ‘સહેલ’ લેવાનું જ કામ કરતાં. વખત જતાં લેખિકા ડિઝાઈનીંગનો અભ્યાસ કરતાં થયાં અને તે વખતે તેમને આપણી ‘પતંગ સંસ્કૃતિ’માં વધુ રસ પડ્યો. તેઓ કહે છે કે ‘પછી તો હું પતંગના પ્રેમમાં પડી.’ અધરાતે મધરાતે પતંગ બજારમાં ફરવા લાગ્યાં. વેપારીઓ અને ઉત્પાદકો સાથે વાતો કરવા લાગ્યાં. ઉતરાણની સામાજિક અને આર્થિક બાબતોનો અભ્યાસ કરવા લાગ્યાં. પછી રસ પડ્યો પતંગના ઇતિહાસના અભ્યાસમાં. અમદાવાદના ‘કાઈટ મ્યુઝિયમ’ના ભૂતપૂર્વ નિયામક ભાનુ શાહના માર્ગદર્શન અને સાથ મળ્યાં. ઇતિહાસ ઉપરાંત રાજકારણમાં અને સાહિત્યમાં પતંગે કેવો ભાગ ભજવ્યો છે તેનો પણ અભ્યાસ કર્યો. અને આ બધાનું પરિણામ તે આ પુસ્તક.
ઘણાને મતે આજથી લગભગ ૨,૮૦૦ વર્ષ પહેલાં ચીન દેશમાં પતંગ ચગાવવાની શરૂઆત થઇ. મલયેશિયા અને ઇન્ડોનેશિયામાં પણ પતંગ ઉડાડવાની પ્રથા લગભગ એ જ સમયગાળામાં હતી. કેટલાકને મતે તે ચીનમાંથી અપનાવાઈ હતી, તો બીજા કેટલાક માને છે કે આ દેશોએ સ્વતંત્ર રીતે તે વિકસાવી હતી. શરૂઆતમાં ઝાડનાં પાંદડાંની પતંગ બનાવાતી. આજે પણ કેટલાક દેશોમાં પાંદડાંની પતંગો વપરાતી જોવા મળે છે. એક કથા પ્રમાણે એક ચીની ખેડૂતે માથા પર પહેરેલી હેટ ઊડી ન જાય તે માટે તેની સાથે દોરી બાંધી રાખી હતી. છતાં પવનના જોરદાર સુસવાટામાં તેની હેટ ઊડી, પણ દોરી સાથે બંધાઈ હોવાથી તેણે હેટ ગુમાવી નહિ. આ ઉપરથી તેને પતંગ બનાવવાનો વિચાર આવ્યો. ઇ.સ. પૂર્વે ૨૦૦માં હાન વંશના રાજાના લશ્કરને ગભરાવવા માટે રાતને વખતે ફટાકડા બાંધેલી પતંગ હ્યુ એન ત્સંગે ઉડાડી હોવાનું ઇતિહાસમાં નોંધાયું છે. જાપાનના સાહિત્યમાં પણ પતંગના ઉલ્લેખો મળે છે. એ લોકો પતંગને ‘શીરોશી’ તરીકે ઓળખતા. ‘શી’ એટલે કાગળ, અને ‘રોશી’ એ ચીનના એક પક્ષીનું નામ હતું. જેની સાથે બંધાઈને માણસ પણ ઊડી શકે એવી મોટી પતંગો પણ જાપાનમાં વપરાતી અને તેનો ઉપયોગ ચોરી કરવા માટે પણ થતો! આપણા દેશમાં પણ ચીન-જાપાનથી આવેલા બૌદ્ધ સાધુઓ પોતાની સાથે પતંગ લાવ્યા હતા એમ મનાય છે. આપણા દેશમાંથી તેનો ફેલાવો અરબસ્તાન, ઉત્તર આફ્રિકા અને યુરપમાં થયો. કેટલાકને મતે ચંગીઝખાન પોતાની ચઢાઈઓ પછી પાછો ફર્યો ત્યારે પતંગો સાથે લેતો ગયેલો અને પછી તેનો ફેલાવો યુરપમાં થયો.