હાલ ગુજરાતી સાહિત્યમાં કોઇ INTJ છે?
ટૂંકમાં, એને મેધાવી યોજક, સર્જક કહેવાય – માસ્ટરમાઈન્ડ.
મનોવિજ્ઞાનીઓએ માણસોની વ્યક્તિમત્તાના ૧૬ પ્રકાર સૂચવ્યા છે. એમાં આ પ્રકાર વિરલ છે. ૨-૩ ટકા જ મળે.
I એટલે Introversion. એ વ્યક્તિ અન્તર્મુખી હોય છે.
N એટલે Intuition. સહજસ્ફુરણાને વરેલી હોય છે – અન્તર્જ્ઞાની.
T એટલે Thinking વિચારશીલ હોય છે.
J એટલે Judgement. સારાસારનો વિવેક કરી શકે છે.
જો કે એ ટોચે બેસેલો એકાકી હોય છે. એને સમાનરુચિ ધરાવનાર કોઇ ભાગ્યે જ મળે છે. છતાં, એવું કોઇ મળી જાય તો એના પર વરસી પડે છે કેમ કે મૂળે ખૂબ પ્રેમાળ બલકે વળકુળા સ્વભાવનો હોય છે.
જ્ઞાનનો પિપાસુ હોય છે. નાનપણથી પુસ્તકો ખૂબ વાંચે, મિત્રો ‘ગ્રન્થકીટ’ કહીને ચીડવે પણ કદી ચીડાય નહીં બલકે એ વાતનો ગર્વ કરે.
પ્રવાસમાં એકલો હોય ત્યારે વિચારે ઘણું.
કદી પણ ગેરસમજોનો સહભાગી ન થાય.
પોતાના ક્ષેત્રે પોતાની સમજ અનુસારનાં આયોજનો કરે.
પોતાનાં શક્તિ-સામર્થ્ય કદી પણ ગાંડાની જેમ ન ખરચે.
ધાર્યું નિશાન પાર પાડે જ પાડે.
એનો બુદ્ધિવાદ ક્રૂર ભાસે. એ વાર્યો વળે નહીં.
સિદ્ધાન્તને વિશે અવિચળ હોય છે.
સામાજિક રીતરસમો એને સદંતરની મૂરખામીભરી લાગે, ગણકારે નહીં, અમસ્તી ઝાકઝમાળથી છેટો રહે.
પોતાના દેશકાળે નવસર્જન કાજે ઘણુંક ઘણું ભાંગે, તોડે-ફોડે.
પોતાની વાતને સમ્પન્ન કરીને જંપે, હંમેશાં પૂર્ણતાએ પ્હૉંચાડે
એની વ્યક્તિતા વિરોધાભાસી હોય છે :
– આમ ભોળિયો આદર્શવાદી પણ એટલો જ સખત ટીકાકાર.
– કશું અશક્ય છે એમ ન માને – માને કે બુદ્ધિ અને પરિશ્રમથી દુનિયાની કોઇ પણ ચીજ હાંસલ કરી શકાય છે. પણ એમ પણ સમજીને ચાલે કે લોક મૂર્ખ હોય છે, કશું પણ સિદ્ધ કરવાને વિશે આળસુ ને બાઘ્ઘા હોય છે.
– કલ્પનાશીલ, પણ એટલો જ નિશ્ચલ – તરત નિર્ણય લઇ શકે.
— મહત્ત્વાકાંક્ષી, પણ એટલો જ મનસ્વી અને બધી બાબતે આતુર.
– પોતાની સૂઝબૂઝ પર એનું પ્રભુત્વ ઘણું. છતાં, પોતાને લાધેલા જ્ઞાનમાં બીજાઓને સહભાગી કરવા ઝંખે.
છેલ્લી મજાની વાત. જીવન એને ચેસની રમત લાગે. પ્યાદાં અહીંથી તહીં ખસતાં રહે કેમ કે બુદ્ધિ એની સતત એમને ખસેડ્યા કરે. સામાવાળો કે સામાવાળી જીતે તો દુ:ખી ન થાય, હારને પ્રેમથી પચાવી જાણે કેમ કે એને ફરીથી ને સતત રમવાના અભરખા હોય.
કોઇ છે આટલાતેટલામાં? હોય તો કહેજો. બાકી સમજી લેજો કે હું બેચૅન કેમ છું.
![]()


અમારું નાનપણ ભીંત્યું હાર્યે માથાં ફોડવાની રમત્યમાં જ વીતેલું. બાપુ મોસમે–મોસમે ધંધા બદલતા. બરફથી લઈને બોર સુધીના ધંધા પાછળ જાત નીચોવતા બાપુ, છેક 1960માં છાપાંની એજન્સી મળી ત્યારે જરાક ઠરીઠામ થયા. પણ ખાનારાં મોઢાં ઝાઝાં હતાં ને કમાનાર એક જ. મારી મા ઘરનું ગાડું રાગે ચડાવવા લાખ હડિયું કાઢે; તો ય ઘરમાં હાંડલાં કૂસ્તી કરતાં બંધ નો’તાં થાતાં. ગમે તેટલા ટૂંટિયા વાળીએ તોયે ચાદર ટૂંકી જ પડતી’તી. જ્યાં રોજ સાંજ પડ્યે ‘ખાશું શું?’નો પ્રશ્ન ડાચાં ફાડતો ઊભો હોય ત્યાં કારકિર્દી જેવો ભારેખમ શબ્દ તો શેં પ્રવેશે? અમારે માટે કોઈ બાપીકો ધંધો વાટ નો’તો જોતો. હા, મા–બાપુ જ્યારે પણ એમની હડિયાપાટીમાંથી જરાક નવરાં પડતાં ત્યારે અમને એક વાતની ગાંઠ બંધાવતાં. ‘ભણો. ભણશો તો નસીબ આડેથી પાંદડું ખસશે, બાકી તો અમારી જેમ દી’ આખો ટાંટિયા તોડીને અધમૂઆ થઈ જાશો; તો ય કોઈ દી’ બે પાંદડે નંઈ થાવ.’
ઢળતી સાંજે, ક્યારેક ઊંચાં ગાઢાં વૃક્ષોમાંથી સરી પવન પર્ણોમાં મર્મરધ્વનિ કરે છે અને ફરી શાંત થઇ જાય છે. નિરભ્ર નભ નીચે હજુ પક્ષીઓ માળે જવાં આવ્યાં નથી. કોઈ પક્ષી પરિવાર પાછાં ફરવાની રાહમાં ક્યારેક ટહુકો કરી લે છે. પ્રકૃતિ સદંતર નિ:શબ્દ અને બહારથી હું પણ. મારા વિચારોને રોકી રાખવા અથાગ પ્રયત્નો છતાં અશાંત અબ્ધિના પથ્થર પર અથડાતાં મોજાંની જેમ વિચારો તો આવ્યાં જ કરે છે. થાય છે કે મન નિ:શબ્દ કરી શકાય તો !! શબ્દના કોલાહલથી મુક્તિ શક્ય ખરી? मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः। બોધને કાર્યાન્વિત કરવાના વિચારને ધક્કો મારતાં માળે આવતાં પક્ષીઓ અને ઘેર પાછા ફરતાં માણસોના વાહનોની ઘરઘરાટી મને અવાજોની દુનિયામાં ઘસડી જાય છે. વિચાર આવે છે નિ:શબ્દતા જ શાંતિનો પર્યાય હશે! વિચારનો વિસ્તાર થાય છે અને નિષ્કર્ષ પર અવાય છે કે જેની પર મારો અનહદ પ્રેમ રહ્યો છે, અસ્તિત્વ અને જીવનને અનેક તાણાવાણામાં જે સદાય આપણને ગૂંથે છે, બાંધે છે તે શબ્દ જ મારો મિત્ર અને મોટો દુ:શ્મન પણ! તે કાળની ગતિ સાથે સમાંતરે જ નહીં તેનાથી પણ તેજ ચાલે છે.