સોશ્યલ મીડિયા ભારોભારનું સર્જનાત્મક છે. કમ્પ્યૂટર પણ મલ્ટિ-ડાયમૅન્શનલ છે
કમ્પ્યૂટરને લીધે મારી બે વસ્તુઓ ઝુંટવાઈ ગઇ છે : એક તો, કાગળ પર ઈન્ડિપેનથી પત્ર લખવાની મજા. કેટલી સરસ એ દેશી અને વિલાયતી પેનો હતી. આજે ઠરીને ઠીકરું થઇ ગઇ છે. એ પેનોની સામે જોતાં મને શરમ આવે છે. ’ફરગેટ મી નૉટ’-ના મૉંઘા ભૂરા કાગળ પર લખેલા પ્રેમપત્રો, ઓ ભગવાન ! ખૂબ યાદ આવે છે. બીજી વસ્તુ ચાલી ગઈ તે મારા અતિ સુન્દર હસ્તાક્ષર. ‘મોતીના દાણા જેવા’ તો ચવાઈ ગયેલી ઉપમા છે. બીજી કોઇ ઉપમા સૂઝતી નથી એટલે હું એને ‘અનુપમ’ કહું છું. એ અનુપમ વડે બે કાગળ વચ્ચે ભૂરું કાર્બન પેપર મૂકીને લખેલા લેખો યાદ આવે છે. એ પછી ‘સન્લિટ બૉન્ડ’ પેપર પર લખીને ઝેરોક્ષ કરાવેલા લેખો યાદ આવે છે. આજે તો કશું ટપકાવવું હોય ને કમ્પ્યૂટર બંધ હોય, કાગળનો ટુકડો કે ચબરખી જે હાથ ચડે એ પર ફટાફટ લખી નાખું છું. એટલું બધું જલ્દી જલ્દી કે પછી એને હું જ નથી ઉકેલી શકતો !
સારા હસ્તાક્ષરની ટેવ તો બા-એ પાડેલી. સ્લેટમાં ચાર ખાનાં કરીને પોતે ક ખ ગ ઘ લખે, ને કહે, ઘૂંટીને બરાબ્બર જાડા બનાવ; પણ જોજે, એક પણ એના ખાનાની બ્હાર ન જવો જોઇએ. ત્યારે, સૅકન્ડરીમાં, બરુનો કિત્તો જાતે બનાવવાનો અને કૉપિબુકમાં પોલા પોલા જે A B C D હોય એને શાહીથી ભરવાના. ત્યારે પણ કસોટી એ કે લાઈનની બ્હાર કિત્તો જવો જ ન જોઇએ, ને શાહીથી ભરાઇ જાય એ તો ચાલે જ નહીં. રવિ શંકર માસ્તર મને ‘પાઠમાળા’ શીખવતા. હોમવર્ક માટેનો એમનો આગ્રહ એ કે એમણે પૂછેલા પ્રશ્નોના ઉત્તરો મારે ત્રીજી ઍબીસીડીમાં જ લખવાના. અંગ્રેજી ઍટિકેટ સાથે રૂઆબમાં રવાલ ચાલે ચાલતી મારી એ લાઈનો હજી દેખાય છે. ચિનુ ગાંધી નામે મારા એક મિત્ર છે, ઇજનેર છે, પણ કૅલિગ્રાફી – સુલેખન – કરી જાણે છે. મૂળ કારણ એ કે એમના પણ હસ્તાક્ષર, મોતીના -નો નો ! બસ, બહુ જ સુન્દર છે.
આ સઘળો હસ્તાક્ષરનાશ મને પીડે છે. પરન્તુ બીજી તરફ, કમ્પ્યૂટરના સ્ક્રીન પર સ્વયંભૂ પ્રગટતા આ અક્ષરો, શબ્દો અને વાક્યોની લયવાહી આ જે રમ્ય ફૂલવેલ વિસ્તરતી ચાલે છે, પીડા યાદ નથી આવતી. હસ્તાક્ષર વખતે જમણા હાથનો અંગૂઠો અને પહેલી બે આંગળીઓ ખાસ વપરાય, હવે કમ્પ્યૂટર પર બન્ને હાથની દસેય આંગળીઓ પ્રયોજાય છે. ચોખ્ખી લેખનસૃષ્ટિ જન્મે છે. પીડા પ્રસન્નતા બની જાય છે.
ખાનાની બ્હાર નહીં જવાનું બા-એ ભલે કહેલું, આજે તો મારું ભાવજગત કે જ્ઞાનજગત કક્કો ને બારાખડીની બ્હાર ને બ્હારથી યે બ્હાર કોણ જાણે કેટલે બ્હાર ચાલી ગયું છે. આ ‘ભાવજગત’ અને ‘જ્ઞાનજગત’ પણ ચવાયેલા શબ્દપ્રયોગો છે. એમાં ‘જગત’ તો સાવ ફુલાવેલો લાગે છે. એટલે મને એમ છે કે એ બન્ને ‘જગતો’-ને ઈરેઝર હેઠળ મૂકી દઉં. એટલે કે, ચૅંકી નાખવાનું ખરું પણ ભૂંસી નાખવાનું નહીં. જોનારાંને દેખાવું જોઇએ. એથી એમ સૂચવાય કે ભૂલોનો એકરાર તો હું કરીશ ત્યારે, પણ એ માટે હું આ ક્ષણથી તત્પર છું. મારી વાચનયાત્રાને તો મેં ઈરેઝર હેઠળ મૂકેલી છે. એકાદ વાર તો માણસે પોતાનું બધું ઈરેઝર હેઠળ મૂકી દેવું જોઇએ … અરે, પણ આ બધી ફિલસૂફી માટે થોડી છે આ જગ્યા? સૉરિ.
હું વાત તો કરતો’તો પત્રલેખન, હસ્તાક્ષર અને સુલેખનને ગુમાવ્યાની. જો કે મારે કરુણ અતીતરાગ નથી ગાવો. ગયું તે ભલે ગયું. નવાનું સ્વાગત છે. પણ નવાથી જે આડ અસરો અને આડ પેદાશો જન્મી છે તેની વાતો તો શૅઅર કરી જ શકાય. આમે ય આજકાલ આપણે શૅઅર શું કરીએ છીએ? વ્હૉટ્સઍપ પર, ફેસબુક પર, સાહિત્યિક – જેવું રેડીમેડ જે કંઇ ઠલવાયું હોય એના પર નજર નાખીને ફૉરવર્ડ કરી દઇએ છીએ. ‘લાઈક’ ‘સુપર્બ’ ‘અફલાતૂન’ ‘ગ્રેટ’ જેવી એકાક્ષરી કમેન્ટ્સ મોકલી દઇએ છીએ. વિદેશી પુસ્તકોની અધ્યાત્મની કે સાહિત્યની મૂલ્યવાન વાતો લગભગ રોજે રોજ પીરસાય છે. નીવડેલા અધ્યાપકો પાસે અપેક્ષા રહે છે કે એ વાતોને તેઓ સમુચિત દિશામાં જરાક તો વિસ્તારે. મોટાભાગના તેઓ દેખા દે છે પણ ચૂપ બેઠા રહે છે. ટૂંકમાં, કહેવાય સોશ્યલ મીડિયા પણ એમાં સોશ્યલ જેવું કંઇ છે નહીં.
કાવ્ય નાટક કે વાર્તાની સુન્દરતા ક્યાં શૅઅર કરીએ છીએ? સુખ્યાત કવિની પંક્તિ વિશે કોઇની જોડે કોઇ કલાકથી ચર્ચાએ ચડી ગયું હોય એવું બને છે ખરું? આસપાસમાં જોઇને કહેજો. એક વાર અમે ત્રણ મિત્રો અનિલ જોશીના કાવ્યમાં આવે છે એ ‘શકુન્તલાની ખાલી આંગળી’ શબ્દગુચ્છ વિશે રાતના આઠથી મધરાત લગી મચી પડેલા. પોતાને ‘બાળક’ કહેતી એક તેજસ્વી બાળાએ થોડા દિવસ પર મને એક આસ્વાદ્ય અને સૂચક વાક્ય મોકલ્યું : You have my heart to feel the sweetest vibes thriving in you : તારામાં ઊછરી રહેલા સુમધુર ભાવસ્પન્દનોને અનુભવવા તારી પાસે મારું હૃદય તો છે : આ એનો મેં કરેલો કામચલાઉ અનુવાદ છે. મૂળમાં અંગ્રેજી ભાષા પ્રભાવકપણે ભાવવહન કરે છે. ગુજરાતીમાં એટલી જમાવટ નથી થતી. અહીં એક સમર્પિત હૃદય છે અને એક આતુર હૃદય છે. બન્નેને એક થવું છે; અથવા તેઓ એક છે જ; આ તો એકત્વના સુખદ તોષનો અમસ્તો ઉદ્ગાર છે. નામ તરીકે vibe વ્યક્તિને વિશેની લાગણી સૂચવે અને ક્રિયાપદ તરીકે સમ્મતિ. માણસ કહી શકે She and I are totally vibing. પણ છોડો આ બધી હૃદયોનાં vibrations-ની ગહન-સુન્દર વાતો. આપણે ક્યાં આવા કશા સુવિચારો સાથે પાનું પાડીએ છીએ? ને અંગ્રેજી !? રામ રામ ભજો ! છીએ તે જ ઠીક છીએ !
ઈશ્વરદત્ત શક્તિઓને ઓળખવાને બદલે, નથી લાગતું કે આપણે ક્ષુલ્લક વાતોમાં રમમાણ થઇ ગયા છીએ? આપણને ખબર નથી કે આપણું એ ધ્યાન કમ્પનીઓ દ્વારા બારોબાર ‘વેચાય’ છે ! આપણાં વાચન – જો હોય તો – ઉતાવળિ યાં થઇ ગયાં છે. મૅસેજ આવ્યો છે, વળતો મૅસેજ ઝટ મોકલી દેવો છે. આ બેકાબૂ પ્રવૃત્તિ માટે કેટલાક એમ કહે છે કે સોશ્યલ મીડિયા તો એવું જ હોય. ના ! એ લૂલો બચાવ છે. સોશ્યલ મીડિયા ભારોભારનું સર્જનાત્મક છે. દુનિયાભરના લોકો ક્રીએટિવ સોશ્યલ મીડિયાના લાભોથી રળિયાત છે. કમ્પ્યૂટર પણ મલ્ટિ-ડાયમૅન્શનલ છે. અધ્યાપક પત્રકાર સાહિત્યકાર કે સાહિત્યરસિક માટે કમ્પ્યૂટર કાગળ-પૂંઠાં વિનાનું પુસ્તક છે, સામયિક છે, ડિક્શનરી છે. દીવાલો વિનાની લાઈબ્રેરી છે. ક્લાસરૂમ વિનાની યુનિવર્સિટી છે. સ્ટુડિયો છે. ગ્રામોફોન છે. રૅકર્ડર છે. થીએટર છે. સિનેમા છે. મ્યુઝિયમ છે. આર્ટ ગૅલેરી છે. જિમ્નેશિયમ છે. કોઇપણ આર્ટને માટેની વર્કશૉપ છે. કમ્પ્યૂટરને તમારા ખૉળા સિવાય કશાની જરૂર નથી – તમારી લૅપ જો ટૉપ હોય.
મારે, ગગનેથી અહર્નિશ ઝળુંબતી આ બહુહસ્તપાદ નવતાની જ વાતો કરવી’તી પણ એક પીડાથી બીજી પીડામાં ચાલી ગયો … સૉરિ …
પ્રગટ : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની કટાર, “નવગુજરાત સમય”, 13 જુલાઈ 2019
https://www.facebook.com/suman.shah.94/posts/2601940589836838
![]()


એવું તે કયું કામ એમણે કર્યું? ૯૬૪ પાનાંનું એક પુસ્તક બે ભાગમાં પ્રગટ કર્યું, સંખ્યાબંધ ચિત્રો સાથે. ના. ‘મૌલિક’ પુસ્તક નહોતું એ. તરજુમો કહેતાં અનુવાદ હતો, અરેબિયન નાઈટસની વાર્તાઓનો. અહીં એ યાદ રાખવું ઘટે કે અરેબિયન નાઈટ્સનો પહેલવહેલો અંગ્રેજી અનુવાદ જોનાથન સ્કોટે કર્યો હતો જે ૧૮૧૧માં પ્રગટ થયો હતો. એટલે કે, તેના ૫૪ વર્ષ પછી તો આ ત્રણ વિદ્યાર્થીઓએ ગુજરાતી અનુવાદ કર્યો. પુસ્તકના ટાઈટલ પેજ પર કે બીજે ક્યાં ય પણ કોઈનું નામ નહિ! ટાઈટલ પેજ પર લખ્યું હતું: ‘બનાવનાર તરણ પારશી વીદીયારથીઓ.’ ૧૯મી સદીમાં પારસી લેખકો – અને કેટલીક વાર બિન-પારસી લેખકો પણ – લેખક, અનુવાદક, સંપાદક વગેરેને માટે આ ‘બનાવનાર’ શબ્દ વાપરતા. આ ‘બનાવનાર’ એટલે કર્તા, અંગ્રેજીમાં ઓથર. અને કાયદાની દૃષ્ટિએ અનુવાદક તેના અનુવાદનો, સંપાદક તેના સંપાદનનો ઓથર, કર્તા છે એટલે આ ‘બનાવનાર’ એવો સાવ ઘરેલુ શબ્દ પારસીઓએ ‘કર્તા’ને બદલે ચલણી કર્યો. વળી આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે ‘મૌલિક’, અનુવાદ, રૂપાંતર વગેરે વચ્ચે આજે આપણે જેટલો સ્પષ્ટ ભેદ કરીએ છીએ તેટલો ૧૯મી સદીમાં થતો નહોતો.
અહીં જેમનું નામ છેલ્લું છે તે શાપુરજી બરજોરજી ભરૂચા ત્રણે મિત્રોમાં સૌથી ઓછું ભણેલા, સૌથી વધુ કમાયેલા, અને સૌથી વધુ જાણીતા થયેલા. અટક બતાવે છે તેમ શાપુરજીનો જન્મ ભરૂચ શહેરમાં, ૧૮૪૫ના એપ્રિલ મહિનાની ૩૦મી તારીખે. ૭૬ વર્ષની ઉંમરે ૧૯૨૦ના જૂનની ૨૩મી તારીખે મુંબઈમાં બેહસ્તનશીન થયા. નાનપણમાં પિતા ગુમાવ્યા. ૧૨ વર્ષની ઉંમરે મમ્મા સાથે મુંબઈ આવ્યા. એક મોટા ભાઈ થોડુંઘણું કમાતા તેમાંથી કુટુંબનું ગાડું ગબડતું. પણ થોડા વખતમાં જ મોટા ભાઈ પણ ખોદાઈજીને પ્યારા થઇ ગયા એટલે ભરણપોષણની બધી જવાબદારી આવી પડી નાલ્લા શાપુરજીના માથા પર. જાહેર બત્તી નીચે બેસીને શાપુરજી, તેમનાં મમ્મા અને બહેનો ભરતગૂંથણ કરે તેમાંથી ગુજરાન ચલાવવાનું. છતાં ભણવાનું છોડ્યું નહિ અને મેટ્રિકની પરીક્ષા આપી. પણ નસીબ બે ડગલાં આગળ, તે નાપાસ થયા. બીજી વાર પરીક્ષા આપી શકાય તેવી ઘરની હાલત નહોતી. એટલે મનેકમને બી.બી.સી.આઈ. રેલવે(આજની વેસ્ટર્ન રેલવે)માં નોકરી લઇ લીધી. પછી એકાદ વરસ એશિયાટિક બેન્કમાં કારકૂન બન્યા. ભલે ઝાઝું ભણી શક્યા નહોતા, પણ ઘટમાં ઘોડા થનગનતા હતા. એટલે થોડા વખત પછી નોકરીને અલ્વિદા કહી ૧૮૬૪માં શેર બજારના ધંધામાં પડ્યા. પડ્યા એવા જ ઉછળ્યા, ઉભરાયા. પાંચમાં પૂછાતા થયા. સરકારી અમલદારો, બેન્કના મેનેજરો, જાણીતા વેપારીઓ તેમની સલાહ લેતા. મુંબઈના નેટિવ શેર બ્રોકર્સ એસોસિયેશનના વર્ષો સુધી પ્રમુખ રહ્યા. પછી વધારામાં પડ્યા કાપડની મિલોના ઉદ્યોગમાં. કેટલીક મિલોમાં ડિરેક્ટર બન્યા. જાતમહેનતે અંગ્રેજી શીખી તેની ઉપર સારો એવો કાબૂ મેળવ્યો. ચાંદીના ભાવ અંગેના એક ઝગડામાં જુબાની આપવા સરકારે તેમને વિલાયત મોકલ્યા. તેમની જુબાનીને કારણે ફિનાન્સ કમિટીએ પોતાનો રિપોર્ટ બદલવો પડ્યો હતો. ૧૮૯૬માં જેપી બન્યા, ૧૯૧૧મા મુંબઈના શેરીફ. અને તે જ વર્ષે મિસ્ટરમાંથી બન્યા સર શાપુરજી બરજોરજી ભરૂચા. બાર વર્ષની ઉંમરે ભરૂચ છોડ્યા પછી ફરી ક્યારે ય તેની જમીન પર પગ મૂક્યો નહોતો, પણ ભરૂચને ક્યારે ય ભૂલ્યા નહોતા. ત્યાંના જરથોસ્તીઓ જ નહિ, સૌ કોઈને માટે કામ કરતી સંસ્થાઓને સતત દાન આપતા. મુંબઈમાં અને બીજે પણ સતત દાન આપતા. પોતાની જિંદગી દરમ્યાન તેમણે કુલ ૪૦ લાખ રૂપિયા (આજના ૪૦ કરોડ?) કરતાં વધુ રકમની સખાવત કરી હતી. તેમના ઉઠમણા વખતે બીજા ૧૪ લાખ ૨૨ હજાર રૂપિયાની સખાવત તેમનાં કુટુંબીઓએ જાહેર કરી હતી.
તેના રચયિતા છે ‘લલિતજી.’ આજે લગભગ ભૂલાઈ ગયા છે. ‘લલિત’ તેમનું ઉપનામ. આખું નામ જન્મશંકર મહાશંકર બૂચ. ૧૮૭૭ના જૂનની ૩૦મી તારીખે જૂનાગઢમાં જન્મ. ૧૯૪૭ના માર્ચની ૨૫મી તારીખે અવસાન. માતાપિતા પાસેથી અનુક્રમે સંગીત અને સાહિત્યનો વારસો મળ્યો. ૧૮૮૭મા પહેલાં લગ્ન લલિતા સાથે થયાં હતાં. ૧૮૯૪માં તેમના અવસાન પછી બીજાં લગ્ન ૧૮૯૬માં તારાબહેન સાથે. પ્રથમ પત્નીની યાદમાં ‘લલિત’ ઉપનામ ધારણ કર્યું હતું. તેઓ સાત વખત મેટ્રિકની પરીક્ષામાં બેઠા હતા પણ ગણિતની મુશ્કેલીને કારણે સાતે વખત નાપાસ થયા હતા! છેવટે એસ.ટી.સી.ની પરીક્ષામાં પાસ થયા. દસેક વર્ષ લાઠીમાં રાજવી કુટુંબના શિક્ષક. કવિ કલાપીના નિકટના પરિચયમાં આવ્યા હતા અને કલાપીએ તેમને ઉદ્દેશીને ૧૮૯૬માં ‘બાલક કવિ’ નામનું કાવ્ય લખ્યું હતું. ગોંડળ સ્ટેટમાં સંગ્રામજી હાઈસ્કૂલમાં ૧૯૦૩માં પહેલી નોકરી. તે દરમ્યાન તેમનું લખેલું ‘સીતા-વનવાસ’ નાટક ભજવાયું હતું તે જોવા કલાપી અને કવિ નાનાલાલ ગોંડળ ગયા હતા. એ નાટક પુસ્તક રૂપે પણ પ્રગટ થયું હતું. ૧૯૦૮થી ૧૯૧૦ રાજકોટના અંગ્રેજી દૈનિક ‘કાઠિયાવાડ ટાઈમ્સ’ના તંત્રી. સાથોસાથ અદાલતમાં ભાષાંતર કરી આપવાનું કામ પણ કરતા. ૧૮૯૫મા ‘ચંદ્ર’ માસિકમાં પહેલી કવિતા છપાઈ. તે પછી ધીમે ધીમે લગભગ બધાં સામયિક-અખબારમાં પ્રગટ થતી. ૧૯૧૩થી ૧૯૨૦ સુધી વડોદરા રાજ્યના લાઈબ્રેરી ખાતામાં ‘લોકોપદેશક’ તરીકે કામ કર્યું. ૧૯૨૧થી ૧૯૨૫ સુધી મુંબઈના રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાં સાહિત્યના શિક્ષક હતા. ૧૯૩૮મા સેવા-નિવૃત્ત. નિવૃત્તિ પછી લાઠી જઈને રહ્યા. ત્યાં જ તેમનું અવસાન થયું. ‘લલિતનાં કાવ્યો’ (૧૯૧૨), ‘વડોદરાને વડલે’ (૧૯૧૪) અને ‘લલિતનાં બીજાં કાવ્યો (૧૯૩૪) એમના કાવ્યસંગ્રહો છે. તેમના અવસાન પછી ૧૯૫૧માં પ્રગટ થયેલ ‘લલિતનો લલકાર’માં તેમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઇ છે. કવિ નાનાલાલે તેમને વિષે કહ્યું હતું: “લલિતજી એટલે લલિત જ. લગીર પણ સુંદર. મોટાં કાવ્યો નહિ, નાનાં ગીતો. મેઘ જેવાં મોટાં પગલાં નહિ, પણ કુમકુમની નાની પગલીઓ. રસઓઘ નહિ, રસનાં છાંટણાં. લલિતજી એટલે સારંગીયે નહીં ને વીણાયે નહિ, લલિતજી એટલે મંજીરાંનો રણકો ને કોયલનો ટહુકો.” 