ભ્રષ્ટ ભાષા પ્રયોજનારાઓમાંના કોઇનાય પેટનું પાણી નથી હાલતું
આજકાલ મને બે પ્રશ્નો ખાસ સતાવે છે : ગુજરાતી ભાષામાં લખાતાં લેખનના શા હાલ છે? ગુજરાતી સાહિત્યમાં ખરા અર્થમાં વિકસેલું વિવેચન છે ખરું?
સર્વસામાન્યપણે, ગુજરાતી ભાષામાં લખાતાં લેખનના હાલ બૂરા છે. મારા મિત્રો વજેસિંહ પારગી અને બાબુ સુથાર સોશ્યલ મીડિયા દ્વારા લગભગ રોજ આપણને ભાષાદોષનાં સદૃષ્ટાન્ત દર્શન કરાવે છે અને એમ પોતાની દાઝ વ્યક્ત કરે છે. સમદુખિયા મિત્રો એમની વાતમાં જરૂર સૂર પુરાવે છે. પણ ભ્રષ્ટ ભાષા પ્રયોજનારાઓમાંના કોઇના ય પેટનું પાણી નથી હાલતું.
કેટલાક સમાચારદાતાઓ અશુદ્ધ ગુજરાતી બેફામ બોલે છે. એવા તો વરવા ઢંગમાં વાક્યોને મચડે છે કે શિક્ષિત શ્રોતાને ચીડ ચડે. સમાચારોના હિન્દી / અંગ્રેજીમાંથી કરેલા અનુવાદોથી એક ઑર તકલીફ ઉમેરાય છે. અનુવાદનું ગુજરાતી અ-સહ્ય થઇ પડે છે. એથી ભાષાની સહજતા ઠેર ઠેર ઘવાઈ હોય છે. બહુ નુક્સાન પ્હૉંચે છે.
દોષકારકોમાં સોશ્યલ મીડિયાના કેટલાક બ્લૉગર્સ પણ છે. બ્લૉગ-લેખનોમાં ભારોભારની બેપરવાઇ હોય છે. સોશ્યલ મીડિયા, જાણે દલા તરવાડીની વાડી. જાણે ભગાભાઇની આઇપીઍલ. એમાં 'વાઈડ બૉલ' હોય કે 'નો બૉલ' હોય, સામાવાળો ઊંધું ઘાલીને ફટકારે છે. ઘણાને લાગે કે પેલાએ 'ચૉગ્ગો' માર્યો. કેટલાકને 'છગ્ગો' પણ લાગે. એમાં કોઇ ખેલાડી કદી 'આઉટ' નથી થતો. બધાંને આઉટ સમજાયો હોય, પણ એ તો કદ્દીયે સ્વીકારતો નથી. એમાં કોઇ 'અમ્પાયર' નથી હોતો, ન તો સ્ટમ્પ્સ પાછળ બૉલર્સ-એન્ડ પર કે ન તો સ્કૅવેર-લેગમાં. આન્તરરાષ્ટ્રીય મૅચમાં તો સાઇડલાઇનોએ ત્રીજો અમ્પાયર પણ હોય છે, વળી ત્યાં રૅફરી પણ હોય છે. સમજો, સોશ્યલ મીડિયા ન-ધણિયાતું ખેતર છે. બુદ્ધિને બહુ ચોળ્યા વિના એ બ્લૉગર્સને માફ કરવાની ટેવ પાડવી સારી …
સામયિકો સાહિત્યનાં, પણ ત્યાં ય ભાષાની દુર્દશા છે. હું માનું છું કે તન્ત્રીઓ લેખનોની પસંદગી લેખક-નામ જોઇને કે સમ્બન્ધવિકાસ માટે કરતા હોય, ભલે, પણ કાળજીપૂર્વક કરતા હશે, એટલે કે વાંચીને. પણ ત્યારે એમનાં અનુભવી નયનોને ભાષાદોષ નહીં દીસતા હોય? અરે, તન્ત્રીઓના ખુદના તન્ત્રીલેખો પણ દોષમુક્ત નથી હોતા. સામયિકોમાં દોષદર્શક પત્રચર્ચાઓ થવી જોઈએ. જવલ્લે જ થાય છે. બીજું, આપણી પાસે લિટરેચરના સુસજ્જ રીપોર્ટર્સ નથી. કેટલાકને તો વક્તાનાં સાહિત્યિક કામોની પણ ખબર હોતી નથી. કોઇ કોઇ તો એટલે લગી કહે છે – સાહેબ, તમે જે બોલ્યા તે મને લખાવી દો ! પેલા, કચવાતા મને શું ને કેટલું લખાવે? એટલે, રીપોર્ટ્સમાં ભાષાદોષ ઉપરાન્ત એવી ઉતાવળિયા માહિતી પણ પીરસાય છે. પત્રકારત્વમાં માહિતીદોષ મહા પાપ છે. સાહિત્યસમાજ એ દોષોને નજરઅંદાજ કરે છે અને પ્રજાજનો એને 'બરાબર' સમજીને અનુસરે છે ! યુનિવર્સિટીઓ અને કૉલેજોના વર્ગખણ્ડોમાં પણ સાચું ગુજરાતી નથી પ્રયોજાતું. 'સ' 'શ' અને 'ષ' વચ્ચેના ભેદ નહીં સાચવવાથી માંડીને અનેક પ્રકારનાં ખોટાં ઉચ્ચારણો ચાલે છે. સાહિત્યના કેટલાક અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જૂઠું ગુજરાતી લખતાં કે બોલતાં શરમાતા નથી.
એક વાત આપણે ત્યાં એ ઘર કરી ગઇ છે કે સમાચારનું આયુષ્ય તો ઘડી-બે-ઘડીનું હોય છે. એવી બીજી વાત એ કે લખવા-બોલવામાં ભૂલો તો થાય, પણ એ ભાષાની ભૂલો છે, શું બગડી જવાનું છે… હા પણ, સમાચારોની ભૂલો તેમ જ શું બગડી જવાનું છે-વાળી ભાષાની ભૂલો સામુદાયિક અચેતનમાં – કલેક્ટિવ અન્કૉન્સ્યસમાં – એટલે કે જનજીવનમાં એ-ને-એ સ્વરૂપે પડી રહે છે. ત્યાં એનો ઢગલો થાય છે. એ કલ્ચરલ ડૅબ્રિ છે – સાંસ્કૃતિક કચરો. કમનસીબી એ છે કે એ કોઇને દેખાતો નથી. દેખાય ત્યારે મૉડું થઇ ગયું હોય, ઈલાજ સૂઝે નહીં, નાસીપાસ થઇ જવાય.
સંસ્કૃતિ-વ્યવસ્થામાં આ સૌ જનો ભાષાના પાલક અને રક્ષક મનાયા છે. ભાષા બાબતે પ્રજાએ પણ એમને જ આદર્શ ગણ્યા છે. 'મજા' તો એ છે કે એ રક્ષકો જ વખતે વખતે બૂમો પાડતા હોય છે કે માતૃભાષા મરવા પડી છે ! સંસ્કૃત શબ્દ છે, પ્રજ્ઞાપરાધ. જ્ઞાનનો અપરાધ. અવૉર્ડી કે ઇનામદાર સાહિત્યકારો દોષ આચરે તો એમને એકાદ વાર તો સૌએ કહેવું ઘટે કે – આપશ્રી પ્રજ્ઞાપરાધી છો. જો કે આ દોષકારકોમાંના કોઇને પ્રજ્ઞાપરાધી ગણતાં પહેલાં નક્કી કરવું પડે કે એ પ્રજ્ઞાવાન છે ખરો -? છોડો ! આ ફરિયાદમાં દમ છે પણ એની વાતમાં પ્ર-ગતિને જગ્યા નથી.
ખરા અર્થમાં વિકસેલું વિવેચન આજે આપણે ત્યાં નથી. કેમ નથી તેની શાસ્ત્રીય તપાસ થઇ શકે, પણ અહીં અસ્થાને છે. કેટલાક સંકેતો કરી શકાય. જેમ કે, તન્ત્રીઓ સામયિકની આબરૂ ખાતર પણ અવલોકનો કે ક્યારેક સમીક્ષાઓ પ્રકાશિત કરે છે. વાંધો નહીં. પરન્તુ અવલોકનોમાં કશો ધડો નથી હોતો. કેમ કે એ પુસ્તકો અવલોકનને પાત્ર નથી હોતાં. એ સમય-ધનનો વ્યય છે. ભયાનક હકીકત એ છે કે ગુજરાતી ભાષા-સાહિત્યમાં નક્કર પ્રદાન કરનારા સાહિત્યકારના પુસ્તક વિશે નાનું સરખું અવલોકન પણ ભાગ્યે જ જોવા મળે છે. એવાં પુસ્તકોને 'અઘરાં' ગણી કાઢીને બાજુએ હડસેલાય છે. એક વાર મારે સુરેશ જોષી જોડે વાત નીકળેલી. મેં પૂછેલું : સુરેશભાઇ, તમારા સાહિત્ય વિશે ચોતરફ અઢળક વાતો થાય છે પણ તમારા પુસ્તકોનાં અવલોકનો કેમ નથી આવતાં? : તો કહે, એ બધું રાજકારણ છે. એનો તને પણ અનુભવ મળશે. નથી આવતાં એથી તુષ્ટ રહેવું : હું ચૂપ હતો …
વિવેચનથી શું સમજવાનું? એ કે સરજાતા સાહિત્યના ગુણ-દોષ અવગત થાય. નવાં પુસ્તકોનાં અવલોકન થાય. સાહિત્યરસિકો અવલોકન વાંચીને વાંચવા જાય. સિદ્ધાન્તોની ચર્ચાઓ થાય. ચર્ચા કલામીમાંસા લગી વિકસે. એ માટે વિશ્વભરના સાહિત્યિક પરિદૃશ્યથી સૌ અવગત થતા રહેતા હોય. એથી દૃષ્ટિવિકાસ થાય, સૂઝબૂઝ વિકસે. પ્રાદેશિક ભાષા-સાહિત્યના વિકાસનું સૂત્ર સંસ્થાઓના પદાધિકારીઓ અને સામયિકોના તન્ત્રીઓને હસ્તક હોય છે. વિવેચનથી એમ પણ સમજવાનું કે એ પદાધિકારીઓનાં તેમ જ એ તન્ત્રીઓનાં ખુદનાં નવાંજૂનાં પુસ્તકોની સમીક્ષાઓ થાય. કેમ કે ભલે આડકતરી રીતે પણ એથી સંસ્થાકીય પ્રવૃત્તિઓ પાછળના દૃષ્ટિદોરને સમજી શકાય. તન્ત્રીઓનાં તન્ત્રીકાર્ય પાછળની તેમની અંગત સજજ્તાને પ્રમાણી શકાય. આપણે કયા તન્ત્રીને એની કઇ સિદ્ધિના પ્રકાશમાં શ્રદ્ધેય ગણીએ છીએ? કયા પ્રમુખને અધ્યક્ષને ઉપપ્રમુખને મન્ત્રી કે મહામન્ત્રીને તેની કેવીક સાહિત્યસિદ્ધિથી ઓળખીએ છીએ? યાદ કરીને જરા હિસાબ તો મેળવીએ ! વિવેચનથી એમ પણ સમજવાનું છે કે નીવડેલા સાહિત્યકારોનાં પુનર્મૂલ્યાંકન થાય. એમના આયુષ્યકાળ દરમ્યાન થાય તો એમને જીવનના સારાસાર જાણવાનો લાભ મળે.
આવી ચોપાસની સમૃદ્ધ ભૂમિકાએ સામ્પ્રતનું ચિત્ર ચોખ્ખું થયા કરે તો સમજાય કે આપણે ખરેખર ક્યાં છીએ. આ બધા વિષમ સંજોગોમાં તન્ત્રીઓએ જહેમત ઉઠાવીને પણ આ કામો પોતે કરવાં જોઇએ. દૈનિક છાપાનો તન્ત્રી દેશ આખામાં જે બની રહ્યું હોય છે તેની નિરન્તર ટીકાટિપ્પણીઓ કરતો હોય છે. એ તન્ત્રીધર્મ છે. સાહિત્યિક સામયિકોના તન્ત્રીઓ એ ધર્મથી શી રીતે વિમુખ હોઇ શકે? તન્ત્રી, મળ્યું તે છાપનારો મુદ્રક થોડો છે?
આ કશો અમસ્તો બળાપો નથી. લેખન અને વિવેચનના આ બન્ને પ્રશ્નો સળગતા છે. ચેતીશું નહીં તો નજીકના ભવિષ્યમાં ભાષા-સાહિત્યનાં સતને બાળી મૂકશે. ઈચ્છું કે એની ઝાળ સૌ સંવેદનશીલોને અડે …
= = =
સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની કટાર, “નવગુજરાત સમય”, 10 સપ્ટેમ્બર 2019
![]()


એટલે કે દુનિયાના કુલ ૧૯૦ દેશોમાંથી ૧૨૯ દેશોમાં વસતા લોકોની ભાષાનો દિવસ. આપણા દેશની બીજી કોઈ ભાષા બોલનાર લોકો આટલી મોટી સંખ્યામાં, આટલા બધા દેશોમાં વસતા નથી. અને છતાં છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણે ત્યાં વારંવાર બૂમો સંભાળવા મળે છે કે ‘ગુજરાતી ભાષા મરવા પડી છે.’ પણ ૧૨૯ દેશોમાં બોલાતી ગુજરાતી ભાષા મરવા કઈ રીતે પડી હોય? લગભગ છ કરોડ લોકોની માતૃભાષા હોય તે ભાષા મરવા કઈ રીતે પડી હોય? ખાનપાન, પહેરવેશ, રીતરિવાજ, ધર્મભાવના વગેરેમાં પરદેશમાં પણ પોતાપણું જાળવી રાખવા માટે આગ્રહી હોય એવી પ્રજાની ભાષા મરવા કઈ રીતે પડી હોય? ના. ગુજરાતી ભાષા મરવા પડી નથી. મરવા પડી શકે તેમ નથી.
ગાંધીયુગના સમર્પિત સર્જક સુન્દરમ્ની પ્રમુખ ઓળખ તો કવિ તરીકેની છે. છતાં વાર્તાકાર તરીકે તેમનું પ્રદાન પણ વિશેષ નોંધપાત્ર અને મહત્ત્વનું છે. પ્રવાસલેખક, નાટકકાર અને સાધક તરીકે પણ તેમની પ્રતિભા વિશેષ ખીલી છે. અધ્યાત્મના યાત્રી સુન્દરમ્ના સાહિત્યસર્જનના કેન્દ્રમાં છે 'માણસ'. માણસમાં પડેલી માનવતાની શોધ એ એમનાં કાવ્યો અને ટૂંકીવાર્તાઓનો વિષય છે. માણસના આંતરમનમાં ઝાંખતી એમની રચનાઓ ગાંધીયુગનો નવોન્મેષ ગણી શકાય. માણસની ખૂબીઓ અને ખામીઓ, તેની ગતિ અને તેની આસપાસના પરિવેશથી રચાતા Psychological fieldનું ચિત્રણ સુન્દરમ્ બખૂબી કરે છે. માણસ વિશેની માન્યતા, માણસના સમીકરણ યુગેયુગે બદલાતા રહે છે. વીસમી સદીનો માણસ એકવીસમી સદીમાં આવી ગયો, પરંતુ એવું ઘણું બધું એણે ગુમાવી દીધું જેનો ખ્યાલ સુધ્ધા તેને નથી ! અસ્તિત્વની લેબરિન્થમાં અટવાતો માણસ પોતાની ઓળખ માટે ઝાંવા નાખી રહ્યો છે. કદાચ એટલે જ સુન્દરમે કહ્યું હશે કે – ‘હું માનવી માનવ થાઉં તો ઘણું'. કવિ તરીકે સુન્દરમ્ પોતાની કાવ્ય રચનાઓમાં માનવ્યનો મહિમા તો કરે જ છે. પરંતુ ટૂંકી વાર્તાના સર્જક તરીકે તેઓ માણસના મનનું Psycho-analysis કરી માણસના આંતરમનને ઊંડાણથી પરખે છે.
નગદ સૌન્દર્ય અને નકરા વાસ્તવના વાર્તાકાર છે સુન્દરમ્. ગ્રામજીવનનું સૌન્દર્ય અને નિર્દોષપણાની સાથે સાથે એની કુત્સિતતા અને કુટિલતાને પણ કલાત્મક રીતે આલેખનાર સુન્દરમ્ 'લાલ મોગરો' વાર્તામાં ગ્રામજીવનના યથાર્થને જુદી પરિપાટી પર રજૂ કરે છે. જાતીય વિષયોને આલેખતી સુન્દરમ્ની વાર્તાઓનું કથાબીજ જીવનની તરસ કે તૃષા પર આધારિત હોય છે. 'લાલ મોગરો' એ જ કથાબીજ પર રચાયેલી વાર્તા છે. પૂર્વે 'ખોલકી અને નાગરિકા' સંગ્રહમાં 'કૂતરાં' શીર્ષકથી પ્રગટ થયેલી આ વાર્તાને પ્રાણીપ્રેમ દર્શાવતાં 'ધોળા ગલૂડિયાનું નામ 'મોગરો' પાડીને વાર્તાકાર પોતે કવિ તેની પ્રતીતિ કરાવે છે .' ( પૃ. ૭૦ ટૂંકીવાર્તા શિલ્પ અને સર્જન) એટલું જ નહિ 'લાલ મોગરો' જેવું યથાર્થ શીર્ષક પણ આપે છે.