Heartiest Congratulations to you and your team for this wonderful work! You all have done
ભગીરથ કાર્ય.
![]()
Heartiest Congratulations to you and your team for this wonderful work! You all have done
ભગીરથ કાર્ય.
![]()

સંજય ભાવે
ગયાં પચીસ-ત્રીસ વર્ષમાં બહુ ઓછી રમઝાન ઇદ એવી ગઈ હશે કે જે મેં મનાવી નહીં હોય. દરેક ઇદ પર હું, મારી પત્ની અને અનુકૂળતા મુજબ મારી દીકરી મારા મિત્રોને ત્યાં ઇદ મુબારક કરવા ગયાં છીએ.
પેટ ભરીને શિર ખુરમો માણીએ છીએ. એ શિર ખુરમાથી આ સમાજમાં, દેશમાં અમારી લાગણીઓ સંકોરાઈ છે, સમજ વિકસી છે, અને સહુથી વધુ તો ભાઈબંધોનો પ્રેમ મળ્યો છે !
રમઝાન ઇદ મારા માટે – ભાઈબંધો સાથે ગલ્લા પર થતી દરેક લાંબી બેઠકની જેમ (કે દિવાળીના આકાશકંદિલની જેમ) મારી પૅશનનો, મારા દિલનો – મામલો રહ્યો છે.
આ મિત્રો એટલે ખાનપુર – મિરજાપુરમાં રહેતા મારા ખાસમખાસ મિત્ર નયીમ કાદરી અને તેનો મોટો ભાઈ મોઇન કાદરી.
ઘણું કરીને 1984-85ના વર્ષથી અમે ખાનપુર દરવાજાની સામેના ફિરદૌસ ફ્લૅટના પાંચમા માળે આવેલા ઘરે જતાં. એ વખતે આ બિરાદરો પરણેલા ન હતાં, અને અલબત્ત હું પણ નહીં.
તેમના મમ્મી-પપ્પા હતાં, બહેન હતી અને ભરેલું ઘર. એમ ને એમ પણ અમે ત્યાં જતા. બહુ દિવસે હું દેખાયો ન હોઉં તો નયીમના મમ્મી એને પૂછે : ‘અરે વો ભાવે બૌત દિન સે નહીં દિખ્ખા !’
અને આવું તે અમારા ગ્રુપના બધા મિત્રો માટે પૂછતાં રહેતાં. અમારું ગ્રુપ એટલે દર્શન, દીપક, નયીમ, નિલેશ, મોઈન, ભાવે અને અમને બધાને ઝાટકો દઈને પંદરેક વર્ષ પહેલાં હંમેશ માટે ચાલી નિકળેલો વિજય.
ઇદ પર હું જઉં તે પહેલાં પણ નયીમનાં મમ્મીએ આવું પૂછ્યું જ હોય. ઇદ પર મુબારકબાદી પછી શિર ખુરમા, સમોસા અને પ્લેટ ભરીને વાનગીઓ આવતી. તે પછી ફિરદૌસથી સહેજ દૂરના ગલ્લે નયીમના પૈસે ચા-સિગરેટ.
વર્ષોથી હું રમજાનથી રમજાન સુધી શિર ખુરમાની રાહ જોતો હોઉં છું. ઈદનો ચાંદ દેખાયો એવા સમાચાર આવે એટલે આપણો રોજો ચાલુ. એ રોજો બીજા દિવસે નયીમ-મોઈનને ત્યાં ખોલવાનો.
ઇદની રજા હોય, એટલે એ દિવસના કંઈ આયોજનની વાત આવે ત્યારે હું કહી દઉં : ‘નહીં ફાવે યાર, મારે તો ઇદ છે !’ કોઈક્ને કુતૂહલ થાય, કોઈકને મૂંઝવણ અને કોઈકને અકળામણ.
વર્ષો વીત્યાં. નયીમ-મોઇનનાં મમ્મી-પપ્પા ચાલ્યાં ગયાં, ને મારાં પણ. જિંદગીના ક્રમમાં નયીમના પરિવારને દૂર જવાનું થયું. મોઇન પણ કેટલાંક વર્ષ પરદેશ હતો.
પણ આ બધાની વચ્ચે કાદરી પરિવારમાં અમારી ઇદ અવિરત ઉજવાતી, અને તે મોઇનના ઘરે. એનાં પત્ની શબાનાભાભી અને દીકરી મેહેરિન બધાં વર્ષો અમદાવાદમાં જ ખાનપુરના ઘરે છે. શબાના વર્ષોથી (અને હવે તો મેહેરિન પણ) બૅન્કમાં નોકરી કરે છે.
દર વર્ષે શબાનાના હાથનો – દેવો માટે ય દોહ્યલો હોય તેવો – શિર ખુરમો, અને તેની સાથે સુંદર સુંવાળી સૅન્ડવિચ અને સમોસા માણીને ધરાતાં નથી.
કોવિડનાં બે વર્ષોની ઇદ બહુ વસમી લાગી હતી, મળી જ નહોતાં શક્યા ને !
2021ની દિવાળીમાં શબાનાભાભી અને મોઇન દર વર્ષની જેમ સાલમુબારક કરવા મારે ત્યાં આવ્યાં, ત્યારે મોટું ડોલચું ભરીને શિર ખુરમો લઈને આવ્યાં હતાં. એક વર્ષે ધોળકાનો અમારો અઝીઝ ત્રણ-ચાર લિટર શિરકુરમો લઈને તેના મમ્મી-પપ્પા સાથે કૉલેજ આવ્યો હતો !
નયીમ-રફત પણ દિવાળી પર આવે. બે-ત્રણ વર્ષ તો નયીમનાં મમ્મી-પપ્પા સહિત એમનો આખો પરિવાર સ્કુટરો લઈને દિવાળી પર અમારે ત્યાં આવ્યો હતો.
મોઇનના ઘરેથી નયીમના મિરઝાપુરના ઘરે જવાનું. ત્યાં વળી રફતભાભીના હાથની જુદી લિજ્જતની સેવઈ, કચોરી અને સમોસા.
રફત-નયીમ બંને વરિષ્ટ પત્રકાર. એટલે ઇદ પર એમને ત્યાં વળી વર્ષોમાં ભાગ્યે જ મળનારા સિનિયર પત્રકારો મળે. એટલા બધા લોકો આવતાં હોય કે પહેલાં આવેલાંએ જગ્યા ખાલી કરવી પડે.
ગયાં દસેક વર્ષથી અમારી ઇદની સફરમાં શહેનાઝ અને સઇદખાન ઉમેરાયા. શહેનાઝ વકીલ અને સઇદ પત્રકાર. તેમને ત્યાં ય કર્મશીલો, યુવા પત્રકારો મળી જાય. એ વળી જુદો જ મેળાવડો.
નયીમની અને મારી દોસ્તી, હકીકતમાં તો કૉલેજ કાળના અમારા ગ્રુપની આટલાં વર્ષો પછી પણ જળવાયેલી, દર મહિને એકાદ-બે વાર મળવાની મૈત્રી તો અલગ લેખનો વિષય છે.
નયીમ સાથેની મૈત્રીનાં વર્ષોમાં સાબરમતી-તાપી-થેમ્સનાં કેટલાં ય પાણી વહી ગયાં. અમારાં સંતાનો ય મોટા થઈ ગયા. આસમાની-સુલતાની, ખાસ તો સુલતાનીઓ આવી.
રથયાત્રાઓ, અનામત, બાબરી, ગોધરા, બૉમ્બ ધડાકા, વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લિન્ચિન્ગ, પુલવામા, 370, સી.એ.એ. – એન.આર.સી. … શું નથી થયું ?
એમાં નયીમ-મોઈન અને એમના પરિવારો સલામત રહ્યાં એ મારા માટે એક બહુ મોટી, બહુ જ મોટી ખુશકિસ્મતી છે.
અમારા રિશ્તામાં અમને ક્યારે ય અમારો ધર્મ યાદ આવ્યો જ નથી (મને આમ તો કોઈ પણ સંબંધમાં એ મૅટર કરતો નથી). ધર્મની વાત જ અમે કરતા નથી.
ધર્મના વિચાર વિના અમારું ચાલ્યું છે, બલકે એનો વિચાર નહીં કરવાને કારણે જ સરસ ચાલ્યું છે. એવું બધાંનું ચાલો … બધાં દિવાળી અને ઇદ મનાવતા રહો …
![]()

રવીન્દ્ર પારેખ
ભારતની લોકશાહી શરૂથી જ લોહિયાળ રહી છે અને હજી તેને લોહિયાળ કરવાના મેલા ઈરાદા રખાય છે તે શરમજનક છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કેરળની આજની મુલાકાત દરમિયાન મોતને ઘાટ ઉતારવાની ધમકી અપાઈ છે, તે નિંદનીય છે. 14મી ઓગસ્ટ, 1947ને રોજ પાકિસ્તાન થયું અને 15 ઓગસ્ટે ભારત આઝાદ થયું. આ ભાગલામાં એટલી લાશો પડી કે એટલી તો કોઈ યુદ્ધમાં ય પછી પડી નથી. મહાત્મા ગાંધીની અહિંસાનો એ વખતે પૂરેપૂરો ઉપહાસ થયો. એ પછી તો 1948ની 30 જાન્યુઆરીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નિર્મમ હત્યા થઈ. તેમની વિચારધારા જોડે કોઈ સંમત થાય કે ન થાય, પણ પૂરી નિર્મમતાથી વિચારનારને પણ એ માણસ કોઈ રીતે હત્યાને લાયક જણાતો નથી. સાચું તો એ છે કે ગમે તેવો હત્યારો પણ હત્યાને પાત્ર નથી, તો ગાંધીની હત્યા તો થાય જ કેમ?
ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ 1964ની 27 મે-એ મૃત્યુ પામ્યા. તે પછી લાલબહાદુર શાસ્ત્રી બીજા વડા પ્રધાન બન્યા ને 11 જાન્યુઆરીએ તાશ્કંદમાં તેમનું રહસ્યમય રીતે મૃત્યુ થયું. 1965માં પાકિસ્તાને ભારત સામે યુદ્ધની સ્થિતિ ઊભી કરી, પણ પાકિસ્તાને છેવટે તાશ્કંદ કરાર માટે સહમત થવું પડ્યું. આ કરાર અમલમાં આવ્યાના બીજા જ દિવસે શાસ્ત્રીજીને હૃદય રોગનો હુમલો આવ્યો ને તાશ્કંદમાં જ એમનું મૃત્યુ થયું. એ પછી પણ વડા પ્રધાનો તો આવ્યા, પણ ઇન્દિરા ગાંધી 25 જૂન, 1975ને રોજ કટોકટી લાદવા માટે અને અમૃતસરનાં સુવર્ણમંદિરમાં કરવામાં આવેલ ઓપરેશન બ્લુસ્ટાર માટે યાદ કરાય છે. ઓપરેશન બ્લુસ્ટારને કારણે જ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની તેમના જ અંગરક્ષકો દ્વારા 31 ઓકટોબર, 1984 ને રોજ 33 ગોળીઓ મારીને હત્યા કરાઇ. એ પછી નહેરુ-ગાંધી કુટુંબનાં જ ત્રીજા વડા પ્રધાન બન્યા ઇન્દિરા ગાંધીના મોટા પુત્ર રાજીવ ગાંધી. તેઓ લગભગ 5 વર્ષ વડા પ્રધાન રહ્યા ને તેમની પણ ચૂંટણી પ્રચાર દરમિયાન એલ.ટી.ટી.ઈ.ના આત્મઘાતી બોમ્બર દ્વારા તમિલનાડુના શ્રીપેરામ્બદુરમાં 21 મે, 1991ને રોજ હત્યા કરવામાં આવી. આ દેશ પર નહેરુ–ગાંધી પરિવારે કુલ 37 વર્ષ અને 303 દિવસ વડા પ્રધાનપદું ભોગવ્યું છે. એની સામે ભા.જ.પ.નાં શાસનને તો નવેક વર્ષ જ થયાં છે ને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હત્યાની ધમકી અપાઈ છે તે ચિંત્ય છે.
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેરળની મુલાકાતે જનાર છે. એ મુલાકાત લે તે પહેલાં કેરળ ભા.જ.પ.ના અધ્યક્ષ કે.કે. સુરેન્દ્રન્ને ધમકી આપતો પત્ર 17 એપ્રિલે મોકલાયો છે, મલયાલમમાં લખાયેલ પત્રમાં વડા પ્રધાનની હાલત પૂર્વ પ્રધાન મંત્રી રાજીવ ગાંધી જેવી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આ ધમકીપત્ર પોલીસને સોંપવામાં આવ્યો છે. એ સાથે જ ADGP ઇન્ટેલિજન્સનો 49 પાનાંનો રિપોર્ટ થોડા દિવસ પહેલાં જ મીડિયામાં ફરતો થયો છે, જેમાં ફરજ પરના અધિકારીઓની માહિતીઓ ને પી.એમ.ના કાર્યક્રમની વિગતો, રાજ્યના આતંકવાદી અને દેશવિરોધી તત્ત્વોની હાજરીનો નિર્દેશ જેવી ગોપનીય બાબતો લીક થઈ છે. આ બધાં પરથી સુરક્ષા તંત્રોની વિશ્વસનીયતા પર પણ મોટું પ્રશ્ન ચિહ્ન લાગે છે.
એર્નાકુલમના પત્ર લેખકનું નામ જોસેફ જોની છે. પોલીસની પૂછપરછમાં જોનીએ રોકડું કર્યું છે કે આ પત્ર તેણે લખ્યો નથી. પોલીસે તેનાં હસ્તાક્ષર પત્રલેખકના હસ્તાક્ષર સાથે સરખાવી જોયા તો તે જુદા પડ્યા. જોનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે પોતાનું નામ પત્ર લેખક તરીકે ઠઠાડીને કોઈ તેને ફસાવવા માંગે છે. એ કોણ હોઈ શકે એની વિગતો પણ જોનીએ પોલીસને આપી છે ને એનો જોની સાથે ચર્ચને મામલે ઝઘડો પણ ચાલે છે તે પણ કહ્યું છે. પોલીસ એની તપાસમાં લાગી છે ને એ સાથે જ સાવચેતીનાં પગલાંરૂપે રાજ્યમાં હાઇએલર્ટ પણ જાહેર થયું છે.
વડા પ્રધાન આજથી શરૂ થનારા પ્રવાસમાં જુદા જુદા 8 શહેરોનાં સાત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર છે. આવનાર 36 કલાકમાં પી.એમ. લગભગ 5,300 કિ.મી.ની યાત્રા કરવાના છે. આ યાત્રા દિલ્હીથી શરૂ થઈને મધ્ય પ્રદેશ, દક્ષિણ કેરળ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના કેન્દ્ર શાસિત પ્રદેશોની હશે. મધ્ય પ્રદેશના ખજુરાહોથી પી.એમ. 1,700 કિ.મી.ની હવાઈયાત્રા કરી કોચી જશે જયાં યૂથ કોન્કલેવમાં ભાગ લેશે અને મંગળવારે સવારે તિરુવનંતપુરમ્ પહોંચીને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ઉપરાંત તેઓ વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે અને પછી સુરતથી દિલ્હી જવા રવાના થશે.
વડા પ્રધાનને આ અગાઉ પણ એકથી વધુ વખત જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઈ છે. 30 જુલાઇ, 2018 ને રોજ વડા પ્રધાન મોદીને રાસાયણિક હુમલાની ધમકી અપાઈ હતી ને ધમકી આપનાર કાશીનાથ નામના 22 વર્ષીય યુવકની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. 22 નવેમ્બર, 2022 ને રોજ પણ મુંબઈ ટ્રાફિક પોલીસના વૉટ્સએપ પર ઓડિયો મેસેજ આવ્યો હતો, જેમાં જાનથી મારવાની ધમકી અપાઈ હતી. એ ઉપરાંત 27 નવેમ્બર, 2022 ને રોજ પણ ઈ-મેઈલ દ્વારા વડા પ્રધાનને જાનથી મારવાની ધમકી આપનાર યુવકને ગુજરાતની ATSએ બદાયૂંમાંથી ઝડપી લીધો હતો. તેણે વડા પ્રધાન કાર્યાલયને ઈ-મેઈલ મોકલ્યો હતો. 3 માર્ચ, 2023 ને રોજ વારાણસી એરપોર્ટ, વડા પ્રધાન-રાષ્ટ્રપતિ ભવન પર ડ્રોન હુમલાની ધમકી આપતો પત્ર એરપોર્ટના ડિરેક્ટરને મોકલાયો હતો ને પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી હતી. પંજાબમાં વડા પ્રધાનની યાત્રા રોકવાનો પ્રયાસ થયો હતો ને ખુદ વડા પ્રધાને યાત્રા અધૂરી છોડીને પોતે બચીને જઇ રહ્યા છે એ મતલબનો ફોન તે વખતના મુખ્ય મંત્રી ચન્નીને કર્યો હતો તે પણ ઘણાંને યાદ હશે.
આ તો એક જ વડા પ્રધાનને અપાયેલી ધમકીઓની વિગતો છે. એને બે રીતે જોઈ શકાય. એક તો ધમકી આપનારની ગંભીરતા સંદર્ભે અને જેને ધમકી અપાઈ હોય એની સુરક્ષા સંદર્ભે. ધમકી આપનારાઓમાં મોટે ભાગનાને એની બહુ ગંભીરતા હોતી નથી. એમને મન આ કદાચ મજાક છે. ઈ-મેઈલ, મોબાઈલ, ટ્વિટર જેવી સુવિધાઓમાં ગમ્મત કરવાનું ઘણાંને ફાવે છે તો એમાં મેસેજ ઉપરાંત ધમકી પણ આપી દેવાય છે. એનું શું પરિણામ આવશે એની ઘણાંને કલ્પના પણ નથી હોતી. જેમ મેસેજમાં એ ડિવાઈસનો દુરુપયોગ થઈ શકે છે, એમ જ ધમકીઓ આપવામાં પણ એનો દુરુપયોગ થઈ શકે છે. વારુ, ધમકી આપનાર ખરેખર ગંભીર હોય તો તે પણ સાધનો તો આ જ વાપરશે. તે એની કાળજી પણ રાખશે કે પોતે કોઈને હાથ ન ચડે અને ધાર્યું પરિણામ મળે. આવી ધમકી આપનાર જેને ધમકી આપે છે, તેનાથી સંતુષ્ટ હોતો નથી. તેને એ વ્યક્તિએ ઘણો અન્યાય કર્યાનું લાગે છે ને તે ઈચ્છે છે કે એને અન્યાય કરનારનો ઘડો લાડવો થઈને રહે. ઘણીવાર હત્યાની રાજકીય યોજનાઓ પણ બનતી હોય છે. કોઈ રીતે, કોઈ પક્ષે નડતર રૂપ પક્ષ કે વ્યક્તિને માર્ગમાંથી હટાવવાનુ નક્કી કર્યું હોય છે ને એને માટે ભાડૂતી મારાઓથી કામ લેવાય છે. ક્યારેક એવા માણસો રોકવામાં આવે છે, જે મરી જઈને સામેવાળાનો કાંટો કાઢી નાખે. રાજીવ ગાંધીની હત્યા એલ.ટી.ટી.ઈ.એ કરી હોવાની વાત તો જાણીતી છે.
પણ, આમાં મરો પોલીસનો થાય છે. એણે તો ધમકી ગંભીર હોય કે મજાક, પૂરી ગંભીરતાથી ધંધે લાગી જ જવું પડે છે. એને માથે તો બધાં માછલાં ધોવાં પણ તૈયાર જ હોય છે. કેરળની આજની યાત્રા દરમિયાન વડા પ્રધાનને માથે જે જોખમ ઊભું કરાયું છે તે ગંભીર છે. જેને નામે ધમકી પત્ર મોકલાયો તે તો ધમકી આપનાર નથી, કારણ એના હસ્તાક્ષર જુદા પડે છે. એણે જેનું નામ દીધું છે, તે જ ધમકી આપનાર છે એ પણ પાકું નથી. એ સંજોગોમાં કોઈ બીજું જ હોય અને એ ન પકડાય ત્યાં સુધી સૌના જીવ પડીકે બંધાવાના. લોકશાહીમાં અત્યારનાં સમીકરણો એટલાં બદલાયાં છે કે સત્તાધારી પક્ષ સત્તા જાળવી રાખવા જે કરવું પડે એ બધું જ કરી છૂટે છે. એમાં સાધનશુદ્ધિ તો લગભગ અપેક્ષિત નથી, એટલે દેખીતું છે કે વિપક્ષોને પેટમાં તેલ રેડાય. એ સત્તા પર આવીને કૈં સંત સમાગમ કરવાના નથી, પણ એને પણ સત્તામાં આવીને ટકવું હોય છે ને પેઢીઓ તારવી હોય છે, એટલે એ કોઈ પણ રીતે સત્તામાં છે તેને ખસેડીને પોતાની સ્થાપના કરવા માંગે છે. કોઈ આદર્શ, કોઈ સિદ્ધાંત, કોઈ સંવેદના હવે સત્તામાં કે સત્તાની બહાર લગભગ અપેક્ષિત જ નથી. માત્ર સત્તાની સાઠમારી આ એક જ મુદ્દો શાસકો કે વિપક્ષો માટે બચે છે. એમાં કોઈ પ્રોજેક્ટ થઈ ગયો કે ગરીબોનું કલ્યાણ થઈ ગયું તો તે બંને પક્ષે કેવળ અકસ્માત છે. શાસકો માટે કે વડા પ્રધાન કે કોઈ પણ મંત્રી માટેનો વાંધો જેન્યુઇન ભાગ્યે જ હોય છે. મોટે ભાગે જે શત્રુવટ જન્મે છે તે સત્તાના અસંતોષનું જ પરિણામ હોય છે. ધારો કે વાંધો જેન્યુઇન છે, તો પણ કોઈને મારી નાખવાનું લાઇસન્સ મળી જતું નથી. વડા પ્રધાન સામે હજાર વાંધા જ કેમ ન હોય, તે સાચા ને સાત્ત્વિક હોય તો પણ, કોઈને પણ તેમનો સર્વનાશ કરવાનો અધિકાર નથી. દુનિયામાં સૌથી વધુ વસતિ ધરાવતા ભારતના વડા પ્રધાનને જાનથી મારી નાખવાની ધમકી અપાય કે તેવું કોઈ કાવતરું ઘડાય એ દુ:ખદ અને બધી રીતે શરમજનક છે. એની ઘોર નિંદા થવી જ ઘટે.
એવું હૃદયપૂર્વક પ્રાર્થીએ કે વડા પ્રધાનની કેરળ યાત્રા સુખરૂપ પાર પડે ને તેઓ ગૌરવભેર દિલ્હી પાછા ફરે …
000
![]()

