
Deepa Khadar writes on her Facebook wall, 'This cartoon of Satish Acharya was rejected to be published. Can we spread it more widely to show the power of courageous cartoonists who speak 1000 words with 1 picture?'
~ Irony of India
![]()

Deepa Khadar writes on her Facebook wall, 'This cartoon of Satish Acharya was rejected to be published. Can we spread it more widely to show the power of courageous cartoonists who speak 1000 words with 1 picture?'
~ Irony of India
![]()
આ કોલમમાં મેં મેહુલ ચોકસી અને નીરવ મોદીને કઈ રીતે દેશની બહાર જવા દેવામાં આવ્યા અને કઈ રીતે તેઓ જગતના જવાબદાર અને સમૃદ્ધ દેશોમાં ફરીને ધંધો કરી રહ્યા છે એની વિગતો આપી હતી. બહાર આવેલી વિગતો એટલી જડબેસલાક છે કે હજુ સુધી સરકાર પક્ષે તેનો કોઈએ જવાબ આપ્યો નથી. જવાબ આપવાની જરૂર પણ શું છે જ્યારે તેઓ સ્વયંસિદ્ધ દેશપ્રેમીઓ હોય. જેઓ લોકોને દેશપ્રેમના અને દેશદ્રોહના સર્ટિફિકેટ આપતા હોય ત્યારે કોઈની મજાલ છે કે તેમની દેશભક્તિ વિષે કોઈ સવાલ કરે? એટલે તો દેશપ્રેમીઓની દેશભક્તિ વિશેની બીજી જડબાતોડ વિગતો પ્રકાશમાં આવી ત્યારે બે-ચાર અપવાદ છોડીને મીડિયાએ ચુપકીદી સેવી હતી.
ભ્રષ્ટાચાર તો કોંગ્રેસીઓ કરે દેશભક્તો ઓછા કરે? તેમના દેશપ્રેમ વિષે શંકા જ કરવાની ન હોય અને જો કોઈ શંકા કરે તો તેમને દેશદ્રોહીનું લેબલ ચોડી દેવાનું જે રીતે સામ્યવાદી દેશોમાં શાસકો સામે શંકા કરનારાઓને મૂડીવાદી દેશોના એજન્ટ અને સર્વહારાના દુશ્મન તરીકે ઓળખાવવામાં આવતા હતા અને સાઈબેરિયામાં ગાયબ થઈ જતા હતા.
હા તો જડબાતોડ વિગતો ડાસ્સો એવિયેશન નામની કંપની સાથે કરવામાં આવેલા રાફેલ લડાકુ વિમાનના સોદાની છે. બે દિવસ પહેલાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ શૌરી, યશવંત સિન્હા અને જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે એક પત્રકાર પરિષદ બોલાવી હતી અને તેમાં દસ્તાવેજો ખુલ્લા કરવામાં આવ્યા હતા. આવડું મોટું કૌભાંડ અને તેનાથી પણ વધારે અકળાવનારી ચુપકીદી. ભાગ્યે જ કોઈ મીડિયાએ તેની નોંધ લીધી હતી એટલે તમને તો આ ઘટનાની જાણ પણ નહીં થઈ હોય. મીડિયા અને ભક્તો દેશપ્રેમના યજ્ઞના સમિધા બની ગયા છે. પહેલાંને પૈસા મળે છે અને બીજાને મનગમતું સુખ. [આ પત્રકાર પરિષદનો ઉપલબ્ધ વીડિયો લેખને અંતે આપાયો છે. − વિ.ક.]
હવે સોદાની વિગતો તપાસીએ. ૨૦૦૬માં હવાઈ દળે સંરક્ષણ મંત્રાલયને કહ્યું હતું કે મીગ-૨૧ લડાકુ વિમાનો જૂનાં થઈ ગયાં છે એટલે મીડિયમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (એમ.એમ.આર.સી.એ.)ની જરૂર છે. ૨૦૦૭માં ભારત સરકારે ૧૨૬ એમ.એમ.આર.સી.એ .ખરીદવા માટે ઇન્ટરનેશનલ ટેન્ડર બહાર પાડ્યું હતું. કુલ સાત કંપનીઓએ ટેન્ડર ભર્યા હતા, જેમાંથી લશ્કરી અધિકારીઓએ ફ્રેંચ કંપની ડાસ્સોના રાફેલ અને અમેરિકન ટાયફૂનને શોર્ટ લીસ્ટ કરવામાં આવ્યા હતા. એ પછી વાટાઘાટો થઈ હતી અને છેવટે યુ.પી.એ. સરકારે રાફેલ વિમાનો ખરીદવાનો નિર્ણય લીધો હતો. ભાવ પણ તેના બીજી કંપનીઓ કરતાં ઓછો હતો.
૨૦૧૪માં લોકસભાની ચૂંટણી યોજાઈ એના મહિના પહેલાં ૧૩મી માર્ચે ભારત સરકારની હિન્દુસ્તાન એરૉનેટિક લિમિટેડ (એચ.એ.એલ.) અને રાફેલ વિમાન બનાવનાર ડાસ્સો વચ્ચે ભાગીદારીનો કરાર થયો હતો. કરારમાં સમજૂતી એવી હતી કે ભારત સરકાર રાફેલના ૧૮ વિમાન ફ્લાય અવે કન્ડિશનમાં એટલે કે લશ્કર તાત્કાલિક ઉપયોગમાં લઈ શકે એ રીતે આપશે. ૧૨૬માંથી બાકીના ૧૦૮ વિમાનોનું ઉત્પાદન ભારતમાં થશે જેને માટે ડાસ્સો હિન્દુસ્તાન એરૉનોટિકને ટેકનોલોજીને વિમાન બનાવવાની ટેકનોલોજી આપશે. આ રીતે રાફેલ વિમાનોનું ૭૦ ટકા ઉત્પાદન ભારતમાં એચ.એ.એલ. કરશે અને ૩૦ ટકા કામ ડાસ્સો કરશે. વાચકને જાણ હશે કે એચ.એ.એલ. ભારત સરકારની માલિકીની છે અને વિમાન બનાવવાનો ૬૦ વરસનો અનુભવ છે.
૨૦૧૪ના મેં મહિનામાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને છે અને અનેક સૂત્રોની માફક મેક ઇન ઇન્ડિયાનું સૂત્ર આપે છે. અમને તમારી મૂડી, ટેકનોલોજી અને નફા સામે વાંધો નથી; ઉત્પાદન ભારતમાં કરો એ મેક ઇન ઇન્ડિયાનું તાત્પર્ય છે. એના દ્વારા રોજગારી મળશે, પૂર્જાઓની સપ્લાય કરનારાઓને ધંધો મળશે અને સરકારને કરવેરાની આવક થશે. હવે રાફેલ વિમાનોનું તો ૭૦ ટકા ઉત્પાદન ભારતમાં થવાનું હતું અને ઉપરથી ટેકનોલોજી(નો હાઉ)નો લાભ મળવાનો હતો. માત્ર ૧૮ વિમાન ખરીદવાના અને ૧૦૮ ભારતમાં બનાવવાના.
યુ.પી.એ. સરકારે સોદાને આખરી સ્વરૂપ નહોતું આપ્યું, પરંતુ સોદાની સમજૂતી બની ગઈ હતી. પ્રારંભમાં અરુણ જેટલી સંરક્ષણ પ્રધાન હતા અને તેમણે ક્યારે ય નહોતું કહ્યું કે રાફેલ સોદાની સમજૂતી વિષે ફેરવિચાર કરવામાં આવશે. એ પછી નવેમ્બર ૨૦૧૪માં મનોહર પર્રીકરને સંરક્ષણ પ્રધાન બનાવવામાં આવ્યા હતા અને તેમણે પણ ક્યારે ય નહોતું કહ્યું કે રાફેલ સોદા વિષે પુનર્વિચાર કરવાની જરૂર છે. બધું જ બરોબર ચાલતું હતું અને ૧૦મી એપ્રિલ ૨૦૧૫ના રોજ વડા પ્રધાનની ફ્રાંસની મુલાકાતની તૈયારી ચાલી રહી હતી.
૨૫મી માર્ચે ડાસ્સો કંપનીના સી.ઈ.ઓ.એ અંતિમ સોદાની તૈયારી વિષે સંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે તેમની એચ.એ.એલ.ના અધ્યક્ષ સાથેની વાતચીત સફળ રહી હતી. બધી જ તૈયારીઓ થઈ ગઈ છે અને સમજૂતીની વિગતો સ્પષ્ટ થઈ ગઈ છે. તેમના શબ્દોમાં: ‘હું કેટલો ખુશ છું એની કલ્પના તમે કરી શકો છો. ડાસ્સો અને એચ.એ.એલ.ની જવાબદારીઓની ભાગીદારી (ટેકનોલોજી આપવાની અને ૭૦ ટકા ઉત્પાદન એચ.એ.એલ. ભારતમાં કરશે)ની બાબતમાં અમે પ્રતિબદ્ધ છીએ. મને હવે ખાતરી છે કે બહુ જલદી સોદા પર હસ્તાક્ષર થવાના છે અને એ વાતે હું ઉત્સાહિત છું.’ આ નિવેદન વડા પ્રધાન ફ્રાંસ જાય એના ૧૬ દિવસ પહેલાનું છે.
વડા પ્રધાન ફ્રાંસ જવાના હતા એના એક અઠવાડિયા પહેલાં ભારત સરકારના વિદેશ સચિવ શું કહે છે જુઓ: ના ના, તેમણે સૂર બદલ્યો હતો એવા અનુમાન પર તમે પહોંચ્યા હો તો તમે ભૂલ કરો છો. તેમણે પણ એ જ વાત કરી હતી જે ડાસ્સોના સી.ઈ.ઓ.એ કરી હતી. તેમણે કહ્યું હતું કે રાફેલ વિમાન બનાવનારી ફ્રેંચ કંપની, દેશનું સંરક્ષણ મંત્રાલય અને હિન્દુસ્તાન એરૉનેટિક લિમિટેડ સોદાને આખરી ઓપ આપી રહ્યા છે. આ ભારતના વિદેશ સચિવનું નિવેદન છે.
૧૦મી એપ્રિલ ૨૦૧૫ના રોજ વડા પ્રધાન ફ્રાંસ જાય છે અને રાફેલના કરવામાં આવેલા સોદામાંથી હિન્દુસ્તાન એરૉનેટિક કંપની ગાયબ થઈ જાય છે. જે કંપની ભારત સરકારની માલિકીની છે અને ૬૦ વરસથી વિમાનો બનાવવાનો અનુભવ ધરાવે છે એ સોદામાંથી સાવ ગાયબ થઈ જાય છે. અચાનક. કોઈ ખુલાસા વિના. નવા સોદા મુજબ ભારત સરકાર ૩૬ વિમાનો રેડી ટુ ફ્લાયની કન્ડિશનમાં ખરીદશે. કેટલા રૂપિયામાં? યુ.પી.એ. સરકારે ઠરાવેલા ભાવ કરતાં બમણી કિંમતે. વડા પ્રધાન ૧૦મી એપ્રિલે ફ્રાંસ હતા અને ૧૩મી એપ્રિલે એ સમયના સંરક્ષણ પ્રધાન મનોહર પર્રીકરે દૂરદર્શનને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ૧૨૬ વિમાનો ખરીદવાનો સોદો ૯૦ હજાર કરોડ રૂપિયાનો હશે.
ખેલની ચરમસીમા હવે આવે છે. રિલાયન્સ ડિફેન્સ (મૂળ નામ પીપાવાવ શિપયાર્ડ લિમિટેડ, એ પછી નામ બદલીને પીપાવાવ ડિફેન્સ એન્ડ ઓફશોર એન્જિનિયરિંગ કંપની લિમિટેડ, એ પછી નામ બદલીને રિલાયન્સ ડિફેન્સ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ અને હવે તાજું નામ રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ)ના અધ્યક્ષ અનીલ અંબાણી પાછળ પાછળ ફ્રાંસ જાય છે અને રાફેલ વિમાન બનાવવા માટે જોઈન્ટ વેન્ચર કંપનીની રચના કરે છે. કાગળ પર રચના કરે છે, સ્થાપના તો થાય ત્યારે. રિલાયન્સને વિમાન બનાવવાનો શૂન્ય અનુભવ છે. જેમ મોટાભાઈની જીઓ યુનિવર્સિટીને તેની સ્થાપના થાય એ પહેલાં એક્સ્લન્સીનો દરજ્જો આપી દેવામાં આવ્યો હતો એમ નાનાભાઈને કંપની સ્થપાય એ પહેલાં ભારત સરકાર માટે વિદેશી કંપની સાથે મળીને વિમાન બનાવવાનો સોદો આપી દીધો.
કેવો ધગધગતો દેશપ્રેમ! રાષ્ટ્રવાદ હો તો આવો હજો! મેક ઇન ઈન્ડિયા માટે કેવી પ્રતિબદ્ધતા. સરકારના વડા તરીકે પોતાની માલિકીની કંપની માટે કેવો અનુરાગ! હવે જ્યારે સવાલ ઊઠાવવામાં આવે છે ત્યારે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન્ કહે છે કે ફ્રાંસ સરકાર સાથેનો ગુપ્તતાનો ક્લોઝ વચ્ચે આવે છે, એટલે સરકાર વિગતો જાહેર કરી શકતી નથી. ગુપ્તતા? ચૂંટણી પહેલાં તો પારદર્શકતાની વાતો કરવામાં આવતી હતી, તો આ ગુપ્તતા ક્યાંથી આવી? શા માટે સામે ચાલીને કાંડાં કાપી આપ્યાં? દેશદ્રોહી અને ભ્રષ્ટ યુ.પી.એ.ના શાસકોએ તો કાંડાં કાપીને નહોતા આપ્યાં તો દેશભક્તોને એની શી જરૂર પડી?
દેશભક્તિ એક અમલ છે જે બેવકૂફ ભક્તોને કેફમાં રાખે છે. જો સુરતમાં હો તો આટલા સવાલ પૂછી જુઓ:
એક. યુ.પી.એ. સરકારે કરેલી સમજૂતી ખામીવાળી છે એમ નરેન્દ્ર મોદીની સરકારના સંરક્ષણ પ્રધાને, સંરક્ષણ મંત્રાલયની સંસદીય સમિતિએ, લશ્કરી અધિકારીઓએ, સુરક્ષા નિષ્ણાતોએ કે બીજા કોઈએ કહ્યું હતું ખરું?
બે. હિન્દુસ્તાન એરૉનોટિક વિમાનો બનાવવાની ક્ષમતા નથી ધરાવતી એવો ઊહાપોહ કોઈએ કર્યો હતો ખરો?
ત્રણ. મનોહર પર્રીકરે સોદાની કિંમત ૯૦ હજાર કરોડ રૂપિયા બતાવી છે એ વિષે ખુલાસો કેમ કરવામાં નથી આવતો? કમસેકમ રદિયો તો આપો? આનો અર્થે થયો કે દેશના સંરક્ષણ પ્રધાનને સુધ્ધા રિલાયન્સના થઈ રહેલા પ્રવેશની જાણ નહોતી.
ચાર. રિલાયન્સે બહુ અદ્ભુત ટેકનોલોજી હાંસિલ કરી છે અને તે ડિફેન્સ પ્રોડક્શનમાં ક્રાંતિ કરવાની છે એવું કોઈએ કહ્યું છે ખરું? અહીં તો એવું પણ નથી.
પાંચ. જો જો હિન્દુસ્તાન એરૉનોટિકને હટાવી દેવાની હતી તો તેના અધ્યક્ષ વડા પ્રધાન ફ્રાંસ ગયા એના પખવાડિયા પહેલા સુધી ડાસ્સો વાતચીત શા માટે કરતા હતા? શું તેમને પણ અંધારામાં રાખ્યા હતા?
છ. વડા પ્રધાન ફ્રાંસ ગયા એના અઠવાડિયા પહેલાં ભારત સરકારના વિદેશ સચિવ એચ.એ.એલ.નો ઉલ્લેખ કરે છે. ભારતના વિદેશ સચિવને પણ અંધારામાં રાખવામાં આવ્યા હતા?
સાત. હવે કહો તો ખરા કે ભારતને ચોક્કસ શું ભાવે વિમાનો પડવાના છે?
આને ગેમ કરી નાખી કહેવાય. તમે આ નહોતા જાણતા ને?
સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 13 અૉગસ્ટ 2018
Press conference by Swaraj Abhiyan National President Prashant Bhushan, Yashwant Sinha & Arun Shourie on the biggest defence Scam of our Country i.e. "BJP's Bofors" #Rafale.,
https://www.youtube.com/watch?v=3pYnDNSadq8
![]()
લોકમાન્ય ટિળક, મદનમોહન માલવિય, લાલા લાજપત રાય અને બીજા જે કેટલાક હિંદુપક્ષપાત ધરાવતા નેતાઓ હતા તેમને પણ નહોતું લાગતું કે ભારતની ભૂમિ અને આબોહવા હિંદુ બહુમતી રાષ્ટ્રવાદને અનુકૂળ છે. ગાંધીજીના આવ્યા પછી કૉંગ્રેસમાં પણ મોટી સંખ્યામાં હિંદુ પક્ષપાતી નેતાઓ હતા અને તેમને પણ નહોતું લાગ્યું કે ભારતની ભૂમિમાં હિંદુ રાષ્ટ્રવાદનો છોડ ઊછરી શકે.
આપણે અહીં રાજકીય પ્રભાવ/જગ્યા(પોલિટિકલ સ્પેસ)ની ચર્ચા કરી રહ્યા છીએ. ભારતીય સમાજમાં એવું શું છે જેને કારણે કૉંગ્રેસને પાંચ પાંચ દાયકા માટે ખાતરીપૂર્વકની રાજકીય જગ્યા મળે જેમાં ૪૦ ટકા જેટલા મત અને બે તૃતીયાંશ બહુમતી તો આસાનીથી મળી જતી હતી. બીજી બાજુ ભારતીય જન સઘ અને હવે બી.જે.પી.ને સત્તા સુધી પહોંચતા છ દાયકા લાગ્યા, સ્પષ્ટ બહુમતી મેળવતા સાત દાયકા લાગ્યા અને બીજી મુદ્દત મળશે કે કેમ એની ખાતરી નથી. આ એ લોકો છે જે શીરાની જેમ ગળે ઊતરી જાય એવી દેશપ્રેમની અને રાષ્ટ્રવાદની દલીલ કરે છે. દેશની બહુમતી પ્રજા કરોડરજ્જુ છે, ભરોસાપાત્ર છે, દેશનું હિત જેટલું તેના હૈયે છે એટલું બીજી કોઈ પ્રજાના હૈયે ન હોઈ શકે, વગેરે. આવી દલીલ તેઓ આજકાલ કરતા થયા છે એવું નથી, સો વરસથી કરે છે. અહીં એ પણ નોંધી લેવું જોઈએ કે કૉંગ્રેસ આવી દલીલનો ખોંખારો ખાઈને વિરોધ કરતી હતી, બીજા શબ્દોમાં કહેવું હોય તો દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનો વિરોધ કરતી હતી અને છતાં ભારતની બહુમતી હિન્દુ પ્રજા જન સંઘ/બી.જે.પી.ની જગ્યાએ કૉંગ્રેસને મત આપતી હતી. જરૂર ભારતીય સમાજના સ્વરૂપમાં આનો ઉત્તર હોવો જોઈએ.
ઉત્તર એ છે કે ભારતીય સમાજનું, ખાસ કરીને હિંદુ સમાજનું જે સ્વરૂપ છે એ પશ્ચિમમાં વિકસિત થયેલા રાષ્ટ્રવાદને અનુકૂળ નથી. પશ્ચિમના દેશો એક ધર્મ, મોટાભાગે એક ભાષા અને બે-ત્રણ વંશિકતાઓના બનેલા છે; જ્યારે ભારતમાં તો બહુવિધતાઓનો કોઈ પાર નથી. વિવિધતા એટલી બધી કે ભારતમાં દરેક પ્રજા પોતાને લઘુમતી તરીકે ઓળખાવી શકે. હિંદુઓ પણ પોતાને લઘુમતી તરીકે ઓળખાવી શકે તે ત્યાં સુધી કે ભારતમાં હિંદુ જાગરણનો પાયો નાખનાર આર્ય સમાજે અને રામકૃષ્ણ મિશને પણ પોતાને માટે ગેરહિંદુ લઘુમતી કોમનો દરજ્જો માંગ્યો હતો. ભારતમાં દરેક પ્રજા લઘુમતીમાં છે, દરેક પ્રજા પરસ્પરાવલંબી છે અને દરેક પ્રજા એકબીજાનું સંતુલન કરે છે. એટલે તો અંગ્રેજોને પહેલાં એમ લાગ્યું હતું કે ભારતમાં સેંકડો વરસ સુધી રાજ કરી શકાશે. એ પછી જ્યારે પરસ્પરાવલંબન અને સંતુલન જોયું ત્યારે તેમને એમ લાગ્યું હતું કે સેંકડો તો નહીં, પણ ભારતીય પ્રજામાં વેરઝેરના ભાગલા પાડો તો સો-બસો વરસ રાજ કરી શકાશે. આપણે અંગ્રેજોની એ નીતિને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ તરીકે ઓળખાવીએ છીએ. અહીં નોંધી લેવું જોઈએ કે અંગ્રેજોની એ ધારણા પણ ખોટી પડી હતી અને તેમની ગણતરી કરતાં ઘણું વહેલું ભારત છોડીને જવું પડ્યું હતું.
હવે કલ્પના કરો કે આવી સ્થિતિમાં ૧૯મી સદીમાં ભારતમાં અસ્તિત્વમાં આવેલી પહેલી શિક્ષિત પેઢીએ શું કરવું જોઈતું હતું? તમે હો તો શું કરો? આગળ વધતા પહેલાં અહીં થોભીને તમે તમારા માટેનો જવાબ શોધી લેશો તો અહીં જે પોલિટિકલ સ્પેસની શાશ્વતીનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે એનો જવાબ મળી જશે. કેટલાક લોકોને એમ લાગ્યું હતું કે આપણે પશ્ચિમ જેવી રાષ્ટ્રીયતા વિકસાવવી જોઈએ. એ જ એકમાત્ર માર્ગ છે, બીજો કોઈ માર્ગ જ નથી. પરંતુ એમાં બહુમતી પ્રજાની જરૂર પડે અને એને ક્યાંથી લાવવી? હિંદુઓ એક રીતે બહુમતીમાં ખરા, પણ હિંદુ ધર્મ ક્યાં રૂઢ અર્થમાં ધર્મ છે, એ તો શ્રદ્ધાઓનો સમૂહ છે. અંગ્રેજીમાં તેને કોમનવેલ્થ ઓફ ફેઈથ્સ તરીકે ઓળખવામાં આવે છે.
તો ચાલો આપણે હિન્દુ ધર્મનો ચહેરો અને સ્વરૂપ બદલી નાખીએ. દયાનંદ સરસ્વતીને આવું લાગ્યું હતું અને આર્ય સમાજ એનું પરિણામ છે. પશ્ચિમના ધર્મો મૂર્તિપૂજામાં નથી માનતા તો આપણે પણ મૂર્તિને તજીને ઓમકારની આરાધના કરીશું, એ લોકો એક જ ધર્મગ્રન્થમાં માને છે તો આપણે પણ એક વેદ ને ધ બુક તરીકે પ્રસ્થાપિત કરીશું. એ લોકો ટીલાં ટપકાં અને કર્મકાંડના પાખંડ ઓછા કરે છે તો ચાલો આપણે પણ કર્મકાંડને નિશિદ્ધ કરીશું વગેરે. ટૂંકમાં હિંદુ ધર્મનું પાશ્ચાત્યકરણ અથવા આખેઆખી નકલ. દયાનંદ સરસ્વતીના આ પ્રયોગને સફળતા મળી નહીં. શૈવ, વૈષ્ણવ અને બીજા અનેક પેટા સંપ્રદાયોમાં વહેંચાયેલા સનાતની હિંદુઓએ તેનો વિરોધ કર્યો. ઉપરાંત જેઓ કર્મકાંડના પાંખંડ કરીને પેટ ભરતા હતા એ બ્રાહ્મણોએ આર્ય સમાજનો વિરોધ કર્યો અને બ્રાહ્મણો તો સનાતની હિંદુ સમાજમાં વર્ચસ્વ ધરાવતા હતા. કહો કે સંખ્યા નહીં હોવા છતાં બ્રાહ્મણો હિંદુ સમાજના કરોડરજ્જુ જેવા હતા.
હિંદુઓના એકમાત્ર રાજકીય પક્ષ હિંદુ મહાસભા ક્યારે ય બે પગે ઊભો નહોતો રહ્યો કારણ કે આર્ય સમાજીઓ, અન્ય સુધારકો અને સનાતનીઓ હિંદુ હોવા છતાં એકબીજાની સાથે ચાલવા તૈયાર નહોતા. એક જ ઉદાહરણ બસ થશે. જાણીતા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાએ હતાશા સાથે ગાંધીજીને પત્ર લખ્યો હતો કે ‘હું માલવીયજી અને લાલાજી વચ્ચે સમજૂતી કરાવવાના પ્રયાસમાં નિષફળ નીવડ્યો છું અને હવે તો થાકી ગયો છું.’ લાલા લાજપત રાય આર્ય સમાજી હતા, મદન મોહન માલવિય સનાતની હતા, બિરલા દરેકને આર્થિક સહાય કરનારા હિન્દુવાદી ઉદ્યોગપતિ હતા અને ગાંધીજી હિંદુ એકતાના પ્રયાસને તટસ્થતાપૂર્વક નિહાળતા હતા.
ખેર, વિરોધ કરનારાઓને જવાબ આપવામાં દયાનંદ સરસ્વતીએ જે ભાષા વાપરી હતી એ આજના આર.એસ.એસ./બી.જે.પી.ના નેતાઓ જેવી જ હતી. બધું જ સમાંતરે ચાલી રહ્યું છે એ નોંધતા જજો. આંતરિક રીતે વિભાજીત પણ પરસ્પરાવલંબી ભારતીય સમાજમાં રાજ કરવું હોય તો સમાજમાં ભાગલા પાડીને, એકબીજા સામે ઝેર રેડીને કરી શકાય છે એ જે માર્ગ અંગ્રેજોએ અપનાવ્યો હતો એ જ માર્ગ અત્યારે બી.જે.પી. અને સંઘપરિવાર અપનાવી રહ્યા છે. આર્ય સમાજને પંજાબની બહાર કોઈ સફળતા મળી નહોતી અને પંજાબમાં જે સફળતા મળી એનું કારણ પંજાબમાં મુસલમાનોની થોડીક બહુમતી હતી. આર્ય સમાજના આંદોલનને પરિણામે હિંદુ એકતા તો સધાઈ નહીં, પરંતુ શીખો જે પોતાને હિંદુ તરીકે ઓળખાવતા હતા એ હવે દૂર ગયા. સતત લકારવાની ભાષા, દાદાગીરી અને સમાજમાં તિરાડો પાડીને જગ્યા શોધવાનું વલણ અત્યારે જે જોવા મળી રહી છે એના મૂળ આર્ય સમાજી આંદોલનમાં અને અંગ્રેજોની નીતિમાં છે.
આમ હિંદુ ધર્મનું સ્વરૂપ બદલવામાં અને એ રીતે હિંદુ સમાજનો ચહેરો બદલવામાં સફળતા મળી નહીં. તો પછી ભરોસાપાત્ર રાષ્ટ્રીયતા વિકસાવવા માટે બહુમતી પ્રજા તરીકે કોનો ઉપયોગ કરવો? રાષ્ટ્રવાદની પાશ્ચાત્ય અવધારણા મુજબ ભરોસાપાત્ર બહુમતી કોમ જરૂરી છે.
તો ચાલો ઇટાલી અને જર્મનીમાં વિકસેલા કોમી બહુમતી રાષ્ટ્રવાદને બેઠો આયાત કરીએ. શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ કરવા માટેનો આ બીજો પ્રયાસ હતો. વિનાયક દામોદર સાવરકર આના પુરસ્કર્તા હતા. હિંદુઓ પરંપરાગત રીતે સંગઠિત નથી, હિંદુ ધર્મનું સ્વરૂપ બદલીને હિંદુનો એક સરખો ચહેરો કંડારવામાં આર્ય સમાજને સફળતા મળી નહીં તો ચાલો વિધર્મી સમાજને ધકેલીને બહુમતી હિંદુઓની એકતા વિકસાવીએ. તેમને મન આનું નામ રાષ્ટ્રીય એકતા હતું. આવો રાષ્ટ્રવાદ વિકસાવવા માટેના પદાર્થો છે; અન્ય ધર્મની નિંદા, વિધર્મીના દેશપ્રેમ વિશે શંકા, ઇતિહાસનો અનુકૂળ આવે એવો હવાલો આપીને વિધર્મીઓની ગદ્દારીઓ શોધી કાઢવી, જુઠાણાં અને કૂપ્રચાર, ઉદારમતવાદીઓનું ચારિત્ર્ય હનન કે શારીરિક હનન વગેરે. આગળ કહ્યું એમ બધું જ સમાંતરે ચાલી રહ્યું છે. અંગ્રેજોએ ભાગલા પાડીને રાજ કરવા માટે ઇતિહાસનાં પુસ્તકો એ રીતે લખ્યા હતા કે જેથી હિંદુઓ, મુસલમાનો અને બીજા દરેકને એકબીજા સામે દારૂગોળો તાકવા માટે મસાલો મળી રહે. હિંદુઓની અંદર પેટા-સંપ્રદાયો અને બહુજન સમાજ માટે પણ અનુકૂળ ઇતિહાસ ઉપલબ્ધ કરી આપ્યો હતો.
બધું જ આયાતી. આર્ય સમાજનો પહેલો પ્રયોગ આયાતી. બહુમતી રાષ્ટ્રવાદનો બીજો પ્રયોગ આયાતી. ભાષા અને સાધનો આયાતી. અંગ્રેજોએ લખેલો ઇતિહાસ આયાતી. કશું કરતાં કશું ભારતીય નહોતું અને આજે પણ નથી. ટૂંકમાં હિન્દુ બહુમતી રાષ્ટ્રવાદ અથવા હિંદુ રાષ્ટ્ર એ ભારતની ભૂમિમાં, ભારતની આબોહવામાં વિકસેલો છોડ નથી.
સવાલ એ છે કે શુ ભારતની ભૂમિ અને આબોહવા વિદેશથી આયાત કરેલા બહુમતી રાષ્ટ્રવાદના છોડને ઉછેરી શકે એવી અનુકૂળ છે? લોકમાન્ય ટિળક, મદન મોહન માલવિય, લાલા લાજપત રાય અને બીજા જે કેટલાક હિંદુપક્ષપાત ધરાવતા નેતાઓ હતા તેમને પણ નહોતું લાગતું કે ભારતની ભૂમિ અને આબોહવા હિંદુ બહુમતી રાષ્ટ્રવાદને અનુકૂળ છે. ગાંધીજીના આવ્યા પછી કૉંગ્રેસમાં પણ મોટી સંખ્યામાં હિંદુ પક્ષપાતી નેતાઓ હતા અને તેમને પણ નહોતું લાગ્યું કે ભારતની ભૂમિમાં હિંદુ રાષ્ટ્રવાદનો છોડ ઊછરી શકે. જો તેમને એવી શકયતા દેખાઈ હોત તો કદાચ તેમણે એ માર્ગ અપનાવી પણ જોયો હોત એટલી હદે તેઓ હિંદુપક્ષપાતી હતા. કૉંગ્રેસના બહુ ઓછા હિંદુ નેતાઓએ ગાંધીજીના અનાગ્રહી રાષ્ટ્રવાદને દિલથી સ્વીકાર્યો હતો, પરંતુ તેઓ લાચાર હતા.
આમ એ સમયે કૉંગ્રેસમાં જે હિંદુ નેતાઓ હતા તેમને સાવરકર જેવાઓનો માર્ગ વ્યવહારુ નહોતો લાગતો. આજે રાષ્ટ્રવાદીઓ અને દેશભક્તોની જે દલીલો તમને શીરાની જેમ ગળે ઊતરી જાય છે એ ત્યારે મોટા ગજાના હિંદુ નેતાઓને ગળે ઊતરી નહોતી. એવું બને એ નેતાઓ આજના ભક્તો જેટલા બુદ્ધિમાન નહીં હોય અથવા તેમનો દેશપ્રેમ ટકોરાબંધ નહીં હોય. આજકાલના ભક્તો તો બત્રીસલક્ષણા છે અને તેમની સામે ગીતા રહસ્ય લખનારા લોકમાન્ય ટિળકનું શુ ગજું?
તો પછી એ સમયના કોંગ્રેસના હિંદુ નેતાઓ પાસે વિકલ્પ શું હતા? એક વિકલ્પ સાવરકરનો દાદાગીરીનો હતો, જે તેમને વ્યવહારુ નહોતો લાગતો. બીજો વિકલ્પ અનુનયનો હતો, પણ કેટલાનો અનુનય કરવો અને ક્યાં સુધી? મુસલમાનોનો કરો, અન્ય વિધર્મીઓનો કરો, દલિતોનો કરો, બહુજન સમાજનો કરો, દક્ષિણ ભારતીયોનો કરો, ઈશાન ભારતના વાંશિક અસ્મિતાઓ ધરાવતા લોકોની કરો, આધુનિકોની કરો, સનાતનીઓનો કરો, શીખોની કરો, હિંદુ પેટા-સંપ્રદાયવાળાઓની કરો એમ કેટલા લોકોને રાજી કરતા રહેવાનું અને ક્યાં સુધી? આનો તો ક્યારે ય અંત જ નહીં આવે.
ત્રીજો વિકલ્પ રાજકીય સમજૂતીનો હતો. એવો કોઈક ઢાંચો વિકસાવીએ કે આપસમાં સમજૂતી કરીને સાથે જીવીએ. સંખ્યા મુજબ ભાગીદારી. વ્યાપકપણે ભાગીદારી હિંદુ અને મુસલમાન વચ્ચે. એ પછી હિંદુ અને મુસલમાનો પોતાને મળેલા હિસ્સામાંથી દલિતો, બહુજન સમાજ, શિયાઓ કે જેને ભાગ આપવો હોય એને આપે. ટૂંકમાં ભારતમાં હિંદુઓનું સામાજિક સ્વરૂપ એવું છે જેને બદલી શકાય એમ નથી અને પશ્ચિમના દેશો જેવી રાષ્ટ્રીયતાના અભાવમાં દાદાગીરી થઈ શકે એમ નથી. જો દાદાગીરી કરવા જાઓ તો લાભ કરતાં નુકસાન વધારે છે જે રીતે પંજાબમાં શીખોએ પોતાને હિંદુ તરીકે ઓળખાવવાનું બંધ કર્યું. જો પંજાબમાં આર્ય સમાજીઓએ દાદાગીરીવાળું આક્રમક રાજકારણ ન કર્યું હોત તો ખાલીસ્તાનનું આંદોલન ન થયું હોત.
તો સતામાં ભાગીદારીની સમજૂતી એ એક માત્ર વ્યવહારુ માર્ગ છે એમ એ સમયના કૉંગ્રેસના હિંદુ નેતાઓને લાગ્યું હતું. ૧૯૧૬માં લખનૌમાં મળેલા કૉંગ્રેસ અધિવેશનમાં હિંદુઓ અને મુસલમાનો વચ્ચે ભાગીદારીની સમજૂતી થઈ હતી. એ સમજૂતીના આર્કિટેક્ટ હતા કૉંગ્રેસ અર્થાત્ હિંદુઓ તરફે લોકમાન્ય ટિળક અને મુસલમાન તરફે મહમ્મદ અલી જિન્નાહ.
હવે આવે છે મોહનદાસ ગાંધી જે જુદો જ રસ્તો અપનાવે છે જેની વાત આવતા અઠવાડિયે.
સૌજન્ય : ‘નો-નૉનસેન્સ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 12 અૉગસ્ટ 2018
![]()

