હદ્ગત
ક્યારેક વર્તમાનપત્રોમાં સમાચાર આવે છે – ગિરના જંગલમાં સિંહ કે સિંહો મૃત્યુ પામ્યા છે. તે સમાચાર સાંભળીને હોબાળો મચી જાય છે. ગોહત્યાના સાચા કે ખોટા સમાચાર જાણીને તોફાનો ફાટી નીકળે છે અને તેમાં માનવોને ગોળીઓથી વીંધી નાખવામાં આવે છે.
સિંહ અને ગાયનાં જીવનનું મૂલ્ય છે. તેમની સંભાળ લેવાય તે ઉચિત જ છે, પરંતુ પ્રશ્ન એ છે કે માનવીનાં જીવનનું કોઈ મૂલ્ય જ નથી? પ્રતિદિન અનેક માનવોની અનેક રીતે હત્યાઓ થઈ રહી છે અને ત્યારે તો, એ તો જાણે સદી ગયું છે, કોઠે પડી ગયું છે?
મહાભારતના શાંતિપર્વમાં પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને અને યુધિષ્ઠિરને નિમિત્ત બનાવીને સમગ્ર માનવજાતને કહે છે –
गुह्यं ब्रह्मं तदिदं ब्रवीमि राजन्।
नहि मानुषात् श्रेष्ठतरं हि किज्चित्।।
‘હે રાજન ! હું તમને એક ગુહ્ય રહસ્ય કહું છું – અહીં (આ સૃષ્ટિમાં) માનવીથી શ્રેષ્ઠ (અધિક) કાંઈ જ નથી.’
આ જ સત્યનો અનુવાદ કરતાં હોય તેમ ગુરુદેવ ટાગોર પણ કહે છે –
સબાર પોરે માનુષ
માનુષાત્ પોરે કિછુ નાહિ
“માનવી સૌથી શ્રેષ્ઠ છે. અહીં માનવીથી અધિક કાંઈ જ નથી.”
માનવી ! હા, માનવી શ્રેષ્ઠ છે. માનવી કેન્દ્રમાં છે. બાકીનું બધું કેન્દ્રમાં આવી જાય અને માનવી બાજુમાં હડસેલાઈ જાય, તો આપણે ખોટે રસ્તે ચડી જઈએ છીએ.
આનો અર્થ એવો નથી કે આ પૃથ્વી પર માનવીનો એકાધિકાર છે. આ પૃથ્વી પર વસતાં સૌ પ્રાણીઓ – પશુઓ, પંખીઓ, જીવજંતુઓ અને વનસ્પતિસૃષ્ટિ – સૌનો આ પૃથ્વી પર રહેવાનો અને જીવવાનો અધિકાર છે. આ અસ્તિત્વનું સત્ય છે અને આપણે તેની અવગણના ન કરી શકીએ.
આ બધું છતાં આ પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં માનવીનું એક વિશેષ સ્થાન પણ છે, તે આપણે ન ભૂલી શકીએ. ‘સબાર પોરે માનુષ’નો આ જ અર્થ છે.
વર્તમાનકાળમાં એવું બનતું જોવા મળે છે કે કોઈક બીજું જ, કેન્દ્રમાં આવી જાય છે અને માનવી પરિઘ પર ધકેલાઈ જાય છે.
પરિવાર, સંસ્થા, ગામ, શહેર, રાજ્ય, રાષ્ટ્ર આ બધું કોના માટે છે? માનવી માટે જ ને! માનવી માટે આ બધું છે કે માનવી આ બધાં માટે છે? વ્યક્તિ સંસ્થા માટે કે સંસ્થા વ્યક્તિ માટે ? બની ગયું છે એવું કે સંસ્થા કેન્દ્રમાં આવી જાય છે અને વ્યક્તિ, હા માનવવ્યક્તિ પરિઘ પર ધકેલાઈ જાય છે. કોઈ પણ રાષ્ટ્ર, રાજ્ય, શહેર, ગામ, સંસ્થા કે પરિવાર માનવી વિના, વ્યક્તિ વિના ન બની શકે. આ બધું માનવ થકી છે અને માનવ માટે છે. માનવની અવગણના ન થાય, તેવી કાળજી આપણે હજુ શીખવાની છે.
એક દૃષ્ટાંત દ્વારા આ સમજવાનો પ્રયત્ન કરીએ. શિક્ષણસંસ્થાના કેન્દ્રમાં કોણ ? સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ કે અન્ય કોઈ? શિક્ષણસંસ્થાનું કેન્દ્ર વિદ્યાર્થી છે. વિદ્યાર્થીઓ માટે શિક્ષણસંસ્થા છે; શિક્ષણસંસ્થા માટે વિદ્યાર્થીઓ નથી. પણ જાણ્યે કે અજાણ્યે વિદ્યાર્થીઓ બાજુમાં ધકેલાઈ જાય છે અને બીજું જ કોઈક કેન્દ્રમાં આવી જાય છે.
કેન્દ્ર-પરિઘનો વિવેક આપણે રાખવો પડશે. માનવી કેન્દ્રમાં છે – આ સત્ય આપણે સતત નજર સમક્ષ રાખવું જોઈએ.
વધુ એક દૃષ્ટાંત લઈએ.
વર્તમાનપત્રોમાં અનેક વાર આ પ્રકારના સમાચાર આવે છે :
… બસ ખીણમાં પડી ગઈ. ૪૦ મુસાફરો મૃત્યુ પામ્યા.
આવા સમાચાર જાણીને આપણા મનમાં શું થાય છે ? લગભગ કાંઈ જ નહીં? પરંતુ માનવીને સ્થાને ૪૦ ગાયો કે ૪૦ સિંહો મૃત્યુ પામ્યા હોત તો? તો તો ચારે ય બાજુ હોહા મચી જાત! માનવીનું આટલું જ મૂલ્ય છે ? ગાય કરતાં પણ માનવીનું મૂલ્ય ઓછું છે? સિંહ કરતાં પણ માનવીનું મૂલ્ય ઓછું છે? હા, લાગે છે તો એવું જ!
વારંવાર સમાચાર આવે છે.
“સરહદ પર .. સૈનિકો શહીદ થયા” આપણે આ જાણીને હરખાઈએ છીએ. આપણી જમીનની રક્ષા માટે તેઓએ બલિદાન આપ્યું છે! જમીન મૂલ્યવાન કે માનવી?
બીજા વિશ્વયુદ્ધમાં હિટલર અને ચર્ચિલના આદેશ પ્રમાણે કરોડો માનવો મરણને શરણ થયા છે અને પછી તેમની સ્મૃતિમાં પથ્થરોનાં સ્મારકો રચીએ છીએ, પરંતુ જેઓ મૃત્યુ પામ્યા તેમનું શું ? રાજનેતાઓ પોતાની વાતાનુકૂલિત ઑફિસમાં બેસીને આદેશ આપે છે અને તદ્નુસાર લાખો સૈનિકો મરણને શરણ થાય છે. માનવીનું આટલું જ મૂલ્ય છે ? ક્યાં સુધી?
“સબાર પોરે માનુષ”.
આ મકાનને શણગારવા માટેનું સૂત્ર નથી. આ માત્ર લખવા-વાંચવા માટે જ નથી. આ જીવવા માટેનું, અમલમાં મૂકવા માટેનું સૂત્ર છે અને ત્યારે જ સાર્થક થશે. ‘સબાર પોરે માનુષ’.
જોધપર, વાયા મોરબી
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2019; પૃ. 16
![]()


લોકશાહીમાં ચૂંટણી અનિવાર્ય પ્રક્રિયા છે. એથી લોકમિજાજનો સત્તાધારીઓ અને વિપક્ષોને પરિચય મળે છે. સૌથી ઉત્તમ તો એ હોય કે ચૂંટણી લોકકેળવણીનું પર્વ બને. લોકોની પીડા, આકાંક્ષા અને પરિસ્થિતિનો સાચો ખ્યાલ મેળવાય. આવું-તો જ શક્ય છે, જો રાજકર્તાઓ અને વિપક્ષો પોતાનાં નીતિ અને આયોજન-અમલ અંગે પ્રામાણિક હોય. તો ચૂંટણીમાં પ્રચારની થોડીક ધૂળ ઊડે, પણ ધોરણો છોડીને કોઈ ન વર્તે. આ લોકશાહીની, જવાબદાર નાગરિકત્વની અને લોકાભિમુખ વહીવટની લક્ષ્મણરેખાઓ છે.
તેની નીચે જડે છે સ્વતંત્ર પાર્ટીનો ઉપપ્રમુખ. સામ્યવાદી વલણ ધરાવતી કોન્ગ્રેસનો વિરોધ કરવા અને દેશમાં સાચી સ્વતંત્રતા લાવવા ભારતીય રાજકારણના ભીષ્મપિતામહ રાજાજી સાથે મળીને અમે એ નવો પક્ષ સ્થાપેલો. મેં આ દુનિયામાંથી વિદાય લીધી તે પછી ત્રણેક વર્ષે એ પાર્ટી પણ ભૂંસાઈ ગઈ. એના ઉપપ્રમુખનું નામ પણ છો ભૂસાઈ જતું. હા, અમે એ પાર્ટી દ્વારા નેહરુના સમાજવાદી સમાજરચનાના ધ્યેયનો વિરોધ કરેલો. પણ નેહરુ માટે અંગત રીતે તો મને માન જ હતું. અરે, હા. જવાહરલાલનું નામ આવ્યું તે પરથી એક વાત યાદ આવે છે. ૧૯૪૮ના જાન્યુઆરીની ત્રીસમી તારીખની એ ગોઝારી સાંજ. ગાંધીજીના અંતિમ સંસ્કાર કરવા માટે યોગ્ય જગ્યા શોધીને નક્કી કરવાની કપરી જવાબદારી જવાહરલાલ અને સરદારે મને અને હરુભાઈને, એચ.એમ. પટેલને, સોંપી. મોટરમાં અને પગપાળા, અમે જમના નદીને કિનારે ફરી વળ્યા. અગ્નિસંસ્કાર તો સ્મશાનભૂમિમાં જ થવા જોઈએ એવો કેટલાક સ્થાનિક નેતાઓનો આગ્રહ હતો. પણ તેમ કરવામાં રહેલી મુશ્કેલીઓ અમે તેમને સમજાવી. રાષ્ટ્રપિતાની સમાધિ કેવી હોવી જોઈએ, ભવિષ્યમાં એ સ્થળ કેવું પવિત્ર તીર્થધામ બની રહેશે તેનું કાલ્પનિક ચિત્ર મેં રજૂ કર્યું. છતાં કેટલાક લોકોએ જવાહરલાલ પાસે જઈ વિરોધ નોંધાવ્યો. વહેલે પરોઢિયે નેહરુ અને સરદાર એ જગ્યા જોવા ગયા. ઝાઝા ખુલાસાની જરૂર ન પડી. બંનેએ સંમતિની મહોર મારી દીધી. આ એ જ જગ્યા જે પછીથી ‘રાજઘાટ’ તરીકે ઓળખાઈ છે. પણ આજે તો એ રાજઘાટ ઉપવાસના ને વિરોધના છાશવારે થતા તમાશાનું થાનક બની ગયું છે. એટલે પાવડાને સપાટે ભલે ફેંકાઇ જતો એ ‘આઈ ફોલો ધ મહાત્મા’ કહેનારો મુનશી. અને એની આગળ-પાછળ ઓ જાય પેલા ઉત્તર પ્રદેશના ગવર્નર મુનશી, ને પેલા સેન્ટ્રલ ગવર્મેન્ટના ઓનરેબલ મિનિસ્ટર ઓફ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર કે.એમ. મુનશી.
ચારે તરફ ધૂળ ઊડે છે. ઢગ નાનો થતો જાય છે. હું પરસેવો લૂછું છું ને કોદાળી ટેકવીને મારાં પરાક્રમ જોઉં છું. ઢગને તળિયે સાત વર્ષનો છોકરો દેખાય છે. કેડે સાંકળી, હાથે સોનાની કલ્લી, કાને મોતીની કડી. દુબળો, ગંભીર, ને લાડકો. સુરતમાં, મોટા મંદિરના ઘરના ચોકમાં ધનુષ્ય-બાણે રમતો એ કનુભાઈ. હા, જડ્યો, એ કનુભાઈ આખરે પકડાયો. હું કનુભાઈ ન હોત તો બીજું શું હોત! કંઈ જ નહીં. આ સત્ય છે, હા, મારું સત્ય.’ લોપામુદ્રા’ના વિશ્વરથના શબ્દો આજે ય મારા કાનમાં ગુંજે છે: ‘મારું સત્ય એ મારું જ.’ ચાલો, ૮૪ વર્ષના આયુષ્યના પોપડા એક પછી એક ઉખેડી નાખ્યા. ગોવર્ધનરામના નવીનચંદ્ર ઉર્ફે સરસ્વતીચંદ્રનો જન્મ ૧૮૮૭માં, મારો જન્મ પણ એ જ સાલમાં, ડિસેમ્બરની ૩૦મી તારીખે બપોરે બાર વાગ્યે, ભરૂચમાં. કોદાળી-પાવડાથી ઘણું બધું તોડ્યું-ફોડ્યું, ઉખેડ્યું-ફેંક્યું પણ પાવડા-કોદાળીથી બચાવીને સ્વપ્નસિદ્ધિની શોધમાં કરેલા પ્રવાસના માર્ગ પરના ત્રણેક માર્ગસૂચક સ્તંભો મેં સાચવી રાખ્યા છે. તેની થોડી વાત કરું?
પણ સપનાં કાંઇ રાતોરાત સફળ થતાં નથી. સપનાંનું પણ વાવેતર કરવું પડે છે. મેં એક સપનાનું વાવેતર કર્યું ૧૯૩૮ના નવેમ્બરની સાતમી તારીખે. ત્યારે મારી ઉંમર હતી એકાવન વર્ષની. એ દિવસે તો મેં એક બીજ વાવ્યું હતું. પણ વખત જતાં તેમાંથી વટવૃક્ષ વિકસ્યું. આ વટવૃક્ષ તે ભારતીય વિદ્યા ભવન. કેવી રીતે એની શરૂઆત થયેલી? એક દિવસ એક મેલોઘેલો માણસ મને મળવા આવ્યો. મેલી પાઘડી, ઠેર ઠેર થીગડાં મારેલો કોટ, મોઢા પર દીનતા અને નમ્રતા. આવો માણસ મને કહે છે: ‘મારે છ લાખ રૂપિયાનું દાન આપવું છે.’ મને મનમાં શંકા હતી કે આવો દરિદ્રી માણસ ખરેખર દાન આપશે ખરો? મેં કહ્યું ‘જોઈશું.’ કશું બોલ્યા વગર એ ચાલતો થયો. થોડા દિવસ પછી પાછો આવ્યો. કહે: ‘તે દિવસે મેં છ લાખ રૂપિયાનું દાન આપવાની દરખાસ્ત કરી હતી, પણ આપે કહ્યું, જોઈશું. એટલે પછી એ પૈસા મેં તાતા ડીફર્ડ શેરમાં રોક્યા. હવે એના આઠ લાખ રૂપિયા થયા છે. આજે સોમવતી અમાસ છે. હિંદુ ધર્મમાં આજના દિવસે દાન કરવાનો મોટો મહિમા છે. માટે આ પૈસા લો અને સંસ્કૃતના ને ગાયોના ઉદ્ધાર માટે કંઇક કરો.’ એ નમ્ર ફિરસ્તો હતો મુન્ગાલાલ ગોયેન્કા. એમનું એ દાન બન્યું ભવનના સપનાનું બીજ.
અને હવે કોદાળી-પાવડાના ઘાથી બચાવીને રાખેલો છેલ્લો મહામૂલો પથ્થર. મારા જીવનની બીજી બધી વાતો ક્યારેક કદાચ ભૂલાઈ જશે. પણ તે દિવસે જોયેલા સપનાને સાકાર કરવા માટે મેં જે કર્યું તે તો લાંબા વખત સુધી ભૂલાશે નહીં. એ પથ્થર પર લખ્યું છે જૂન, ૧૯૧૨. એવું તે શું બન્યું હતું ત્યારે? ‘સુંદરી સુબોધ’ નામના માસિકના એ મહિનાના અંકમાં એક વાર્તા પ્રગટ થઈ હતી: ‘મારી કમલા.’ કનૈયાલાલ માણેકલાલ મુનશી, બી.એ. એલેલ.બી.એ લખેલી અને એ જ નામે પ્રગટ કરેલી ટૂંકી વાર્તા. ગુજરાતીમાં છપાયેલું મારું પહેલવહેલું લખાણ. પછી તો ‘કમલા’થી ‘કૃષ્ણાવતાર’ સુધીની લાંબી લેખનયાત્રા ચાલી. વાર્તાઓ તો થોડી જ લખી, પણ નવલકથા ઘણી લખી, નાટકો ઘણાં લખ્યાં, આત્મકથા લખી, બીજું પણ ઘણું લખ્યું. અનેક પાત્રોનું સર્જન કર્યું. એ બધાં મારાં સંતાનો જેવાં છે. તેમનામાં જીવ મેં મૂક્યો છે, પણ એ બધાં જીવે છે પોતાની રીતે. એમને વિશે ક્યારેક વિવેચકોએ, ક્યારેક વાચકોએ, તો ક્યારેક ખુદ પાત્રોએ જ ફરિયાદ પણ કરી છે. કરે. કયા સંતાનને તેનાં માતાપિતા સામે કોઈ ને કોઈ ફરિયાદ નથી હોતી?