વિ.વા. શિરવાડકરે (એટલે કે સુવિખ્યાત મરાઠી કવિ / નાટ્યકાર ‘કુસુમાગ્રજ’) 1960ના દાયકામાં જ્યારે ‘નટસામ્રાટ’ નાટક લખ્યું, અને 1970માં એનો પહેલો પ્રયોગ બિરલા માતોશ્રી સભાગૃહમાં થયો, ત્યાર પછી એક ઇતિહાસ સર્જાયો અને એ નાટક આજે પણ મરાઠી જ નહીં પણ ભારતીય રંગભૂમિનું એકમેવાદ્વિતીય નાટક ગણાય છે. આવું નાટક લખવાનું કુસુમાગ્રજને સૂચન થયું અને એમણે એ લખવાનું ઠરાવ્યું ત્યાર પછી એ છ વર્ષે લખાઈને પૂર્ણ થયું.
એ નાટકની વાર્તા તો એ જમાનામાં પણ ચવાયેલી જ ગણાય એમ હતી, પણ એ નાટકનો આત્મા એટલે કુસુમાગ્રજે એમની અદ્વિતીય પ્રતિભાના સ્પર્શ સાથે એમાં વણી લીધેલા વિલિયમ શેક્સપિયરના અજરામર નાટકોના અને એમના પોતાના નાટકોના અંશો, ખાસ કરીને એમાંની એકોક્તિઓ કે મોનોલોગ્સ. આ બધું લટકાવવા માટે ખીંટીઓ જોઈએ. ચવાયેલી વાર્તામાં કુસુમાગ્રજે બહુ સિફતથી આવી ખીંટીઓ મૂકી, એમને આવા અંશોથી સજાવીને એક વાતાવરણ સર્જયું અને એ દ્વારા ક્રમે ક્રમે એક મહાન નટની વ્યથાઓને એમણે જે રીતે ખોલી આપી એણે આ નાટકને એની ઊંચાઈ બક્ષી.
તાત્પર્ય એટલું જ કે ‘નટસમ્રાટ’ એ માત્ર નાટક નથી – એ એક વાતાવરણ છે, એક આબોહવા છે, શેક્સપિયર અને કુસુમાગ્રજના નાટયાંશોથી જડિત રંગભૂમિનું એક ઘરેણું છે.
આ નાટક પરથી તૈયાર થયેલી મરાઠી ફિલ્મ ‘नटसम्राट’ના આધારે બનેલી ગુજરાતી ફિલ્મ ‘નટસમ્રાટ’ તાજેતરમાં જ રિલીઝ થઇ અને મારે ગઈ કાલે જ એ જોવાનું બન્યું. એની સમીક્ષા પહેલાં, આટલા વિસ્તારથી આ પૂર્વભૂમિકા બાંધવાનું મને જરૂરી કેમ લાગ્યું એનો ખુલાસો આગળ થશે. ગુજરાતી ‘નટસમ્રાટ’, મરાઠી ફિલ્મ પરથી બનેલી છે, એટલે સ્વાભાવિક રીતે જ એની સમીક્ષા પણ તુલનાત્મક છે.
ફિલ્મ એ નાટક કરતાં તદ્દન ભિન્ન માધ્યમ હોવાથી, મરાઠી ફિલ્મ બનાવતી વખતે પણ એમાં માધ્યમને અનુરૂપ ફેરફારો કરવા પડયા. પણ મરાઠી ફિલ્મ-સર્જકોએ એ કામ બહુ ખૂબીથી, નાટકના આત્માને ખાસ નુકશાન ન થાય એનું ધ્યાન રાખીને કર્યું. જો કે મરાઠી ફિલ્મની ટીકા કરનારાઓ પણ છે જ, પણ એ તો રહેવાના જ કારણ કે you can’t please everyone at the same time.
અતિશય સામાન્ય કહી શકાય એવી કથાની શરૂઆત કંઈ આવી છે. નટસમ્રાટ હરીન્દ્ર પાઠક (સિદ્ધાર્થ રાંદેરિયા) પોતાની સુદીર્ઘ અને દેદીપ્યમાન કાર્કિર્દીમાંથી નિવૃત્તિ જાહેર કરે છે અને એ પછી તરત જ પોતાની તમામ મિલકત પોતાના દીકરા અને દીકરીને નામે કરી દે છે. પછી શું થાય છે એ તમે કલ્પી શકો અથવા તમારે ફિલ્મ જોવી પડે.
દુર્ભાગ્યે, ગુજરાતી ફિલ્મ એક મહાન નટની એક સામાન્ય વાર્તા બનીને રહી ગઈ, એ મૂળ મરાઠી ફિલ્મનો આત્મા પકડી ન શકી એમ મને ફિલ્મ જોતાં જણાયું. નીચેના અવલોકનોથી તમને પણ કદાચ એ જણાઈ આવશે.
1. આ વાર્તામાં જે કૈં બને છે એ આજના જમાનામાં ન બની શકે એવું નથી, પણ મેં પહેલાં કહ્યું તેમ, આ વાર્તા તો 1960ના દાયકામાં પણ ચવાયેલી લાગે એવી જ હતી, એટલે એને અત્યારના જમાનાની વાર્તા તરીકે રજૂ કરવાથી એ ચવાયેલી કહેતાં ચૂંથાયેલી લાગે એ સ્વાભાવિક છે. મરાઠી ફિલ્મ સર્જકોએ એને જૂના સમયની ફિલ્મ તરીકે દર્શાવીને જે સૂક્ષ્મ વિવેક બતાવ્યો, એવો વિવેક ગુજરાતી ફિલ્મ-સર્જકો ચૂકી ગયા છે.
2. કથામાં સિફતથી વણી લેવાયેલા શેક્સપિયરના અને કુસુમાગ્રજના નાટયાંશો મરાઠી ફિલ્મમાં વિપુલ પ્રમાણમાં હોવાથી મૂળ નાટકનો આત્મા એમાં ઠીક ઠીક પ્રમાણમાં ઝીલાયો છે. શેક્સપિયરના નાટકોનાં કુસુમાગ્રજે પોતે કરેલાં મરાઠી રૂપાંતર ઉપરાંત એમના પોતાના પણ અનેક સત્ત્વશીલ મૌલિક નાટકોની સામગ્રી એમની પાસે હોવાથી કુસુમાગ્રજ એનો સહજતાથી ઉપયોગ કરી શક્યા અને મરાઠી ફિલ્મ-સર્જકોને પણ એનો લાભ મળ્યો. ગુજરાતી રંગભૂમિ પાસે દુર્ભાગ્યે શેક્સપિયરના એ કક્ષાના રૂપાંતરો નથી. એની ભરપાઈ બીજા સત્ત્વશીલ મૌલિક ગુજરાતી નાટકોના અંશોથી થઇ શકી હોત, પણ અફસોસ, ગુજરાતી ફિલ્મ-સર્જકોએ એવો કોઈ ખાસ પ્રયત્ન કરેલો દેખાતો નથી.
3. મરાઠી ફિલ્મનું એક પ્રબળ પાસું છે એના સંવાદો, ખાસ કરીને નટસમ્રાટ અને એમના જીગરી મિત્ર વચ્ચેના સંવાદોની જુગલબંદી. પણ મેં ઉપરના મુદ્દામાં જણાવેલ પ્રયત્નના અભાવે, બે મિત્રો વચ્ચેના સંવાદો ધારી અસર જન્માવી શકતા નથી. મરાઠી ફિલ્મમાં આ પાત્રો અનુક્રમે નાના પાટેકર અને વિક્રમ ગોખલે જેવા દિગ્ગજોએ સુપેરે નિભાવ્યા છે. સિદ્ધાર્થ રાંદેરિયાનો અભિનય ઉત્તમ હોવા છતાં એમાં હોવી જોઈએ એવી ઠાંસ નથી. મનોજ જોષીએ નટસમ્રાટનું પાત્ર ભજવ્યું હોત અને સિદ્ધાર્થ રાંદેરિયાએ મિત્રનું પાત્ર ભજવ્યું હોત તો કદાચ કઈં ફેર પડ્યો હોત, પણ મૂળમાં સામગ્રી જ ન હોય તો બિચારો મનોજ પણ શું કરે ?
4. ગૃહત્યાગ પછીના સમયમાં અને એમના દિશાહીન રઝળપાટ દરમિયાન નટસમ્રાટ અનેક લોકોના સંપર્કમાં આવે છે અને લોકો એમને ઓળખતા ન હોવા છતાં એમની વાતો અને સંભાષણની છટાથી અભિભૂત થાય છે. એમના પ્રત્યે લોકોના મનમાં એક અહોભાવ આપોઆપ પ્રગટે છે. આ બધું મરાઠી ફિલ્મમાં સહજતાથી ઝીલાયું છે. ગુજરાતી ફિલ્મમાં એમ બન્યું નથી.
5. મરાઠી ફિલ્મમાં છેલ્લા દ્રશ્યમાં નટસમ્રાટના એક જિજ્ઞાસુ ફૅનનું પાત્ર છે. એની જિજ્ઞાસા સંતોષવા માટે નટસમ્રાટ પોતાનો નાટ્ય-પ્રવાસ અને ‘નાટક’ એટલે શું ? એ વિષે એને સમજાવતાં સમજાવતાં પ્રાણ ત્યાગે છે. નટસમ્રાટનો આવો નાટ્યમય અંત એ ફિલ્મને એક શિખર પર લઇ જાય છે. ગુજરાતી ફિલ્મમાં પેલા જિજ્ઞાસુ ફૅનનું પાત્ર જ કાઢી નાખવામાં આવ્યું છે, એટલે છેલ્લું દ્રશ્ય કૃત્રિમ લાગે છે – જોઈએ એવું અસરકારક થતું નથી.
ટૂંકમાં જ્યાં જ્યાં આવા આવાહનાત્મક પ્રસંગો છે ત્યાં ત્યાં ગુજરાતી ફિલ્મ-સર્જકોએ આવાહન ઝીલી લેવાને બદલે સહેલો પલાયનવાદી માર્ગ કાઢ્યો હોવાનું જણાઈ આવે છે.
મંગળાના પાત્રમાં દીપિકા અને અને અન્ય કલાકારોનો અભિનય અપેક્ષા મુજબનો અને predictable છે. દિલીપ રાવલનાં ગીતોને આલાપ દેસાઈ અને શ્રેયા ઘોષાલે અપેક્ષા મુજબ સરસ કંઠ આપ્યો છે. સંગીત અને સિનેમેટોગ્રાફીમાં છૂટા છવાયા ચમકારા સિવાય ઉલ્લેખ કરવા જેવું ખાસ કશું નથી.
એકંદરે ગુજરાતી ફિલ્મ-સર્જકોએ પોતાના ગજા પ્રમાણે, એમની મતિ અને ગતિ અનુસાર, એમને ફાવી એવી ફિલ્મ બનાવી છે, જે મારી અપેક્ષાથી ખાસ વિપરીત નથી. પરંતુ પ્રવીણ સોલંકી (લેખક) અને જયંત ગિલાટર(દિગ્દર્શક)એ વધુ પ્રતિબદ્ધતાથી થોડી વધુ મહેનત કરી હોત તો મને આશ્ચર્ય પણ થાત અને આનંદ પણ.
3જી સપ્ટેમ્બર, 2018
વડોદરા
![]()


રીઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ જી. રાજનનું નવું પુસ્તક; ‘ધ થર્ડ પીલ્લર: હાઉ માર્કેટ્સ એન્ડ ધ સ્ટેટ લીવ ધ કોમ્યુનિટી બિહાઈન્ડ’ વાંચવાની ભલામણ કરું છું. એ પુસ્તકમાં રાજને કહ્યું છે કે બજાર, રાજ્ય અને સમાજ એ અર્થતંત્રના ત્રણ સ્તંભ છે. એ ત્રણેય વચ્ચે સંતુલન જળવાવું જોઈએ. જો બજાર રાજ્ય દ્વારા અંકુશિત નિર્બળ હોય તો સમાજની ઉત્પાદકતામાં ઘટાડો થાય. સમાજ જો નિર્બળ હોય તો ભ્રષ્ટ શાસકોના આંગળિયાત પૂંજીપતિઓ માથું કાઢીને હાવી થઈ જાય. રાજ્ય જો નિર્બળ હોય તો સમાજ પ્રોત્સાહનના અભાવમાં ઉદાસીન થઈ જાય. બીજી બાજુ બજાર જો આક્રમક હોય તો સમાજમાં અસમાનતા વધે. જો સમાજ જરૂરત કરતાં વધારે આક્રમક હોય તો શાસન ડરના કારણે થંભી જાય અને જૈસે થેની પરિસ્થિતિ પેદા થાય. જો રાજ્ય આક્રમક હોય તો આપખુદશાહીનું વાતાવરણ પેદા થાય અને સમાજમાં ભય વ્યાપી જાય. ટૂંકમાં આ ત્રણેય વચ્ચે સંતુલન ન હોય તો અર્થતંત્ર ખાડે જાય એમ જાગતિક ખ્યાતિ ધરાવતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજન કહે છે.
જવાહર બક્ષી આ ગઝલ વિશે કહે છે, "1970માં મારી પ્રિયતમા દક્ષા (પછીથી એ જ પત્ની બની) ભણવા માટે ઇંગ્લેન્ડ જઈ રહી હતી. અમારી કોર્ટશિપનો એ સમય હતો. એ વખતે ખબર નહોતી કે અમે પરણીશું કે પરણી શકીશું. પ્રિયતમા જવાની તૈયારીમાં હોય ત્યારે આપણે પ્રેમની નિશાની માગીએ. મારે એવું કંઈ નહોતું માગવું કે જે આપવું એને ભારે પડે. મારે તો બસ એટલું જ કહેવું હતું કે હું ગૂંગળાઉં નહીં એ રીતે ગ્રેસફૂલી ચાલી જજે. બરફનો પહાડ એટલે આઈસબર્ગ. આમ એ પાણીની સાથે તરતો હોય છતાં પાણીથી સાવ જુદો. પાણી નિરાકાર છે પરંતુ, બરફ થઈ જાય ત્યારે સાકાર થઈ જાય છે. આ એવા સંબંધની વાત છે જેમાં અશક્યતાઓ છતાં પરસ્પર આત્મીય સંબંધનું પોત પાતળું નથી પડતું."
ગૂંગળાવી નાખે, અકળાવી મૂકે એવા પ્રેમ કરતાં એકબીજાનાં હ્રદયમાં સદૈવ તાજો અને જીવંત રહે એવા ઉષ્માભર્યા સંબંધની વાતને અહીં પુષ્ટિ મળે છે. અશક્યતાઓને કવિ સગવડ કરી આપે છે. એક ખુમારી પણ છે અહીં કે, હાથ છોડાવીને ભલે જાઓ પણ હ્રદયમાંથી નીકળી શકો તો માનું! ફિઝિકલ ડિસ્ટન્સ પ્રેમીઓને થોડાક સમય માટે અનુભવાય પરંતુ, એ સમયગાળો નીકળી જાય પછી સ્વસ્થ, નીતર્યો પ્રેમ જ બચે છે, જેમાં કોઈ શરત નથી, કોઈ બંધન નથી.
"નિનુભાઈએ ગઝલો સ્વરબદ્ધ કરતી વખતે મને પૂછ્યું કે આ ગઝલ સંપૂટનો કોન્સેપ્ટ શું છે? ત્યારે મેં એમને આ તમામ ગઝલોના ભાવજગતના મૂળમાં પૅથોસ હોવાનું જણાવ્યું હતું. એ પછી બધી ગઝલો એમણે અદ્ભુત રીતે કમ્પોઝ કરી. ઠુમરી અંગના મુખ્ય દસ રાગમાંથી અમારે ચાર રાગ લેવાના હતા.'બરફનો પહાડ' માટે મેં એમને ભૈરવી રાગ સૂચવ્યો અને એમણે સુંદર રીતે આ ગઝલ સ્વરબદ્ધ કરી. પહેલા શેરની બીજી પંક્તિ, હું ક્યાં કહું છું મારામાં ઓગળી જાજે…ના ભાવને કૌમુદી મુનશીએ આબાદ ઝીલ્યા છે. આ પ્રકારની ઠુમરીને શાસ્ત્રીય ભાષામાં બોલ બનાવની ઠુમરી કહે છે. કૌમુદીબહેનની ગાયકીમાં કહન હોવાથી એ ભાવ સરસ રીતે અભિવ્યક્ત થયો છે." એમ કહે છે જવાહર બક્ષી.