
રાજ ગોસ્વામી
નિર્માતા-નિર્દેશક સુભાષ ઘઈના ચાહકો માટે એક સરસ સમાચાર છે; તેઓ તેમની 1993ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ખલનાયક’ની સિક્વલ બનાવી રહ્યા છે. તાજેતરમાં, તેમણે પુષ્ટિ કરી હતી કે “ખલનાયક-2ની સ્ક્રિપ્ટ પૂરી થઇ ગઈ છે અને ટૂંકમાં જ કલાકારો અને કસબીઓની ટીમને અંતિમ રૂપ આપવામાં આવશે.”
ફિલ્મી જગતમાં ‘ખલનાયક’ની સિક્વલ લઈને ઘણા લાંબા સમયથી ચર્ચાઓ હતી, પણ હવે ઘઈએ વિધિવત જાહેરાત કરીને ગપસપનો અંત લાવી દીધો છે. તેમણે અગાઉ પણ એ વાત ભાર મુક્યો હતો કે ફિલ્મના ‘ખલનાયક’ બલ્લુ બલરામનો કિરદાર માત્ર સંજય દત્ત જ નિભાવશે. તેમણે એવી અફવાઓ ખારીજ કરી હતી કે આ કિરદાર માટે નવા અભિનેતાની શોધ ચાલે છે. તેમણે એવું સ્વીકાર્યું હતું કે તેની સાથેના બીજા કિરદારોમાં નવા ચહેરા હશે.
‘ખલનાયક’ તે વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ હતી અને તેણે સંજય દત્તની લોકપ્રિયતાને એક નવી ઊંચાઈ બક્ષી હતી. કેનેડા અને અમેરિકામાં જબરદસ્ત બિઝનેસ કરનારી આ પહેલી હિન્દી ફિલ્મ હતી. પહેલા અઠવાડિયામાં તેણે તે સમયે રિલીઝ થયેલી હોલીવૂડની અમુક ફિલ્મોને પણ પાછળ રાખી દીધી હતી.
ઘણી ફિલ્મો તેમનું પોતાનું એક નસીબ લઈને આવે છે. સામાન્ય રીતે, મસાલા ફિલ્મોમાં એક નાયક અને એક ખલનાયક હોય છે. ઇષ્ટ અને અનિષ્ટની આ જુગલબંધીથી ફિલ્મની વાર્તામાં એક પ્રકારનું ટેન્શન જળવાઈ રહે છે અને તે દર્શકોને ‘હવે શું થશે?’ના ભાવ સાથે જકડી રાખે છે.
સુભાષ ઘઈએ આ ફિલ્મમાં હીરોની વ્યાખ્યાનું શીર્ષાસન કરી નાખ્યું હતું. તેમણે ખલનાયકને જ નાયક બનાવી દીધો હતો. દર્શકોને યાદ હશે જ કે આ ફિલ્મમાં બલ્લુ જેલ તોડીને ભાગેલો એક ખૂંખાર ગેંગસ્ટર છે અને તેને પકડનાર ઇન્સ્પેકટર રામ (જેકી શ્રોફ) તેની પ્રેમિકા અને જેલની રખેવાળ ગંગા (માધુરી દીક્ષિત) સાથે મળીને બલ્લુને પાછો પકડવા માટે મિશન હાથ ધરે છે.

બલ્લુના કિરદારમાં પરંપરાગત હીરોનાં કોઈ લક્ષણ નહોતાં, અને ફિલ્મના ટાઈટલ પરથી જ સ્પષ્ટ છે તેમ સુભાષ ઘઈ તેને વિલેન તરીકે જ પેશ કરવા માંગતા હતા. અલબત્ત, પાછળથી બલ્લુનું હૃદય પરિવર્તન થાય છે અને તે આત્મ સમર્પણ કરે છે તેમ જ ગંગાની પ્રતિષ્ઠાને પણ બહાલ કરે છે. પણ આવા નેગેટીવ કિરદારને હીરો બનાવવામાં જોખમ તો હોય જ. લોકોને તે પસંદ ન આવે તો?
‘નસીબ’ કેવું કે ફિલ્મ તૈયાર જ હતી તે વખતે સંજય દત્તની મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં ધરપકડ થઇ અને તેને જેલમાં પુરવામાં આવ્યો. એપ્રિલમાં તેની ગિરફ્તારી થઇ અને જૂનમાં ફિલ્મ રિલીઝ થઇ. અઢીસોથી વધુ લોકોના ભોગ લેનારા આ વિસ્ફોટોમાં બે જ બાબતો આખા દેશમાં ચર્ચામાં હતી; એક તો વિસ્ફોટોનું કાવતરું અને બીજું સંજય દત્ત. સંજયની ગિરફ્તારી સનસનીખેજ હતી. અગાઉ પણ તેનાં કારનામાં વિવાદ પેદા કરી ગયાં હતાં પણ બોમ્બ વિસ્ફોટના પગલે ઘરમાં ગન રાખવાની તેની હરકત તેને દુનિયાની નજરોમાં સાચે જ ખલનાયક બનાવી ગઈ હતી.
બંને બાબત ભેગી થઇ ગઈ; ‘ખલનાયક’ ફિલ્મનું રિલીઝ થવું અને તેના હીરો સંજય દત્તનું અસલમાં ખલનાયક બની જવું. ફિલ્મને તેનો બહુ ‘ફાયદો’ મળ્યો. સંજય એક બદનસીબ સંતાન હતો. સેલિબ્રિટી માતા-પિતાના સંતાન હોવાનો વહેમ કહો કે ઉછેરમાં રહી ગયેલી કમી કહો, સંજયના જીવનમાં નિયમિત રીતે તકલીફો આવતી રહી હતી. તેના એ અંગત સંઘર્ષની તેના ફિલ્મી વ્યક્તિત્વ ઘડતર પર અસર પડી હતી. એટલે એવું કહેવાય કે ‘ખલનાયક’ તેના જીવનના સૌથી મોટા સંકટ વખતે જ આવી હતી. દર્શકોને એટલા માટે જ તેની ફિલ્મોમાં વિશેષ રસ રહેતો હતો. પાછી આ ફિલ્મનું તો નામ જ ‘ખલનાયક’ હતું. સુભાષ ઘઈનો જુગાર સવળો પડ્યો.
“હું સંજય દત્તને નાનપણથી જાણતો હતો,” ઘઈએ એકવાર કહ્યું હતું, “તેની બીજી જ ફિલ્મ ‘વિધાતા’નું મેં નિર્દેશન કર્યું હતું. તે પછી 10 વર્ષ બાદ મેં તેને ‘ખલનાયક’માં લીધો હતો. હું તેને બહુ નજીકથી ઓળખતો હતો. તેની ગિરફ્તારી થઇ ત્યારે મને ખબર હતી કે તે નિર્દોષ છે, પણ ફસાઈ ગયો છે. તે અપરાધી નહોતો.”
ઘઈએ ફિલ્મનું પ્રમોશન પણ કર્યું નહોતું. સંજય એટલો મોટો ખલનાયક બની ગયો હતો કે તેમને ડર લાગતો હતો કે લોકો ફિલ્મ પર તેમનો ગુસ્સો ઉતારશે અથવા તેમની પર સંજયની ટ્રેજેડી પર ધંધો કરવાનું લાંછન લાગશે. “હું તે વખતે ચૂપ રહ્યો હતો,” ઘઈ કહે છે, “પ્રમોશનમાં એક રૂપિયો પણ ખર્ચ્યો નહોતો. ચોલી કે પીછે ક્યા હૈ ગીતને લઈને જબ્બર બબાલ થઇ હતી. 32 રાજકીય સંગઠનો મારી વિરુદ્ધ થઇ ગયાં હતાં અને કોર્ટમાં કેસો દાખલ કર્યા હતા. પણ હું કશું ન બોલ્યો. મને ખબર હતી કે મેં કેવી ફિલ્મ બનાવી છે, મને ખબર હતી કે સંજય દત્ત કોણ છે, મને ખબર હતી કે ચોલી કે પીછે ગીત શેના માટે છે.”
‘ખલનાયક’ની સફળતામાં સંજય દત્ત, સંગીત અને એક્શનનો તો ફાળો ખરો જ, પરંતુ મહત્ત્વનું કારણ એ હતું કે સુભાષ ઘઈએ ઇષ્ટ અને અનિષ્ટની પરંપરાગત માન્યતાને તોડી હતી. તેમણે બલ્લુની વાર્તા દ્વારા એવું ઠેરવવા પ્રયત્ન કર્યો હતો કે કોઈ માણસ શુદ્ધ અથવા તો જન્મજાત સંત કે શેતાન નથી હોતો, તે તેના સંજોગો, વિકલ્પોની પસંદગી અને સમાજની નીતિ-રીતીના કારણે સારો કે ખરાબ બને છે. કૈંક અંશે, સંજય દત્તની અસલી જિંદગીની પણ આ જ કહાની હતી.
ઘઈએ આ ફિલ્મમાં અચ્છાઈ અને બુરાઈ, નિર્દોષતા અને અપરાધ સામે સવાલો કર્યા હતા. ફિલ્મમાં બલ્લુનું જીવન બ્લેક એન્ડ વ્હાઈટ વિલન જેવું નથી. તેમાં અનેક બીજા રંગો પણ છે. ઘઈએ આ ફિલ્મમાં તેના અપરાધીકરણ પાછળની જટિલતાને દર્શાવવા પ્રયાસ કર્યો હતો. એ દૃષ્ટિએ, ફિલ્મનાં પાત્રોનાં નામ સૂચક હતાં. રામ, બલ્લુ (બલરામ) અને ગંગા. ત્રણે નામો આપણા પ્રાચીન સંસ્કૃતિ અને નિશ્ચિત આદર્શો સાથે જોડાયેલાં છે.
ગંગા શુદ્ધતાની પ્રતિક છે. અને બલ્લુના ભાગી જવાથી તેના પ્રેમી (રામ) પર જે કલંક આવ્યું છે તે ધોવા માટે તે વેશ બદલે છે. ગંગામાં ઉદારતા અને કરુણા છે. તે બલ્લુના જીવનમાં પ્રવેશ કરીને તેને મનુષ્યમાં તબદીલ કરે છે.
કદાચ એટલા માટે જ આવા વિષય પર સુભાષ ઘઈ નાના પાટેકરની સાથે આવા વિષય પર એક ‘આર્ટ ફિલ્મ’ બનાવવા માંગતા હતા. ફિલ્મનું બજેટ પણ નાનું હતું. તેમના મનમાં રાવણનું પાત્ર હતું. રાવણ પર કોઈએ ફિલ્મ બનાવી નહોતી. તેમાં પાટેકરનો ‘ખલનાયક’ કિરદાર પૂણેથી મુંબઈ આવે છે તેવી વાર્તા હતી. એ જ્યારે લખાતી હતી ત્યારે ઘઈના લેખક કમલેશ પાંડેએ સૂચન કર્યું કે તમે આ વાર્તાને બીગ બજેટ કોમર્સિયલ ફિલ્મમાં ફેરવી નાખો.
ઘઈએ અધવચ્ચે ફિલ્મનું સ્વરૂપ બદલી નાખ્યું. તે વખતે રામના પાત્રમાં જેકી શ્રોફનું નામ નક્કી હતું. ફિલ્મ જગતમાં ખબર પડી પછી બલ્લુ માટે અનીલ કપૂર અને આમીર ખાને પણ ઘઈનો સંપર્ક કર્યો હતો. પરંતુ, ઘઈની ફિલ્મમાં હવે એવા હીરોની વાર્તા હતી જે ગેરમાર્ગે દોરવાયેલો હતો, અને સંજય એમાં એકદમ ફિટ બેસે તેવો હતો. નાના પાટેકર પછી મીડિયા ઇન્ટરવ્યૂમાં સુભાષ ઘઈને ભાંડતા રહ્યા તે પાછો એક અલગ જ વિષય છે.
પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 04 જૂન 2025
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()




દસમા પ્રકરણમાં પેરિસથી લંડન સુધીની દરિયાઈ મુસાફરીનું વર્ણન છે, અને ૧૧મા પ્રકરણમાં આપણે તેમની સાથે લંડન પહોંચી જઈએ છીએ. એ વખતે લંડનની કુલ વસ્તી ૨૩ લાખ, ૬૨ હજાર, અને ૨૩૬ની હતી એમ લેખક નોંધે છે. લંડનમાં મકાનોનાં બારી-બારણાં હંમેશાં બંધ જ રહે છે તે જોઈને આ હિન્દુસ્તાની મુસાફરને પહેલાં તો નવાઈ લાગે છે. પણ પછી સમજાય છે કે ઠંડી અને ઘર ઘરની ચીમનીમાંથી નીકળતા ધૂમાડાથી બચવા આમ કરવું જરૂરી છે. ડોસાભાઈએ જોયેલું તે લંડનમાં વિજળીના દીવા નહોતા. પણ ગેસના દીવા હતા! રસ્તાઓ પર, અને ઘરોમાં પણ. લંડનમાં ઠેર ઠેર કૂવાઓ નથી, પણ પાઈપ વાટે લોકોનાં ઘરોમાં પાણી પહોંચાડાય છે એ વાત ડોસાભાઈ અચરજ પૂર્વક નોંધે છે. એ વખતે લંડનના રસ્તાઓ પર ઘોડા ગાડીઓ દોડતી હતી, અને આ ગાડીઓને ઊભી રાખવા માટે આખા શહેરમાં ૩૦૦ સ્ટેન્ડ હતાં. આ ઉપરાંત બસ પણ હતી, જેને ત્રણ ઘોડા ખેંચતા! એક બસમાં ૨૬ મુસાફરો બેસી શકતા. આખા લંડનમાં મુસાફરી કરવા માટેની ટિકિટનો એક જ દર હતો – છ પેન્સ, અથવા પા રૂપિયો (આજના આપણા ૨૫ પૈસા). આવી એક ટિકિટ લીધા પછી તમે આખા લંડનમાં ક્યાં ય પણ જઈ શકો. બારમા પ્રકરણમાં લેખકે બકિંગહામ પેલેસ અને બીજા રાજમહેલોની વાત કરી છે. તે પછીનાં પ્રકરણોમાં પાર્લામેન્ટ હાઉસ, લંડનનો કિલ્લો, ટંકશાળ, બેંક ઓફ ઇન્ગ્લંડ, સેન્ટ પોલ્સ કેથીડ્રલ, બાગ બગીચા, સંગ્રહસ્થાનો, આર્ટ ગેલેરીઓ, વગેરે પોતે જોયેલાં સ્થળોની વાત લખી છે.
૧૮મા પ્રકરણથી લેખક લંડનના જાહેર જીવન તરફ વળે છે. કેળવણીની વ્યવસ્થા, સખાવતી સંસ્થાઓ, ‘રમત અને મોજનાં કારખાના’ (સ્પોર્ટ્સ અને રીક્રિયેશન ક્લબો), વગેરેની વાત કર્યા પછી ફરી ક્રિસ્ટલ પેલેસના વર્ણનમાં ૨૧મું પ્રકરણ રોકે છે. (૧૮૫૧ના મોટા પ્રદર્શન માટે બાંધવામાં આવેલો આ કાચનો મહેલ એ વખતે એક અજાયબી ગણાતો હતો. ૧૯૩૬ના નવેમ્બરની ૩૦મી તારીખે લાગેલી ભયંકર આગમાં તે ભસ્મીભૂત થઈ ગયો હતો.) ૨૨મા પ્રકરણથી લેખક લંડન છોડીને આસપાસમાં ફરવા નીકળે છે. માન્ચેસ્ટરની કાપડ મિલો જુએ છે, એડિનબરામાં લટારો મારે છે, બીજાં કેટલાંક સ્થળોની મુલાકાત લે છે. ૨૪મા અને પચ્ચીસમા પ્રકરણમાં સરકારની શાસન પદ્ધતિની વાત કરે છે, લશ્કર, આવક-જાવક, વેપાર વણજ વગેરેની ચર્ચા કર્યા પછી છેલ્લા પ્રકરણમાં ડોસાભાઈ એ મુલકની ‘સંસારી હાલત’ વિષે વાત કરે છે. અહીં લેખક નથી તો ખોટી વાહ વાહ કરતા, કે નથી તો નિરર્થક ટીકા-નિંદા કરતા. કહે છે : “જે દેશમાં વધારે શુધરાઈ તાહાં વધારે ઠગાઈ બી હોવી જોઈએ. ઠગો બી અકલના બલથી બને છે, પણ સઘળાં જ આદમીઓ ઠગ છે એમ કહેવાશે નહિ. ઇન્ગ્લન્ડમાં સૌથી સરસ ઈમાનદારી ધરાવનારા લોકો છે, તેમ સૌથી સરસ ઠગો પણ છે.” ડોસાભાઈ ૧૮૫૭ના બળવા પછી લગભગ તરત ઇન્ગ્લંડ ગયા હતા. ત્યારે તેમને ત્યાં ગોરાઓનો કેવોક અનુભવ થયેલો? પુસ્તકને અંતે તેઓ લખે છે : “અમો અમારી અજમાયેશ ઉપરથી કહેવાને આંચકો ખાતા નથી કે અંગ્રેજ લોકો પારકા લોકોને સારું માન આપે છે તથા તેઓની બરદાસ્ત લે છે અને પોતાનાથી બને તેટલું તેઓને વાસ્તે કરે છે. માટે જો અંગ્રેજ લોકોની ખરી ખૂબી જોવી હોય તો ઇન્ગ્લંડ ગયાથી દેખાય છે.”