કોરોનાનો પરાજ્ય
કરશે અવશ્ય વિજ્ઞાન
વિશ્વાસ અમને.
કિંતુ
કોરોનાનો ય માનવો પડે આભાર.
કેમ કે
એણે કરાવ્યાં બંધ
મંદિર-મસ્જિદ-ચર્ચનાં દ્વાર!
અટક્યો આરતી-બાંગ-ઘંટારવનો
ઘોંઘાટ !
એણે કરાવી બંધ
ખિલાફત-રામરાજ્યની બુમરાણ
એણે અટકાવી દીધો
સાધુ-સંતો-મૌલવીઓ-પાદરીઓનાં
ભાષણોનો ત્રાસ !
એણે અટકાવી દીધાં યુદ્ધ !
ઘૂરકિયાં કરતાં અણુશસ્ત્રો થયાં ચૂપ !
મિસાઈલોના સૂસવાટા થયા શાંત !
ઉડાડી દીધાં મહાસત્તા થવાનાં સ્વપ્ન !
એણે શિખવાડ્યું જીવવું
ભગવાન વગર !
એણે શિખવાડ્યું
લેવા વિજ્ઞાનનો આધાર
કોરોનાનો આભાર!
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 મે 2020
![]()


દેશ અભૂતપૂર્વ લૉક ડાઉનના બીજા (હવે ત્રીજા) તબક્કા નીચે કચડાઈ રહ્યો છે, ત્યારે લૉક ડાઉન સફળ થયું કે નહીં અને એ સફળતા એટલે શું, તેના પર નજર નાખવાનું યોગ્ય ઠરશે. લૉક ડાઉનથી કોરોના વાઇરસના ફેલાવાને અંકુશમાં રાખી શકાયો છે, તેવા દાવાને અત્યારે બાજુ પર રાખીએ, એટલા માટે કે જો સફળતા મળી જ હોત, તો લૉક ડાઉન લંબાવવામાં આવ્યું ન હોત અને એટલા માટે પણ કે નિષ્ણાતો કદાચ આપણને એમ કહે છે કે વાઇરસને આસાનીથી નાથી શકાય તેમ નથી, તે કદાચ થોડાક વધુ સમય માટે આપણી વચ્ચે રહેશે અને અને થોડા થોડા સમયે તે માથું ઊંચક્યા કરશે. પણ કોરોના વાઇરસ સામેના ‘યુદ્ધ’માં વિજય મળે તો પણ જ્યારે ભારત સામાન્યવત્ સ્થિતિમાં પાછું ફરશે ત્યારે તે પહેલાંના જેવી નહીં, પણ એક નવી જ સામાન્ય સ્થિતિ હશે.
‘આપણા બધાંની અંદર પ્લેગ છે,’ આલ્બર્ટ કામૂની પ્રખ્યાત નવલકથા ‘ધ પ્લેગ’માં એક પાત્ર તાહૂ કહે છે.
સમય જતાં ખોરાકની અછત ઊભી થાય છે, જેને પરિણામે ગરીબોને ખૂબ સહન કરવું પડે છે. સમૃદ્ધ લોકોને કશાની ખોટ નથી. પ્લેગની પોતાની નિષ્પક્ષ કામગીરી (પ્લેગનો હુમલો વર્ગભેદ જોતો નથી) સમાનતા પ્રોત્સાહિત કરી શકી હોત. પરંતુ એનાથી અવળી જ અસર એણે કરી અને અન્યાયની લાગણીને વેગ આપ્યો. બધાંને મૃત્યુની સમાનતાની ખાતરી હતી પરંતુ બીજી કોઈ જાતની સમાનતા એમને જોઈતી નથી. ગરીબ લોકો ગામડાંને ઝંખે છે, જ્યાં એમને સસ્તા ભાવે ખાવાનું મળી રહે અને જ્યાં કોઈ પણ નિયંત્રણ વગરની જિંદગી જીવી શકે. એ સહજ રીતે માને છે કે એમને આવી વધારે સારી જગાએ જવાની પરવાનગી મળવી જોઈએ. એમનો વિદ્રોહ શેરીઓમાં બોલાતા ‘રોટી અથવા ચોખ્ખી હવા’ જેવાં સૂત્રોમાં ઝીલાય છે. પરંતુ એમના વિરોધને તરત ડામવામાં આવે છે. બીજી બાજુ, પ્લેગનો ફાયદો ઉઠાવીને પૈસા બનાવનાર લોકો પણ છે. જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જાય છે અને નાના સ્તરે હિંસા અને લૂંટફાટ ફેલાય છે ત્યારે સત્તાધીશો માર્શલ લૉની ઘોષણા કરે છે અને કરફ્યુ લાદે છે.
‘ધ પ્લેગ’ બીજા વિશ્વયુદ્ધના અંત પછી ૧૯૪૭માં લખાયેલી નવલકથા છે. એમાં માનવપરિસ્થિતિનું વર્ણન છે. મૃત્યુના મોમાં ધકાયેલા લોકો કેવી રીતે જીવે છે? મૃત્યુનો ડર, પરિસ્થિતિને સમજવાની અને એની સામે સજ્જ થવાની અક્ષમતા, સામાજિક એકલતા અને નિર્વાસિતતાનો અનુભવ, ભવિષ્ય અંગે અનિશ્ચિતતા, આ બધું મનુષ્યના જીવનને વ્યાખ્યાયિત કરે છે. આ સંકટમાં પ્રેમ, શાંતિ વગેરે અનુભવોનું શું મૂલ્ય છે અને આ અનુભવોની શું શક્યતા છે, એ વિશે પણ નવલકથા પ્રશ્નો ઉઠાવે છે. ઘણા વિવેચકોએ નોંધ્યું છે કે નવલકથા નાઝી જર્મની વિશે છે. પ્લેગ એ ફાસીવાદનું રૂપક છે. નવલકથાની પશ્ચાદભૂમિમાં નાઝી જર્મનીનોએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રાંસ પર કરેલા કબજાનો સંદર્ભ છે. નવલકથામાં ફાસીવાદના સકંજામાં ફસાયેલી પ્રજા કેવી રીતે જીવે છે એની વાત છે. કામૂ પોતે એક સર્જક તરીકે ફ્રાંસમાં ફાસીવાદના પ્રતિકારના સંઘર્ષમાં સક્રિય રીતે જોડાયેલા હતા. ડૉક્ટર રિયુ જેમ પોતાના તબીબી સાધનો વડે પ્લેગની સામે લડે છે, તેમ કામૂ શબ્દની મદદથી અન્યાય સામે અને પછીથી ફાસીવાદ સામે લડ્યા હતા. ફ્રેંચ પ્રતિકાર દરમિયાન એ એક બિનકાયદેસર ચાલતા વર્તમાનપત્ર ‘Combat’(સામનો)ના મુખ્ય તંત્રી હતા. નોબેલ પુરસ્કારના સ્વીકાર વખતે કરેલા પ્રવચનમાં એમણે કહ્યું હતું કે લેખકે લખવા ઉપરાંત ઘણું કરવાનું હોય છે. એક લેખક તરીકે એ સત્ય અને સ્વતંત્રતાના સિદ્ધાંતોને વરેલા હતા.