જે એક સમયે ભારતીય જનતા પક્ષના સભ્ય હતા, પક્ષના રાજ્યસભાના સભ્ય હતા અને અટલ બિહારી વાજપેયીના સમયમાં કેન્દ્રીય પ્રધાન હતા, એ અરુણ શૌરી છેલ્લા ઘણા સમયથી કહે છે કે તેમણે નરેન્દ્ર મોદીને પારખવામાં અને નરેન્દ્ર મોદીને ટેકો આપવામાં ભૂલ કરી હતી. અત્યારે તેમનું ‘ધ કમિશનર ઓફ ધ લોસ્ટ કોઝીઝ’ નામનું એક નવું પુસ્તક પ્રકાશિત થયું છે જેમાં તેમણે તેઓ પત્રકાર હતા એ દિવસોનાં સંસ્મરણો લખ્યાં છે. તેમણે પત્રકાર તરીકે દેશના એ સમયના શાસકોને, દેશના એકંદર રાજકારણને અને પત્રકારત્વને હચમચાવી મુક્યાં હતાં. અહીં આજે જે ચર્ચા કરવી છે તે તેમના પુસ્તક વિષે અને પુસ્તકના વિષય પત્રકારત્વ વિષે નથી કરવી એટલે એ વાત અહીં પડતી મુકીએ. માત્ર એટલું જ કહેવાનું કે જો એ પુસ્તક વાંચશો તો આઝાદી પછીના અધ:પતનને સમજવામાં ઉપયોગી નીવડશે.
પુસ્તકનાં પ્રકાશન નિમિત્તે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજીટલ મીડિયામાં અરુણ શૌરીની મુલાકાતો લેવામાં આવી રહી છે. પુસ્તકનો વિષય રોચક છે એટલે મીડિયાને શૌરી સાથે વાત કરવામાં રસ હોય એ સ્વાભાવિક છે. એમાંની એક ‘ધ પ્રિન્ટ’ના સ્થાપક-સંપાદક શેખર ગુપ્તાને આપેલી મુલાકાતમાં અરુણ શૌરીએ કદાચ પહેલીવાર કહ્યું છે કે તેમણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને ઓળખવામાં ભૂલ કરી હતી. નરેન્દ્ર મોદીને ઓળખવામાં ભૂલ કરી છે એવું તો તેમણે અનેકવાર કહ્યું છે, સંઘને ઓળખવામાં ભૂલ કરી છે એ મારી જાણકારી મુજબ તેમણે આ પહેલીવાર કબૂલ કર્યું છે. તેમણે કહ્યું હતું કે “આપણે બધાએ, આપણી આગલી બે પેઢીએ”, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સમજવાની તસ્દી લીધી નહોતી. તેમનું સાહિત્ય આપણે વાંચવાની જરૂર લાગી નહોતી. આપણે તેમની સાદગી, શિસ્ત, દેશપ્રેમ વગેરે બાહ્ય કલેવરને સાચું માનીને બી.જે.પી.ને બીજા કોઈ એક રાજકીય પક્ષ જેવા જ રાજકીય પક્ષ તરીકે જોતા હતા. શૌરીના કહેવા મુજબ આ બધાં ધારણ કરવામાં આવેલાં મોહરાં છે, બાકી તેમનો હિન્દુત્વનો એજન્ડા તો ૧૯૪૦માં નક્કી થઈ ગયો હતો અને તેને તેઓ વળગી રહેલા છે.
તેમણે તેમનાં પુસ્તકમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના માલિક રામનાથ ગોએન્કા સાથેનો એક પ્રસંગ ટાંક્યો છે. એક દિવસ એ સમયના સંઘના સરસંઘચાલક બાળાસાહેબ દેવરસના ભાઈ ભાઉરાવ દેવરસે અરુણ શૌરીને દિલ્હીમાં સંઘના વડામથકમાં મળવા બોલાવ્યા. શૌરી તેમની સાદગી જોઇને પ્રભાવિત થઈ ગયા. ઓફિસમાં આવીને તેમણે રામનાથ ગોએન્કા સમક્ષ દેવરસની સાદગીના વખાણ કર્યા ત્યારે ગોએન્કાએ કહ્યું હતું; “છોડ સાદગી. યહ સબ નહીં મિલી કે સાધુ હૈ. (છોકરી નથી મળી એટલે સાધુ) એક બાર ઉનકે હાથ મેં સત્તા આને દે ફિર દેખના યે લોગ ક્યા નહીં કરેંગે.”
ખેર, સંઘપરિવારને, તેના એજન્ડાને અને બી.જે.પી.ને ઓળખવામાં ભૂલ કરી એનું એક કારણ અરુણ શૌરીએ બૌદ્ધિક આળસ અથવા દક્ષતાનો અભાવ આપ્યું છે. બીજું કારણ તેમણે એવું આપ્યું છે કે પરિસ્થિતિ જ્યારે નિરાશાજનક હોય ત્યારે કોઈ પણ માણસ કે પક્ષ આપણને તારણહાર લાગતો હોય તો આપણે તેની આંગળી પકડી લેતા હોઈએ છીએ.
મારી અહીં કહેવું જોઈએ કે અરુણ શૌરી ખોટું બોલે છે. તેઓ જ્યારે પ્રામાણિક કબૂલાત કરી જ રહ્યા છે તો પછી એનાં સાચાં કારણ પણ પ્રામાણિકપણે જણાવી દેવાં જોઈએ. અને આવું માત્ર તેમની સાથે નથી બન્યું, બીજા અનેક લોકો સાથે બન્યું છે જેની તેઓ ખાનગીમાં કબૂલાત કરે છે. મને તો ખાતરી છે કે જો આપણી આગલી બે પેઢીના (અલબત્ત બીજી અનેક રીતે ગાંધીવાદી-કાઁગ્રેસી) નેતાઓ આજે હયાત હોત તો તેઓ પણ અરુણ શૌરીની માફક કબૂલ કરત કે સંઘને પારખવામાં તેમણે ભૂલ કરી હતી. શા માટે આ બધા લોકોએ ભૂલ કરી હતી? આઝાદી પહેલાં અને આઝાદી પછીનાં તરતનાં વરસોમાં તો નૈતિક અધ:પતનની કોઈ વાત નહોતી કે કાઁગ્રેસનો વિકલ્પ શોધવાની કોઈ જરૂર પડે!
તો પછી શા માટે અરુણ શૌરીઓએ (તેમની પહેલાના અને તેમના સમકાલીન અનેક અરુણ શૌરી જેવાઓ) સંઘને પારખવાની તસ્દી ન લીધી? શા માટે પારખવાની દક્ષતા દાખવ્યા વિના સંઘને ટેકો આપ્યો હતો? આમાં અરુણ શૌરી તો મહેનત કરીને મૂળ સુધી જવામાં જરા ય આળસ નથી દાખવતા એ આપણે બધા જાણીએ છીએ. સિવાય સંઘને મદદ કરનારા કે સંઘ માટે સહાનુભૂતિ દાખવનારા બીજા અનેક નેતાઓ વિષે આપણે કહી શકીએ કે તેઓ બૌદ્ધિક આળસ નહોતા ધરાવતા.
તો પછી સંઘને મદદ કરવા પાછળનાં અને તેના માટે સહાનુભૂતિ ધરાવવા પાછળનાં સાચાં કારણ શા છે જે અરુણ શૌરી કહેતા નથી?
બે કારણ હતાં. એક કારણ હતું મુસલમાનો અને ખ્રિસ્તી મિશનરીઓ સામેનો દ્વેષ. એમાં ઇસ્લામ અને ઈસાઈ ધર્મના સંગઠિત સ્વરૂપ અને તેની સામે હિંદુ ધર્મનું શ્રદ્ધાઓના કુળ જેવા સ્વરૂપનો સમાવેશ થાય છે. સંઘને મદદ કરનારાઓને અથવા તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારાઓને એમ લાગતું હતું કે સંઘ ઝનૂની મુસલમાનોને અને ધર્માન્તરણ કરાવનારા ઈસાઈ મિશનરીઓને કાબૂમાં રાખવામાં મદદરૂપ થઈ શકે એમ છે. બીજું કારણ હતું, સામ્યવાદ. જમણેરી મૂડીવાદીઓને સામ્યવાદનો ભય તો હતો જ પણ અણગમો વધુ હતો. ખાસ કરીને વીતેલા વરસોનાં જમણેરી નેતાઓને લાગતું હતું કે આખરી લડાઈ સામ્યવાદ સાથે થવાની છે જેમાં સંઘનો ખપ છે. સંઘના વૈચારિક ગુરુ ગણાતા ગુરુ ગોલવલકરે પણ તેમના સંઘના ગીતાસમાન પુસ્તક ‘ધ બન્ચ ઓફ થોટ’માં લખ્યું છે કે ભારતમાં આખરી લડાઈ સંઘ અને સામ્યવાદીઓ વચ્ચે થવાની છે અને સંઘ દેશને સામ્યવાદથી બચાવવાનો છે.

તેમણે એમ ગૃહિત માની લીધું હતું કે હિંદુ ધર્મનું અને હિંદુ સમાજનું સ્વરૂપ જોતાં હિંદુ સમાજમાં મોટી સંખ્યામાં કટ્ટર હિંદુ ઘડવો એ શક્ય જ નથી. આ સિવાય હિંદુઓ જ્ઞાતિઓ દ્વારા વિભાજીત છે. ઊલટું તેમને તો એમ લાગતું હતું કે સંઘ હિંદુઓમાં એકતા માટેની સંગઠનભાવના પેદા કરવાનું કામ કરી રહ્યો છે જે એક રીતે સારું છે. હિંદુઓમાં સંગઠનભાવના પેદા થાય તો એમાં ખોટું શું છે? વળી તેમને એમ પણ લાગતું હતું કે ભારતનું બંધારણ કોઈને પણ લક્ષ્મણરેખા ઓળંગવા નહીં દે, એટલે હિન્દુત્વના રાજકારણને પરિણામે બંધારણીય ભારત જોખમમાં નહીં આવે. તેમને કાયદો હાથમાં લે એવો કટ્ટર હિંદુ નહોતો જોઈતો, પણ હિંદુ હોવાની સભાનતા અને ગૌરવ અનુભવનારો હિંદુ જોઈતો હતો. સંઘનો એ રીતનો ખપ તેમને દેખાતો હતો અને માટે તેઓ સંઘપરિવારને મદદ કરતા હતા અને સહાનુભૂતિ ધરાવતા હતા.
ભારતનું વિભાજન થયું ત્યારે અને એ પહેલાનું મુસ્લિમ રાજકારણ જોઇને એ સમયના અનેક કાઁગ્રેસી નેતાઓને એમ લાગ્યું હતું કે હિંદુઓમાં પણ એકતાની ભાવના પેદા કરનારું, હિંદુઓને સંગઠિત કરનારું, થોડુક લોંઠકાપણાનું પ્રદર્શન કરનારું, “બીજા”ઓને સખણા રાખવામાં ઉપયોગી થનારું એક હિંદુ પરિબળ જરૂરી છે અને એ સંઘ કરી શકે એમ છે. આ સિવાય સામ્યવાદને ખાળવામાં પણ ઉપયોગી થઈ શકે એમ છે. માટે ગાંધીજીની હત્યા પછી સંઘ પરનો પ્રતિબંધ પાછો ખેંચવામાં કાઁગ્રેસી નેતાઓએ મદદ કરી હતી. કાઁગ્રેસની અંદર જે કેટલાક હળવા હિંદુવાદી (સોફ્ટ હિંદુત્વવાદી) નેતાઓ હતા એ પોતાને ગાંધીવાદી કહેવડાવતા હોવા છતાં સંઘ માટે સહાનુભૂતિ ધરાવતા હતા.
આનું કારણ અરુણ શૌરી કહે છે એમ બૌદ્ધિક પ્રમાદ નહોતો પણ સંઘનો ખાસ પ્રકારનો વાંકી આંગળીએ ઘી કાઢવાનો ખપ હતો અને હિંદુ સમાજમાં કટ્ટર હિંદુ ક્યારે ય પેદા થઈ જ ન શકે અને છેવટે બંધારણ રખેવાળી કરશે એવાં ગૃહિત હતાં. અરુણ શૌરી જાહેરમાં આની કબૂલાત કરવા જેટલી હિંમત અને પ્રામાણિકતા ધરાવતા નથી. બીજા અનેક દિવંગત કે હયાત શૌરીઓ આ જ ગણતરીએ છેતરાયા હતા. અરુણ શૌરીએ ૨૮ પુસ્તકો લખ્યાં છે જેમાંથી તેઓ જ્યારે બી.જે.પી. સાથે હતા એ સમયનાં પુસ્તકો ઉપર નજર કરો. ‘રિલીજિયન ઇન પોલિટિક્સ’, ‘ધ ઓન્લી ફાધરલેન્ડ’, ‘અ સેક્યુલર એજન્ડા’, ઇન્ડિયન કોન્ટ્રોવર્સીઝ : એસેઝ ઓન રિલીજિયન ઇન પોલિટીક્સ’, ‘મિશનરિઝ ઇન ઇન્ડિયા’, ‘વર્લ્ડ ઓફ ફતવાઝ : શરિયા ઇન એક્શન’, એમીનન્ટ હિસ્ટોરિયન્સ’. ‘હાર્વેસ્ટિંગ અવર સોલ્સ : મિશનરીઝ ધેર ડિઝાઇન, ધેર ક્લેઇમ્સ’. આ પુસ્તકો ઇસ્લામ વિરોધી છે, ખ્રિસ્તી વિરોધી છે, સેકયુલરિઝમ વિરોધી છે, સામ્યવાદીઓ વિરોધી છે અને હિન્દુત્વવાદીઓ માટે છુપી કે પ્રગટ સહાનુભૂતિ ધરાવે છે. કારણ? કારણ આગળ કહ્યું એ જ. આ બધાઓને સખણા રાખવા માટે વાંકી આંગળીએ ઘી કાઢનાર હિંદુ સંગઠનની જરૂર છે. સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, એન.વી. ગાડગીળ અને બીજા અનેક કાઁગ્રેસીઓમાંથી કેટલાકે અરુણ શૌરીની માફક “બીજા”ઓ વિષે કવચિત થોડું લખ્યું છે, પણ તેમના રાજકારણ ઉપર નજર કરશો તો એમાં “બીજાઓ” સામે સંઘનો ખપ નજરે પડશે.
ઘણા લોકો અસ્મિતાજન્ય પોતાપણાની સભાનતા અને એકતાની ઘેલછા ધરાવે છે. એક પ્રકારનો રોમાંચ અનુભવે છે. એમાં જો પ્રસંગોપાત થોડું લોંઠકાપણું ઉમેરાય તો તેનું રાજકીય પ્રદર્શનમૂલ્ય હોય છે. “બીજા”થી બચવા માટે “બીજા’ને નુકસાન પહોંચાડવા માટે નહીં એવો પાછો ઉમદા હેતુ પણ જોવા મળશે. વિનોબા ભાવે દ્વારા દીક્ષિત સર્વોદય આંદોલનમાં પણ આવા કેટલાક લોકો મળી આવે છે.
અહીં સવાલ થવો જોઈએ કે તેઓ જ્યારે આર.એસ.એસ. માટે સહાનુભૂતિ ધરાવતા હતા અને મદદ કરતા હતા તો પછી સંઘને જે માણસ ગમતો નથી એ ગાંધીની આંગળી તેમણે શા માટે પકડી હતી? જે પક્ષ સંઘની વિચારધારા સ્વીકારતો નથી એ કાઁગ્રેસ પક્ષમાં તેઓ શા માટે જોડાયા હતા? સંઘને ભારતની જે કલ્પના સ્વીકાર્ય નથી એવા ભારતની કલ્પનાને શબ્દબદ્ધ કરનારું બંધારણ તેમણે શા માટે ઘડ્યું? બંધારણસભામાં આવા લોકો મોટી સંખ્યામાં હતા અને બંધારણ ઘડવામાં તેમનો સિંહફાળો હતો. કાયદાનું રાજ અને જવાબદાર રાજ્યતંત્રના તેઓ શા માટે મોટા પુરસ્કર્તા હતા અને છે? તેમણે ઉઘાડેછોગ સંઘનો એજન્ડા કેમ નહીં અપનાવ્યો? આજે અરુણ શૌરી જેવાઓ સંઘપરિવાર દ્વારા મર્યાદા ઓળંગાતી જોઇને શા માટે ડરી ગયા છે? શા માટે તેઓ બંધારણીય ભારતના ભવિષ્ય વિષે ચિંતિત છે? બીજે છેડે રહીને તેઓ સંઘ માટે સહાનુભૂતિ શા માટે ધરાવતા હતા અને મદદ કરતા હતા એનાં કારણો તો આપણે તપાસ્યા, પણ તેઓ હંમેશાં બીજે છેડે જ શા માટે રહ્યા? સંઘ માટે સહાનુભૂતિ હોવા છતાં શા માટે તેઓ આ બાજુ સંઘને છેડે ઊભા ન રહ્યા?
ના, સત્તાની લાલચ આનું કારણ નહોતું. આવું જો તમે વિચારતા હો તો એ ભૂલ છે. આવતા એક સપ્તાહ દરમ્યાન બીજાં કારણો વિચારો.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 ઍપ્રિલ 2022
![]()


હમણાં તો આપણા દેશમાં ઘણું બધું ચાલી રહ્યું છે. કોમી રમખાણો થયાં, સિતારાઓએ લગ્ન કર્યાં, બ્રિટિશ વડા આપણા દેશને આંગણે પધાર્યા, સાહેબ પણ આમ તેમ રાજ્યોની મુલાકાત લઇ રહ્યા છે વગેરે વગેરે. આ બધાની વચ્ચે એક મોટી ઉજવણી થઇ રહી છે જેની પૂર્ણાહુતિ આજે, રવિવારે પાણીપતમાં થશે. શીખોના ગુરુ તેગ બહાદુરની 400મી જન્મ જયંતીની બે દિવસની મોટીમસ ઉજવણીની જાહેરાત કેન્દ્ર સરકારે કરી. આ ઉજવણી કેમ આટલી મોટી અને અગત્યની? કોણ હતા આ ગુરુ તેગ બહાદુર? આ ઉજવણી મોટી એટલા માટે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આ પ્રસંગે ગુરુવારે રાત્રે સંબોધન કર્યું. મોદી દેશના એવા પહેલા વડા પ્રધાન છે જેમણે સૂર્યાસ્ત પછી આ મુગલકાળની ઇમારત પછી સંબોધન કર્યું છે. તેમણે આ સંબોધન લાલ કિલ્લાની લૉન પરથી કર્યું. ગુરુ તેગ બહાદુરની જન્મ જયંતીની ઉજવણીના પર્વ માટે લાલ કિલ્લાને પસંદ કરાયો કારણ કે અહીંથી જ મુગલ બાદશાહ ઔરંગઝેબે ઇ.સ. 1675માં શીખોના ગુરુ તેગ બહાદુરની હત્યાની હુકમ આપ્યો હતો. આ દાવો સંસ્કૃતિ મંત્રાલયના અધિકારીઓએ કર્યો છે. લાલ કિલ્લાની ઇમારત પર ચઢીને દેશને સંબોધવાની ઘટના માત્ર સ્વતંત્રતા દિવસ પર જ બને છે. 15 ઑગસ્ટ સિવાય લાલ કિલ્લા પરથી વડા પ્રધાનના સંબોધનો ક્યારે ય થયા નથી. આ પહેલા વડા પ્રધાન મોદીએ જ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આઝાદ હિંદ સરકાર ઘડાવાના 75મા વર્ષે, 2018માં લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવ્યો હતો અને સવારે 9.00 વાગ્યે સંબોધન કર્યું હતું. બીજી વખત શીખ ગુરુના સન્માન માટે પરંપરા અને નિયમોથી અલગ જઇને વડા પ્રધાને કાર્યક્રમ યોજ્યો.
તોફાનમાં ફસાયેલું પોતાનું જહાજ બચે તો જે ગુરુ હોય તેને ૫૦૦ સોનામહોર આપવાની જાહેરાત કરી, જહાજ બચ્યું પણ ગુરુ કોણ? તેણે કહ્યું કે જે પોતાની પ્રાર્થનામાં કેટલી સોનામહોરોની વાત હતી તે કહી આપશે તે સાચો ગુરુ? તેગ બહાદુરે આ આંકડો કહી આપ્યો અને આમ તે શીખોના ગુરુ બન્યા. ઔરંગઝેબના કાળમાં તેગ બહાદુરે પીર અને ફકીરોની દરગાહ પર થતી બંદગીને વખોડી. તેગ બહાદુર ત્યારે પોતાનો ઉપદેશ આપવા પ્રવાસ પણ ખેડતા. આ દરમિયાન પંજાબમાં મુગલોનો ત્રાસ વધતા ગુરુ પાછા ફર્યા અને મુગલ વડાઓએ લોકોનું ધર્માંતરણ કરવાને બદલે પહેલા ગુરુનું ધર્માંતરણ કરવું જોઇએની હાકલ નાખી. ઔરંગઝેબને આ પોતાની સામેનો પડકાર લાગ્યો. એક પુસ્તક અનુસાર તેગ બહાદુર પોતે દિલ્હી ગયા હતા, ત્યાં તેમની ધરપકડ થઇ અને શારીરિક ત્રાસ આપ્યા બાદ ચાંદની ચોકમાં તેમના ત્રણ સાથીદારો સાથે તેમનો વધ કરાયો. આ પછી તેગ બહાદુરના ગુરુ ગોબિંદ સિંઘ શિખોના દસમા ગુરુ બન્યા.
મહાભારતની કેટલીક વાતો સમજી-સ્વીકારી ન શકનાર બાબાસાહેબ સ્વીકારે-સમજાવે છે કે, “બૌદ્ધ ધર્મના અભ્યાસ પછી મારી વાચનભૂખ ઊઘડી. હજુ આજે પણ મારા મન પર બોદ્ધ ધર્મનો પ્રભાવ યથાવત્ છે. હું માનું છું કે વિશ્વમાં લોકોનું ભલું કરવાનું ફક્ત બૌદ્ધ ધર્મથી શક્ય છે. વારંવાર હું કહું છું કે હિંદુઓએ પોતાના રાષ્ટ્રનું અસ્તિત્વ ટકાવી રાખવું હશે તો તેમણે બૌદ્ધ ધર્મ અપનાવવો પડશે.” (પૃષ્ઠ-૧૪) આમ, નાનપણમાં ભેટ રૂપે મળેલું બુદ્ધનું ચરિત્ર વાંચીને નવો ચેતનાસંચાર પામીને, આજીવન બૌદ્ધ ધર્મનું ચિંતન-મનન કરીને, જીવનસંધ્યાએ બાબાસાહેબ બોધિસત્ત્વ પામ્યા.