Opinion Magazine
Number of visits: 9446261
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય ઇસ્લામ માટે મુસલમાનોએ ગર્વ લેવો જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|24 August 2023

રમેશ ઓઝા

ડેમોક્રેટિક પ્રોગ્રેસીવ આઝાદ પાર્ટીના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે ભારતનાં મોટાભાગના મુસલમાનો એક સમયે હિંદુ હતા અને વિદેશથી આવેલા મુસલમાનો તો બહુ ઓછી સંખ્યામાં હતા. તેમણે કાશ્મીરનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે કાશ્મીરની ખીણમાં વસતા મુસલમાનોના બાપદાદાઓ કાશ્મીરી પંડિતો હતા અને છસોએક વરસ પહેલાં તેમણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો.

ગુલામ નબી આઝાદે જે કહ્યું એ શુદ્ધ સત્ય છે, પણ એ સત્ય હિંદુ કોમવાદીઓ અને મુસ્લિમ કોમવાદીઓ એમ બન્નેને પરવડે એવું નથી. લગભગ ૯૦ ટકા મુસલમાનો મૂળ ભારતીય હિંદુઓ હતા અને માંડ દસ ટકા મુસલમાનો વિદેશથી આવ્યા હતા એ વાત જો સ્વીકારવામાં આવે તો ઇસ્લામના આક્રમણની થિયરી પાતળી પડી જાય. તો એનો અર્થ એ થાય કે સત્તાના લોભમાં કે લૂટના ઈરાદે કેટલાક વિદેશી મુસ્લિમ શાસકોએ કે સેનાનીઓએ ભારત પર આક્રમણ કર્યાં હતા અને તેને ઇસ્લામના વિસ્તાર સાથે કોઈ સંબંધ નહોતો અથવા હતો એ દ્વિતીય સ્તરનો હતો. મુખ્ય ઉદ્દેશ સત્તા અને સંપત્તિ હતાં. ટૂંકમાં ભારત પર જે આક્રમણ થયાં એ મુસલમાનોએ કરેલાં આક્રમણો હતાં, ઇસ્લામનું આક્રમણ નહોતું. પણ હિંદુ કોમવાદીઓ એ આક્રમણોને ઇસ્લામના રંગે રંગવા માગે છે, એટલે તેમને વિદેશથી આવેલા મુસલમાનોની સંખ્યા મોટી હોય એની આવશ્યકતા છે.

બીજું કારણ શરમ છે. જો ૮૦થી ૯૦ ટકા ભારતીય મુસલમાનોના બાપદાદાઓ હિંદુ હતા તો તેઓ મુસલમાન થયા શા માટે? અને કોણ થયા? શા માટે હિંદુઓ તેમને સાચવી ન શક્યા? જેમને ગામમાં પ્રવેશ નહોતો, જેમને હાંસિયામાં રાખવામાં આવતા હતા, જેમની સાથે અન્યાય કરવામાં આવતો હતો એવા લોકોએ સમાજમાં સન્માનપૂર્વકનું સ્થાન મેળવવા તેમ જ ન્યાય મેળવવા પોતાની ઈચ્છાથી ઇસ્લામનો સ્વીકાર કર્યો હતો એ વાત પણ સાચી છે. આ હકીકત કબૂલ કરવામાં કોમવાદી હિંદુઓને શરમ આવે છે માટે તેમને સત્તા કે લૂટના ઈરાદે કરવામાં આવેલા મુસલમાનોના આક્રમણોને ઇસ્લામના આક્રમણ તરીકે રંગવાં જરૂરી છે અને એ સારુ વિદેશથી આવેલા મુસલમાનોની સંખ્યા મોટી હોય એની આવશ્યકતા છે. ભારતમાં ઇસ્લામના વિસ્તારના ઈરાદે જો મોટી સંખ્યામાં મુસલમાનો ભારતમાં આવ્યા હોત અને ઇસ્લામના વિસ્તાર માટે જુલમ કર્યા હોત તો ભારતમાં મુસલમાનો બહુમતીમાં હોત. શા માટે ૭૫ ટકા હિંદુઓ નહીં વટલાયા? હિંદુઓએ મુસલમાનો સામે ધર્મ બચાવવા યુદ્ધ કર્યાં હોય કે પારસીઓની માફક ધર્મ બચાવવા એક સ્થળેથી બીજા સ્થળે દેશાટન કર્યું હોય એવી કોઈ ઘટના ઇતિહાસમાં જોવા મળતી નથી. હિંદુ-મુસ્લિમ વચ્ચેના સત્તાકીય યુદ્ધોનાં અનેક ઉદાહરણ છે, ધર્મયુદ્ધનું એક ઉદાહરણ બતાવો.

મુસ્લિમ કોમવાદીઓને પણ એ વાત સ્વીકારવામાં શરમ આવે છે કે ભારતમાં મોટાભાગના મુસલમાનોના બાપદાદાઓ પછાત હિંદુઓ હતા અને ન્યાય મેળવવા ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. તેઓ પોતાના વડાવાઓનાં મૂળ અરબસ્તાન, ઈરાન, ઈરાક, તુર્કસ્તાન અને મધ્ય એશિયામાં શોધે છે. માટે તેમને પણ વિદેશથી આવેલા મુસલમાનોની સંખ્યા છે એના કરતાં મોટી જોઈએ છે. “ઉચ્ચ ખાનદાન” અને “શુદ્ધ લોહી”નું વળગણ કમાલનું છે. ભલે નુકસાન થાય, પણ મૂળ તો વિદેશમાં જ શોધવાનાં.

આપણે તેમને પૂછવું જોઈએ કે ભારતીય ઇસ્લામ શું છે? જો ભારતીય ઇસ્લામ જેવી કોઈ ચીજ હોય તો એ ભારતીય મુસલમાનોએ જ વિકસાવી હોવી જોઈએ. દેખીતી રીતે તુર્કી, ઈરાની કે આરબ મુસલમાન ભારતીય ઇસ્લામ ન વિકસાવી શકે. ભારતીય ઇસ્લામ પર ભારતીય માટીની સુંગંધ છે. ભાષા, પહેરવેશ, રીતિરિવાજ, સંગીત, સાહિત્ય, કલાકારીગરી, વ્યંજન એમ કેટલી બધી ચીજો છે જે ભારતીય ઈસ્લામને એક વિશિષ્ટ ચહેરો આપે છે. જો વિદેશથી આવેલા મુસલમાનો મોટી સંખ્યામાં હોત તો ભારતીય ઇસ્લામનો ઘાટ ન ઘડાયો હોત. સૂફીઓમાં જોવા મળતી ખુદા અને બંદા વચ્ચેની એકત્વની તડપન જીવ અને શિવ વચ્ચેના એકત્વનો પ્રભાવ છે. આમ ભારતીય ઇસ્લામ પશ્ચિમ એશિયાના ઇસ્લામ કરતાં જુદો છે.

ભારતની માટીની સુગંધ ધરાવતો ભારતીય ઇસ્લામ ભારતની અને વિશ્વની એક સુંદર હકીકત છે જેને કટ્ટરપંથી મુસલમાનોએ નકારવાનું શરૂ કર્યું છે. તેઓ ભારતીય ઇસ્લામનું સાઉદીકરણ કરી રહ્યા છે. ભારતીય તો ઠીક ભારતના ઇસ્લામ પરના ઈરાની પ્રભાવને પણ ભૂંસી રહ્યા છે. આ દ્વારા તેઓ ભારતીય મુસલમાનોનો ચહેરો બદલી રહ્યા છે. હજુ હમણાં સુધી મુસ્લિમ સ્ત્રીઓ સાડી પહેરતી હતી, પણ હવે બુરખો પહેરે છે. બંગલાદેશની મુસ્લિમ મહિલાઓ સાડી પહેરવાનું છોડી રહી છે. એક સમયે બંગલાદેશ પૂર્વ પાકિસ્તાન હતું અને પશ્ચિમ પાકિસ્તાનના શાસકો સામે બંગાળી અસ્મિતાની લડાઈ લડતું હતું ત્યારે બંગાળી મુસ્લિમ સ્ત્રી ધરાર સાડી પહેરતી હતી. એમ કહેવા માટે કે અમારો ઇસ્લામ તમારા કરતાં અલગ છે. અમારો ઇસ્લામ બંગાળી સુગંધ ધરાવે છે.

ભારતમાં પોતાને ઇસ્લામના અને મુસલમાનોના પ્રવક્તા સમજનારાઓ પોતાને વિદેશી નસ્લના ઉચ્ચ કુલીન મુસલમાન તરીકે ઓળખાવે છે અને ભારતીય ઇસ્લામનો અને ભારતીય મુસલમાનોનો ચહેરો બદલવાનું કામ કરી રહ્યા છે. તેમને એ વાત નથી સમજાતી કે આવું કરીને તેઓ ભારતીય મુસલમાનોનું અહિત કરી રહ્યા છે. હિંદુ-મુસ્લિમ વૈમનસ્ય વધારવાનું કામ કરી રહ્યા છે. આમ કરીને તેઓ હિંદુ કોમવાદીઓને મદદ કરી રહ્યા છે. મારી મુસ્લિમ મિત્રોને સલાહ છે કે એક ભારતીય મુસલમાન તરીકે ભારતીય ઇસ્લામ માટે ગર્વ લો અને તેનું જતન કરો. તેનાથી તમને દૂર કરનારાઓને દૂર કરો. આગળ કહ્યું એમ ભારતીય ઇસ્લામ આ ધરતી પરની એક સુંદર હકીકત છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 24 ઑગસ્ટ 2023

Loading

24 August 2023 Vipool Kalyani
← ચાલો, હરારી પાસે – 17 : લિબરાલિઝમ
પ્રેમના સહિયારાપણાની ‘કોશિશ’ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved