Opinion Magazine
Number of visits: 9447287
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારત માટે ખતરનાક કહેવાયેલા જ્યોર્જ સોરોસની વાત કેમ ગંભીરતાથી લેવી જોઇએ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|26 February 2023

સત્તા પર બેઠેલાઓ માટે જે શરમજનક કે પ્રતિકૂળ હોય એવી માહિતી બહાર આવે એટલે એને ષડયંત્રના વાઘા પહેરાવી દેનારા સત્તાધીશોને કારણે ઓપન સોસાયટી પર – લોકશાહી પર તવાઇ આવે છે

ચિરંતના ભટ્ટ

જ્યૉર્જ સોરોસ – આ નામે મોટા માથાવાળાં ગુજરાતીઓને અને ભારતનાં મીડિયાને અકળાવી દીધા છે. આ અકળામણનું કારણ એ છે કે 17મી ફેબ્રુઆરીએ મ્યુનિચ સિક્યોરિટી કૉન્ફરન્સમાં અમેરિકન અબજોપતિ રોકાણકાર અને ફિલાન્થ્રોપિસ્ટ સોરોસે દાવો કર્યો કે, “યુ.એસ.એ.ની શોર્ટ સેલર હિન્ડેબર્ગ રિસર્ચે વિશ્વના ધનિક માણસ ગૌતમ અદાણી સામે જે રિપોર્ટ જાહેર કર્યો છે તેને કારણે રોકાણકારોનો ભારત પ્રત્યેનો આત્મવિશ્વાસ હચમચી ગયો છે.” તેમણે ઉમેર્યું કે, “મોદી અને અને આ બિઝનેસ ટાયકૂનને સારાસારી છે, તેમનું નસીબ એકબીજા સાથે જોડાયેલું છે. અદાણી એન્ટરપ્રાઇઝે સ્ટોક માર્કેટમાં ફંડ ખડા કરવાનો પ્રયાસ કર્યો પણ તેમાં તેમને નિષ્ફળતા મળી અને તેમણે સ્ટૉકમાં છબરડા કર્યા અને અંતે પત્તાનાં મહેલની માફક એમના સ્ટૉક ખડી પડ્યા.” – હા, તમને થશે કે આ બધું તો પતી ગયું તો એમાં શું, પણ સોરોસ આટલેથી ન અટક્યા. તેમણે આગળ એમ કહ્યું કે, “મોદી આ વિષય પર ચૂપ છે પણ તેમણે સંસદમાં વિદેશી રોકાણકારોના સવાલોના જવાબ તો આપવા જ પડશે. તેમણે એવું ય ભવિષ્ય ભાખ્યું કે આ જે પણ થયું છે તેને કારણે ભારતની સરકાર પર નરેન્દ્ર મોદીની પકડ નબળી પડશે જ અને ત્યાં જે સંસ્થાકીય પરિવર્તન અને સુધારાની જરૂર છે, તે થવાની શક્યતાઓ વધશે. તેમણે આ વાત પૂરી કરતાં એમ કહ્યું કે હું કદાચ અણસમજુ હોઇ શકું છું પણ ભારતમાં લોકતાંત્રિક પુનઃર્જીવન અને બદલાવની મને ચોક્કસ અપેક્ષા છે.”

જ્યોર્જ સોરોસ

જ્યૉર્જ સોરોસની આ ટિપ્પણી ભારત અંગે અને ભારતના રાજકીય શાસક પક્ષ સામે એક અલગ પ્રકારનો ડર અને ગેરસમજ પેદા કરશે, જે બહુ ચિંતાજનક બાબત છે એવો અવાજ વહેતો થયો. યુ.એસ.એ. મહાસત્તા હોવાને નાતે ત્યાં ન્યૂ યોર્કમાં બેઠેલા સોરોસ જેવા મોટાં માથાઓને એમ લાગે છે કે તેમનો દૃષ્ટિકોણ આખી દુનિયાના વહેવાર કે વિચારો પર સીધી અસર કરે છે એવું કહી આપણા વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે ઑસ્ટ્રેલિયાના સિડનીમાં રાયસી ડાયલૉગમાં તેમને વૃદ્ધ, ધનિક, ધર્માંધ અને ખતરનાક જેવા વિશેષણોથી નવાજ્યા. સ્મૃતિ ઇરાનીએ પણ સોરાસના આ નિવેદનની નિંદા કરી હતી.

જો કે સોરોસ આ પ્રકારની વાત પહેલીવાર નથી કરી. 2020માં દાવોસમાં થયેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં સોરોસે નરેન્દ્ર મોદી માટે એમ કહ્યું હતું કે, “પ્રજાસત્તાક રીતે ચૂંટાઈને આવેલા નરેન્દ્ર મોદી ભારતને એક હિંદુ રાષ્ટ્રવાદી દેશ બનાવી રહ્યા છે અને કાશ્મીર પર પ્રતિબંધ લગાડી એ ત્યાંના લોકોને દંડી રહ્યા છે અને CAA જેવા કાયદાઓ દ્વારા અનેક મુસલમાનોનું નાગરિકત્વ છીનવી લેવાની ધમકી આપી રહ્યા છે.”

જ્યૉર્જ સોરોસ એક એવું નામ છે જે 1992ના દાયકામાં ઘરઘરાઉ બન્યું કારણ કે તેમમે બ્રિટિશ પાઉન્ડની સામે બૅટ કરવાનું નક્કી કર્યું. પાઉન્ડ સામે શોર્ટ પોઝિશનિંગ કરીને 1 બિલિયન ડૉલર્સ કમાનરા જ્યૉર્જ સોરોસને કારણે ‘બ્લેક વેડનસ્ડે’ શબ્દ પ્રયોગ પ્રચલિત બન્યો જે બ્રિટિશ સરકાર માટે એવો ફટકો હતો કે એમાં તેમને ક્યારે ય કળ ન વળી. જ્યૉર્જ સોરોસ – ફિલાન્થ્રોફિસ્ટ (દાનેશ્વરી કે પરોપકારી) પણ છે અને તેમણે તેની સંસ્થા ઓપર સોસાયટી ફાઉન્ડેશન મારફતે માનવાધિકાર અને લોકતાંત્રિક સરકારોને, લગભગ 100 દેશોમાં અનેકવાર સામાજિક સંસ્થાઓ, શિક્ષણને લગતી યોજનાઓ કે પબ્લિક હેલ્થ માટે અબજો ડૉલર્સની મદદ કરી છે.

સોરોસનું જીવન તેમના આ વિચારોને આકાર આપનારું રહ્યું છે. સોરોસ યહૂદી પરિવારમાં, હંગરીના બુડાપેસ્ટમાં જન્મ્યા. વકીલ પિતાએ નાઝી કેમ્પમાંથી નામ બદલીને જેમ તેમ પોતાના પરિવારને બચાવ્યો. યુદ્ધમાં હંગરી સોવિયેત કેમ્પમાં ગયું અને મોટા થઇ રહેલા સોરોસે સોવિયેટ સામ્યવાદનો અનુભવ કર્યો. 17મે વર્ષે ઇંગ્લેન્ડ જઇને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં ભણનારા સોરોસને ફાસીવાદ અને સામ્યવાદની ક્ષતિઓ સમજાઇ. બન્ને વાદ – પોતાના સત્યનો બેફામ દબાવ કરતા અને આમ બન્ને ‘ઓપન સોસાયટી’ના વિરોધી ગણાય. ઓપન સોસાયટીનો વિચાર પણ સમજવા જેવો છે – ઓપન સોસાયટી એટલે એવો સમાજ જ્યાં કોઇ પણ એક વિચારધારા ધરાવતું જૂથ એવો દાવો ન કરે કે તેમને બધું જ ખબર છે, તેમની પાસે બધા જવાબો છે અને ન તો તેઓ સત્તાનો ઉપયોગ કરીને પોતાના જવાબો સમાજ કે તેમનાથી અલગ વિચાર ધરાવનારાઓને બળજબરીથી માનવા દબાણ કરે. સોરોસે હેજ ફંડ મેનેજર તરીકે પોતાની કારકિર્દી ઘડી, એક એવા વિચારને સાથે રાખ્યો કે સમાજ સંપૂર્ણ ન હોઇ શકે પણ વિવિધ અભિગમને સાથે રાખીને સતત એવા સુધારા સાથે સમાજે આગળ વધવુ જોઇએ જેનાથી સફળતાને વરી શકાય. મુક્ત અને સમાન સમાજનું બંધારણ ઇતિહાસમાંથી શીખેલા બોધને આધારે થઇ શકે એમ માનતા સોરોસે માર્કેટ ઇકોનોમીના પરિવર્તનની રાહ પકડી. તેમણે માર્કેટ ફંડામેન્ટાલિઝમ – બજારી કટ્ટરવાદને પડકાર્યો, ફ્રી માર્કેટને લગતી ગેરમાન્યતાઓ ખતમ કરી. તેમના મતે આ બધી લેવડદેવડ વ્યવહારુ બની જાય છે જેનું કેન્દ્ર માત્ર પૈસા હોય છે. તેમને આમ કહેવા માટે વખોડાયા પણ બીજા વિચારકોએ પણ તેમને ટેકો આપ્યો. એવો વિચાર મક્કમ થયો કે એક માત્ર ફ્રી માર્કેટ જ ઓપન સોસાયટીનો પાયો બની શકે, એ વિચારમાં કોઇ દમ નથી કારણ કે ફ્રી માર્કેટની ગેરમાન્યતાઓ છે જેમાં આર્થિક સત્તાની શતરંજ ચાલે છે.

ડેથ કેમ્પ (નાઝીવાદ) કે ગુલગમાં (સામ્યવાદ) માણસોને મારી નખાવાથી સમાજનો ખાત્મો નથી થતો. એક મોકળો સમાજ ત્યારે ખતમ થવા માંડે છે જ્યારે કોઇ પણ ટીકા કે અસંમતિને રાષ્ટ્રવિરોધીનું લેબલ લગાડી દેવામાં આવે છે. સત્તા પર બેઠેલાઓ માટે જે શરમજનક કે પ્રતિકૂળ હોય એવી માહિતી બહાર આવે એટલે એને ષડયંત્રના વાઘા પહેરાવી દેનારા સત્તાધીશોને કારણે ઓપન સોસાયટી પર – લોકશાહી પર તવાઇ આવે છે, એનાથી રાષ્ટ્રને નુકસાન નથી થતું પણ મોકળાશ ભર્યો સમાજ પાંગળો બને છે, બંધ થતો જાય છે, સંકોરાતો જાય છે.

આપણે ત્યાં બી.બી.સી.ની જૂની ડૉક્યુમેન્ટરી ચર્ચામાં આવી અને બી.બી.સી.ની ઑફિસીઝ પર દરોડા પડ્યા. શું આ ઓપન સોસાયટી છે? ખુન્નસ કાઢવાની માનસિકતા સમાજની મોકળાશને પાંગળી કરશે. લોકશાહી સૂતરને તાંતણે લટકણિયાની માફક માત્ર શોભા પૂરતી ન રહી જાય તેની જવાબદારી સત્તાધીશો અને મતદાતાઓ તમામની છે.

સોરોસે જે કહ્યું, અદાણીએ ભૂતકાળમાં હિન્ડનબર્ગ રિપોર્ટને જે રીતે નકાર્યો કે આપણા રાજકારણીઓએ સોરોસની ટિપ્પણી સામે જે પ્રતિક્રિયા આપી આ તમામને 360 ડિગ્રીમાં નિષ્પક્ષ રીતે જોવું જરૂરી છે. સોરોસે જે પણ કહ્યું છે તેમાં રહેલી આર્થિક ચેતવણીને ગંભીરતાથી લેવી પડે, ગોટાળાવાળા મૂડીવાદને કારણે ભારતની છબી ખરડાઇ છે એમાં ના નહીં અને વડા પ્રધાને આ પ્રકારની ઘટનાઓને લઇને વિદેશી રોકાણકારોને જવાબ આપવો રહ્યો. અદાણી જૂથ હિન્ડનબર્ગ સામે બદનક્ષીનો દાવો ન કરી શક્યું, તેમણે એફ.પી.ઓ. પાછો ખેંચી લીધો આ બતાડે છે કે એ રિપોર્ટમાં કંઇક તો દમ હશે જ. વળી ભૂતકાળમાં પણ લલિત મોદી, નિરવ મોદી અને વિજય માલ્યા જેવાઓએ આપણી બૅંકિંગ સિસ્ટમની ઉધઈ જાહેર કરી જ છે. સોરોસે જે 1992માં બ્રિટનમાં કહ્યું એ હિન્ડનબર્ગના રિપોર્ટે અદાણી માટે કર્યું. ભારતના આર્થિક સંસ્થાનો પર, અહીં થતી કામગીરી પર સવાલ થાય એ સ્વાભાવિક છે.

સોરોસની વાતને ભારતની લોકશાહી પરનો ગણતરીપૂર્વકનો હુમલો ગણાવનારાઓએ પેલો હિંદી વાક્ય પ્રયોગ યાદ કરવો રહ્યો, ‘ખુદ કે ગિરેબાનમેં ઝાંક કે દેખીએ.’

બાય ધી વેઃ

જમણેરીઓના રોષનું અવારનવાર ટાર્ગેટ બનનારા સોરોસ વૈશ્વિક સ્તરે ફાઇનાન્સિંગ માટે બહુ મોટું  નામ ગણાય અને માટે જ તેમના રાજકીય વિચારો હંમેશાં મહત્ત્વના ગણાયા છે. સોરોસે નરેન્દ્ર મોદીને હંમેશાં વખોડ્યા છે એમ નથી, તેમણે ડિજીટલ ઇન્ડિયા અને સ્વચ્છ ભારત મિશન માટે તેમની પ્રશંસા પણ કરી હતી. સોરોસની વાતને ગંભીરતાથી લીધે જ છૂટકો કારણ કે આપણને એક દેશ તરીકે આર્થિક સમાજિક ભેદમાં – અલગ સ્તરોમાં જીવવાની ટેવ છે – દેશના ધનિકોને પારદર્શક ઇન્ક્વાયરી માફક નથી આવતી – એ થશે તો એક સમાન અને મુક્ત સમાજને ક્યાંક પગ ટેકવવાની જગ્યા મળશે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 ફેબ્રુઆરી 2023

Loading

26 February 2023 Vipool Kalyani
← કોરોના કાળમાં કળાની સમીપે : 2
ખળભળાવી દે તેવું હિન્દી નાટક : Enter at Your Own Risk →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved