મધ્યરાત્રિના આ સમયે જ્યારે વિશ્વ આખું નિદ્રાધીન છે; ભારતમાં જીવન આંખો ખોલી રહ્યું છે, સ્વતંત્રતાની સવાર પડી છે. ઇતિહાસમાં એવી અતિ દુર્લભ ક્ષણો આવે છે જ્યારે આપણે જૂનામાંથી નવામાં પ્રવેશ કરીએ છીએ; જ્યારે એક યુગનો અંત આવે છે અને જ્યારે રાષ્ટ્રના દીર્ઘ કાળથી અવરુદ્ધ પ્રાણને નવજીવન મળે છે. આ અપૂર્વ ક્ષણે આપણે ભારતની અને તેના લોકોની સેવા માટે સમર્પણની અને તેથી પણ વધુ વિશાળ માનવતાની સેવા માટે શપથ લઈએ …
— પંડિત જવાહરલાલ નહેરુ
‘સૃષ્ટિ સે પહલે સત નહીં થા, અસત ભી નહીં
અંતરિક્ષ ભી નહીં, આકાશ ભી નહીં થા
છિપા થા ક્યા, કહાં, કિસસે ઢકા થા
ઉસ પલ તો અગમ અતલ જલ ભી કહાં થા’
આ પંક્તિઓ આમ તો ઋગ્વેદના એક શ્લોકનો અનુવાદ છે, પણ એક આખી પેઢી એને દૂરદર્શન ધારાવાહિક ‘ભારત એક ખોજ’ના પ્રારંભગીત તરીકે ઓળખે છે. ‘ભારત એક ખોજ’ એટલે પંડિત જવાહરલાલ નહેરુના પુસ્તક ‘ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ પરથી બનેલું ધારાવાહિક, જેને ટેલિવિઝન ઇતિહાસના આજ સુધીના શ્રેષ્ઠ રૂપાંતર તરીકે ઓળખવામાં આવે છે, જેનું દિગ્દર્શન શ્યામ બેનેગલ જેવા ધુરંધરે કર્યું હતું. ‘ભારત એક ખોજ’ ભારતનો ઇતિહાસ શીખવવા માટેનું ઉત્તમ માધ્યમ મનાતી અને શિક્ષકો વિદ્યાર્થીઓને એ જોવાની ભલામણ કરતા. 14 નવેમ્બરે આવતા પંડિત નહેરુના જન્મદિન ‘બાલદિન’ નિમિત્તે યાદ કરીએ પંડિત નહેરુ, શ્યામ બેનેગલ અને દૂરદર્શનને.
1942થી 45 દરમ્યાન બ્રિટિશ સરકારે પંડિત નહેરુને મહારાષ્ટ્રની અહમદનગર ફૉર્ટ જેલમાં કેદ રાખ્યા હતા ત્યારે એમણે ‘ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ પુસ્તક લખ્યું હતું. 1946માં એની પહેલી આવૃત્તિ બહાર પડી. લગભગ 600 પાનાં અને 10 પ્રકરણના આ પુસ્તકની શરૂઆત પ્રાચીન ભારતથી થાય છે અને બ્રિટિશ સામ્રાજ્ય સાથે એનો અંત આવે છે. ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને દર્શનનું એક વ્યાપક ચિત્ર એમાં જોવા મળે છે. તેઓ કહે છે, ‘ભારતમાતા કી જય એવું બોલીએ છીએ, પણ ભારતમાતા એટલે કોણ અને એની જય શા માટે થવી જોઈએ એ સમજીએ છીએ ખરા? ભારત એક પુરાતન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને તેને સ્વતંત્રતા અને સાર્વભૌમત્વનો અધિકાર છે, એની વિશ્વને જાણ થવા દો.’
એક જમાનો હતો જ્યારે ભારત સરકાર દૂરદર્શન દ્વારા ‘આખા દેશના લોકો આ જુએ છે’ એવી જવાબદારી સાથે સ્વચ્છ અને સાંસ્કૃતિક એવું મનોરંજન પીરસતી. વર્ષો સુધી દૂરદર્શનની એક જ ચેનલ હતી. એ સમયે બનતા ધારાવાહિકો માત્ર દૂરદર્શન માટે નહીં, સમગ્ર ભારત માટે માઈલસ્ટોન સમાં હતાં. 1984-85માં ધારાવાહિક ‘હમ લોગ’ આવ્યું અને 1986માં ‘બુનિયાદ’. 1987માં ‘રામાયણ’ અને 1988મા ‘મહાભારત’ પ્રસારિત થવા લાગ્યા. જે રીતે આ શ્રેણીઓએ ઘર-ઘરમાં પોતાનું સ્થાન જમાવ્યું એ જોઈ સરકારે એવી સિરિયલ પ્રસારિત કરવાનું નક્કી કર્યું જેમાં આપણા વિશાળ દેશનો ઇતિહાસ હોય. ઘર ઘરમાં દરેક નાગરિક સુધી આ પુરાતન વારસો પહોંચવો જોઈએ.
પણ આ વિરાટ વિષય પર સિરિયલ બનાવશે કોણ? પસંદગીનો કળશ સમાનાંતર સિનેમાના અગ્રણી શ્યામ બેનેગલનો સંપર્ક કરવામાં આવ્યો. તેમને ‘મહાભારત’ બનાવવામાં રસ હતો, પણ એ કામ બી.આર. ચોપરાને સોંપાઈ ચૂક્યું હતું. શ્યામ બેનેગલે ઇતિહાસ પરથી સિરિયલ બનાવવાની ઑફર સ્વીકારી અને આધાર બન્યું ‘ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ પુસ્તક. ‘આ પુસ્તક મને બાળપણમાં મારા જન્મદિન પર ભેટ મળ્યું હતું. ભારતના ઇતિહાસની મુખોમુખ થવાની એ પહેલી તક હતી.’
અને શ્યામ બેનેગલ કામે લાગ્યા. જબરદસ્ત હતી એમની ટીમ. એમાં 15 ઇતિહાસકારો હતા જે દરેક એપિસોડમાં માર્ગદર્શન આપતા. તેની પટકથા સ્ક્રીપ્ટ રાઈટર અને કૉસ્ચ્યુમ ડિઝાઈનર શમા જૈદી અને લેખક-અભિનેતા અતુલ તિવારીએ તૈયાર કરી હતી. આ બન્નેના હાથ નીચે 25 લેખકો કામ કરતા હતા.

શ્યામ બેનેગલ
5,000 વર્ષના ઇતિહાસને સમાવવાનો હતો એટલે દરેક કાળના વિશેષજ્ઞોની સલાહ લેવાતી. આવા 40 વિશેષજ્ઞો પણ શ્યામ બેનેગલની ટીમનો હિસ્સો હતા. આ આખી ટીમ 10,000 પુસ્તકોથી ઘેરાયેલી હતી. 1985-86થી કામ શરૂ થઈ ગયું હતું. 1988ના નવેમ્બરની 14 તારીખે, પંડિત નહેરુના જન્મદિને પહેલો એપિસોડ પ્રસારિત થયો. દર રવિવારે 11 વાગ્યે આ સિરિયલ પ્રસારિત થતી. દરેક એપિસોડ 60થી 0 મિનિટનો રહેતો.
સિરિયલમાં ઓમ પુરી, આલોક નાથ, પીયૂષ મિશ્રા, પલ્લવી જોશી, શબાના આઝમી, અમરિષ પુરી, નાસિરુદ્દીન શાહ જેવા કલાકારો હતા. અનેક કલાકારોની કારકિર્દીની શરૂઆત ‘ભારત એક ખોજ’થી થઈ હતી. એક અંદાજ મુજબ 350 જેટલા કલાકારોએ આ સિરિયલથી પોતાની કારકિર્દી શરૂ કરેલી. મોટા ભાગના કલાકારો નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના હતા. સૂત્રધાર તરીકે સ્વયં નહેરુને બતાવવામાં આવ્યા, એમનું પાત્ર રોશન શેઠે કર્યું હતું. અમુક એપિસોડના સૂત્રધાર ઓમ પુરી હતા. પુસ્તકમાં રહેલા ખાલી અંશોને ભરવા આ ઉમેરો કરવામાં આવ્યો હતો. 140થી વધુ સેટ બનાવાયા હતા. લોકસંગીત, લોકનૃત્ય, શાસ્ત્રીય નૃત્યપરંપરા જેવા વિવિધ માધ્યમોનો ઉપયોગ કરી પરંપરાગત નહીં પણ સર્જનાત્મક પદ્ધતિએ શૂટિંગ થયું હતું. આખો શો ડૉક્યુમેન્ટરી સ્ટાઈલનો હતો પણ અનેક સ્થળે નાટ્ય-પ્રભાવ હતો.
આગળ જણાવ્યું તેમ ‘ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ અહમદનગરની જેલમાં લખાઈ હતી. ભારત છોડો આંદોલન પછી બ્રિટિશ સરકારે લગભગ બધા આગેવાનોને કેદ કર્યા હતા. અહમદનગર જેલમાં પણ પંડિત નહેરુ સાથે અન્ય આગેવાનો કેદ હતા. પુસ્તકનું શ્રેય પંડિતજીએ આ સાથીઓને પણ આપ્યું છે અને મૌલાના અબુલ કલામ આઝાદ, ગોવિંદ વલ્લભ પંત, નરેન્દ્ર દેવ અને અસફ અલી આ ચારનો તો ખાસ ઉલ્લેખ કર્યો છે. આ સાથીઓ દેશના વિવિધ ભાગોમાંથી રાજકીય કેદીઓ તરીકે પકડાઈને આવ્યા હતા અને ભારતના ઇતિહાસ અને વર્તમાન વિષે ઊંડું જ્ઞાન ધરાવતા હતા. તેઓ પંડિતજીના લખાણનું પ્રૂફ વાચન કરી આપતા અને સર્જનાત્મક સૂચનો પણ કરતા. પુસ્તકની પ્રથમ આવૃત્તિ કલકત્તાના સિગ્નેટ પ્રેસે 16 નવેમ્બર 1946ના દિને પ્રગટ કરી હતી.
જેલમાં લખાયેલાં પુસ્તકોની સંખ્યા નાની નથી. અલાબામાની બર્મિંગહામ જેલમાંથી માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરે લખેલા પુસ્તકનું નામ છે, ‘લેટર ફ્રોમ બર્મિંગહામ સિટી જેલ’. પછીથી ઐતિહાસિક બની ગયેલું એમનું વિધાન ‘ઈન્જસ્ટિસ એનીવ્હેર ઈઝ અ થ્રેટ ટુ જસ્ટિસ એવરીવ્હેર’ આ પુસ્તકનો ભાગ છે. યુરોપની પહેલી આધુનિક નવલકથા ગણાતી ‘ડૉન કિહોટે’નું બીજ જેલમાં રોપાયેલું. અમેરિકન કવિ એઝરા પાઉંડનું 120 ખંડમાં વહેંચાયેલું દીર્ઘ કાવ્ય ‘પિસન કૅન્ટોન’, નેલ્સન માંડેલાનું ‘ધ કન્વર્ઝેશન ટુ માયસેલ્ફ’, ઓસ્કાર વાઈલ્ડનું ‘દ પ્રોફાઉન્ડિસ’ જેલમાં લખાયાં હતાં. મહાત્મા ગાંધીએ ‘આરોગ્યની ચાવી’ અને ‘મંગળ પ્રભાત’ જેલમાં લખ્યાં હતાં. વિનોબાજીનાં ગીતા પ્રવચનો જેલમાં અપાયાં હતાં. હિટલરની આત્મકથા પણ જેલમાં લખાઈ હતી.
પંડિત નહેરુએ ભારતના પ્રથમ વડા પ્રધાન તરીકે સ્વાતંત્ર્યની ઘોષણા કરતાં ઉચ્ચારેલા ઐતિહાસિક શબ્દો આજે પણ યાદ કરવા જેવા છે : ‘મધ્યરાત્રિના આ સમયે જ્યારે વિશ્વ આખું નિદ્રાધીન છે; ભારતમાં જીવન આંખો ખોલી રહ્યું છે, સ્વતંત્રતાની સવાર પડી છે. ઇતિહાસમાં એવી અતિ દુર્લભ ક્ષણો આવે છે જ્યારે આપણે જૂનામાંથી નવામાં પ્રવેશ કરીએ છીએ; જ્યારે એક યુગનો અંત આવે છે અને જ્યારે રાષ્ટ્રના દીર્ઘ કાળથી અવરુદ્ધ પ્રાણને નવજીવન મળે છે. આ અપૂર્વ ક્ષણે આપણે ભારતની અને તેના લોકોની સેવા માટે સમર્પણની અને તેથી પણ વધુ વિશાળ માનવતાની સેવા માટે શપથ લઈએ.’
‘ભારત એક ખોજ’ના અંતિમ એપિસોડના અંતે પંડિતજી કહે છે, ‘આપણે શું છીએ અને દેશને કેવો બનાવવા માગીએ છીએ તેના પર આપણા ભવિષ્યનો આધાર છે.’ અને ગીતાંજલિની પંક્તિઓનો સુંદર હિંદી અનુવાદ ભારતભૂમિનાં ભવ્ય સૌંદર્ય સાથે ટી.વી.ના પડદા સાથે દર્શકોના મનમાં ગુંજી રહે છે,
‘જહાં ચિત્ત ભયહીન, જહાં પર ઊંચા રહતા માથા હો
જહાં ન ધરતી કો ટુકડો મેં દીવારોં ને બાંટા હો
જહાં મુક્ત હો જ્ઞાન, સત્ય સે વારિ આલોકિત હો
ઉસી લોક મેં દેશ હમારા ભારત ચિરજાગ્રત હો …’
આ ભાવના, આ પ્રાર્થના આપણાં અને આપણી નવી પેઢીનાં ચિત્તને અજવાળતી રહે, એ જ શુભકામના.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 13 નવેમ્બર 2022