Opinion Magazine
Number of visits: 9504804
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બે શબ્દ, નારાયણ દેસાઈના શતાબ્દી પ્રવેશ નિમિત્તે

પ્રકાશ ન. શાહ|Gandhiana, Opinion - Opinion|10 January 2024

કટોકટી વખતે ગૌહત્યા પર પ્રતિબંધ માટે વિનોબા ભાવેએ આમરણ ઉપવાસ શરૂ કર્યા ત્યારે નારાયણ દેસાઈ તેમના પત્ની સાથે વિનોબાને જોવા મહારાષ્ટ્રના પવનાર આશ્રમે ગયા હતા

ગાંધીજી નારાયણ દેસાઈને હંમેશાં ‘બાબલા’ તરીકે જ સંબોધન કરતા

ગાંધીના ‘બાબલા’થી માંડી, વિનોબાના બટુક અને જયપ્રકાશના સાથી સૈનિકથી માંડી છેલ્લા દસકામાં એક લોકાયની કથાકાર લગીના આ સમૃદ્ધ જીવનયાત્રા, સાહિત્ય–શિક્ષણ–સમાજને સંકોરતી, સંઘર્ષ અને રચનાના સાયુજ્યની નાગરિક મથામણ રૂપે વિલસી રહે છે

ગુજરાતી સાહિત્ય પરિષદના ભોપાલ અધિવેશનની એક રૂડી સાંભરણ એ બની રહેશે કે સભાખંડ સાથે નારાયણ દેસાઈનું નામ જોડાયું હતું. પરિષદના પૂર્વ પ્રમુખ નારાયણ મહાદેવ દેસાઈ (24-12-1924 : 15-3-2015)ના શતાબ્દી વર્ષની એ નાંદી ઘટના લેખાશે.

હમણાં મેં પરિષદના પૂર્વ પ્રમુખ તરીકે એમનો ઉલ્લેખ કર્યો, અને એ ઠીક જ છે. પણ નારાયણ દેસાઈની ઓળખ એટલા પૂરતી સમેટાઈ જાય તે ચોક્કસ જ સાવ સપાટબયાની બની રહેશે. એ લેખક જરૂર હતા. પરિષદ પ્રમુખ તો એ મોડેથી થયા, 2008-2009ના બે વરસ માટે, ચોરાસીમે વરસે, પણ એના ખાસા ચારેક દાયકા પર એ એમનાં ગાંધીસંભારણાંની નાનીશી કિતાબ ‘સંત સેવતાં સુકૃત વાધે’ લઈ આવ્યા ત્યારે જ પ્રકાશક ભાઈદાસ પરીખે મોકલેલા છપાતા ફરમા વાંચી આપણા એકના એક સ્વામી આનંદે લખેલું કે ‘મન કૂદકો મારીને ઝડપી લે એવી ચોપડી વર્ષો કે દાયકાઓ પછી મેં વાંચી હોય તો તે આ.’ પછી તો, ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ એ મહાદેવ દેસાઈ ચરિત્ર સાથે એમની હાજરી બરાબરની પુરાઈ ગઈ. મહાદેવભાઈની ડાયરી આમ તો વિશ્વવિશ્રુત – પણ એમાં ‘બાબલા’(નારાયણ)ની નોંધ જ ન મળે, કેમ કે એ તો ગાંધીચર્યા અંગે હતી. બાબલાએ મોટપણે એનું વેર બરોબર લીધું, અધિકૃત પિતૃચરિત્ર આપીને! અને આગળ ચાલતાં ત્રિખંડવ્યાપી એવું આકર ગાંધીચરિત્ર આપી ગાંધીજીની પોતાની ભાષામાં વિગતવિશદ, સ્વાધ્યાયસમૃદ્ધ ચરિત્ર નથી એ મહેણું પણ ભાંગ્યું.

નારાયણ દેસાઈને વિરલ વિભૂતિઓ સાથે જીવન વ્યતીત કરવાનો, યથાશક્તિમતિ પ્રવૃત્ત રહેવાનો મળતા મળે એવો પડકાર અવસર મળી રહ્યો. તારુણ્યને ઉંબરે પહોંચતા સુધીનાં વર્ષો બાપુ સાથે સાબરમતી આશ્રમ ને સેવાગ્રામમાં, પછી ભૂદાન આંદોલનમાં વિનોબા સાથે – અને આગળ ચાલતાં જયપ્રકાશ સાથે, શાંતિ સેનાથી માંડી બીજા સ્વરાજની લડાઈ સહિત. જે પરિવર્તનની રાજનીતિમાં એમણે લોકનીતિ ભણી સહજ ઝુકાવ સાથે શ્વસવું પસંદ કર્યું. એણે જ એમને સીધા સાહિત્યિક નહીં એવા લેખન તરફ પણ દોર્યા – ‘ચેક ઉઠાવ, ટેંક સામે લોક’ હોય કે પછી બાંગ્લા મુક્તિસંગ્રામ હોય. બાંગ્લાદેશે, પાછળથી જે કેટલાક સંગ્રામમિત્રોને માનભેર પોંખ્યા એમાંના એક નારાયણ દેસાઈ પણ હતા. સામાન્યપણે સરકારી માનઅકરામથી પરહેજ કરતા રહેલા નારાયણભાઈને અંતિમ યાત્રા વખતે સરકારી માન અપાયું – કાં તો સરકારના સ્વવિવેકથી હોય, કે પછી કોઈ અદક પાંસળી રજૂઆતથી – પણ પરિવારે બહુ જ વિવેકપૂર્વક બંદૂક ફોડી અંતિમ સલામ આપવાની વાત તો ખાળી જ. મરણોત્તર પદ્મસન્માન વાસ્તે સરકારી દરખાસ્ત આવી ત્યારે પણ પરિવારે એનો સાભાર અસ્વીકાર કરી ‘જ્યોં કી ત્યોં ધરી દીની ચદરિયા’નો નારાયણભાઈનો હૃદયભાવ પાળી જાણ્યો.

જીવનના છેલ્લા દસકામાં એમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની તેમ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ (ચાન્સેલર) તરીકેની જવાબદારી બખૂબી નભાવી જાણી. પરિષદની વ્યાસપીઠ પરથી એમણે 2002ના મહાપાતક વિશે અને અકાદમીની સ્વાયત્તતા સરી ગઈ એ ‘ઓશિયાળી’ પરિસ્થિતિ વિશે અસંદિગ્ધ શબ્દોમાં કહ્યું તો જિલ્લે જિલ્લે વાંચનયાત્રા યોજી એક જુદો જ લોકતાંતણો સાંધ્યો.

નારાયણ દેસાઈ

નારાયણ દેસાઈની કારકિર્દીનો આ આલેખ, એનું ઓઠું વ્યક્તિગત હોવા છતાં એક આખી તરુણાઈ અને એની પ્રૌઢિ ને પરિણત વર્ષોની જદ્દોજહતનો ચિતાર આપે છે. સ્વરાજ સૈનિક હોવું, સ્વરાજનો મેદ ને કાટ ન ચડે તે જોવું અને સ્વરાજ નિર્માણના રચનાકાર્યમાં નિજને પ્રોવું, સ્વરાજની બીજી લડતનો પડકાર ઝીલવો, સરવાળે સંઘર્ષ અને રચનાનું સાયુજ્ય.

ગાંધીથી શરૂ કરી વાયા વિનોબા, જયપ્રકાશ સુધી પહોંચવું એ સાધારણ યાત્રા અલબત્ત નથી. જો કે, નારાયણભાઈ કે એમના જેવા બીજા મિત્રો તો સરળતાથી કહેવાના કે આમાં અમારી કોઈ સિદ્ધિ નથી. સત્સંગતિથી જે થાય તે થયું. મને યાદ છે, જયપ્રકાશજીએ ભરબિહાર આંદોલને જે ચાર સાથીઓને પટણા નોંતર્યા ને જોતર્યા એમાંના એક ના.દે. પણ હતા. અમે જયપ્રકાશજીની રજાથી એમને ગુજરાત નોંતર્યા, બિહાર આંદોલનનું પ્રત્યક્ષ ને પ્રમાણભૂત ચિત્ર આપવા, ત્યારે અમે બધા સહજ જ તાનમાં આવી ગયા હતા અને ચંપારણના દિવસોમાં જેમ ગાંધી ને મહાદેવ સાથે હતા તેમ આજે જયપ્રકાશ ને નારાયણ સાથે છે એવો પેરેલલ પણ લગીર રોમેન્ટિક રુશનાઈથી પેશ કર્યો હતો. એ વખતે, ના.દે. જેનું નામ, એમણે અકબર ઈલાહાબાદીનું ઓઠું લઈને પોતાની પ્રશંસા વિશે અમને ઠમઠોર્યા ને ટપાર્યા હતા : ભાઈ, આ તો બુદ્ધુમિયાં જેવું છે, હૈ તો વો રાસ્તે કી ધૂલ લેકિન આંધી કે સાથ હૈ. પછી કહ્યું, આમાં આંધીને બદલે ગાંધી કરી નાખો એટલે હિસાબ બરોબર થઈ જશે!

પાછો છેલ્લા દાયકા પર આવું. વિદ્યાપીઠના કુલપતિ તરીકે સરકારથી સ્વતંત્ર ભૂમિકા લેવી – આજના કથિત ‘ગવર્નર રાજ’થી વિપરીત – એ એમની વિશેષતા રહી તેમ યુ.જી.સી.નાં ધોરણો ને આગ્રહો વચ્ચે ગાંધી પરંપરાના વિકસન સાથે બરકરાર રહેવું એ એમની કોશિશ રહી, જેનું સાતત્ય તમને ઈલાબહેન ભટ્ટના કાર્યકાળમાં પણ જોવા મળશે.

પણ છેલ્લે, જો કે અંગ્રેજીમાં કહે છે તેમ લાસ્ટ બટ નોટ લીસ્ટ, એમનું જે સ્વરૂપ નિખરી આવ્યું એ તો એક લોકાયની તરીકેનું. કથા સ્વરૂપે લોક સમક્ષ જવું ને જીવન દેવતા ગાંધીની કથા માંડવી અલબત્ત સાંપ્રત અનુબંધ સાથે, એમાં એમણે પોતાનો ધર્મ જોયો. વોટ્સએપ યુનિવર્સિટીમાં ત્યારે ઊઠવા લાગેલા ને અત્યારે ત્રણે પાળીમાં અંધાધૂંધ ફેંકાતા રહેલા ગચિયા સામે આ આર્ત ને આર્ષ એટલો જ અધ્યયનપુત અવાજ આપણી મોંઘેરી મિરાત છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 10 જાન્યુઆરી 2024

Loading

10 January 2024 Vipool Kalyani
← ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૨૪) : મમ્મટ 
આદિવાસી અધિકારોનો સબળ અવાજ : જયપાલ સિંહ મુંડા →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved