Opinion Magazine
Number of visits: 9448730
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાંગલાદેશમાં ખરેખર દંગા પાછળનો મુદ્દો શું છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|28 July 2024

રમેશ ઓઝા

બંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના વાઝેદ માટે લગભગ દોઢ દાયકાની સુખશાંતિ પછી બંગલાદેશમાં છેલ્લા બે અઠવાડિયાથી અનામતની જોગવાઈના વિરોધમાં આંદોલન ચાલી રહ્યું છે અને કહેવાની જરૂર નથી કે આંદોલનકારીઓ યુવાનો છે. તાત્કાલિક અને નિમિત્ત કારણ છે અનામતની જોગવાઈ. બંગલાદેશમાં સરકારી નોકરીઓમાં બે પ્રકારની અનામતની જોગવાઈ છે. એક છે ઇનામી કે કદરદાની અને બીજી છે ન્યાયલક્ષી. ૩૦ ટકા જોગવાઈ ઇનામી કે કદરદાની પ્રકારની છે જે ત્રીજી પેઢીને પણ વારસામાં મળી રહી છે. બીજી ૨૦ ટકા જોગવાઈ એવા લોકો માટે છે જેઓ વિકાસની સીડી પર નીચે છે અને ઉપર ચડાવવા જેમનો હાથ પકડવો જરૂરી છે અથવા જેમનો અવાજ બુલંદ નથી. એમાંની દસ ટકા વાંશિક લઘુમતીઓ માટે છે (જેમ કે ચટ્ટગાંવના પહાડી પ્રદેશના બૌદ્ધ ચકમા) અને દસ ટકા આર્થિક રીતે પછાત જિલ્લાઓ માટે. એક ટકો બેઠકો શારીરિક રીતે વિકલાંગો માટે છે. કુલ મળીને ૫૬ બેઠકો અનામત છે.

આંદોલનકારીઓના નિશાન પર છે, કદરદાનીની ૩૦ ટકાની જોગવાઈ. ૧૯૭૧માં બંગલાદેશ પાકિસ્તાનથી અલગ થઈને આઝાદ થયું એ પછી ૧૯૭૨માં બંગલાદેશના પહેલા વડા પ્રધાન અને એ સમયના નિર્વિવાદ સર્વોચ્ચ નેતા (જેમને અત્યારે બંગલાદેશના રાષ્ટ્રપિતા તરીકે સ્થાપવામાં આવી રહ્યા છે) શેખ મુજીબુર રેહમાને કહ્યું હતું કે જે લોકો જોખમ ઉઠાવીને અને અંગત ભોગ આપીને બંગલાદેશની મુક્તિ માટે લડ્યા હતા તેમની કદર કરવી જોઈએ. ત્યારે એક કાયદો કરીને તેમને માટે અને તેમનાં સંતાનો માટે ૩૦ ટકા સરકારી નોકરીઓ અનામત રાખવામાં આવી હતી.

દેશ લોહી વહાવીને તાજો આઝાદ થયો હતો એટલે મુક્તિબાહિનીમાં જોડાઈને જે લોકો લડ્યા હતા તેમના માટે લોકોના મનમાં એક આદર હતો. તેમની કદર કરવામાં આવે એ વાતનો ત્યારે કોઈએ વિરોધ નહોતો કર્યો. પણ દરેક વાતનો એક અંત હોય છે અને કદર ક્યાં સુધી કરવાની? વંશજોની પણ કદર કરવાની? પહેલી બે પેઢીની તો કરી, હવે ત્રીજી પેઢીની પણ કરવાની? બીજું બંગલાદેશની આઝાદીની લડત ભારતની આઝાદીની લડત કરતાં સાવ અલગ હતી. ભારતમાં એ લોકોને સ્વાતંત્ર્ય સૈનિકનો દરજ્જો આપવામાં આવ્યો હતો જે લોકોએ કમ સે કમ છ મહિનાની જેલ ભોગવી હોય અને જેલનો રેકર્ડ હોય. બીજું, કદરદાની રૂપે માત્ર તામ્રપત્ર, મફતમાં રેલવે મુસાફરી કરવાનો પાસ અને આજીવન નાણાંકીય પેન્શન આપવામાં આપતાં હતાં. જેલોનો બ્રિટિશકાલીન રેકર્ડ લાવવો જરૂરી હતો એટલે બોગસ સ્વાતંત્ર્ય સૈનિકોની સંખ્યા ઓછી હતી. સામે કોઈ મોટા લાભ પણ નહોતા. આની સામે  બંગલાદેશમાં લાભ મોટો આપવામાં આવ્યો અને કોણ મુક્તિ બાહિનીમાં હતું અને કોણ નહોતું એનો કોઈ રેકર્ડ જ નથી. એમાં પાકિસ્તાનના લશ્કરના આજી-માજી જવાનો હતા, પોલીસદળના આજી-માજી લોકો હતા, આઝાદી માટે લડનારા યુવાનો અને તરુણો હતા વગેરે. રેકોર્ડ કોઈ પ્રકારનો નહોતો. ૧૯૭૨માં જ્યારે પહેલીવાર અનામતની જોગવાઈ આપવામાં આવી ત્યારે જ હોબાળો મચ્યો હતો. મેં ભી ડીચની માફક દરેક પોતાને આઝાદીના લડવૈયા બતાવીને તેમાં ઘૂસવા લાગ્યા હતા. હવે જો આવો કદરદાનીનો સંદિગ્ધ વારસો પચાસ વરસ સુધી, એ પણ ત્રીજી પેઢી સુધી અને એ પણ ઓછો નહીં, ૩૦ ટકા સુધી આપવામાં આવે તો વિરોધ થાય કે ન થાય!

શેખ હસીના વાઝેદ

બંગલાદેશમાં અનામતની જોગવાઈનો જે વિરોધ થઈ રહ્યો છે એ કદરદાનીવાળી જોગવાઈનો વિરોધ થઈ રહ્યો છે, ન્યાયનિષ્ઠ અનામતની જોગવાઈનો વિરોધ નથી થઈ રહ્યો. અલબત્ત થોડા લોકો એવા પણ છે જે બાકીની ૨૧ ટકાની ન્યાયલક્ષી જોગવાઈનો પણ વિરોધ કરી રહ્યા છે. પણ તમે જોયું હશે કે ભારતનાં ગોદી મીડિયા એવી રીતે બંગલાદેશના આંદોલનને રજૂ કરી રહ્યા છે કે જાણે બંગલાદેશમાં સમૂળગી અનામતની જોગવાઈનો વિરોધ થઈ રહ્યો હોય. તેમનો ઉદ્દેશ ભારતમાં અનામતવિરોધી હવા પેદા કરવાનો છે. સાચું કહું, નરેન્દ્ર મોદીને આજ સૌથી વધુ નુકસાન ગોદી મીડિયા પહોંચાડી રહ્યા છે, જે તેમણે પોતે પેદા કર્યા છે. જો બી.જે.પી.ને ચારસો બેઠક મળશે તો તે બંધારણ બદલશે અને અનામતની જોગવાઈ હટાવશે એવી એક ધારણા બની હતી, જેને કારણે લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને માર પડ્યો હતો. પણ ગોદી મીડિયાને તો ખિસ્સા ભરવા સાથે સંબંધ છે.

પાંચ દાયકાથી સંદિગ્ધ લોકોને ૩૦ ટકા અનામત નોકરીઓ આપવામાં આવી રહી છે તેની સામે લોકોનો અસંતોષ છે. બંગલાદેશની હસીના વાઝેદની સરકારે યોગ્ય રીતે જ ૨૦૧૮ની સાલમાં સ્વાતંત્ર્ય સૈનિકો માટેની અનામતની જોગવાઈ રદ્દ કરી હતી. એ પછી બન્યું એવું કે કેટલાક લોકોએ તે નિર્ણયને અદાલતમાં પડકાર્યો અને રાજશાહીની વડી અદાલતે સરકારના નિર્ણયને ગેર બંધારણીય ઠરાવીને ૩૦ ટકા અનામતની જોગવાઈ પાછી લાગુ કરી. આની સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવામાં આવી હતી અને સર્વોચ્ચ અદાલતે અનામતનું પ્રમાણ ઘટાડીને પાંચ ટકા આઝાદીના લડવૈયાઓના ત્રીજી પેઢીનાં સંતાનો માટે, એક ટકો વાંશિક લઘુમતી કોમ માટે અને એક ટકો વિકલાંગ માટે એમ કુલ સાત ટકા અનામતની જોગવાઈ કરવાનો આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે પ્રમાણ ઘટાડ્યું હોવા છતાં પણ આંદોલન શમતું નથી, કારણ કે આઝાદીના લડવૈયાઓની ત્રીજી પેઢીના સંતાનો માટેની પાંચ ટકાની જોગવાઈ પણ બેહુદી છે. હવે તેનો સમૂળગો અંત આવવો જોઈએ.

એની વચ્ચે ગયા જાન્યુઆરી મહિનામાં બંગલાદેશમાં ત્યાંની લોકસભાની ચૂંટણી યોજાઈ. હવે એ તો તમે જાણતા જ હશો કે બંગલાદેશમાં લોકતંત્ર નામનું છે, દેખાવ પૂરતું છે અને લગભગ એકપક્ષીય છે. બંગલાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન બેગમ ખાલેદા ઝિયાનો બંગલાદેશ નેશનાલિસ્ટ પક્ષ લગભગ ખતમ થઈ ગયો છે. આ સિવાય બેગમ ઝિયા બીમાર છે, પુત્ર વંઠેલ છે અને તેઓ પોતે ભ્રષ્ટાચારના સાબિત થઈ ચૂકેલા ગુના માટે જેલ ભોગવી ચુક્યાં છે. આનો લાભ અત્યારના શાસક પક્ષને મળી રહ્યો છે. શેખ હસીના વાઝેદ ૨૦૦૯ની સાલથી બંગલાદેશનાં વડાં પ્રધાન છે અને ગયા જાન્યુઆરી મહિનામાં ચોથી વાર તેમની સરકાર બની છે. જો કોઈ મોટું વિઘ્ન નહીં આવે તો વીસ વરસનો લાંબો તેમનો કાર્યકાળ નીવડશે.

પણ વિઘ્નો છે અને અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે એ કદાચ એ વિઘ્નનું પરિણામ છે. પ્રારંભમાં કહ્યું એમ અનામત તો એક નિમિત્ત છે. બંગલાદેશમાં એક વર્ગ એવો છે જે ઈસ્લામને વરેલો છે અને તે એમ માને છે કે બંગાળી અસ્મિતા કરતાં ઇસ્લામની અસ્મિતા સર્વોપરી છે. ઇસ્લામ એક સંપૂર્ણ ધર્મ છે અને બંગાળી હોવાપણું તેમાં સમાહિત છે. ૧૯૭૧માં બંગલાદેશ મુક્તિ સંગ્રામ ચાલતો હતો ત્યારે મોટી સંખ્યામાં ઇસ્લામવાદી બંગાળીઓ સ્વતંત્રતાનો વિરોધ કરતા હતા અને પાકિસ્તાનને મદદ કરતા હતા. ઇસ્લામ સારુ પાકિસ્તાનની રચના થઈ અને બંગાળી ભાષા અને બંગલા અસ્મિતા માટે પાકિસ્તાનનું વિભાજન થાય એ તેમને સ્વીકાર્ય નહોતું. તેમણે પાકિસ્તાનના લશ્કરને મદદ કરી હતી અને એ મદદ કરનારાઓ ત્યારે રઝાકાર તરીકે ઓળખાતા હતા. રઝાકાર અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે, સ્વયંસેવક જે કોઈ ઉદ્દેશ માટે સામેથી વગર વેતને મદદ કરે. હૈદરાબાદના નિઝામે ભારતમાં જોડવા બાબતે આડોડાઈ કરી ત્યારે હૈદરાબાદના કહેવાતા ઇસ્લામિક રાજ્યને ટકાવી રાખવા નિઝામને મદદ કરવા કેટલાક મુસલમાનો આગળ આવ્યા જે રઝાકાર તરીકે ઓળખાતા હતા.

હૈદરાબાદનું ભારતમાં વિલીનીકરણ થયું ત્યારે રઝાકાર નેતાઓ ડરીને પાકિસ્તાન ભાગી ગયા અને બાકીના રઝાકાર મુસલમાનો સમય વર્તીને શાંત થઈ ગયા, પરંતુ બંગલાદેશમાં એવું નથી થયું. ત્યાં આજે પણ ઇસ્લામવાદીઓ સક્રિય છે અને તેઓ એમ ઈચ્છે છે કે બંગલાદેશ બંગાળી દેશ નહીં, પણ ઇસ્લામિક દેશ હોવો જોઈએ. છેલ્લાં વર્ષોમાં તેમની પ્રજાની અંદર સ્વીકૃતિ વધી રહી છે અને આજે જે મઝહબી સ્વીકૃતિ છે એ આવતીકાલે રાજકીય સ્વરૂપ પણ લઈ શકે છે. શેખ હસીનાને આ વાતનો ડર છે. એટલે જ્યારે સાવ નાબૂદ કરવામાં આવેલી અનામતની જોગવાઈને પાંચ ટકા કરીને સર્વોચ્ચ અદાલતે મંજૂરીની મહોર મારી એ જોઇને શેખ હસીના ગેલમાં આવી ગયાં હતાં. એક તો ચૂંટણીમાં ત્રીજી વાર વિજય અને ઉપરથી અનામતની જોગવાઈને મળેલી મંજૂરી. વિરોધીઓને ભૂંડા લગાડવા તેમણે કહ્યું કે “દેશને આઝાદી અપાવનારા નરબંકાઓનાં સંતાનોને અનામત નહીં આપી એ તો શું રઝાકારોના સંતાનોને આપશું?”

આપણે ત્યાં જેમ હિન્દુત્વવાદીઓ હિંદુઓનું દેશપ્રેમી અને દેશદ્રોહી એવું વિભાજન કરે છે એમ બંગલાદેશમાં શેખ હસીના બંગાળીઓનું સાચા બંગાળી અને રઝાકાર બંગાળી એવું વિભાજન કરે છે. ૨૦૦૯થી જ્યારે પણ મોકો મળે ત્યારે રઝાકારોને નીંદવાનો અને દંડવાનો મોકો તેઓ ચૂકતા નથી. બંગલાદેશ આઝાદ થયું એ પછી ચાલીસ વરસે રઝાકારોને મૃત્યુદંડ આપવાની ઘટના પણ બની છે. પણ આ વખતે રઝાકારની રમત ઊંધી પડી રહી છે. ક્યાં સુધી ડરાવીને રાજ કરશો? ક્યાં સુધી કોઈના પર ગદ્દારીના લેબલ ચોડીને રાજ કરશો? ક્યાં સુધી ઠેકેદાર બનીને રાજ કરશો? દરેક રમતનો અંત હોય છે અને શેખ હસીનાનાં બંગાળી અસ્મિતાના રાજકારણનો પણ કદાચ અંત આવી રહ્યો છે.

રોજગારી વિનાની બંગાળી અસ્મિતા શા કામની? યુવાનોનો આ સવાલ છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 જુલાઈ 2024

Loading

28 July 2024 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—258
બજેટ 2024: રાજનૈતિક લાભને અગ્રિમતા આપતા બજેટમાં નાગરિકો વખારે નખાયા? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved