courtesy : "The Divya Bhaskar", Ahmedabad; 02 øctober 2017
courtesy : "The Divya Bhaskar", Ahmedabad; 02 øctober 2017
આપણે જેટલા સાધારણ, પામર અને બદમાશ છીએ, આપણે આપણાથી થોડીક પણ સારી હોય તેવી વ્યક્તિની તેટલા જ પ્રમાણમાં સરાહના કરીએ છીએ. આપણે આપણામાં જે કમી છે તેને બીજી વ્યક્તિમાં પૂરી થતી જોઈએ છીએ. સમાજ એટલો ભ્રષ્ટ છે કે, આપણને કોઈ ઈમાનદાર માણસ મળે તો આપણે એની આરતી ઉતારીએ છીએ. આ ખોટું પણ નથી. અચ્છાઈના આદર્શ હંમેશાં શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે જરૂરી હોય છે, મુસીબત ત્યારે થાય જ્યારે એનો અતિરેક થાય, અને પોતાની બદમાશીઓ ઢાંકવા માટે આપણે આપણાથી સારા માણસને આપણા કરતાં અલગ જોવા લાગીએ, અને એને પેડસ્ટલ ઉપર બેસાડીને એનામાં એવા ગુણ જોવા લાગીએ, જેની ના તો એને ખબર છે કે ના તો એને એની જરૂરત. આદર્શો વ્યવહારિક અને ઓપરેશનલ હોવા જોઈએ, કિસ્સા-કહાનીઓમાં નહીં.
રાજકીય લીડરો અને સાંપ્રદાયિક મહંતોને આપણે તારણહારની કક્ષાએ મૂકીએ છીએ (અને પછી પસ્તાઈએ છીએ). તે આ દેવત્વ આરોપવાની આપણી પરફેકશનની જરૂરિયાતનું પરિણામ છે. તેમની સારી વાતો અને વ્યવહારની પ્રશંસા એ એક બાબત છે, પણ એમની માયાવી છબિ ઊભી કરીને પછી એમને એ જ ત્રાજવે તોળવા એ એમની સાથે પણ અન્યાય છે. જેમ કોઈની નિંદા કરવી એ આપણા ફૈસલાનો એક ભાગ છે, તેવી જ રીતે કોઈની સ્તુિત કરવી એ પણ જજમેન્ટનું જ સ્વરૂપ છે. કોઈનું મૂલ્યાંકન કરવાની ચેષ્ટાથી આપણે કાં તો એને આપણાથી ઉપર કરી દઈએ છીએ, અથવા આપણાથી નીચે. એમાં આપણે એને આપણી સમકક્ષ કે આપણા જ એક ભાગ તરીકે જોવાનું બંધ કરી દઈએ છીએ.
આપણે કોઈકને પરફેકટ બનાવી દઈએ પછી જે બીજી મુસીબત ઊભી થાય છે તે એ છે કે આપણે એની કોઈ કમજોરીને સ્વીકારતા નથી, અને કોઈ દોષ કે ત્રૂટી સામે આવે તો એનાથી આપણામાં ‘તમે એમના વિષે આવું કહી જ કેવી રીતે શકો’, એવી અહંકારની પ્રતિક્રિયા આવે છે. આને અતિભક્તિ કહે છે. રાજનીતિ, ધર્મ, રમત કે સિનેમા સ્ટારના અનુયાયીઓમાં જે હિંસા જોવા મળે છે, તે આ અતિભક્તિનું પરિણામ છે. એટલે જ fan ઉપરથી fanatic (ઝનૂની) શબ્દ આવ્યો છે.
મહાત્મા ગાંધી સાથે આવું જ થયું છે. એ ઇતિહાસના મહાન અસાધારણ લોકની હરોળમાં આવે છે, અને પૂરા વિશ્વમાં રોલ મોડેલ તરીકે સ્થાપિત છે. અમેરિકામાં થોમસ જેફરસન અને ઇસ્લામિક દેશોમાં કુરાન જેમ સાર્વજનિક અને નિજી જીવન માટે અલ્ટીમેટ સંદર્ભ ગણાય છે, તેવી જ રીતે બહુમતી ભારતીઓ માટે ગાંધીજી નૈતિકતાનો એ પથ્થર છે જ્યાં દરેક શીશ ઝુકાવે છે. એટલે, ભારતમાં કોઈ પણ પ્રકારની અને કોઈ પણ દિશાની બહસ હોય, ગાંધી દરેક વ્યક્તિને દરેક દલીલમાં કામ આવી શકે છે.
એક રીતે ગાંધીજીને આપણે દેવની કક્ષાએ મુક્યા છે, પણ હકીકત એ છે કે એમની ટીકા અને વિરોધ પણ એટલો જ છે. નેતાજી બોઝની એક માત્ર સંતાન અનીતા બોઝે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ”ગાંધી સંત નો’તા, પણ એમની છબિ એવી જ બનાવાઈ છે. મારા મતે એ ચાલાક રાજકારણી હતા. એ વકીલ હતા એટલે વ્યવસ્થા અને લોકોને કેવી રીતે મનિપ્યુલેટ કરવા તે એમને આવડતું હતું.” બૂકર પારિતોષિક વિજેતા લેખક અરુંધતી રોય ગાંધીને દેશના પહેલા કોર્પોરેટ-પ્રાયોજિત એજન્ટ કહે છે. “દલિતો, સ્ત્રીઓ અને ગરીબો માટે અઘોર વાતો કહેનાર ગાંધીની પૂજા કરવી એ આ દેશનું સૌથી મોટું તૂત છે,” એવું અરુંધતીએ કહ્યું હતું.
દલિતોને આરક્ષણ મળે તે માટે ગાંધીએ ઉપવાસ કર્યા, ત્યારે ડો. બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું,”આ ઉપવાસમાં કશી મહાનતા નથી. એનાથી અછૂતોને કોઈ લાભ નહીં થાય. આ ઉપવાસ તો એમની સંવેધાનિક સલામતીને જતી કરવા માટેની જબરદસ્તી છે.” એક બ્રિટિશ પ્રાંતીય ગવર્નરે ગાંધીને ‘ચાલાક બંદર’ તરીકે ઓળખાવ્યા હતા. શિવસેનાના વડા બાલાસાહેબ ઠાકરેએ ગાંધીજીના હત્યારાની પ્રશંસા કરી હતી. ૧૯૬૯માં કલકત્તામાં ગાંધીની શતાબ્દી ઉજવાઈ ત્યારે એમની પ્રતિમાઓ વિકૃત કરાઈ હતી. એમનાં રાજકીય-સામાજિક વિચારો હોય કે અંગત વ્યવહારો, ગાંધીને ધિક્કારનાઓની સંખ્યા પણ ઓછી નથી.
આ યોગ્ય છે? “હા, આવકાર્ય છે,” એવું મહાત્માના પૌત્ર (દેવદાસ ગાંધીના પુત્ર) રાજમોહન ગાંધીએ એકવાર કહ્યું હતું. ૨૦૧૫માં દક્ષિણ આફિકાની બે યુનિવર્સિટીના પ્રોફેસરોએ એક પુસ્તકમાં એવો દાવો કર્યો હતો કે, ગાંધીજી જ્યારે આફ્રિકામાં હતા, ત્યારે હબસીઓને ‘આળસુના પીર, વહશી અને અનાડી’ ગણીને એમની ઘૃણા કરતા હતા, અને દેશી કાળા આફ્રિકનો કરતાં ભારતીય સમુદાય બેહતર છે, એવું પુરવાર કરવા માટે બ્રિટિશ સામ્રાજ્યવાદનું સમર્થન કર્યું હતું.
આ પુસ્તકથી વિવાદ થયો ત્યારે રાજમોહન ગાંધીને એનો જવાબ આપવા કહેવામાં આવ્યું હતું. રાજમોહને ત્યારે એક લેખ લખીને કહેલું, “ગાંધી ઉપર આક્રમણ થાય તે આવકાર્ય છે, કારણ કે એનાથી આપણને ગાંધી શું હતા તે સમજવાની તક મળે છે. એમની યુવાનીમાં ગાંધી દક્ષિણ આફ્રિકા અને કાળાઓને લઇને અજ્ઞાની અને પૂર્વાગ્રહી હતા એ વાત નવી નથી. મેં એના વિષે લખ્યું જ છે. ગમેતેમ તો ય, ગાંધી અધૂરા (ઇમ્પરફેક્ટ) ઇન્સાન હતા. જાતીય સમાનતાને લઇને ગાંધી તો છેક ૧૯૦૮માં પણ એમના દેશભાઈઓ કરતાં ઘણા આગળ હતા. એ અધૂરા હતા એટલે જ એમના સમકાલીન હમવતનીઓ કરતાં પણ એ વધુ આકરી રીતે પ્રગતિશીલ હતા.”
દેવત્વને પહોંચેલા સંત કરતાં અધૂરા ઇન્સાન તરીકે વધુ ગાંધી વધુ ખપના છે, કારણ કે ગાંધી એક એવો ખજાનો છે જેની અંદર સતત શોધખોળ કરતા રહો તો ‘હીરા-ઝવેરાત’ મળતા રહે. દેવ તો આપણી પહોંચની બહાર હોય છે. એમના સત્યના પ્રયોગો, એમનાં વિધાનો અને એમના વ્યવહારોને લઈને જે વાયકાઓ અને કુથલીઓ છે એનાથી એમનાં ઉત્તમ કામોનું પલડું ઉપર જતું રહે છે એવું નથી. આદર્શ જીવન જેવું કંઈ હોતું નથી, અને એને પરિપૂર્ણતાનાં કપડાં પહેરાવાના આપણા પ્રયાસોમાં એની મૌલિકતા અને ઈન્સાનિયત ખોવાઈ જાય છે.
સમાજશાસ્ત્રી આશિષ નંદીએ એક પુસ્તકમાં કહ્યું હતું કે મોહનદાસ કરમચંદ ગાંધીના અવસાન પછી ચાર ગાંધી જીવતા રહ્યા છે. આ ચારેય ઉત્પાતિયા છે, અને જુદા જુદા લોકોને, જુદી જુદી રીતે, જુદા જુદા કારણોથી કનડે છે. એક ગાંધી સરકારી અને નારાબાજીવાળા છે, જે મોટાભાગના લોકોને ગમે છે, અને જાહેરજીવનમાં ખાસ ખપમાં આવે છે. બીજા ગાંધી ગાંધીવાદીઓના છે, જે રાજકારણથી દૂર આશ્રમમાં જીવે છે, ખાદી પહેરે છે, નિમ્બુપાની પીવે છે, ક્યારેક ક્યારેક ઉપદેશ આપવામાં કામ આવે છે અને ઘણાને કંટાળાજનક લાગે છે.ત્રીજા સ્વદેશીના આગ્રહી સનકી ગાંધી છે જે સરકારોને કોકાકોલાને દેશનિકાલ કરવાની સલાહ આપે છે, પણ ભારતીઓની સ્કોચ વ્હિસ્કીની જરૂરિયાત પ્રત્યે દયાળુ છે. ચોથા ગાંધી લોકવાયકાના ગાંધી છે, જેમને કોઈ વાંચતું નથી, પણ મોઢામોઢની વાતોમાં જીવે છે. જેમ કાલ માર્ક્સને વાંચ્યા-સમજ્યા વગર લોકો માર્ક્સવાદી બને છે, તેવી રીતે આ ગાંધી એવા છે જેમને ‘જાણ્યા’ વગર પણ લોકો ‘ઓળખે’ છે. આ ગાંધી કપોળકલ્પનાઓમાં જીવે છે, અને વોડકાના શોખીન લેચ વાલેસાથી લઈને આંગ સુઈ કાઈ અને બેનિટો અક્વિનોથી લઈને નેલ્સન મંડેલા સુધીનાઓની ટોપીમાં ફીટ થઇ જાય છે.
ટૂંકમાં, આપણી વચ્ચે ઘણા ગાંધી જીવે છે, અને એ એમની બધી અધૂરપ સાથે આમ આદમી માટે વધુ કીમતી છે , કારણ કે એમને પિક્ચર પરફેક્ટ દેવ બનાવાથી એ ફૂલ ચઢાવાને લાયક તો બની જાય છે. પણ પછી સામાન્ય જનજીવનથી એટલા દૂર થઇ જાય છે કે એમની ઉપસ્થિતિ રીતિ-રિવાજ પૂરતી જ રહી જાય છે.
શેખાદમ આબુવાલાએ એટલે જ કહ્યું હતું:
કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો
સૌજન્ય : https://www.facebook.com/raj.goswami.31/posts/1680285432021793
[‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 01 અૉક્ટોબર 2017]
આલીપોરથી OBE : અહમદ લુણત ‘ગુલ’ : ગુજરાતી રાઇટર્સ ફોરમ, 27 James Street, BATLEY, West Yorkshire WF17 7PS : પૃષ્ઠ – 112+22 = 134 : પ્રથમ આવૃત્તિ – અૅપ્રિલ 2017 : મૂલય – રૂ. 200 / £ 5
જાણીતા અંગ્રેજ કવિ અબ્રાહમ કાઉલીએ, 1668માં પ્રગટ થયેલા નિબંધોમાં, Of Myself નામક નિબંધની શરૂઆતે લખ્યું છે : It is a hard and nice subject for a man to write of himself; it grates his own heart to say anything of disparagement and the reader's ears to hear anything of praise for him. “મારી જીવનકથા’ના પહેલા પ્રકરણનો આરંભ જવાહરલાલ નેહરુએ આ જ વાક્યથી કર્યો છે. મૂળ અંગ્રેજીમાં લખાઈ આ જીવનકથાનો સંઘેડાઉતાર અનુવાદ મહાદેવભાઈ દેસાઈ કનેથી આપણી જમાતને પ્રાપ્ત થાય છે. મહાદેવભાઈએ આ નમૂનેદાર અનુવાદમાં અબ્રાહમ કાઉલીને આ રીતે ઉતાર્યા છે : “પોતે પોતાના વિષે લખવામાં મજા તો છે, પણ મુશ્કેલી પણ છે; કારણ, પોતાને વિષે કશું ખરાબ લખતાં પોતાને ખટકે અને સારુ કહેતાં સાંભળનાર કે વાંચનારને ખટકે.”
આની પછીતે, વિલાયતના વેસ્ટ યૉર્કશર વિસ્તારમાં પાંચ-સાડાપાંચ દાયકાથી વસવાટ કરતા અહમદ લુણત ‘ગુલ’ની આપવીતી ‘આલીપોરથી OBE’ને જોવા-વાંચવા-તપાસવાનું રાખ્યું. ‘પ્રયોજન’માં લેખક ખુદ નોંધે છે : ‘… જે કોમ અને સમાજનો સભ્ય છું તેના સર્વાંગ વિકાસ માટે કંઈક કરી છૂટવાની મારી ખેવના. મેં બાટલીમાં પગ મૂક્યો ત્યારે માંડ દોઢસો જેટલા ગુજરાતી મુસ્લિમો વસે. એક નવી સમાજ રચનાના આરંભના અને સંઘર્ષના એ દિવસો, સ્થાયી થવાની મથામણમાં પડેલો સમાજનો પ્રત્યેક સભ્ય. પ્રતિકૂળ વાતાવરણ, નાણાંભીડ અને કાર્યકર્તાઓનો અભાવ, અને સમાજના માથે ઊભેલું પાયાનું કામ, ખરેખર હામ ભીડવાનો સમય. કોમ પ્રત્યેની મારી તીવ્ર લાગણીએ જ મને કોમી કાર્યોમાં જોડાઈ જવા પ્રેરેલો અને તે આજ પર્યંત ચાલુ છે.’
ગુજરાતી ડાયસ્પોરાની જમાતે આ પહેલાં પ્રભુદાસ ગાંધીનું ‘જીવનનું પરોઢ’ જોયું વાંચ્યું છે. મોહનદાસ ગાંધીના દક્ષિણ આફ્રિકાના સમયગાળાની ગાથા અને વિગતો તેમાંથી મળે છે. બીજી પાસ, પૂર્વ આફ્રિકાના યુગાન્ડા દેશમાં પગ ખોડીને ઊભા થયેલા શ્રેષ્ઠી નાનજી કાળિદાસ મહેતાની આત્મકથામાં વસવાટી જનજીવનનો પાયો કઈ રીતે મજબુતાઈ હાંસલ કરે છે તેની વિષદ વાતો આપણને નાનજીશેઠે આપી છે. તદુપરાંત, પાકિસ્તાની જમાતના અવ્વલ પત્રકાર અને ગુજરાતી સાહિત્યકાર દીપક બારડોલીકરે આપણને બે ભાતીગળ અને ઊંચેરી સ્મરણકથા આપી છે − ‘સાંકળોનો સિતમ’ તેમ જ ‘ઉછાળા ખાય છે પાણી’. વળી, હમણાં હમણાં અમેિરકામાં વસવાટી બનેલા અને ત્યાંના મુખ્ય પ્રવાહમાં ભારે મોટો ફાળો આપનાર નટવર ગાંધીની મજબૂત આત્મકથા ય મળી છે – ‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’. આ અને આવી સઘળી ચોપડીઓની પછીતે ય આ આપવીતી જોવાતપાસવાનું અભ્યાસુ સંશોધકોને ગમવાનું.
અહમદ લુણતનો, સન 1938માં, નવસારી જિલ્લાના ચિખલી તાલુકામાં આવ્યા આલીપોર ગામે, સુરતી સુન્ની વોરા જમાતનાં દંપતી યુસૂફભાઈ અને અમીનાબહેનને ત્યાં જન્મ થયેલો. દંપતીને ચાર સંતાનો − ત્રણ દીકરાઓ અને એક દીકરી. અહમદભાઈ સૌથી મોટા. એમના માતાપિતાની આર્થિક સ્થિતિ સાધારણ. દાદા દક્ષિણ આફ્રિકે કમાવાધમાવા ગયેલા. િપતાએ પણ ત્યાં આંટાફેરા કરેલા, પણ મહદ્દ અંશે આલીપોરમાં હાટડી ચલાવે અને થોડીક જમીન પર ખેતી ગુજારો કરે. પિતા દક્ષિણ આફ્રિકે ગયા ત્યારે એમને કામની સામે નજીવી આવક મળતી અને આ બાજુ ચાર ભાંડું અને માતાને ગુજરાન માટે મુશીબતના દિવસો હતા. મા તનતોડ મહેનત કરતાં. આવી હાલત વચ્ચે અહમદભાઈનું પ્રાથમિક શિક્ષણ આલીપોરમાં થયું અને માધ્યમિક શિક્ષણ ચિખલીમાં. કોઈક પ્રકારની નાનીમોટી રોજગારી કરતાં કરતાં અને ક્યાંક કેટલીક આર્થિક સહાયથી એ આગળ ભણે છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાંથી બી.કોમ્.ની ઉપાધિ ય મેળવે છે. અને પછી નસીબ અજમાવવા સન 1963માં વિલાયતની વાટ પકડે છે.
ઉમાશંકર જોશીની ‘ઓરતા’ નામે એક કવિતા છે. કવિ કહે છે :
ક્ષણો ઝડપવી, અગણ્ય ક્ષણમાંથી એકાદ-બે,
અને સમયના અનંત ટહૂકાર એમાં ફૂંકી
સ્ફુરાવવી જગે;
વારુ, અહીં અહમદ લુણતની આપવીતીમાંથી આવી બેપાંચ ક્ષણ ઝડપીએ :
એ દિવસોમાં પરદેશની વાટે પડનારાને રિઝર્વ બૅન્ક અૉવ્ ઇન્ડિયા ફક્ત ત્રણ પાઉન્ડ સાથે લઈ જવાની પરવાનગી આપતી. આ અજાણ્યા મુલકમાં લંડનના વિમાની મથકથી ઉત્તર ઇંગ્લૅન્ડમાં આવ્યા ડ્યૂઝબરી ગામે, સાસરિયામાં પહોંચવા કેવી જહેમત કરવી પડેલી તેના દાસ્તાઁ હચમચાવી મૂકે છે. લેખક અહીં ભારતમાંના રેલપ્રવાસના અનુભવો સાથે વિલાયત માંહેના આ પ્રથમપહેલા રેલપ્રવાસને સરખાવે છે. અને સરખામણી કરતાં કરતાં લેખકને પહેલો ઘા સાંસ્કૃિતક આઘાતનો પડે છે. અહમદભાઈ લખે છે, ‘ … અહીં તો વાતાવરણ તદ્દન વિપરીત. કોઈ માથું બહાર કાઢે ના. બધા જ ચૂપચાપ. નિર્જીવ પૂતળાં. આખા ડબ્બામાં નિરવ શાંતિ. આટલી શાંતિથી હું ટેવાયેલો નહીં. વળી મારી પાસે કોઈ વાંચનસામગ્રી પણ ન હતી. હું અકળામણ અનુભવી રહ્યો હતો. ક્યાં તે ફેરિયાઓના અજબગજબ અવાજોથી ગૂંજતો ડબ્બો અને ચેતનવંતુ વાતાવરણ અને ક્યાં આ ભરેલો પણ નિષ્ચેતન ડબ્બો. …’
વિલાયતમાં વસવાટની કેડી પાકી કરવાના ચોકઠાને એક પછી એક મજબૂત કરવામાં લેખક મંડી પડે છે. લેબર એક્સચેન્જમાં રજિસ્ટર થઈ, નેશનલ ઇન્સયુરન્સ નંબર કાયમી ધોરણે અંકે કરે છે અને પછી નોકરીની તલાશમાં લાગી પડે છે. માન્ચેસ્ટર પાસે અૉલ્ધામ નામે શહેર. તેની બગલમાં શૉ [Shaw] નામે એક ગામ. ત્યાં ‘લીલી’ નામક સૂતરાઉ કાપડની મિલમાં રાતપાળીનું કામ મેળવે છે. હરીશભાઈ – ઋિક્મણીબહેન આર્યને ત્યાં અૉલ્ધામમાં ઓરડી ભાડે રાખી રહેવાનું ગોઠવે છે. લેખકે આ દિવસોની વિગતે નોંધ કરી છે. વસવાટીઓને દેશપરદેશમાં થાળે પડવા માટે જે પડકારો ઝેલવાના થાય છે તેની દાસ્તાઁ અહીં પણ નોંધાઈ છે.
નોકરીની અદલાબદલી. વચ્ચે ભારખટારો ખરીદી કન્ટૃાટી માલસામાનની હેરાફેરી કરી જોઈ. કારી ફાવી નહીં અને પાછા નોકરીએ વળગે છે. અને જોડાજોડ કામદાર મંડળમાં સક્રિય બને છે. આ સક્રિયતાને બળે કામદાર મંડળની આગેવાની કરે છે. હડતાળ પણ પડે છે અને દોરવણી પણ આપે છે. કામદારોને રાહત મળે તેવી બાબતો હાંસલ પણ કરી બતાવે છે. અને છેવટે પગભર થવાની મથામણમાં ડૃાઇવિંગ ઇન્સ્ટૃક્ટરનો ધંધો ય કરે છે ને છેવટે તેમાંથી વયનિવૃત્તિ મેળવે છે.
આની સાથે સાથે, અહમદભાઈ જાહેરજીવનમાં પણ પ્રવેશ કરે છે. કામદાર મંડળની આગેવાનીનો અનુભવ તો એમણે ગરથે બાંધ્યો જ છે. પણ હવે વેસ્ટ યૉર્કશરના બાટલી ચોપાસની મુસ્લિમ બિરાદરી સારુ ઝંપલાવે છે. એ લખે છે : 1963મા બાટલી – ડ્યુઝબરીમાં એશિયનોની કુલ વસ્તી કદાચ અઢીસો ત્રણસોથી વધુ નહીં હોય. તેમાં પોણા ભાગના ગુજરાતી મુસ્લિમો અને બાકીના પાકિસ્તાનીઓ. પૂર્વ સુરત જિલ્લાના મૂળ વતનીઓ. પાછળથી સુરત જિલ્લાનું વિભાજન થયેલું અને સુરત, નવસારી અને વલસાડ ત્રણ નોખા જિલ્લા અસ્તિત્વમાં આવેલા. એ ત્રણે જિલ્લાના લોકોની અહીં સુરતી તરીકે ઓળખ અકબંધ રહી. બાટલીમાં માત્ર સુરતીઓ વસે, જ્યારે ડ્યુઝબરીમા સુરતી-ભરુચીઓની મિક્સ વસ્તી. બાટલીથી ડ્યુઝબરીનું અંતર દોઢ માઇલ જેટલું, છતાં બાટલીમાં એક પણ ભરુચીનું ઘર નહીં. મારે મન આ એક વણઉકેલ્યો કોયડો રહેલો.’
દક્ષિણ આફ્રિકાની આઝાદીના એક ખમતીધર લડવૈયા અહમદ કથરાડાએ 2004માં પ્રકાશિત કરેલા Memoirs નામક ગ્રંથમાં નોંધ્યું છે : ‘From the moment I landed in Jeddah, I was deeply moved by the multitudes from around the world, speaking different languages, wearing different garments, displaying different mannerisms, but united in their singular worship of Allah. The spirit of non-racialism and multiculturalism in Islam was all-pervasive.’
આ જાતભાતની સાંસ્કૃિતક અને ભૌગોલિક નોખાપણાંની સીમિત ઝલક અહમદ લુણતને પણ આ વિસ્તારમાં જોવા અનુભવા મળે છે.
1957ના અરસામાં મુસ્લિમ સોસાયટીની સ્થાપના થયેલી. લેખકના મિત્ર યુસૂફ આદમ મમણિયાત આ સોસાયટીના પ્રમુખ. એ પણ સોસાયટીનાં કામોમાં રસ લેતા થયા. સક્રિય બનતા ગયા અને છેવટે આગેવાની પણ સંભાળતા થયા. સંસ્થા માટે અસ્કાયમતની ખરીદી, તેમાં સમાજની જરૂરિયાત અનુસાર ધર્મ, શિક્ષણ, સામાજિક અવસરોને કેન્દ્રસ્થ રાખી જરૂરી સુધારાવધારાનાં કામો અને તેને પાર પાડવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંના ધણીધોરીઓ જોડે બેઠકઊઠક, મજૂર પક્ષમાંની સક્રિયતા અને વર્ણિય સમતા પંચના સ્થાનિક સંચાલનમાં પૂરેવચ રહેતા અહમદભાઈ થઈ ગયા. નિષ્ઠા, દૂરંદેશીપણું, કમર્ઠતાને કારણે મુખ્ય પ્રવાહમાંના આગેવાનોમાં ય સતત બેસતાઊઠતા રહ્યા. આવી ધનિષ્ટતાને કારણે મહારાણી ઇલિઝાબેથ બીજાંએ એમને 1999માં ‘અૉર્ડર અૉવ્ બ્રિટિશ અૅમ્પાયર’[O.B.E.]ના બિરુદની નવાજેશ કરે છે.
સમાજના સશક્તિકરણ માટેની સંસ્થાઓનું નિર્માણ અને સંચાલન ઉપરાંત અહમદ ‘ગુલ’ સાહિત્યિક યાત્રા પણ માંડે છે. વરસોથી ‘ગુજરાતી રાઇટર્સ ફોરમ’નું સક્રિયપણે સંચાલન કરે છે. એમાં વળી, અદમ ટંકારવીના વિલાયત આગમનને કારણે એમનામાં બળ પૂરાય છે. અદમભાઈનું માર્ગદર્શન એમની લેખનપ્રક્રિયાની ખિલવણીમાં પ્રધાન ફાળો ય આપતું રહ્યું. સન 1982માં ‘ઉપવન’ નામે સહિયારો સંગ્રહ બહાર પડે છે, ત્યાંથી માંડી આજ સુધી, અહમદ ‘ગુલે’ એક વાર્તાસંગ્રહ, બે લેખ/નિબંધ સંગ્રહો, બે સ્મરણો, એક આપવીતી તેમ જ નવ ગઝલ ને કાવ્યોનાં સંગ્રહો સમેત પંદર પુસ્તકો આપ્યાં છે. વળી એમની કવિતાઓનાં બે અંગ્રેજી ભાષાન્તર પુસ્તકો પણ થયાં છે.
આ ચોપડીમાંની ભાષા અંગે ભાષાવિદ્દોને રસ પડે તેવું ઘણું છે. પાંચ દાયકા પહેલાં તત્કાલીન સુરત જિલ્લાના ચિખલી વિસ્તારમાં જે ભાષા બોલાતી હશે તેની છાંટ પણ અહીં જોવા મળે છે. સાદી, સરળ ભાષાનો ઉપયોગ છે. વળી, ટૂંકા ટૂંકા વાક્યો છે. જ્યાં ગુજરાતીનો ઝાઝેરો ચાલ નથી તેવા તેવા વાચકો માટે આ રુચિકર હોવાનું. આપવીતીમાંથી પસાર થતાં સ્વાનુભવને આધારે વણાયેલાં પ્રસંગો અને ઘટનાઓની નોંધ જોવા પામીએ છીએ. ડાયસ્પોરિક જનજીવનની ગાથા અહીં નોંધાઈ છે. તેથી આ પુસ્તકનું દસ્તાવેજી મૂલ્ય સવિશેષ છે; પરંતુ આત્મકથામૂલ્ય બહુ જ નજીવું છે.
હૅરો, 31 અૉગસ્ટ 2017
e.mail : vipoolaklayni.opinion@btinternet.com
[પ્રગટ : "પ્રત્યક્ષ", નવેમ્બર 2017; પૃ. 21-24]