કોરોનાનો ફેલાવો વધ્યો અને જાણે સમગ્ર વિશ્વ ધીમું પડી ગયું અથવા કંઈક કેટલું ય જાણે થંભી ગયું. કોરોનાને કારણે લોકો ઘરની બહાર નીકળતા નથી, પોતાના ઘરમાં પુરાયેલા છે. લોકોની ગાડીઓ પાર્કિંગમાં છે, વાહનો ચાલતાં નથી એટલે રસ્તાઓ પણ સૂમસામ બન્યા છે. વિમાનો એરપોર્ટ પર હેન્ગરોમાં પડ્યાં છે અને ઘણી ફૅક્ટરીઓ ધુમાડા ઓકતી બંધ થઈ ગઈ છે. જાણે કે શહેરોની ગતિ અથવા કહીએ કે જીવનની ગતિ ધીમી પડી ગઈ છે.
મનુષ્ય માટે ઘણી રીતે ઘાતક આ પરિસ્થિતિમાં માનવતા સામે ચોક્કસ પડકારો સર્જાયા છે. પરંતુ આ બધા વચ્ચે પણ ધરતીનાં બીજાં જીવો પોતાની ઈચ્છાઓ પૂરી કરી રહ્યાં છે, મુક્ત રીતે હરીફરી રહ્યાં છે. પ્રકૃતિ અને પર્યાવરણ જાણે ફરી શ્વાસ ન લઇ રહ્યું હોય તેવી ઘટનાઓ બની રહી છે.
• બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમ વખત હવા આટલી શુદ્ધ થઈ રહી છે. આ પહેલાં ૨૦૦૮માં મહામંદી સમયે હવાની ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો હતો. અત્યારની હવા છેલ્લાં ૭૫ વર્ષમાંની સૌથી વધુ શુદ્ધ હવા છે.
• દુનિયાભરનાં શહેરોમાં ૩૦ ટકા કે તેથી વધુ ટ્રાફિકમાં ઘટાડો નોંધાયો છે, જેના પરિણામસ્વરૂપ શહેરોની હવા પાંચ ટકાથી ૩૦ ટકા જેટલી શુદ્ધ બની છે.
• હવામાંથી હાનિકારક વાયુઓનું પ્રમાણ ઘટતાં આકાશ ચોખ્ખું દેખાવા લાગ્યું છે. રાત્રે નરી આંખે દેખાતા તારાની સંખ્યામાં વધારો થયો છે.
• દિલ્હીમાં ગત વર્ષના માર્ચ મહિનામાં હવાની ગુણવત્તાનો આંક ૧૫૬ હતો, તે આ વર્ષે ઘટીને ૭૭ રહ્યો છે.
• ભારતમાં, લૉક ડાઉનને કારણે ગંગા નદીના પાણીની ગુણવત્તામાં સુધારો થવા લાગ્યો. આઇ.આઇ.ટી., બનારસના કૅમિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર ડૉ. પી.કે. મિશ્રાના જણાવ્યા અનુસાર. ગંગાના પાણીમાં ૪૦-૫૦ ટકાનો સુધારો થયો છે.
• વન્ય પ્રાણી શહેરમાં ફરતાં હોય તેવા કિસ્સાઓ ભારત સહિત અન્ય કેટલાક દેશોમાં બની રહ્યાં છે. ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં હાથી ફરતો જોવા મળ્યો હતો. રાજ્યના શહેરી વિસ્તારોમાં વાઘ અને હરણ ફરતાં હોય તેવા સમાચાર મળી રહ્યા છે.
• દિલ્હી અને કાઠમંડુ જેવા મહાનગરોમાં લાંબા સમય પછી આવી શુદ્ધ હવા જોવા મળી છે. ભારતના જલંધર શહેરમાંથી હિમાલયની પર્વતમાળા વર્ષો પછી નરી આંખે જોઈ શકાય છે.
• હજી વધુ કેટલાક દિવસ આવી જ પરિસ્થિતિ ચાલશે તો જર્મની ૨૦૨૦માં પ્રદૂષણ ઘટાડવાનું પોતાનું લક્ષ્ય સિદ્ધ કરી લેશે.
• ઇટાલીના પ્રખ્યાત શહેર વેનિસમાં સામાન્ય દિવસોમાં લાખો પ્રવાસીઓ મુલાકાત લે છે. શહેરની સુંદરતાની સાથે, ગંદા પાણી અને જહાજોનું પ્રદૂષણ વેનિસની જાણે ઓળખ બની ગયું હતું. પરંતુ લૉક ડાઉનને કારણે વેનિસની નહેરોમાં પાણી સ્વચ્છ થયું છે. એટલું ચોખ્ખું કે નહેરનું તળિયું સ્પષ્ટ રીતે જોઈ શકાય અને તેમાં તરતી માછલીઓ પણ.
• થાઇલેન્ડના લોપબૂરીમાં આ દિવસોમાં વાંદરાં તોફાન કરી રહ્યાં છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, આજકાલ પ્રવાસીઓ આવતા નથી, તેથી વાંદરાંને પૂરતો ખોરાક મળતો નથી. આથી વાંદરાંઓનાં ટોળાં ખોરાક માટે એકબીજાં સાથે સતત ઝઘડતાં હોય છે.
યાદી હજી લાંબી થઇ શકે, પરંતુ આ ટૂંકા ગાળાની રાહતો છે. થોડી છૂટછાટ થશે કે ઉદ્યોગો ધમધમતા થઈ જશે. શહેરોના રસ્તા વાહનોના ઘોંઘાટથી ઉભરાઈ જશે. આપણે પણ પોતાનું જીવન પહેલાંની જેમ જ ગોઠવવામાં લાગી જઈશું અથવા વધુ ઉપભોગ માટેની દોટમાં પડી જઈશું.
જેમ માણસે પોતાના અને કુદરતના સંબંધ વિશે વિચારવાનું છે તે જ રીતે માણસ-માણસ વચ્ચેના સંબંધો અંગે પણ વિચારવું રહ્યું. કોરોના-કટોકટીના આ સમયમાં ડોક્ટરો, આરોગ્ય કર્મચારીઓ અને પોલીસની ભૂમિકા અને જવાબદારી અત્યંત મહત્ત્વની છે. તેમના વિશે ઘણું કહેવાયું પણ છે. પરંતુ તે સાથે લગભગ ૧૩૫ કરોડની વસ્તીવાળા ભારતમાં, કે જ્યાં માનવસંસાધનોની છત છે, આપણા માટે પાયાનાં કામ કરતાતી વ્યક્તિની મહેનતનું મૂલ્ય નજીવું છે અથવા નથી. મહેનત કરનારને સમાજમાં પૂરતું મહત્ત્વ પણ આપવામાં આવતું નથી. આપણી આસપાસ કેટકેટલી વ્યક્તિઓ નાનાં-નાનાં અને કેટલીક વખત કહેવાતાં ‘હલકાં’ કામો પણ કરે છે. જેથી આપણું જીવન સુખરૂપ ચાલે. પછી ભલે તે ઘરનાં કામમાં મદદરૂપ થતી વ્યક્તિઓ હોય ખાસ કરીને મહિલાઓ, કચરો ઉપાડતા કે સફાઈ કરતા કર્મચારી હોય, ડિલિવરી બૉય કે જે ઘરે ચીજ-વસ્તુઓ પહોંચાડે છે. આપણને જે સાધનોનો ઉપયોગ કરવાની ટેવ પડી ગઈ છે તે ચીજ-વસ્તુઓ કે સાધનો બગડે તેને બનાવનારા, રીપેર કરી આપનારા કારીગરો હોય. કંઈ કેટલી જરૂરિયાતો પૂરી કરતાં લારી-ગલ્લાંવાળાઓ કે નાના દુકાનદારો હોય, આપણા ખોરાકનું ઉત્પાદન કરતો ખેડૂત કે આપણા પરિવારની સ્ત્રીઓ હોય. આ બધાનાં પાયાનાં, અતિ મહત્ત્વનાં કામને આપણે સહજ માની લીધાં છે. વળી તેમની સામે રૂપિયાનું જોર બતાવવાનું આપણે ચૂકતાં નથી.
પરંતુ કોરોના કટોકટીના આ સમયમાં, ઘણાં લોકો (દરેક નહીં) તેમનું મહત્ત્વ સમજતા થયા છે. જાતે કામ કરીને કામનું મહત્ત્વ તો સમજાયું જ છે, સાથે નિયમિત રીતે (મજબૂરીમાં તો નહીં જ) તે કરવું કેટલું અઘરું છે તે સમજાઈ રહ્યું છે. આપણામાંના ઘણા લોકોએ આપણું જીવન સરળ બનાવતાં લોકો માટે ભૂતકાળમાં વિચાર્યું હશે કે? કોરોનાના જોખમ વચ્ચે પણ એવા લોકો હશે, જે જે સવાર-સાંજ પાણીનો પુરવઠો પહોંચે તે સુનિશ્ચિત કરતા હશે, શાકભાજી-ફળ ઘર સુધી પહોંચાડે છે, કચરો લેવા નિયમિત આવતા હશે. આપણે માત્ર સ્વાર્થવૃતિ છોડીને પરસ્પરના સંબંધ અને જરૂરિયાત અંગે વિચારવું રહ્યું. વસ્તુ કે સેવાનું માત્ર નાણાંકીય મૂલ્ય ન આંકીને, તેનું જીવનમૂલ્ય સમજીને આગળ વધવાની જરૂર લાગતી નથી? સ્વસ્થ પર્યાવરણ અને સ્વસ્થ સમાજમાં આપણે સૌને જીવવું છે. પરંતુ આ અંગે બદલાવ આપણાથી શરૂ થશે. કોરોનાથી આપણી મર્યાદાઓ અને આપણી સામેના પડકારો સામે આવ્યાં છે. સમય મળ્યો છે વિચાર અને મંથન કરવાનો. બીજો કોઈ કોરોના આવે તે પહેલાં આપણે વધુ સારું પર્યાવરણ અને વધુ સારો સમાજ બનાવવાની દિશામાં નાનાં પણ ડગ માંડીશું? આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવી શકીશું કે નહીં?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 21 ઍપ્રિલ 2020