Opinion Magazine
Number of visits: 9449036
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અંચઈ કરો, છીનવી લો, ડરાવો અને ખરીદો

રમેશ ઓઝા|Opinion - Opinion|22 August 2024

રમેશ ઓઝા

દિવાળી પહેલાં ચાર રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી થવાની હતી, પરંતુ ચૂંટણીપંચે તેને આપવામાં આવેલા આદેશને અનુસરીને ચારમાંથી બે રાજ્યોની ચૂંટણી પાછળ ધકેલી છે. જમ્મુ અને કાશ્મીરમાં અને હરિયાણામાં સપ્ટેમ્બર મહિનામાં ચૂંટણી યોજાશે અને ચોથી ઓકટોબરે પરિણામ જાહેર થશે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં એ પછી ચૂંટણી યોજાશે. ચૂંટણીપંચ બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ સ્વતંત્ર લોકતાંત્રિક સંસ્થા નથી, પણ કેન્દ્ર સરકારની ગુલામ છે એ હવે જગજાહેર છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને અને શરદ પવારની રાષ્ટ્રવાદી કાઁગ્રેસને જે રીતે ચૂંટણીપંચે અન્યાય કર્યો હતો એ જોઇને આખો દેશ ચોંકી ગયો હતો. જે પક્ષ છોડીને ગયા તેને અસ્સલ સાચા પક્ષ તરીકેની માન્યતા આપી હતી અને નામ તેમ જ ચૂંટણીનાં નિશાન આપી દીધાં હતાં. આ ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં ચૂંટણીપંચની જે ભૂમિકા હતી એ તો તમે જાણો જ છો. ટૂંકમાં ચૂંટણીપંચ મુક્ત અને ન્યાયી ચૂંટણી કરાવવાનું નથી, બલકે તેની વિરુદ્ધમાં કામ કરવાનું છે અને એવી વિપરીત સ્થિતિમાં આ દેશમાં લોકતંત્રને બચાવવાનું છે.

ચૂંટણીપંચે બચાવ કર્યો છે કે મહારાષ્ટ્રમાં વરસાદ બહુ પડ્યો છે અને ઉપરાઉપર તહેવારો આવી રહ્યા છે એટલે ચૂંટણી પાછળ ધકેલી છે. આ બહાનું ગળે ઉતરે છે? આવું પાંગળું બહાનું તો જવાહરલાલ નેહરુના યુગમાં પણ ચૂંટણીપંચે નહોતું આપ્યું, જ્યારે દેશનો વિકાસ નહોતો થયો. રસ્તા નહોતા, નદીઓ પર પુલ નહોતા, સંદેશવ્યવહારનાં સાધનો નહોતા, વગેરે. કંગાળ દેશ એ સમયે લોકસભાની અને લગભગ આખા દેશનાં રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજી શકતો હતો અને આજે વિશ્વગુરુ ચાર રાજ્યમાં ચૂંટણી યોજવા અસમર્થ છે! આપણને તો કહેવામાં આવે છે કે ૨૦૧૪ પછીનાં ભારતને જોવા વિકસિત દેશોના લોકો પણ જાણે કે તાજમહેલ જોવા આવતા હોય એમ વિસ્મય સાથે આવે છે કે જેથી ટૂંકા સમયમાં વિકાસ કેમ કરાય તેની શીખ મળે. ચૂંટણીપંચને પૂછવું જોઈએ કે મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી એક વરસથી કેમ નથી યોજવામાં આવતી? શું મહારાષ્ટ્રમાં એક વરસથી વરસાદ પડી રહ્યો છે અને તહેવારો ઉજવાઈ રહ્યા છે?

મહારાષ્ટ્રમાં અને ઝારખંડમાં ચૂંટણી પાછળ ધકેલવાનું કારણ એ છે કે અત્યારે ચૂંટણી જીતવાની કોઈ અનુકૂળતા નથી અને બી.જે.પી.ના શાસકો અનુકૂળતા શોધી રહ્યા છે, અનુકૂળતા પેદા કરવા માગે છે. ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચામાં ફૂટ પડાવીને અનુકૂળતા પેદા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં આ ખેલ રચીને હાથ દાઝ્યા હોવા છતાં એ જ ખેલ ઝારખંડમાં રચવામાં આવી રહ્યો છે. જો મહારાષ્ટ્રમાં શિવસેના અને રાષ્ટ્રવાદી કાઁગ્રેસમાં વિભાજન ન કરાવ્યું હોત તો મહારાષ્ટ્રમાં લોકસભાનું પરિણામ જૂદું આવ્યું હોત. આજે મહારાષ્ટ્રમાં સ્થિતિ એવી છે કે પોતાના પક્ષ સાથે ગદ્દારી કરનારા નેતાઓ ગદ્દારીની કિંમત માગે છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિધાનસભાની કુલ ૨૮૮ બેઠકોમાંથી ઓછામાં ઓછી ૧૨૫ બેઠકો માગે છે અને અજીત પવાર ૮૦ બેઠકો માગે છે. બી.જે.પી. પોતાના માટે ઓછામાં ઓછી ૧૬૦થી ૧૮૦ બેઠકો રાખવા માગે છે. સામે મહારાષ્ટ્ર વિધાનસભાની ૪૦૦ બેઠકો હોય તો પણ ઓછી પડે.

એકનાથ શિંદે અને અજીત પવારને લોકસભાની ચૂંટણીનાં પરિણામ જોઇને સમજાઈ ગયું છે કે પક્ષ તોડવા માટે જનતાનો રોષ એકલા અમારી સામે નથી, બી.જે.પી. સામે પણ છે એટલે બી.જે.પી. ૨૦૧૯ની માફક છાતી તાણીને દાદાગીરી કરી શકે એમ નથી. બેઠકોની ફાળવણીમાં જ શિંદે-પવાર બી.જે.પી.નું નાક કાપવા માગે છે જે રીતે લોકસભાની ચૂંટણી વખતે બી.જે.પી.એ તેમનું કાપ્યું હતું. ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે તમે તમારા પક્ષ સાથે કરેલી ગદ્દારીને કારણે જનતા તમારાથી નારાજ છે એટલે તમને વધુ બેઠકો ફાળવવાથી યુતિને નુકસાન થશે. હવે એ બે જણા કહે છે કે જનતાનો ગુસ્સો તમારી સામે પણ છે એટલે વિધાનસભાની ચૂંટણી અમારી મદદ વિના લડી શકો એમ નથી. બી.જે.પી. ઈચ્છે છે કે ૨૦૧૯માં બી.જે.પી.એ જેટલી બેઠકો લડી હતી તેનાથી વધુ બેઠકો આજ લડે પણ લડી શકે એમ નથી. જેને ખરીદવામાં આવ્યા હતા એ છાતી પર ચડી ગયા છે. આ સિવાય ચૂંટણી પાછળ ધકેલવાનું હજુ એક કારણ છે અને એ છે, બી.જે.પી.માં આંતરિક સાઠમારી. દેવેન્દ્ર ફડનવીસ હવે એ દેવેન્દ્ર ફડનવીસ નથી રહ્યા જે ૨૦૨૨ પહેલાં હતા.

સુજ્ઞ વાચકોને કદાચ મનોમન થતું હશે કે એકના એક નુસખા દરેક વખતે કેમ અપનાવવામાં આવે છે? ચૂંટણીપંચ પાસેથી અનુકૂળ આવે એ રીતની તારીખો લીધી. ગોદી મીડિયાઓએ સર્વે કરીને પરિણામ આપવાનું શરૂ કરી દીધું છે કે હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં બી.જે.પી.નો વિજય થવાનો છે. ઝારખંડમાં શાસક પક્ષને તોડવામાં આવી રહ્યો છે. આ સિવાય હિંદુ-મુસ્લિમ અથડામણો, વગેરે વગેરે. આ જ તો સમસ્યા છે તાનાશાહીની. તાનાશાહીમાં કલ્પનાશીલતા હોતી નથી. અંચઈ કરો, છીનવી લો, ડરાવો અને ખરીદો. આ ચાર સ્તંભ ઉપર તાનાશાહીનો મહેલ ઊભો હોય છે. દુર્ભાગ્યે જનતા ધારવામાં આવે છે એટલી બેવકૂફ હોતી નથી. એકનો એક ખેલ એકના એક સ્વરૂપમાં વારંવાર જોવા મળે તો તેમને પણ સમજાય જાય કે આ બધું રાષ્ટ્ર માટે નથી કરવામાં આવતું, પોતાની સત્તા માટે કરવામાં આવે છે. સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાઈટીઝ(સી.એસ.ડી.એસ.)ના લોકસભાની ચૂંટણીપૂર્વેના સર્વેક્ષણમાં માત્ર ૧૧ ટકા હિંદુઓએ કહ્યું હતું કે ભારત દેશ એકલા હિંદુઓ માટેનો છે અને ૭૨ ટકા મતદાતાઓએ કહ્યું હતું કે ચૂંટણીપંચ તટસ્થ નથી. એ અહેવાલ ચોંકાવનારો હતો. પ્રચંડ તાકાત ધરાવનારાં ગોદી મીડિયા એક તરફ અને સી.એસ.ડી.એસ. જેવી નાનકડી સંસ્થા એક તરફ. ટી.વી. ચેનલો પર જઇને શાસક પક્ષની તરફેણમાં ઘોંઘાટ કરનારા મહાન રાજકીય નિરીક્ષકો એક તરફ અને બે પગ, ઉઘાડું મસ્તિષ્ક અને પ્રમાણિકતા ધરાવનારા યોગેન્દ્ર યાદવ એક તરફ. ખેલ ઊઘાડો પડી જાય એ પછી તેને વારંવાર નહીં ભજવવો જોઈએ, પણ આગળ કહ્યું એમ તાનાશાહીની સમસ્યા જ એ છે કે તેની પાસે કલ્પનાશીલતા જ હોતી નથી. અંચઈ કરો, છીનવી લો, ડરાવો અને ખરીદો. કોલંબસની મુસાફરી અહીં પૂરી.

લોકસભાની ચૂંટણી વખતે ખોળે લીધેલા ચૂંટણીપંચે ચૂંટણી દસ તબક્કામાં લંબાવી આપી હતી કે જેથી નરેન્દ્ર મોદી નિરાંતે પ્રચાર કરી શકે. બન્યું એવું કે નેરેટિવ વિનાના નરેન્દ્ર મોદી માટે એ નિરાંત સજારૂપ બની ગઈ અને રાહુલ ગાંધીએ નેરેટિવ સાથે એ નિરાંતનો લાભ લીધો. આ વખતે પણ એવું જ બનવાનું છે. હરિયાણાની ચૂંટણી પતાવીને રાહુલ ગાંધી અને બીજા નેતાઓ મહારાષ્ટ્ર અને હરિયાણા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જે નુસખા પરિણામ આપતાં બંધ થઈ રહ્યા છે તેને વારંવાર અપનાવવાથી શો લાભ!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 22 ઑગસ્ટ 2024

Loading

22 August 2024 Vipool Kalyani
← લાભશંકર પુરોહિત સાથે સંવાદ
ગાંધીજીની મુખ્ય ત્રણ દેણ [1] →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved