Opinion Magazine
Number of visits: 9448248
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનાજની કટોકટીઃ પર્યાવરણ, યુદ્ધ અને રોગચાળાને કારણે દુનિયા ભર્યા ભંડારે ભૂખી રહેશે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 June 2022

ભવિષ્યમાં ભૂખમરો વેઠનારા લોકોની સંખ્યા 276 મિલિયનથી 323 મિલિયન થઇ શકે છે – યુદ્ધો રોકીને પર્યાવરણને બહેતર બનાવવાની દિશામાં જોર લગાડવાની તાતી જરૂર છે.

રાજકીય સ્વતંત્રતાનો અર્થ ત્યાં સુધી નથી સરતો જ્યાં સુધી આર્થિક સ્વતંત્રતાને મામલે આપણે એક રાષ્ટ્ર તરીકે સધ્ધર હોઇએ. ખાધ્ય અનાજને મામલે આપણે એક દેશ તરીકે, તે પણ ખાસ કરીને આપણે જ્યારે એક ખેતીપ્રધાન દેશ હોઇએ ત્યારે – આત્મનિર્ભર હોઇએ તે સૌથી અનિવાર્ય બાબત છે. સ્વતંત્રતા હાથમાં આવી, પણ ત્યારે આપણે ખાદ્યની તંગીમા જીવનારો દેશ હતા અને સાંઇઠના દાયકામાં આ પરિસ્થિતિ વધુ આકરી બની. આ એ દિવસો હતા જ્યારે આયાત કરાયેલું ધાન – ખાદ્ય સામગ્રી બને એટલી જલદી લોકોના ઘર સુધી પહોંચે તેની સગવડ કરવી એક માત્ર ઉકેલ હતો. અંગ્રેજીમાં હેન્ડ ટુ માઉથના વાક્યપ્રયોગનો ઉપયોગ થાય છે, ત્યારે ‘શિપ ટુ માઉથ’ એવો વાક્યપ્રયોગ થતો – જહાજો મારફતે ધાન ભારત પહોંચતું. પણ એ ત્યારની વાત છે. આજે એવા સંજોગો છે કે ફુડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાના ગોડાઉન્સ અનાજના ભંડારોથી ઉભરાઇ રહ્યા છે અને કેન્દ્ર સરકાર ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમતો ચુકવવાને મામલે કોઇ ખાતરી નથી આપી શકતી.

આ બદલાવ પણ ઝડપથી નથી આવ્યો. વિચારો કે સાંઇઠના દાયકામાં વડા પ્રધાનને અન્ય રાષ્ટ્રો પાસે અનાજ માંગવુ પડતું – અણગમતી સ્થિતિ ખરી પણ ટાળી ન શકાય એવી હાલત. કૃષિ વિજ્ઞાન પર સતત કામ કરાયું અને અનાજ ઉત્પાદનને મામલે ભારતને આત્મનિર્ભર કરાયો અને ભારતે જોઇ હરિયાળી ક્રાંતિ. 7 જૂનને વર્લ્ડ ફૂડ સેફટી દિવસ તરીકે મનાવવામાં આવે છે. જ્યારે કંઇ નહોતું ત્યારે પણ પ્રશ્નો હતા અને આજે અધધધ છે ત્યારે પણ પ્રશ્નો છે – સ્વાભાવિક છે કે પ્રશ્નો જુદાં હોય પણ સમસ્યાઓ ઉકલે નહીં તે ઘણું બધું કહી જાય છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો – આ પ્રતિબંધ પણ ત્યારે આવ્યો જ્યારે થોડા દિવસ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિશ્વ આખું ઘઉંની અછત વેઠી રહ્યું છે ત્યારે ભારતના ખેડૂતો આગળ આવ્યા. આ પ્રતિબંધનો નિર્ણય લેવાનું કારણ હતું હીટવેવ જેને લીધે પાકને નુકસાન થયું. વિદેશ વ્યાપારના ડિરેક્ટોરેટના સરકારી ગેઝેટમાં એક નોટિસ હતી જે અનુસાર વૈશ્વિક સ્તરે ઘઉંની કિંમતોમાં જે વધારો થયો છે તે ભારત અને આસપાસના સંવેદનશીલ દેશોની ફૂડ સિક્યોરિટી – ખાદ્ય સુરક્ષા પર જોખમી સાબિત થશે.

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે પહેલાં આ બન્ને દેશ ઘઉં અને બારલીની નિકાસને મામલે વિશ્વમાં ત્રીજા ક્રમાંકે હતા. યુક્રેનના બંદરો બંધ કરાયેલા છે અને અનાજના ભંડારો – માળખું બધું નાશ પામ્યું છે. આપણે ઘઉંના ઉત્પાદનને મામલે વિશ્વમાં બીજા ક્રમાંકે છીએ પણ સૌથી વધુ ઘઉંનો વપરાશ કરનારા દેશમાં આપણે મોખરે છીએ. ભારતે 2022-23 દરમિયાન 10 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો હતો જેથી યુરોપ, આફ્રિકા અને એશિયાના નવા માર્કેટ્સ ખડા થઇ શકે કારણ કે યુદ્ધને કારણે ત્યાં સંજોગો કપરા હતા. જો યુદ્ધ ન થયું હોત તો આ ઘઉં ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને થાઇલેન્ડ જેવા વિકાસશીલ રાષ્ટ્રોમાં પહોંચ્યા હોત. મોસમે તો પાક બગાડ્યો જ પણ રોગચાળા દરમિયાન 800 મિલિયન લોકોને અનાજની નિઃશુલ્ક વહેંચણી કરાઇ છે. પુરવઠા અને માંગને સંતુલિત કરવા માટે સરકારને દર વર્ષે 25 મિલિયન ટન ઘઉંની દર વર્ષે જરૂર પડે છે ખાદ્ય કલ્યાણ યોજના અંતર્ગત જેનાથી 80 મિલિયન લોકોને નિઃશુલ્ક અનાજ પહોંચાડી શકાય.

વૈશ્વિક સ્તરે જોઇએ તો અનાજની કિંમતો આકાશે આંબી છે, ખાદ્ય સુરક્ષાની સ્થિતિ મોટા ભાગના વિકાસશીલ દેશોમાં વણસી છે.  2021માં 200 મિલિયન લોકોએ ખાદ્ય અસુરક્ષાનો સામનો કર્યો છે. આ આંકડો 2016ના આંકડા કરતા બમણો છે. આખરે આ સંજોગો શેને કારણે? પર્યાવરણમાં આવતા બદલાવ, રોગચાળો અને છેલ્લાં બે વર્ષમાં થયેલા રાજકીય સંઘર્ષો આ હાલતના મુખ્ય કારણ છે. ઇથોપિયા, દક્ષિણ સુદાન, દક્ષિણ માડાગાસ્કરમાં ભૂખે મરનારાઓનો આંકડો કૂદકે અને ભૂસકે વધ્યો છે. 2021ની સરખામણીએ ખાદ્યની કિંમતોમાં 26 ટકા વધારો થયો છે. ઘઉંની કિંમતોમાં 61 ટકા વધારો થયો છે અને વર્લ્ડ બેંકની ધારણા છે કે આ કિંમતો હજી વધે તેવી વકી છે. વૈશ્વિક સ્તરે ખાદ્ય સુરક્ષાની સમસ્યા જેટલી આકરી બની રહી છે તેટલી જ કપરી સ્થિતિ ભારત માટે થાય કારણ કે મોટા જથ્થામાં અનાજ મોકલવું પડે. આપણે ત્યાં અર્થતંત્ર બરડ બન્યું છે, રોગચાળા પછી લોકોને એક કોળિયો નસીબમાં નથી ત્યારે આપણે નિકાસ કરીએ તો ઘરનાં ભૂખ્યાં મરે. પણ શું આ માત્ર માંગ અને પુરવઠાનો ખેલ છે? એક રિપોર્ટ અનુસાર આ કોમોડિટી માર્કેટ્સ અંગે ધારણાઓ જાહેર કરતી રોકાણકારી સંસ્થાઓ અને ફંડિગ આપતી સંસ્થાઓને કારણે ભાવ વધારો થયો છે. આ હાલત માટે લૉબીઇસ્ટ અને ખાદ્ય ક્ષેત્ર પર કાબૂ રાખનારાઓ પણ જવાબદાર છે. છેલ્લાં બે વર્ષમાં રોકાણકારોએ કૃષિ ઉત્પાદનોમાં પોતાની ભાગીદારી વધારી, હેજ ફંડ્ઝ, ઇવેસ્ટમેન્ટ બેંક્સ, પેન્શન ફંડ તમામે વૈશ્વિક સ્તરે ભૂખ અને ગરીબી વધારી છે. આ એક એવું સટ્ટાબજાર છે જે ભૂખ પર ખેલાય છે.

ઘઉંની ચિંતા આખી દુનિયા કરે છે કારણ કે મકાઇ અને સોયાબીન પછી ઘઉં સૌથી વધુ વપરાતો પાક છે. ખાદ્ય સુરક્ષા માટે તે સૌથી અગત્યનું અનાજ છે. આપણે વૈશ્વિક ખાદ્ય કટોકટીની ધાર પર ઊભા છીએ. રોબિન્સન મેયર નામના વિશ્લેષકે લખ્યું છે કે ઘઉં નથી એ સમસ્યા નથી પણ ઘઉં ખોટા સ્થળોએ છે તે જ મોટી સમસ્યા છે. રશિયા અને યુક્રેન મળીને 55 મિલયન ટન ઘઉં પેદા કરે છે – જે હાલમાં પણ છે – પણ એ પુરવઠાનું થશે શું તેનો કોઇ ઉત્તર નથી.  વળી યુદ્ધ એક માત્ર કારણ નથી. ક્લાઇમેટ ચેન્જને લગતી ઘટનાઓ ખાદ્ય સુરક્ષાનો પ્રશ્ન વધુને વધુ મોટો બનાવે છે. 2021માં વિશ્વમાં ઘઉંની અછત કેનેડા અને યુ.એસ.એ.ના હીટવેવ અને દુકાળને કારણે સર્જાઇ. ચીને પણ ગયા વર્ષે જે વરસાદ વેઠ્યો તેમાં 30 મિલયન એકર જેટલો પાક બગડ્યો અને આ મોસમને કારણે 18 મિલિયન એકર જમીન પર વાવણી મોડી થઇ અને પછી સર્જાઇ ખાદ્ય કટોકટી.

સમય પાક્યો છે કે રાષ્ટ્રો ખાદ્ય સુરક્ષાને મુદ્દે પર્યાવરણમાં આવતા આકરા પરિવર્તનોનો પ્રશ્ન ઉકેલવાની દિશામાં ધ્યાન કેન્દ્રિત કરે કારણ કે સત્તાનું જોર, યુદ્ધમાં વિજય કે શસ્ત્રોનું જોર બતાડીને દેશવાસીઓના પેટ નહીં ભરી શકાય.

બાય ધી વેઃ

ભારત પર આખી દુનિયાની નજર છે. એમાં ય આપણે સ્થાનિક બજારને પ્રાધાન્ય આપીને નિકાસ અટકાવી તેની આકરી ટીકા થઇ રહી છે. આપણે સમજવું પડશે કે ઘઉંની અછત માત્ર ખોરાકની વાત નથી. જ્યારે દેશોને સાવ પ્રાથમિક કહી શકાય તેવા ખોરાકના પુરવઠાના પણ વાંધા હોય ત્યારે તેની અસર અર્થતંત્ર અને સમાજ વ્યવસ્થા પર એક સરખી જ પડે છે. ભવિષ્યમાં ભૂખમરો વેઠનારા લોકોની સંખ્યા 276 મિલિયનથી 323 મિલિયન થઇ શકે છે – યુદ્ધો રોકીને પર્યાવરણને બહેતર બનાવવાની દિશામાં જોર લગાડવાની તાતી જરૂર છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  05 જૂન 2022

Loading

5 June 2022 admin
← ચલ મન મુંબઈ નગરી—148
શિક્ષણ એટલે શિક્ષણ સિવાયનું જ બધું .., →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved