Opinion Magazine
Number of visits: 9448941
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમૃતસરની ઘટનાના સૂચિતાર્થો – ૧

રમેશ ઓઝા|Opinion - Opinion|20 November 2018

અમૃતસરની ત્રાસવાદી ઘટના ગંભીર છે અને તેને પૂરી ગંભીરતાથી હાથ ધરવી જોઈએ

અમૃતસરમાં ત્રાસવાદીઓએ નિરંકારી ભવન પર બૉમ્બ હુમલો કર્યો એ સામાન્ય ઘટના નથી. આ પંજાબ છે અને ત્યાં દોઢ દાયકાના અલગતાવાદનો આપણને અનુભવ છે. મને આમાં ભયના ઓળા નજરે પડે છે. શક્યતાઓ અને સંભવનાઓની ચર્ચા કરતાં પહેલાં એક પૃષ્ઠભૂમિ સમજી લેવી જોઈએ. ભારતમાં કોઈ ઘટના દેખાય છે એવી સરળ હોતી નથી. એનાં અનેક સૂચિતાર્થો હોય છે અને એ સમજવાં માટે પણ પૃષ્ઠભૂમિ સમજવી જરૂરી છે.

આ દેશમાં સિખો અને તામીલો એમ બે પ્રજા એવી છે જેનાં પર રાષ્ટ્રીય એકતાની દૃષ્ટિએ ચાંપતી નજર રાખવી જોઈએ. સિખોની ધાર્મિક અસ્મિતા અને તામીલોની ભાષાકીય અને દ્રવિડ અસ્મિતા એટલી તીવ્ર છે કે એ ગમે ત્યારે રાષ્ટ્રીય અસ્મિતાની વિરુદ્ધ જઈ શકે છે. આવું થોડું મરાઠી અને બંગાળી અસ્મિતાઓનું ખરું, પણ એ અત્યારે લક્ષ્મણરેખાની અંદર છે. વિષય પર આવતાં પહેલાં હિન્દુ રાષ્ટ્રવાદીઓના લાભાર્થે ઇતિહાસની એક હકીકત ક્હેવી જરૂરી છે. થોડો લાભ ભક્તોને પણ થશે.

રાષ્ટ્રનિર્માણ માટે બહુમતી પ્રજા, તેની જ્યાં સુધી વસતી હોય ત્યાં સુધીની ભૂમિ, તેનો ધર્મ, તેની સંસ્કૃિત અને તેની ભાષા અત્યંત આવશ્કય છે એમ રાષ્ટ્રવાદીઓ માને છે. બહુમતી પ્રજા એક કરતાં અનેક ભાષા બોલતી હોય તો? તો ન ચાલે. એક રાષ્ટ્ર માટે એક ભાષા અનિવાર્ય છે. રાષ્ટ્રીય શ્વાચ્છોશ્વાસ એક જ ભાષામાં ચાલવો જોઈએ. આવું હિન્દુ રાષ્ટ્રવાદીઓ જ માને છે એવું નથી, જગતભરમાં દરેક રાષ્ટ્રવાદી આમ માને છે. હકીકત તો એ છે કે હિન્દુ રાષ્ટ્રવાદીઓ રાષ્ટ્રવાદની કલ્પના પશ્ચિમમાંથી ઉધાર લાવ્યા છે. એક વાત યાદ રહે, જ્યાં રાષ્ટ્રવાદની કલ્પના વિકસી છે ત્યાં બહુવિધ ઓળખોની સમસ્યા (ખરું પૂછો તો આશીર્વાદ) ભારત જેટલી નહોતી.

ભારત નસીબદાર દેશ છે અને ભારતની નસીબદારી ગાંધીજીને સમજાઈ હતી. તેમણે કહ્યું હતું કે આપણે નસીબદાર છીએ કે આપણો બગીચો આટલાં બધાં ફૂલોથી મઘમઘે છે. એકત્વને નામે તેને વેડીને એક જ પ્રકારનાં ફૂલના બગીચામાં શા માટે ફેરવો છો? બીજું એ શક્ય પણ નથી. ગણવા બેસશો તો ભારતમાં દરેક પ્રજા લઘુમતી પ્રજા છે. કોને કોને વેડશો? સબકા સાથ સબકા વિકાસનું મૂળ સૂત્ર ગાંધીજીનું હતું અને એ પ્રજા સાથેની છેતરપીંડી નહોતી. તેમની શ્રદ્ધા હતી અને એ માટે પ્રાણ આપ્યા હતા.

કોણે પ્રાણ લીધો હતો? એ લોકોએ જે બહુવિધ ફૂલોના મઘમઘતા બગીચાને વેડવા માંગતા હતા અને ગાંધીજી તેમની વચ્ચે આવતા હતા. ભારતનું વિભાજન થયું અને પાકિસ્તાનની સ્થાપના થઈ ત્યારે મહમદઅલી જિન્નાહ સામે પણ સવાલ ઊભો થયો હતો કે વગર મહેનતે પાકિસ્તાન હાથમાં તો આવી ગયું, પણ તેને ટકાવવું કઈ રીતે? અંગ્રેજી ભાષા સિવાય બીજી કોઈ ભાષા આવડતી નહોતી અને ભારતની દેશી ભાષાઓ માટે જેને અણગમો હતો એ નખશીખ આધુનિક જિન્નાહે તાજા જન્મેલા પાકિસ્તાનને બચાવવા સારુ સાંસ્કૃિતક રાષ્ટ્રવાદનો આશરો લેવો પડ્યો હતો. તેમણે જાહેર કર્યું કે પાકિસ્તાનની રાષ્ટ્રભાષા ઉર્દૂ રહેશે. શા માટે? કારણ કે ઉર્દૂ મુસલમાનોની ભાષા છે.

અહીં જ મોટી ભૂલ હતી. આ દેશમાં લગભગ ૧૮૫૭ સુધી હિન્દુસ્તાની હિન્દુસ્તાનીઓની ભાષા હતી, પરંતુ જેમને હિન્દુસ્તાનીમાંથી હિન્દુ અને મુસલમાન થવું હતું તેમણે મળીને હિન્દુસ્તાનીનું કાસળ કાઢી નાખ્યું અને હિન્દી હિન્દુઓની ભાષા બની અને ઉર્દૂ મુસલમાનોની. નવનિર્મિત પાકિસ્તાનમાં એવી એક પણ પ્રજા નહોતી જેની માતૃભાષા ઉર્દૂ હોય અને હજારો વરસ જૂના ભારતમાં એવી એક પણ પ્રજા નહોતી જેની માતૃભાષા આજના સ્વરૂપમાં જોવા મળતી હિન્દી હોય. એ તો કલકત્તાના ફોર્ટ વિલિયમમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સ્થાપેલી લેન્ગવેજ ફેક્ટરીમાંથી ઉત્પાદિત કરવામાં આવેલી ભાષા છે જેને પાછળથી હિન્દુ/હિન્દી ભાષાભિમાનીઓએ અપનાવી લીધી હતી.

ખેર, પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું અને ઉર્દૂને મુસલમાનોની ભાષા તરીકે રાષ્ટ્રભાષા જાહેર કરવા આવી. આ જાહેરાત થતાની સાથે જ પૂર્વ પાકિસ્તાનમાં ઢાકા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ તોફાનો કર્યા. ૨૩મી ફેબ્રુઆરી ૧૯૪૮ આંદોલનનું નેતૃત્વ કરનારાઓમાં શેખ મુજીબુર રહેમાન હતા જેણે પાછળથી બંગાળી ભાષા અને અસ્મિતા બચાવવા બંગલાદેશને પાકિસ્તાનથી અલગ કર્યું હતું. ઈસ્લામને બચાવવા ભારતથી અલગ થઈને પાકિસ્તાન બન્યું અને બનતાની સાથે જ બંગાળી ભાષા બચાવવા પાકિસ્તાનનો છેદ ઉડાડવાનું આંદોલન શરુ થયું.

તો વાતનો સાર એટલો જ કે આ દેશમાં ગાંધીજી પહેલા માણસ હતા, જેને એ સમજાઈ ગયું હતું કે અનેક ફૂલોનો ભારતને મળેલો બગીચો ભારત પર કુદરતનો આશીર્વાદ તો છે જ પણ એ સાથે ભારતની નિયતિ પણ છે. એની સાથે છેડછાડ કરશો તો પાકિસ્તાન જેવા હાલ થશે. તમને ખબર છે? પાકિસ્તાનની હજુ સ્થાપના નહોતી થઈ ત્યારે બંગાળના હિન્દુઓ અને મુસલમાનો મળીને ગાંધીજી પાસે દરખાસ્ત લઈને ગયા હતા કે જો અમને સંયુક્ત સ્વતંત્ર બંગાળ આપવામાં આવે તો અમે (હિન્દુ અને મુસલમાન) સાથે રહેવા માગીએ છીએ અને પાકિસ્તાન ગયું ભાડમાં. દરખાસ્ત લાવનાર બંગાળના સિનિયર નેતાઓ હતા. તેમને ગાંધીજીએ કહ્યું હતું કે તમે જે કહો છો તેમાં તમે ફક્ત પાકિસ્તાન ગયું ભાડમાંથી અટકતા નથી, હિન્દુસ્તાન ગયું ભાડમાં પણ આવે છે તો પછી તમારો દેશપ્રેમ ક્યાં ગયો?

ભારતમાં દેશપ્રેમ અને રાષ્ટ્રવાદ આવા છે. શરીર પરની ચામડી જરાક ખરોચો એટલે હિન્દુ, મુસલમાન, શિયા-સુન્ની, સિખ, જૈન, બંગાળી, તામિલ, દ્રવિડ, ગુજરાતી, પટેલ વગેરે લોહી ટપકવા માંડશે. આને અંગ્રેજીમાં સબ-નેશનાલિઝમ (પેટા રાષ્ટ્રવાદ) કહેવામાં આવે છે અને ભારતમાં કોઈ એક સબ નથી, અનેક સબ છે અને સબના પણ અનેક સબ છે. એટલે ગાંધીજીએ કહ્યું હતું કે અનેક ફૂલોનો બનેલો બગીચો ભારતની નિયતિ છે જેને પ્રભુના અનોખા આશીર્વાદ તરીકે સ્વીકારો. મહેરબાની કરીને તેની સાથે છેડછાડ નહીં કરો. ગાંધીજીનું આવી શિખામણ આપવા માટે ખૂન કરી નાખવામાં આવ્યું હતું, કારણ કે કેટલાક લોકો પોતાના પક્ષમાં બગીચામાં છેડછાડ કરવા માંગતા હતા.

વાત એમ છે કે ભારતમાં કોળાઈ શકે અને વિકસી શકે એવી બહુમતી રાષ્ટ્રીયતા તો છે જ નહીં, પણ નાની-નાની પેટા રાષ્ટ્રીયતા અનેક સ્વરૂપમાં પડી છે. જો એકને લાદવામાં આવે તો બીજી પ્રતિકાર સ્વરૂપે બળવત્તર થઈ શકે છે અને એમાં પણ સિખો અને તામીલો આવી શક્યતા વધુ ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતમાં બહુમતી રાષ્ટ્રવાદ સામે પેટા રાષ્ટ્રવાદ તામીલોમાં અને સિખોમાં પ્રબળ છે. આનો વસમો અનુભવ પણ દેશને થઈ ચૂક્યો છે. તામિલ રાષ્ટ્રવાદે રાજીવ ગાંધીનો ભોગ લીધો હતો અને સિખ રાષ્ટ્રવાદે ઇન્દિરા ગાંધીનો. એ સત્તા ખાતર બગીચામાં કરવામાં આવેલાં ચેડાનું પરિણામ હતું.

આટલી પૃષ્ઠભૂમિ પછી અમૃસરમાં બનેલી ઘટનાનું આવતીકાલે પૃથ્થકરણ કરીશું.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 20 નવેમ્બર 2018

Loading

20 November 2018 admin
← જે લોકો વ્યવસ્થાપરિવર્તન વિશે એક શબ્દ નથી બોલતા અને સ્વર્ગ ધરતી પર લઈ આવવાની વાતો કરે છે એ બધા જ ફેંકુ છે
અમૃતસરની ઘટનાના સૂચિતાર્થો – ૨ →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved