Opinion Magazine
Number of visits: 9448796
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમેરિકી પ્રમુખ ટ્રમ્પને નોબેલ ‘અશાંતિ’ પુરસ્કાર અપાવો જોઈએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 June 2025

રવીન્દ્ર પારેખ

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર જાન્યુઆરી, 2025માં સત્તા પર આવ્યા, ત્યારથી તેમણે ઉપદ્રવ સિવાય ભાગ્યે જ કૈં કર્યું છે. અકલ વગરની દખલ – તેમની લાક્ષણિકતા રહી છે. આમ તો તે અમેરિકાના પ્રમુખ છે, પણ આખી પૃથ્વી પર સત્તા ભોગવવાનો પરવાનો મળ્યો હોય તેમ વર્તે છે. ‘કાજી કો સારે ગાંવ કી ફિકર’ની જેમ, કોઈ પૂછે કે ન પૂછે, સાહેબ કોઈ પણ દેશમાં ઘૂસીને ઈલાજ કરવા લાગી જાય છે. રોગને તો વકરાવે જ છે, રોગ ન હોય તેને ય રોગી કરવા મહેનત કરે છે. સત્તા પર આવ્યા પછીની તેમની કાર્યવાહી જોવા જેવી છે. સત્તામાં આવતાં જ ટ્રાન્સ જેન્ડરની માન્યતા તેમણે ખતમ કરી. તેમના આવવાથી બકવાસ નહીં, બકવાદ શરૂ થયો. બોલવામાં અને બોલીને ફરી જવામાં તેમનો જોટો જડે એમ નથી. ભારત સાથે હવે મૈત્રી ઓછી ને મતભેદ વધારે છે. ટ્રમ્પની બીજી ‘સિદ્ધિ’ ટેરિફ વોર છેડવાની. પહેલાં તો ભારત, ચીન જેવા દેશો સામે વધુ ટેરિફ વસૂલવાની ધમકી ઉચ્ચારી ને પછી સૂરસૂરિયું થઈ ગયું. ટ્રમ્પને કોઈ હરીફ હોય એવું પણ બહુ ફાવતું નથી. એપલના CEO ટિમ કૂકે, ભોગ લાગ્યા તે ભારતના વખાણ કર્યાં, તે ટ્રમ્પને પસંદ ન પડ્યું ને એવું ફરમાન બહાર પાડ્યું કે હવેથી એપલે મોબાઈલ અમેરિકામાં જ બનાવવા. તેમાં કારી ન ફાવી તો ટ્રમ્પે એપલ અને સેમસંગને બહાર ફોન બનાવવાની છૂટ તો આપી, પણ ટેરિફ 25 ટકા લગાવવાનો આગ્રહ પણ રાખ્યો.

ભારતે આતંકી થાણાઓ પર એર સ્ટ્રાઈક કરી, તો સામે પાકિસ્તાને પણ હુમલો કરતાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ. એમાં પાકિસ્તાનની હાલત વધુ કફોડી થતાં તેણે યુદ્ધ વિરામની વિનંતીઓ કરી. ભારતે એ વિનંતીઓ સ્વીકારી. આ બે દેશો વચ્ચેની વાત હતી, પણ જશ ખાટવા યુદ્ધ વિરામની જાહેરાત અમેરિકી પ્રમુખ ટ્રમ્પે કરી. ભારતે ખુલાસો કર્યો કે આ બે દેશો વચ્ચેનો મામલો છે ને એમાં ટ્રમ્પનો કોઈ હાથ નથી. પી.ઓ.કે.નો મામલો ઉકેલવા પણ ટ્રમ્પે તૈયારી બતાવી, ત્યારે પણ ભારતે રોકડું કર્યું કે તેને બહારની દખલ અપેક્ષિત નથી. એ જ રીતે રશિયા-યુક્રેન મામલે પણ ટ્રમ્પ કાજી થવા ગયા, યુક્રેન પ્રમુખ ઝેલેન્સકીને અમેરિકા બોલાવીને તેમની સાથે પણ તડાફડી કરી, પુતિનને પણ યુદ્ધ વિરામ અંગે એકથી વધુ વખત સમજાવ્યા, પણ યુદ્ધ અટક્યું નહીં. ઈઝરાયેલ-ગાઝા યુદ્ધમાં પણ ટ્રમ્પ દખલ કરી ચૂક્યા છે. ઇઝરાયેલના નેતન્યાહૂ વૈશ્વિક દબાણ છતાં સાફ કહે છે કે ગાઝા પર હુમલો નહીં રોકાય. એટલે જ નેતન્યાહૂ સાથે વચમાં કટાઈ ગયેલું. બાકી, હતું તે ઈઝરાયેલ ઈરાન પર પરમાણુ હુમલો કરવાનું છે એવી ચાડી પણ ટ્રમ્પ ખાઈ ચૂક્યા હતા.

ડોનાલ્ડ ટૃમ્પ

ઈઝરાયેલ અને ઈરાન પણ બાખડ્યા, ત્યારે અમેરિકા ઈઝરાયેલ તરફી થઈ ગયું ને ઈરાનને ધમકી આપવા લાગ્યું કે ઈરાન શાંતિ સ્થાપવામાં મદદ કરે. અમેરિકાએ ઇરાનને ધમકી આપી કે તે શાંતિ નહીં સ્થાપે તો અમેરિકા તેના પર હુમલો કરશે ને અમેરિકા બોલીને બેસી ન રહ્યું, તેણે ઇરાનના ફોર્ડો, નતાંઝ અને ઇસ્ફહાન પરમાણુ સ્થળો પર રવિવારે સવારે સાડા ચાર વાગે હુમલો કર્યો પણ ખરો. અમેરિકન હુમલાના જવાબમાં ઇરાને ઈઝરાયેલ પર 35 મિસાઇલ્સ છોડી ને તેનાં 14 મહત્ત્વનાં સ્થળોને નિશાન બનાવ્યાં. ઇરાનમાં 13 જૂનથી અત્યાર સુધીમાં 657 અને ઇઝરાયેલમાં 24 લોકોનાં મોત થયાં છે ને 2,000થી વધુ ઘાયલ થયા છે.

અમેરિકન હુમલા સંદર્ભે અમેરિકન સંરક્ષણ મંત્રી ટ્રમ્પના વખાણ કરતાં કહે છે કે ઘણા અમેરિકન રાષ્ટ્રપતિઓએ ઇરાનના પરમાણુ ઠેકાણાંને રોકવાનું સ્વપ્ન જોયું હતું, પણ ટ્રમ્પ સિવાય કોઈ તે કરી શક્યું ન હતું. હુમલાના સંદર્ભમાં ઈરાની રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકાનો ચહેરો બેનકાબ થયો છે. ઇરાને હુમલાનો જવાબ આપવાનું કહ્યું છે. એટલે હવે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં અમેરિકાએ પણ હુમલો કરીને યુદ્ધની તીવ્રતા ને હાલાકી વધારી દીધી છે.

ખબર નથી પડતી કે સાચી કે ખોટી વૈશ્વિક શાંતિ સંદર્ભે અનેક દેશો યુદ્ધમાં સંડોવાયા છે, એમાં જે તે  દેશના નેતાઓ તો યુદ્ધમાં નથી સંડોવાતા, પણ જે તે દેશની પ્રજા તેનો ભોગ બને છે. તેણે કોઈનું કૈં બગાડ્યું હોતું નથી, પણ હુમલાઓમાં ભોગ તેનો લેવાય છે. બાળકો કોઈ પણ દેશના હોય, પણ હુમલામાં તેઓ મરે છે, તે અંગે ભાગ્યે જ ગંભીર રીતે વિચારાય છે. હુમલો અમેરિકાએ ઈરાન પર કર્યો, તો સામે ઇરાને હુમલો અમેરિકા પર કરવો જોઈએ, પણ ઇઝરાયેલ પર કર્યો એ પણ સૂચક છે.

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ઈરાન પર હુમલો કરાવ્યો, તો બીજી તરફ પાકિસ્તાને 2026નાં નૉબેલ શાંતિ  પુરસ્કાર માટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નોમિનેટ કર્યું છે. પાકિસ્તાનનું માનવું છે કે ટ્રમ્પની રાજદ્વારી મધ્યસ્થીને કારણે ભારત-પાકિસ્તાનનું યુદ્ધ ટાળી શકાયું હતું, જ્યારે પાકિસ્તાનનું જ એ પણ કહેવું છે કે યુદ્ધ વિરામની તેની જ વિનંતીઓને લીધે ભારત યુદ્ધ વિરામ માટે રાજી થયું હતું. પાકના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે મે મહિનામાં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને રોકવા બદલ ટ્રમ્પને નોબેલ આપવાની માંગ કરી હતી. એનો લાભ મુનીરને એ મળ્યો કે અમેરિકાએ પાકિસ્તાનના આર્મી ચીફનું સ્વાગત કર્યું ને ટ્રમ્પ-મુનીરની વ્હાઇટ હાઉસમાં બંધ બારણે મુલાકાત પણ થઈ, એટલું જ નહીં, બંનેએ સાથે લંચ પણ કર્યું ને ટ્રમ્પ પણ પછી તો ‘આઈ લવ પાકિસ્તાન’ને લવારે ચડ્યા. સારી વાત એ છે કે ટ્રમ્પ-મુનીર પર કોઈનો ભરોસો નથી, પણ એ બંનેનો એકબીજાને બંધ બારણે મળવા જેટલો ભરોસો તો છે જ !

પાકિસ્તાન જન્મ્યું ત્યારથી સાચું બોલ્યું નથી.

જો કે, ટ્રમ્પે તો અત્યાર સુધીમાં 14 વખત દાવો કર્યો છે કે તેમની મધ્યસ્થીને કારણે જ ભારત-પાકિસ્તાન યુદ્ધ ટળ્યું હતું ને ભારત વારંવાર કહી ચૂક્યું છે કે યુદ્ધ રોકવામાં ટ્રમ્પની કોઈ મધ્યસ્થી નથી. પાકિસ્તાન નૉબેલની ભલામણ ન કરે તો પણ ટ્રમ્પ પોતે સ્ટિકર લગાડીને બજારમાં વેચાવા ઊભા છે. તેમને પાછું એકાદ નૉબેલથી તો ચાલે એમ નથી એટલે જરા પણ શરમ વગર કહી શકે છે કે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર 4-5 વખત મળવો જોઈએ. ગમે એટલાં યુદ્ધો રોકે, ગમે એટલું કરે તો પણ તેમને નોબેલ મળે એમ નથી ને તેનો અફસોસ ટ્રમ્પને છે.

એ સાચું કે તેમના મતે ટ્રમ્પે ભારત-પાકિસ્તાન, રશિયા-યુક્રેન, ઈરાન-ઈઝરાયેલ જેવા વિવાદો ઉકેલવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમનું કહેવું છે કે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો સાથે મળીને કૉંગો-રવાંડા યુદ્ધને રોકવા શાંતિ સમજૂતી કરાવી, પરિણામે લોહિયાળ સંઘર્ષ ટળ્યો. આ મામલે પણ ટ્રમ્પ કહે છે કે તેમને નોબેલ નહીં મળે. તેમણે એ પણ ઉમેર્યું કે સર્બિયા-કોસોવો વચ્ચે પણ યુદ્ધ અટકાવ્યું, તો ય નોબેલ નહીં મળે. આમ એકાએક નોબેલ નૉબેલની માળા ટ્રમ્પ એટલે ફેરવે છે કે અમેરિકી પ્રમુખ બરાક ઓબામાને પ્રેસિડેન્ટ બન્યાના નવ જ મહિનામાં (2009) નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો, એટલે ટ્રમ્પને પણ લાગે છે કે નોબેલ માટેની તેમની મુદ્દત પણ પાકી ગઈ છે. ટ્રમ્પને એ ખ્યાલ હોવો જોઈએ કે યુદ્ધ રોકવાના પ્રયત્નો છતાં યુદ્ધો રોકાયાં નથી. રશિયા-યુક્રેન હજી લડે જ છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકવામાં તેમની કોઈ ભૂમિકા નથી, તેવું ભારતે સોય ઝાટકીને કહી દીધું છે, પણ ટ્રમ્પે મધ્યસ્થી તરીકેની પોતાની ભૂમિકા છે જ, તેવું 14 વખત કહ્યું છે. ઈરાન સાથે પરમાણુ ડીલ થઈ શકી નથી. ઈઝરાયેલ-ઈરાન વચ્ચેનો સંઘર્ષ વધ્યો છે, એટલું જ નહીં, ટ્રમ્પે પોતે ઉપર રહીને ઈરાન પર હુમલો કરી ત્રણ મથકોને હાનિ પહોંચાડી છે, તો કયે મોઢે ટ્રમ્પ 4-5 વખત નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ એવો દાવો કરી શકે? એમને નૉબેલનો ‘અશાંતિ’ પુરસ્કાર મળી શકે, પણ એ તો એવો પુરસ્કાર નોબેલ શરૂ કરે ત્યારની વાત છે. લાગે છે, નોબેલ વાંદરાને નીસરણી આપવા જેવું કરે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 જૂન 2025

Loading

23 June 2025 Vipool Kalyani
← ભારતીય ઉડ્‍ડયન ક્ષેત્રના રન-વેની વિટંબણાઓઃ સલામતી, આર્થિક મજબૂતાઈ, નીતિની ગૂંચ જેવા બર્ડ હિટ
….. તો શું થાત? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved