Opinion Magazine
Number of visits: 9448796
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમેરિકા અને બિહારની ચૂંટણીમાં કેટલીક આઘાતક સમાનતા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|12 November 2020

યોગાનુયોગ એવો છે કે અમેરિકામાં અને ભારતનાં બિહાર રાજ્યમાં એક જ સમયે ચૂંટણી યોજાઈ અને જે પરિણામ આવ્યાં એ લગભગ સમાન છે. સમાન કઈ રીતે એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે.

અમેરિકામાં લગભગ ૧૫ કરોડ મતદાતાઓએ મતદાન કર્યું હતું જેમાંથી વિજેતા ઉમેદવાર જૉ બાયડનને ૭,૬૯,૬૬,૧૬૧ મત મળ્યા છે અને પરાજીત ઉમેદવાર અને વર્તમાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ૭,૧૮,૯૭,૨૮૯ મત મળ્યા છે. હજુ ત્રણ રાજ્યોમાં મત ગણતરી ચાલે છે જેમાંથી બે રાજ્યોમાં ટ્રમ્પ આગળ છે. એમ લાગે છે કે પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પ માત્ર પચાસેક લાખ મતથી પાછળ રહેશે. બન્ને ઉમેદવારોના મતમાં ખાસ કોઈ ફરક નથી. અહીં એક ખુલાસો જરૂરી છે કે અમેરિકામાં કુલ મત (પોપ્યુલર વોટ્સ) કોને કેટલા મળે છે એના આધારે કોઈનો વિજય કે પરાજય થતો નથી. ૨૦૧૬માં હિલેરી ક્લીન્ટનને ટ્રમ્પ કરતાં વધારે મત મળ્યા હોવા છતાં તેમનો પરાજય થયો હતો. ૨૦૧૬માં ટ્રમ્પને કુલ મતોમાંથી ૪૬.૨ ટકા મત મળ્યા હતા અને વિજેતા થયા હતા જ્યારે આ વખતે ૨૦૧૬ કરતાં વધુ ૪૭.૫ ટકા મત મળી રહ્યા છે અને છતાં પરાજીત થયા છે. અમેરિકાની ચૂંટણી પદ્ધતિ અલગ પ્રકારની અને અટપટી છે જેનો આ લેખ સાથે કોઈ સંબંધ નથી એટલે એની વાત જવા દઈએ.

૨૦૧૬ની ચૂંટણીમાં ટ્રમ્પને કુલ મતોમાંથી ૪૬.૨ ટકા મત મળ્યા હતા અને આ વખતે એનાં કરતાં વધુ ૪૭.૫ ટકા મત મળ્યા છે. ૧.૭ ટકાનો વધારો. કઈ સિદ્ધિ માટે? પ્રશ્ન થવો સ્વાભાવિક છે. એક ડફોળ, નૌટંકી, જૂઠાડો, અસંસ્કારી, ફૂહડ અને આવડત વિનાનો માણસ; જેને મતદાતાઓએ કચકચાવીને ધક્કો મારીને બહાર કાઢવો જોઈએ એના પોપ્યુલર વોટમાં ઘટાડો થવાનું બાજુએ રહ્યું વધારો થયો છે. જે માણસે ચાર વરસમાં વીસ હજાર વખત અસત્ય, અર્ધસત્ય અને ગેરમાર્ગે દોરનારાં નિવેદનો કર્યા હોય એ પ્રજાની ખફાથી બચી જાય? ટ્રમ્પનો પરાજય બંધારણીય છે, તેના સમર્થકોમાં તો વધારો જ થયો છે. જે માણસ અમેરિકન સમાજમાં વિખવાદ પેદા કરે, આખા જગત સાથે સંબંધો બગાડે, અર્થતંત્રને ખાડે નાખે અને કોરોનાના સંકટને હેન્ડલ ન કરી શકે એના પોપ્યુલર મતોમાં વધારો થાય?

તો પછી જગતમાં શું બની રહ્યું છે?

જગતમાં જે બની રહ્યું છે એની હજુ વધુ ખાતરી બિહારે કરાવી છે. દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે. યુવાનો માટે રોજગારી નથી અને જે છે એ પણ લોકો ગુમાવી રહ્યા છે. વિકાસદરમાં બંગલાદેશ ભારતથી આગળ નીકળી ગયું છે. પાડોશી દેશો સાથેના ભારતના સંબંધો તળીયે ગયા છે. ચીને ભારતની ભૂમિ ઉપર કબજો જમાવ્યો છે અને એ ભારત પાછી મેળવી શકે એવી કોઈ શક્યતા નજરે પડતી નથી. અમેરિકન ચૂંટણીમાં નમસ્તે ટ્રમ્પનો મેળાવડો યોજીને નરેન્દ્ર મોદીએ ટ્રમ્પનો સીધો પ્રચાર કરીને વિદેશનીતિનો છબરડો વાળ્યો છે. બીજા દેશના નેતાનો કોઈએ ચૂંટણી પ્રચાર કર્યો હોય એવું આ પૃથ્વી ઉપર આ પહેલાં કોઈ દેશે કર્યું હોય એવું જાણમાં નથી. કોરોના વાયરસને અકુશમાં લેવા માટે જે પ્રકારનું લોકડાઉન કરવામાં આવ્યું એનો તો જગતમાં જોટો જડે એમ નથી. પ્રવાસી મજદૂરો જે રીતે રઝળી પડ્યા એ તો નજીકનો ઇતિહાસ છે. નોટબંધી અને લોકડાઉન ઐતિહાસિક છબરડા તરીકે કાયમ માટે ઇતિહાસમાં અમર રહેશે. એકંદરે અમેરિકામાં અને ભારતમાં શાસનની ગુણવત્તામાં જે ફરક છે એ ૧૯ અને ૨૦નો જ છે. લગભગ સમાન સ્થિતિ છે.

courtesy : "The Independent", 07 November 2020

આમ છતાં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ હારીને પણ જીતી ગયા છે અને બાયડન જીતીને હાર્યા છે.  એવું જ બિહારમાં ઊંધે છેડેથી બન્યું છે. તેજસ્વી યાદવ હારીને જીત્યા છે અને નરેન્દ્ર મોદી જીતીને હાર્યા છે. હવે પછી જ્યારે મતદાનના આંકડાની વિગતો આવશે ત્યારે તમે જોશો કે કુલ મતદાનમાં એન.ડી.એ. અને ગઠબંધનને મળેલા મતોની વચ્ચેનું અંતર બહુ ઓછું જોવા મળશે. અત્યારે જ પચાસેક મતદાર ક્ષેત્રોમાં બે પ્રતિસ્પર્ધી વચ્ચેનું અંતર સોથી પાંચસો મતનું છે. બે ગઠબંધન વચ્ચે બેઠકોનું અંતર પણ ઘણું ઓછું છે.

જેમ અમેરિકામાં પ્રચંડ રસાકસી જોવા મળી એમ બિહારમાં પણ જોવા મળી. શેની છે એ રસાકસી? કોની વચ્ચે છે એ રસાકસી? રસાકસી પ્રજા વચ્ચેની છે. સમાજમાં ઊભી તિરાડ પડી છે. એક વર્ગ પ્રગતિગામી છે અને બીજો વર્ગ પ્રતિગામી કે પ્રતિશોધગામી છે. એક વર્ગને સુખાકારી જોઈએ છે જ્યારે બીજા, કદાચ એનાથી પણ મોટા વર્ગને પોતાની બરબાદીના ભોગે પણ પ્રતિશોધ જોઈએ છે. ‘હું મરું પણ તને રાંડ કરું’ના ન્યાયે તેઓ તેની કલ્પનના દુશ્મનનું બુરું થતું હોય અથવા કોઈ તેનું બુરું કરી આપતું હોય તો પોતાનું ઘર ફૂંકી દેવા તૈયાર છે. દુનિયામાં સમાજ આજે સત્ અને તમસના ગુણ વચ્ચે વહેંચાઇ ગયો છે.

અત્યારનું રાજકારણ રાજકીય પક્ષો વચ્ચેનું રાજકારણ નથી પણ એક પ્રજાનું બીજી પ્રજા સામેનું રાજકારણ છે. દુનિયમાં આવું પહેલી વાર જોવા મળી રહ્યું છે. જે લોકો વિવેકી છે એ લોકો કાયદાના રાજને ટકાવી રાખવા માટે, શાંતિ અને સદ્દભાવ ટકી રહે એ માટે, સમાજરૂપી નાવ વિકાસ કે પ્રગતિલક્ષી બની રહે એ માટે મરણિયા થઈને પ્રયાસ કરી રહ્યા છે. તેઓ પોતાની જમીન છોડવા માંગતા નથી. બીજી તરફ તામસ પ્રકૃતિ ધરાવતો વર્ગ કોઈ પણ ભોગે પોતાના કહેવાતા દુશ્મનનું બુરું કરવા તલપાપડ છે. તે પણ તસુ ભૂમિ છોડવા તૈયાર નથી. ટૂંકમાં સમાજની અંદર સત્ અને તમસની લડાઈ ચાલી રહી છે.

મારી રવિવારની કોલમમાં મેં રોજર આઈલ્સ વિષે લેખ લખ્યો હતો. આઈલ્સ કુળનું પત્રકારત્વ તામસિકતા જગાડવાનું, તામસિકતાને પ્રબળ કરવાનું અને તામસવૃત્તિ ધરાવતા લોકોને સંગઠિત કરવાનું કામ કરે છે. શાસકો અને કુબેરપતિઓ એમાં તેમના ભાગીદાર છે. તેમને ખબર છે કે પ્રચંડ તામસિકતા સમ્યક દૃષ્ટિને, સમ્યક અવાજને અને સમ્યક વૃત્તિને રૂંધી નાખશે. વ્યવહારુ બનીને મધ્યમ માર્ગે ચાલનારા વિવેકીઓ તેમને પરવડતા નથી. આ બાજુ મધ્યમમાર્ગીઓ પણ શાંતિથી જીવી શકાય એવા નરવા સમાજને ટકાવી રાખવા મરણિયા થયા છે.

ટૂંકમાં વિભાજન સમાજ સામે સમાજનું છે. એની આખરી પરિણતી શું હશે? કહેવું મુશ્કેલ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 12 નવેમ્બર 2020

Loading

12 November 2020 admin
← અનસૂયાબહેન સારાભાઈ : ગુજરાતની ગાંધીવાદી મજૂર ચળવળનાં માતા
સુરતને મેયર, કમિશનર, પોલીસ કમિશનર, ધારાસભ્યો, સાંસદો છે, છતાં શહેર અનાથ છે… →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved