મિત્ર કિરીટ જાખરિયાના આગ્રહવશ 4 જૂન 2023ના રોજ ન્યૂયોર્ક મેનહટનમાં JAVITS Centre ખાતે રાહુલ ગાંધીની સભામાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. બંધારણીય મૂલ્યો /માનવ મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ સુનિતા પટેલ બ્લેક ટી-શર્ટમાં હતાં અને ટી-શર્ટ પર લખ્યું હતું : ‘Restore Democracy in India !’ તેઓ 1393 કિલોમિટર દૂર Atlantaથી આવ્યાં હતાં. તેઓ સ્વદેશ આવી ભારત જોડો યાત્રામાં પણ જોડાયાં હતાં !
સામ પિત્રોડાએ કહ્યું : “ભારતમાં પોલીસ / ઈન્કમ ટેક્સ / ED દ્વારા સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે. યુનિવર્સિટીમાં અભિવ્યકિતને રોકવામાં આવે છે. લોકોને અને NGOને હેરાનરકેશાન કરવામાં આવે છે. સ્વતંત્રતા / સમાનતા / ન્યાય / વિવિધતા વિના લોકશાહી હોઈ શકે નહીં ! એટલો ભ્રમ ઊભો કરવામાં આવે છે કે લોકો નક્કી કરી શકતા નથી કે સત્ય શું છે અને જૂઠ શું છે? હવેની ચૂંટણીમાં નક્કી કરવાનું છે કે સાચા રસ્તે જવું છે કે ખોટા રસ્તે? જો રસ્તો ચૂક્યા તો ભારે કિંમત ચૂકવવી પડશે ! આપણે બેરોજગારી / ફુગાવો / મોંઘવારી / એજ્યુકેશન / હેલ્થની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ ! પરંતુ બધાં રામ /હનુમાન / મંદિરની ચર્ચા કરે છે; હું કહું છું કે મંદિર જોબ નિર્માણ ન કરી શકે; સાયન્સ કરી શકે !”
રાહુલ ગાંધીએ Teleprompter વિના શું કહ્યું?
[1] હું જ્યારે અહીં આવું છું અને આપ સૌને આપણા દેશનું પ્રતિનિધિત્વ કરતા જોઉં છું ત્યારે મને ગૌરવ થાય છે ! કારણ કે જે રીતે આપે વ્યવહાર કર્યો છે, જે માનવતા આપે દર્શાવી છે, જે સ્વીકૃતિ આપની પાસે છે, આપમાંથી કોઈ પણ અહંકારથી અહીં નથી આવ્યા. આપ હિન્દુસ્તાનથી અહંકાર નથી લાવ્યા ! આપ સીમિત સાધનો સાથે અહીં આવ્યા અને આપે કંઈક શાનદાર, કંઈક અદ્દભુત બનાવ્યું ! આપે અમેરિકન સંસ્કૃતિ / અમેરિકન ભાષા / અમેરિકન ઇતિહાસ / અમેરિકાના વિવિધ ધર્મોનો સ્વીકાર કર્યો. આપ અહીં અમેરિકન સંસ્કૃતિ/ ધર્મ / ઇતિહાસને લડાવવા કે ગાળો દેવા નથી આવ્યા. એટલે અમારા માટે આપ અને આપની જેવા લાખો લોકો, અમારા રાજદૂત છો. આપ, આપણા દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો. ગાંધીજી સત્યનું પાલન કરતાં હતા અને તેઓ વિનમ્ર હતા. આપ સૌ ગાંધીજી /આંબેડકરજી / સરદાર પટેલજી / નેહરુજીના પગલે ચાલી રહ્યા છો !
[2] બે વિચારધારાની લડાઈ છે, આપણી પાસે ગાંધીજી છે, તેમની પાસે નથૂરામ ગોડસે છે, RSS છે ! ગાંધીજીએ અહિંસાનો પ્રચાર કર્યો અને સત્યની ખોજ કરી. આ વિચારધારાનું અમે પાલન કરીએ છીએ. આ વિચારધારાનું આપ સૌ પાલન કરો છો.
[3] ગાંધીજીની દૃષ્ટિ આગળ હતી; તેઓ આધુનિક હતા, ખૂલ્લા મનના હતા. ગોડસે માત્ર ભૂતકાળની વાત કરતો હતો. એણે ક્યારે ય ભવિષ્યની વાત કરી નહતી. તે ક્રોધી / ધૃણાવાળો / ડરપોક / કાયર હતો. તે પોતાના જીવનનો સામનો કરવા અસમર્થ હતો. સત્તાપક્ષ હંમેશાં ભૂતકાળની વાત કરે છે. કાર ચલાવતી વખતે આપ હંમેશાં પાછળ ન જોઈ શકો ! એક્સિડેન્ટ થઈ જાય ! વડા પ્રધાન, સત્તાપક્ષ અને RSS સાથે આ સમસ્યા છે ! તેઓ હંમેશાં ભૂતકાળની વાતો કરે છે ! તેઓ હંમેશાં કોઈ બીજા પર આરોપ મૂકવાનું વિચારે છે. સત્તાપક્ષ અને RSS પાસે ભવિષ્ય તરફ જોવાની ક્ષમતા નથી ! તેમને કંઈ પૂછો તો તેઓ પાછળની બાજુ જૂએ છે ! ઓડિશા રેલવે દુર્ઘટના પર સવાલ પૂછો તો કહેશે કે કાઁગ્રેસે 50 વરસ પહેલા આવું કામ કર્યુ હતું એટલે દુર્ઘટના થઈ ! કાઁગ્રેસના સમયે જ્યારે ટ્રેન દુર્ઘટના બની ત્યારે કાઁગ્રેસે એવું નહોતું કહ્યું કે આ તો અંગ્રેજોની ભૂલ છે એટલે દુર્ઘટના બની ! પરંતુ રેલવે મંત્રીએ તાત્કાલિક રાજીનામું આપેલ !
[4] આપ ગાંધીજી / આંબેડકરજી / ગુરુ નાનકજીને જૂઓ; ભારતના બધાં મહાપુરુષોને જૂઓ, તેમનામાં ખાસ ગુણ છે. સૌથી પ્રથમ અને સૌથી મહત્ત્વપૂર્ણ એમણે સત્યની ખોજ અને પ્રતિનિધિત્વ કર્યું; તેના માટે સંઘર્ષ કર્યો.
[5] ભારતીયતાનો મતલબ એ નથી કે કોઈને મારપીટ કરવી, કોઈ પ્રત્યે નફરત દાખવવી, કોઈને નીચા દેખાડવા ! ભારતની સભ્યતામાં નફરત નહીં, મહોબ્બત છે; જેને અમે આગળ ધપાવી રહ્યા છીએ. માત્ર કાઁગ્રેસ પક્ષ જ નહીં, પરંતુ ભારતના લોકો સત્તાપક્ષની નફરતથી ભરેલી વિચારધારાને હરાવવા આગળ વધી રહ્યા છે !
[6] ભારતમાં પડકારો પણ છે. આધુનિક ભારત આપણા બંધારણ અને લોકશાહી વિના શક્ય નથી ! [7] મારો ઈરાદો આપની સાથે સંબંધ બાંધવાનો છે. જ્યાં આપ મને કહી શકો કે ‘રાહુલ, અમે આવું વિચારીએ છીએ ! રાહુલ, આપણે અમેરિકા સાથે આ પ્રકારના સંબંધો બનાવવા જોઈએ !’ મને આપને એ બતાવવામાં બિલકુલ રસ નથી કે હું શું માનું છું; હું અહીં મન કી બાત કરવા નથી ઈચ્છતો; મને અહીં આપના મનની વાત સાંભળવામાં દિલચસ્પી છે.
[8] એમનું કામ નફરત ફેલાવવાનું છે; અમારું કામ મહોબ્બત વહેંચવાનું ! અમે એમનું કામ શા માટે કરીએ? અમે અમારું કામ કરીશું ! (શ્રોતાઓમાંથી રાહુલ ગાંધીને ઉદ્દેશીને ‘આઈ લવ યૂ’ની બૂમો પડી) આપે સત્તાપક્ષની સભામાં ક્યારે ય ‘આઈ લવ યૂ’ સાંભળ્યું છે? કાઁગ્રેસના લોકો એકબીજાનો આદર કરે છે / પ્રેમ કરે છે. તેઓ હંમેશાં કહે છે કે ભાઈ, મને તમારા પ્રત્યે પ્રેમ છે ! નફરતની બજારમાં મહોબ્બતની દુકાન; આ હિન્દુસ્તાન છે !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર