Opinion Magazine
Number of visits: 9448888
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો રાજનીતિયુક્ત કે રાજનીતિમુક્ત ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|27 July 2023

ચંદુ મહેરિયા

શાળા-કોલેજોનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નવા ભણતરનો ઉમંગ – ઉત્સાહ છે તો વાલીઓને નવા વધારાના ખર્ચની ચિંતા છે. આ દિવસોમાં રાજનીતિના ક્ષેત્રે શાળા-કોલેજોના અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોમાં થયેલા સુધારા-વધારા કે કાપ-કૂપનો કકળાટ છે. એન.સી.ઈ.આર.ટી.(નેશનલ કાઊન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ)નો દાવો છે કે તેણે અભ્યાસક્રમને વિદ્યાર્થીઓને અનુકૂળ બનાવવા અને તેમના પરનો શિક્ષણનો બોજ ઘટાડવા પાઠ્યપુસ્તકોમાં ઉમેરા-બાદબાકી કર્યા છે. ભા.જ.પા.શાસિત રાજ્ય સરકારો તે પ્રમાણે પોતાના રાજ્યોમાં ફેરફાર કરી રહી છે.

વિપક્ષો પાઠયપુસ્તકોમાં બદલાવને રાજનીતિપ્રેરિત ગણાવી તેનો વિરોધ કરી રહ્યા છે. કેરળની વિપક્ષી સામ્યવાદી સરકારે ફેરફારોનો અમલ કરવા ઈન્કાર કર્યો છે. ઘણી વિપક્ષી રાજ્યસરકારો તેને અનુસરશે. કર્ણાટકમાં નવી ચૂંટાયેલી કાઁગ્રેસ સરકારે તેની પુરોગામી બી.જે.પી. સરકારે પાઠ્યપુસ્તકોમાં કરેલા ફેરફાર રદ્દ કરીને કાઁગ્રેસની રાજનીતિને અનુકૂળ ફેરફાર કર્યા છે. એ રીતે રાજકારણમુક્ત હોવું જોઈતું શિક્ષણ રાજકારણયુક્ત બની ગયું છે.

ભણતરનો ભાર ઘટાડવા અને વિદ્યાર્થીઓને અનુરૂપ પાઠ્યક્રમ ઘડવા જેને પાઠ્યપુસ્તકોમાંથી હઠાવી દેવાઈ છે તેવી સામગ્રીમાં ઇતિહાસમાંથી મોગલશાસન જ નહીં વિજ્ઞાનમાંથી ડાર્વિંનનો ઉત્ક્રાંતિવાદ પણ બાદ થઈ ગયો છે. હવે વિદ્યાર્થીઓમાં બિનહિંદુ વિદેશી આક્રાંતાઓ તરીકેની જેમની ઓળખ સ્થાપિત કરવી છે તે મોગલોને તો ભૂલી જશે, માનવીની ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ તે પણ તેને નહીં આવડે. સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારાના કવિ અલ્લામા ઈકબાલના નામ પર પણ છેકો મરાયો છે કેમ કે બદલાવ કરનારાઓ ભારત વિભાજનની દ્વિરાષ્ટ્ર થિયરીના જનકના પરિચયથી ભારતના વિદ્યાર્થીઓને દૂર રાખવા માંગતા હતા.

ઇતિહાસ અને રાજનીતિશાસ્ત્રના પાઠ્યપુસ્તકોની સમીક્ષા કરીને પુનરાવર્તન ટાળવા કેટલાક ફેરફાર કર્યાનો એન.સી.ઈ.આર.ટી.ના નિયામકનો દાવો છે. પરંતુ પંદરેક વરસોથી ભણાવાતાં કોમી રમખાણો, ગાંધીજીની હત્યા અને સામાજિક-રાજકીય આંદોલનોના પ્રકરણો હઠાવાયા છે કે તેમાંથી કેટલાક વાક્યો કે વાક્યાંશો બદલ્યા છે તે સમીક્ષા કે એડિટિંગ નથી સેન્સર કરાયેલું લાગે છે કે રાજકીય સત્તાને માફક આવે તે રીતે મૂકાયું છે અને બાદ થયું છે. 

ધોરણ-૧૧ના રાજનીતિ વિજ્ઞાનના પુસ્તકમાંથી દેશના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલકલામ આઝાદનું નામ કાઢી નાંખવામાં આવ્યું છે અને તે પણ બંધારણસભા વિષયક પ્રકરણમાંથી. અનુચ્છેદ ૩૭૦ હઠાવ્યા પછી જમ્મુ-કશ્મીરના ભારત સાથેના જોડાણ અંગેનું વાક્ય બદલી નાંખવામાં આવ્યું છે. કટોકટીના પ્રકરણમાંથી ન્યાયતંત્ર અને મીડિયાની ભૂંડી ભૂમિકા અલોપ કરી દેવામાં આવી છે. ધોરણ ૧૦ અને ૧૨માં ભણાવાતા લોક આંદોલનો પૈકી ચિપકો, નર્મદા બચાવ અને દલિત પેન્થર આંદોલનને પણ બાકાત કરી દેવાયાં છે.

નવથી બાર ધોરણના એન.સી.ઈ.આર.ટી.ના રાજનીતિશાસ્ત્રના પાઠ્યપુસ્તકોના પરામર્શક યોગેન્દ્ર યાદવ અને સુહાસ પલશીકરે આ સુધારાના વિરોધમાં પાઠ્યપુસ્તકોમાંથી તેમનું નામ હઠાવી દેવા પત્ર લખ્યો છે. યોગેન્દ્ર યાદવનું કહેવું છે કે આ પાઠયપુસ્તકો તૈયાર કરવા તેમણે બે વરસ સુધી વિચાર્યું હતું. આ પાઠ્યપુસ્તકોમાં પહેલીવાર ભારતીય જનસંઘ અને નકસલી આંદોલનને સ્થાન આપ્યું હતું. પાઠ્ય પુસ્તકોના ઘડતરમાં તત્કાલીન કાઁગ્રેસ સરકાર માટે મુશ્કેલ એવી વિગતો (દા.ત. ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો) પણ સમાવી હતી. રાજકીય નિષ્પક્ષતાનું પાલન કરીને ઘડાયેલા આ પાઠ્યપુસ્તકોમાં તેમની સંમતિ વિના જે રીતે ફેરફારો કર્યા તેનું તેમણે દુ:ખ અને વિરોધ વ્યકત કર્યા હતા.

આવા ફેરફારો આજકાલના કે આ કે તે સરકારના જ નથી. લગભગ બધા જ પક્ષોની સરકારો તેમને પ્રતિકૂળ હોય તેવી સામગ્રી પાઠ્યપુસ્તકોમાંથી રદ્દ કરાવે છે કે સુધારા કરાવે છે. બે વરસ પહેલાં બિહારની જયપ્રકાશ નારાયણના નામની છપરા યુનિવર્સિટીના અભ્યાસક્રમમાંથી સમાજવાદી નેતાઓ જયપ્રકાશ અને ડો. રામ મનોહર લોહિયાના સ્થાને સુભાષચંદ્ર બોઝ અને દિનદયાળ ઉપાધ્યાયને દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્ય મંત્રીએ તે નિર્ણય બદલાવ્યો હતો. દેશની સર્વોત્તમ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, દિલ્હીની ઈજનેરી વિદ્યાશાખામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓના ભારે વિરોધ છતાં આતંકવાદ વિરોધી અભ્યાસક્રમને મંજૂરી મળી હતી.

દિલ્હી યુનિવર્સિટીના દર્શનશાસ્ત્ર વિભાગમાં આ વરસે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં પ્રિય અને ૨૦૧૫થી ભણાવાતો ડો. આંબેડકરનું વિચારદર્શન વિષય અભ્યાસક્રમમાંથી પડતો મૂકવાનો પ્રસ્તાવ આવ્યો હતો. ખુદ યુનિવર્સિટીના દર્શનશાસ્ત્ર વિભાગના વડાના વિરોધ પછી વિષય તો ચાલુ રખાયો પણ સુધારા સાથે. અને તે સુધારો પણ કેવો ? ડો. આંબેડકરના જે પુસ્તકનું નામ ધ રાઈઝ એન્ડ ફોલ ઓફ હિંદુ વિમેન છે તેમાં હિંદુ ને બદલે ઇન્ડિયન શબ્દ રાખવો ! શું કોઈ લેખકના પુસ્તકના ટાઈટલમાં આવો ફેરફાર કરી શકાય ? કે લેખકના મૌલિક વિચારો સાથે છૂટ લેવાય ? પણ વિશ્વગુરુ ભારતમાં બધું જ શક્ય છે, નહીં? જાણીતાં લેખિકા મહાશ્વેતાદેવી અને દલિત લેખિકાઓ બામા અને સુકીર્તિરાણીની કૃતિઓ અગાઉના વરસોમાં દિલ્હી યુનિવર્સિટીએ અભ્યાસક્રમમાંથી રદ્દ કરી જ હતી ને ? વળી મહાશ્વેતાદેવીની કૃતિનું તો નામ જ દ્રોપદી હતું.

વિશ્વ વિધાલયો વિદ્યા કે જ્ઞાનનાં ધામો છે. યુનિવર્સિટી એટલે તો યુનિવર્સ ઓફ આઈડિયા. તેમાં સંકીર્ણતા ન હોઈ શકે. વિદ્યાર્થીને માટે વિચારના તમામ દ્વાર ખુલ્લા હોવા જોઈએ. ડાબેરી, જમણેરી, ઉદારવાદી અને સંકીર્ણ એવી બધી જ વિચારધારા જો તે ભણશે જ નહીં તો પછી પોતાનો સ્વતંત્ર મત કઈ રીતે બાંધશે ? ઈકબાલને બદલે દારા શિકોહને સિલેબસમાં દાખલ કરવાથી ભારત વિભાજનનું સત્ય તારવી શકાશે નહીં. કે ઈકબાલની દ્વિરાષ્ટ્રની થિયરી જાણવાથી વિદ્યાર્થી વંચિત રહે છે, તેનું શું ?

શિક્ષણ સાથે વિચારધારાને અનુરૂપ છેડછાડ ભારત પૂરતી મર્યાદિત બાબત નથી. સામ્યવાદી દેશોમાં તો કદાચ રાજકીય વિચારધારાને અનુરૂપ શિક્ષણ અપાય તે સમજી શકાય છે. પરંતુ ઉદારમતવાદી ગણાતા લોક્શાહી દેશોમાં પણ શિક્ષણને રાજનીતિનો એરુ આભડ્યા વિના રહેતો નથી. પાકિસ્તાનમાં ભણાવાતા વિભાજનના ઇતિહાસમાં ભારતનું આલેખન દુ:શ્મન તરીકેનું હોય છે તેમ કહેવાય છે. અમેરિકામાં રંગભેદનો સવાલ એવો જટિલ છે કે આખા અમેરિકામાં સિવિલ રાઈટ મુવમેન્ટ એક સરખી રીતે ભણાવાતી નથી. કાળાઓની નાગરિક અધિકાર ચળવળ રાજ્યોની સામાજિક-રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને ભિન્નભિન્ન રીતે ભણાવાય છે. બ્રિટિશ શાસનના અત્યાચારો બ્રિટનના બાળકોને કઈ હદે અને કઈ રીતે ભણાવવા તે બ્રિટિશ સરકારો માટે હજુ ય વણઉકલ્યો કોયડો છે.

દેશ વિદેશના ઇતિહાસકારો અને વૈજ્ઞાનિકોએ અભ્યાસક્રમમાં થયેલા આ અયોગ્ય બદલાવની ટીકા કરીને પૂર્વવત રાખવા માંગ કરી છે. પાઠ્યપુસ્તકોની રચના, લેખન, સંશોધન અને વિલોપન એક જટિલ બૌદ્ધિક પ્રક્રિયા છે. તેને યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના ગુમનામ રાજકારણી હાથમાં ન સોંપાય એટલું કટુ સત્ય સમજવા અને સ્વીકારવાની જરૂર છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

27 July 2023 Vipool Kalyani
← ઉપેક્ષા એક પ્રતિક્રિયા છે અને પ્રતિસાદ પણ
2014ના સપનાં કંઈ હદે ભોંઠાં પડ્યાં, મળો યા પૂછો પ્રભાકરને  →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved