Opinion Magazine
Number of visits: 9449459
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રશસ્તિસભર રચનાઓ અધિકૃત ઇતિહાસલેખન ન ગણાય !

રમેશ ઓઝા|Opinion - Opinion|8 December 2019

આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ત્રણ ચીજ હિંદુઓ માટે સાવ અજાણી છે. એક પોતાના વિષે વાત કરવાનો સંકોચ અથવા આત્મકથાલેખન, બીજી દસ્તાવેજીકરણ અને અને ત્રીજી ઇતિહાસલેખન. આ ત્રણેય પરસ્પર પૂરક છે. જો ઇતિહાસમાં થયેલા સારા-નરસા માણસોના જીવનકથાઓ કે ચરિત્રો ન હોય અને દસ્તાવેજો ન હોય ત્યાં ઇતિહાસલેખન અસંભવ છે. પ્રાચીન ભારતનો એકમાત્ર ઇતિહાસગ્રંથ ૧૨મી સદીમાં કલહણે લખેલો ‘રાજતરંગીણી’ નામનો કાશ્મીરનો ઇતિહાસ છે. આ સિવાય ચંદ બારોટે કે બરડાઈએ એ જ અરસામાં ૧૨મી સદીમાં લખેલા ‘પૃથ્વીરાજરાસો’ જેવા થોડાક પ્રશસ્તિગ્રંથો છે જેને ઇતિહાસલેખન માટે આધાર તરીકે ખાસ વાપરી ન શકાય. ‘રાજતરંગીણી’ સંસ્કૃતમાં લખાયેલો ગ્રંથ છે અને પૃથ્વીરાજ રાસો’ બ્રજ ભાષામાં લખાયેલો ગ્રંથ છે.

ભારતમાં મુસલમાનો આવ્યા એ પછીથી તવારીખો લખવાની શરૂઆત થઈ અને એ દ્વારા હિંદુઓને ઇતિહાસલેખનનો થોડોક પરિચય થયો હતો. ભારતનો પ્રાચીનયુગથી લઈને આધુનિકયુગ સુધીનો ઇતિહાસ અંગ્રેજોએ લખ્યો હતો જે તેમની જરૂરિયાત મુજબનો હતો. આ ઉપરાંત તેમનાં તેમાં પૂર્વગ્રહો પણ હતા જેની વાત આગળ ઉપર આવશે.

જીવનચરિત્રો, દસ્તાવેજો અને ઇતિહાસલેખનના અભાવને કારણે ભારતનાં સમાજજીવનનાં કેટલાંક છેડાં મળતાં નથી. દાખલા તરીકે ભારતમાં હિંદુઓમાં જ્ઞાતિભેદ કઈ રીતે શરૂ થયા એ આપણે જાણતા નથી. અસ્પૃશ્યતાનાં મૂળ ક્યાં છે એ આપણે ચોક્કસપણે કહી શકતા નથી. આર્યો અને દ્રવિડો વચ્ચેના સંબંધો વિષે કહેવું મુશ્કેલ છે. આદિવાસીઓ ભારતના મૂળ વતનીઓ હતા એમ આપણે માનીએ છીએ, પરંતુ તેમના વિષે પણ ચોક્કસપણે આપણે કાંઈ કહેવાની સ્થિતિમાં નથી. ભાષાઓ કઈ રીતે વિકસી અને તેણે ભારતના જે તે પ્રદેશોને કઈ રીતે સાંસ્કૃતિક ઘાટ આપ્યો એ ચોક્કસપણે જાણવા મળતું નથી. મુસલમાનો પહેલાં ભારતમાં આવેલા યવનો અથવા વિદેશીઓ કઈ રીતે ભારતમાં ઓગળી ગયા એ આપણે જાણતા નથી.

શ્રમણો અને બ્રાહ્મણોના સંઘર્ષો અને સમન્વય વિષે સિલસિલાબંધ માહિતી મળતી નથી. જેમ કે સામાજિક સમાનતામાં માનનારા અને નિરર્થક કર્મકાંડોનો વિરોધ કરનારા બૌદ્ધોનો ભારતમાં સદીઓ સુધી પ્રભાવ હતો. જો એમ હોય તો એ પ્રભાવ આજે જોવા કેમ મળતો નથી? સદીઓ સુધી વ્યાપક રહેલો પ્રભાવ સાવ લુપ્ત થાય એવું બને? જ્ઞાતિઓ અને અસ્પૃશ્યતા એના એ સ્વરૂપમાં કાયમ રહી છે અને કર્મકાંડો પણ હિંદુઓમાં પ્રચુર માત્રામાં છે. બીજું બૌદ્ધ ધર્મ લુપ્ત કઈ રીતે થયો? આ કોઈ વિદેશી આક્રમણકારો નથી કે તેને તગેડી મૂકી શકાય. ભારતમાં બૌદ્ધોનો પ્રભાવ કેવી રીતે ક્ષીણ થયો એ આપણે જાણતા નથી. મુસલમાન શાસકોની ભારતમાં વંશાવળી (ડાયનાસ્ટી) શરૂ થઈ એ પહેલાં ભારતના હિંદુ શાસકોનો સરખો રાજકીય ઇતિહાસ પણ આપણી પાસે નથી. જેમ કે વિક્રમ સંવતની શરૂઆત કયા વિક્રમ સાથે થઈ એની આપણને ચોક્કસ જાણ નથી.

ટૂંકમાં ઇતિહાસલેખનના અભાવને કારણે મુસલમાનો ભારતમાં શાસકો તરીકે આવ્યા એ પહેલાંના આપણા ઇતિહાસમાં મોટાં ગાબડાંઓ છે. માત્ર રાજકીય નહીં, સાંસ્કૃતિક પણ. જો આ હકીકત હોય અને એ હકીકત છે જ ત્યારે એક પ્રજા તરીકે આધુનિક યુગમાં આપણી કેટલીક ફરજ બને છે. એ ફરજ એ છે કે આપણે ઇતિહાસને નામે જે કથનો કરવામાં આવે છે તેને શંકા સાથે જોવાં જોઈએ. જે કહેવામાં આવે છે એમ ન પણ બન્યું હોય એમ કબૂલ કરવા જેટલું ખુલ્લાપણું દાખવવું જોઈએ. આપણા અતીત વિષે આપણે જે માહિતી ધરાવીએ છીએ એ સંદિગ્ધ છે. સંદિગ્ધ માહિતીના આધારે વર્તમાનમાં અસંદિગ્ધ વલણ અપનાવવું એ નરી મૂર્ખાઈ છે. આટલું તો તમે સ્વીકારશો એવી અપેક્ષા વધારે પડતી તો નથી જ.

ભારતમાં આજે સામાજિક હિતો ધરાવનારાઓ દસ્તાવેજો તેમ જ ઇતિહાસના શૂન્યાવકાશનો કે પછી ઇતિહાસમાં જોવાં મળતાં ગાબડાંઓનો લાભ લે છે. તેઓ તેમને માફક આવે એ રીતે ઇતિહાસ લખે છે અને ખરું પૂછો તો ઇતિહાસ રચે છે, કન્સ્ટ્રક્ટ કરે છે. ઇતિહાસલેખન અને ઇતિહાસરચના એ બે જૂદી વસ્તુ છે. જગતમાં ખૂબ લાંબો ઇતિહાસ ધરાવનારા દેશોમાં એક ભારત છે. જગતમાં ખૂબ સંકુલ સમાજ ધરાવનારો દેશ ભારત છે. આવા દેશમાં વર્ગીય હિતો ધરાવનારાઓ ઇતિહાસ પોતાને માફક આવે એ રીતે રચે, કન્સ્ટ્રક્ટ કરે અને એ વર્ગના લોકો તેને જ સાચો આધારભૂત ઇતિહાસ માનીને એકબીજા સાથે હિસાબ કરે ત્યારે સહઅસ્તિત્વ સામે જોખમ પેદા થાય છે.

ભારતમાં અત્યારે આવું જ બની રહ્યું છે. અંગ્રેજોએ લખેલો ઇતિહાસ એક સમસ્યા છે અને પોતાનાં વર્ગીયહિતોને ધ્યાનમાં રાખીને બીજાઓને આરોપીના પીંજરામાં ખડો કરનારો ખાસ રચવામાં આવતો ઇતિહાસ બીજી સમસ્યા છે. હકીકતમાં બીજી સમસ્યા વધારે મોટી સમસ્યા છે. સનાતની હિંદુઓ પોતાની રીતે ઇતિહાસ રચે છે. દલિતો પોતાની રીતનો ઇતિહાસ રચે છે. આર્યાવર્તના અભિમાનીઓ પોતાને માફક આવે એ રીતે ઇતિહાસ રચે છે અને દ્રવિડો તેમને માફક આવે એ રીતે ઇતિહાસ રચે છે. ટૂંકમાં ભારતની સમસ્યા ઇતિહાસના અભાવની છે અને તેના અભાવના પરિણામે ઇતિહાસ રચવાના (કન્સ્ટ્રક્ટેડ હિસ્ટરી) વલણની છે. ભારતમાં દરેક કોમ મહાન છે અને દરેક કોમ બીજા દ્વારા હિજરાયેલી છે. એક જ સમયે વિજેતા અને પરાજીત બંને છે. અંગ્રેજીમાં કહીએ તો વિક્ટર અને વિકટીમ બંને છે.

તો સુજ્ઞ વાચક, આવી સ્થિતિમાં તારી શી ફરજ બને છે? જવાબ છે વિવેક. ઇતિહાસનાં નામે જે કાંઈ કહેવામાં આવે છે તે સત્ય જ છે એમ માની લેવાની જરૂર નથી. જો ખાતરી કરવી હોય તો ઇતિહાસને નામે કહેવામાં આવતા પ્રત્યેક કહેવાતા ઐતિહાસિક કથનને ચકાસવાનો પ્રયત્ન કરી જો. એક સ્થળે ચોક્કસ અટકી પડવાનો પ્રસંગ આવશે. કાં તો પ્રમાણ ખોટું હશે અને કાં સંદિગ્ધ હશે. ગેરંટી. ભારતના આજના પ્રશ્નોને તપાસતી વખતે અને અભિપ્રાય બનાવતી વખતે ઇતિહાસનો કેટલો આશરો લેવો એનો વિવેક કરવો જરૂરી છે. ટૂંકમાં ભારતના ઇતિહાસનો આશ્રય લેવા જેવું નથી. તે ખાસ રચવામાં આવેલો અને ખાસ જરૂરિયાત મુજબ રંગ પૂરેલો ઇતિહાસ છે. આ શ્રેણીમાં કહેવામાં આવતાં અનેક કથનો કેટલાક વાચકોને ગ્રાહ્ય લાગતા નથી, કારણ કે તે તેમનાં ગૃહિતો કરતાં જુદાં પડે છે. વાચકે મારા કથનને પણ અંતિમ માનવાની જરૂર નથી અને પોતાના ગૃહિતોને પણ અંતિમ માનવાની જરૂર નથી. આપણે બધા આધારભૂત ઇતિહાસના અભાવ અને ન સમજી શકાય એવા ગાબડાંઓની વચ્ચે આપણને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સલાહ માત્ર એટલી જ છે કે ગૃહિતોને એમને એમ ગ્રહણ કરવાની જગ્યાએ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો. 

તો શું કરવું છે? રંગ પૂરેલા ઇતિહાસને સાચો માનીને ખપી જવું છે કે પછી ઇતિહાસને વિવેકની એરણે ચકાસીને અસ્તિત્વ ટકાવવું છે? વિચારી જો.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 08 ડિસેમ્બર 2019

Loading

8 December 2019 admin
← ક્રાન્તદ્રષ્ટા ભાગ્ય વિધાતા
ચલ મન મુંબઈ નગરી — 21 →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved