Opinion Magazine
Number of visits: 9447700
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાર્યબોજ તળે દટાયેલ, સાધનહીન પોલીસતંત્ર

ચંદુ મહેરિયા|Opinion - Opinion|23 October 2019

સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ જે. ચેલમેશ્વર દ્વારા લોકાર્પિત ‘સ્ટેટસ ઓફ પોલીસિંગ ઈન ઈન્ડિયા-૨૦૧૯’ અભ્યાસનો એક મહત્ત્વનો હિસ્સો પોલીસની સ્થિતિ અંગેનો છે. પોલીસનાં જે મનોવલણો, માન્યતાઓ અને વિચારો જોવા મળે છે તથા ફરિયાદી નાગરિકો પ્રત્યેનું તેનું જે અસંવેદનશીલ વર્તન છે તેનાં મૂળમાં પોલીસની સાધનહીન અવસ્થા અને ભારે કાર્યબોજ રહેલાં છે, તેવું આ સર્વેક્ષણથી ફલિત થાય છે.

દેશના ૫૧ ટકા અર્થાત્ દર બીજો પોલીસ ભારે કાર્યબોજ તળે દટાયેલો છે. આદર્શ પોલીસ અધિનિયમ પ્રમાણે તો પોલીસની નોકરી આઠ કલાકની હોવી જોઈએ, પરંતુ ભારતમાં પ્રત્યેક પોલીસકર્મીને સરેરાશ ૧૪ કલાક કામ કરવું પડે છે. ૮ કલાક કામ કરતાં હોય તેવા પોલીસકર્મી દેશમાં માત્ર ૧૩ ટકા જ છે. કુલ પોલીસબળના ચોથા ભાગના (૨૪ %) રોજ ૧૬ કલાક કરતાં વધુ, ૨૦ ટકા ૧૩થી ૧૬ કલાક અને ૩૭ ટકા ૯થી ૧૨ કલાક કામ કરે છે. દેશના અડધા કરતાં વધુ પોલીસને કોઈ ‘વીકલી ઓફ' મળતો નથી. ૧૦માંથી ૮ પોલીસને ઓવરટાઈમ મળતો નથી. નિર્ધારિત કામના કલાકો કરતાં જે વધુ કલાકો પોલીસ કામ કરે છે તે તેની ફરજનો ભાગ મનાય છે.

પોલીસના કામના કલાકોમાંના આ વધારાનું અને કાર્યબોજનું કારણ પર્યાપ્ત માત્રામાં પોલીસનું ન હોવું તે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના માપદંડ પ્રમાણે દર એક લાખ નાગરિકે ૨૨૨ પોલીસ હોવા જોઈએ. અને ભારતમાં દર ૪૫૦ ભારતીયે એક પોલીસ હોવો જોઈએ, પરંતુ ભારતમાં દર એક લાખની વસતીએ ૧૪૪ જ પોલીસ છે. જમ્મુ કશ્મીર, પંજાબ અને પૂર્વોત્તર રાજ્યો સિવાયનાં કોઈ રાજ્યોમાં નક્કી કરેલા માપદંડ પ્રમાણેનું પોલીસબળ નથી. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં દર એક લાખની વસતીએ માત્ર ૮૯ પોલીસ છે. બિહારમાં સૌથી ઓછા એક લાખે ૬૫, આંધ્રમાં ૯૪ અને પશ્ચિમ બંગાળમાં ૯૭ છે. ગુજરાતમાં દર એક લાખની વસતીએ ૧૧૩ એટલે કે યુ.નો.ના માપદંડથી અડધા જ પોલીસ છે. વળી હાલમાં જે પોલીસબળ છે તેમાંથી ચોથા ભાગની જગ્યાઓ ખાલી છે. યુ.પી.માં પોલીસની ૧.૨૯ લાખ, બિહારમાં ૫૦,૨૯૧, પશ્ચિમ બંગાળમાં ૪૮,૯૮૧, તેલંગાણામાં ૩૦,૩૪૫ અને ગુજરાતમાં ૨૧,૦૭૦ જગ્યા ખાલી છે. નિર્ધારિત માપદંડો કરતાં અડધી જ જગ્યાઓ મંજૂર થયેલી હોય, તે પૈકી ચોથા ભાગની ખાલી હોય અને મોટાભાગના પોલીસ સ્ટાફ્ને સતત વી.આઈ.પી. બંદોબસ્તમાં તહેનાત કરેલો હોય કે ગુજરાતમાં તો આઈ.પી.એસ. અધિકારીઓ ઓર્ડર્લી કહેતા પોતાના ઘરકામ માટે સરકારી પગારે પોલીસોને રોકતા હોય ત્યારે પોલીસનો કાર્યબોજ અનેક ગણો વધી જાય છે.

આપણું પોલીસતંત્ર કેવું સાધન સુવિધાવિહોણું છે તે પણ આ અભ્યાસમાં ઉજાગર થયું છે. સર્વેક્ષણ હેઠળના પોલીસથાણામાંથી ૭૦ ટકામાં વાયરલેસ નથી. ૨૨૪ પોલીસ સ્ટેશનમાં ટેલિફોન નથી. ૧૨ ટકામાં પીવાના પાણીની વ્યવસ્થા નથી. ૧૮ ટકામાં શૌચાલય નથી. ૧૪ ટકામાં ફરિયાદીને બેસવાની વ્યવસ્થા કે જગ્યા નથી. ૨૦ ટકામાં મહિલા પોલીસ માટે અલગ શૌચાલય નથી. ૪૬ ટકા પોલીસની ફરિયાદ છે કે તપાસ માટે જરૂરી હોય ત્યારે વાહન ઉપલબ્ધ હોતું નથી. એટલે ગુનાના સ્થળે સમયસર પહોંચી શકાતું નથી. દર પાંચમાંથી ૩ પોલીસ પરિવારે પોલીસ ક્વાર્ટરની જર્જર હાલતની ફરિયાદો કરી હતી. અલગ મહિલા પોલીસથાણા તો મોટા પ્રમાણમાં નથી. ઘણાં પોલીસથાણાઓમાં એક પણ મહિલા પોલીસ નથી. પોલીસને સ્ટેશનરી ઈત્યાદિની ખરીદી માટે નિયમિત ગ્રાન્ટ મળતી નથી. ૨૩ ટકા પોલીસ સ્ટેશનોમાં કેદીને ખાવાનું આપવાની વ્યવસ્થા નથી. પૂરતા પોલીસ ફોર્સના અભાવે ગુનેગારને કોર્ટમાં સુરક્ષા સાથે ન લઈ જઈ શકવાનું પ્રમાણ ૭૨ ટકા છે. ગુનેગાર માટે વાહનનો અભાવ ધરાવતાં ૬૦ ટકા પોલીસ સ્ટેશન છે.

પોલીસના આધુનિકીકરણની ઘણી વાતો અને બજેટ જોગવાઈઓ થાય છે, પરંતુ હજુ પોલીસ સ્ટેશનોમાં કમ્પ્યૂટર્સ પહોંચ્યાં નથી અને દર પાંચમાંથી ત્રણ કમ્પ્યૂટર કાર્યરત નથી. આધુનિક ટેક્નોલોજીની કમી, તાલીમનો અભાવ, જર્જર સુવિધાઓ અને કાર્યભાર તળે પોલીસતંત્ર ભીંસાયેલું છે. પોલીસને નોકરીના આરંભે તાલીમ મળે છે પરંતુ ઈન સર્વિસ તાલીમનો અભાવ મોટાપાયે છે. બિહાર, આસામ, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, નાગાલેન્ડ અને ગુજરાતમાં દર પાંચમાંથી એક પોલીસકર્મીને ટ્રેનિંગ મળી નથી. માનવ અધિકાર ભંગના ધામ સમા બિહારમાં પોલીસ માટે માનવ અધિકારની કોઈ તાલીમ નથી. ૧૭ ટકા પોલીસ સ્ટેશનોમાં ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ સિસ્ટમ નથી. ૪૨ ટકામાં ફોરેન્સિક ટેક્નોલોજી સંબંધી સગવડો નથી. પશ્ચિમ બંગાળમાં ૩૦ ટકા અને અસમમાં ૨૮ ટકા પોલીસનું કહેવું છે કે તેમને ત્યાં ચાલુ હાલતમાં કમ્પ્યૂટર નથી. સાયબર અપરાધ અને ફોરેન્સિક ટેક્નિકની તાલીમ બહુ ઓછા પોલીસ ધરાવે છે.

બ્યૂરો ઓફ પુલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનો એક અહેવાલ પણ પૂરતા પોલીસ ફોર્સ અને સાધન-સુવિધાના અભાવે અપરાધ પર લગામ લગાવી શકાતી ન હોવાનું અને ગુના વધતા હોવાનું સ્વીકારે છે. રોજિંદાં કામો અને તપાસ માટે પાયાની સગવડોના અભાવે પણ પોલીસતંત્ર કાર્યક્ષમ રીતે કામ કરી શકતું નથી. ચારમાંથી ત્રણ પોલીસ જણાવે છે કે કાર્યબોજને કારણે કામ કરવું મુશ્કેલ છે. ૭૨ ટકા પોલીસકર્મી તેમના કામમાં રાજકીય દબાણ આવતું હોવાનું કબૂલે છે. આ બધાની અસર તેમના કામ પર તો પડે જ છે. શારીરિક માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છે.

પોલીસમાં જોડાનાર મોટા ભાગની વ્યક્તિઓને આપણે દેશભક્ત માનીએ છીએ, પરંતુ આ અભ્યાસનું સૌથી ચોંકાવનારું તારણ એ છે કે ૩૭ ટકા પોલીસ એમ કહે છે કે જો તેમને આજે મળે છે તેટલો પગાર અને સગવડો મળે તો તેઓ પોલીસની નોકરી છોડી દેવા માંગે છે. આ બાબત દર્શાવે છે કે પોલીસ પોતાની નોકરીથી કેટલો ત્રસ્ત છે અને સરકારો આ બાબતે કેટલી બેફ્કિર છે.

આ અભ્યાસમાં જે પોલીસનાં મનોવલણો અને સ્થિતિ વ્યક્ત થયાં છે તે આપણે આ દિશામાં કેટલાં પછાત છીએ તે દર્શાવે છે. વ્યાપક પોલીસ સુધાર અને સંપૂર્ણ આધુનિક સુવિધાઓ સાથેનું કાર્યબોજથી મુક્ત પોલીસતંત્ર જ એકમાત્ર ઉકેલ છે.

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 23 ઑક્ટોબર 2019

Loading

23 October 2019 admin
← ચલ મન મુંબઈ નગરી — 15
શું કહેવું આ સરકારને ? સરકારી તિજોરીની રકમ ક્યાં ધોવાઈ ગઈ તે પણ તે જાણવા માંગતી નથી →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved