Opinion Magazine
Number of visits: 9446638
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચૂંટણી પ્રચારઃ લાઉડ સ્પીકરનો ઘોંઘાટ નહીં લાઇક્સ અને શેરનાં વરવાં ગિમિક્સ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 March 2019

નવાં માધ્યમોને પગલે ચૂંટણી પ્રચાર વધુ સભ્ય થવાને બદલે યોજનાબદ્ધ હોવા છતાં બેફામ બની ચૂક્યો છે.

તમે ચોકીદાર થયાં કે હજી બાકી છે? કે પછી તમે ચોકીદાર નથી થવાનાં? મોટા ભાગનાં લોકો જે લોકો ભક્તિને વર્યાં છે તે બધાં જ ચોકીદાર બની ચૂક્યાં છે. સોશ્યલ મીડિયાનાં ડિસપ્લે પિક્ચર્સ હોય કે પછી ચેટ એપ્પ્સનાં, બધાંનાં મજાનાં ફોટોગ્રાફની આસપાસ ‘મેં ભી ચોકીદાર’વાળું છોગું ચોંટી ગયું છે. સ્વભાવિક છે કે ભા.જ.પા.નાં સોશ્યલ મીડિયા સેલમાંથી જ આ આખા ખેલનો પહેલો દાવ રમાયો, અને પછી મોટાભાગનાંઓએ (કેટલાંકને તો આ ચોકીદારવાળી ચર્ચાનું મૂળ સુદ્ધાં સંપૂર્ણ રીતે ખબર નહીં હોય) ‘હું પણ’ વાળા વાદનું પૂંછડું પકડીને જાતને ચોકીદાર જાહેર કરી દીધી. દેશની સિક્યોરિટી એજન્સીમાં રાતોરાત ભરતી થઇ ગઇ અને ચોકીદારના જોક્સથી માંડીને મીમ્સ ફરવા માંડ્યા. વિરોધીઓ અને ટેકેદારો બંન્ને તરફથી ‘ચોકીદાર’ ડ્રામાને લઇને અનિવાર્ય અને ક્યારેક બિનજરૂરી દંડા પછાડ થવા માંડી છે.  આપણે ‘ચોકીદાર’ગીરીની ચર્ચા તો નથી કરવી, પણ આખી પરિસ્થિતિથી જરા અંતર કરીને જોઇએ તો બાળકને પણ સમજાઇ જાય એવી આ બાબત બીજું કંઇ નહીં પણ નર્યો ચૂંટણી પ્રચાર છે.

ચૂંટણી પ્રચારનું પ્રમાણ અને સ્વરૂપ બન્ને ધરમૂળથી બદલાઇ ગયાં છે. એક સમય હતો જ્યારે સાયકલ પર કે રિક્સામાં માઇક સાથે ભૂંગળા જેવું લાઉડ સ્પીકર લઇને બેસૂરા અવાજમાં બૂમો પડાતી, ‘ખેડૂત ખેડૂત ખેડૂત – તમારો મત ખેડૂતને આપો’ (મારા નાનપણમાં થતા ચૂંટણી પ્રચારમાંથી કોણ જાણે આ કયા પક્ષની પ્રચારપદ્ધતિ મને યાદ રહી ગઇ છે) અને આવું જ બીજા બધા પક્ષોનું પણ હતું. દિવાલો પર પક્ષનાં ચિહ્નો ચિતરાઇ જાય, ક્યાંક નારાબાજી અને નાનાં-મોટાં સરઘસ થાય, સભાઓ થાય, પોસ્ટર્સ અને હોર્ડિંગ લાગી જાય અને ફરફરિયાં લોકોનાં ઘરે ઘરે પહોંચવા માંડે અને એવું કેટલું ય ચૂંટણી પ્રચાર તરીકે થતું. મતદાન પહેલાંનો હોબાળો રંગીન, ઘોંઘાટિયો અને અસ્તવ્યસ્ત રહેતો. એક સમયે ચૂંટણી પંચે પેમ્પ્ફ્લેટિયા પ્રચાર પર બંધી કરી અને પછી જે પક્ષો પાસે આર્થિક ટેકો હતો તેમણે નવાં માધ્યમોની આંગળી ઝાલી. પી.વી. નરસિંહા રાવના શાસનકાળનો અંત નજીક હતો ત્યારે કૉન્ગ્રેસ પક્ષમાં નેતૃત્વના પ્રશ્નો હતા, ભ્રષ્ટાચારના વિવાદ હતા અને ત્યારે ડિરેક્ટોરેટ ઑફ એડવર્ટાઇઝિંગ એન્ડ વિઝ્યુઅલ પબ્લિસિટી (ડી.એ.વી.પી.) દ્વારા સરકારની સિદ્ધિઓ દર્શાવતા વીડિયો રિલીઝ કરાયા, એમાંનાં કેટલાક વીડિયોમાં તો નરસિંહ રાવ પોતે પણ દેખાયા. વિરોધ પક્ષોને આ કંઇ પસંદ ન પડ્યું. દૂરદર્શન અને ખાનગી ચેનલો પર આ વીડિયો બતાડવા પર પ્રતિબંધ મુકાયો પણ ત્યારે કેબલ નેટવર્ક્સનું જાળું પથરાઇ ચુક્યું હતું એટલે ત્યાં જાહેરાતો આવી. જો કે કંઇ ફેર પડ્યો નહીં અને વાજપાઈ તેર દિવસ માટે વડાપ્રધાન બન્યા અને પછી બે વર્ષ સુધી ગઠબંધનની સરકાર ચાલી. આ સરકારને પોતાના પ્રચાર માટે આકાશવાણી કે દૂરદર્શનનો ઉપયોગ કરવાની આવડત નહોતી. સત્તા ભૂખ અને આર્થિક સક્ષમતાને પગલે પક્ષોએ પ્રચાર માટે ‘પ્રોફેશનલ’ એજન્સીઝને કામ લગાડવાની શરૂઆત કરી. આમ તો ૨૦૧૪ની ચૂંટણીમાં બધી જ મોટી એજન્સીઓના સૌથી મોટા ‘ક્લાયન્ટ’ તરીકે ભા.જ.પા.નું નામ મોખરે હતું, પણ ખરેખર તો ૧૯૮૪ની સાલમાં રાજીવ ગાંધીએ સૌથી પહેલાં એડ એજન્સી રિડીફ્યુઝનને પોતાનું ઇલેક્શન કેમ્પેઇન સંભાળવાની જવાબદારી આપી હતી. ત્યારે કૉન્ગ્રેસ અને ઇંદિરા ગાંધીનાં પ્રશસ્તી ગીતો સાંભળાવતી કેસેટ્સ ઠેર ઠેર વાગતી હતી. ભા.જ.પા.ને આ કઠ્યું ખરું, પણ ૧૯૯૬નાં પ્રચારમાં તેમણે ‘સૂટકેસ કે પીછે ક્યા હૈ’ જેવા કૉન્ગ્રેસની ઠેકડી ઉડાડતાં ફિલ્મી ઢાળનાં ગીતોનો ઉપયોગ કર્યો , પરિણામે તેઓ ૧૬૧ બેઠકો જીત્યા.

સેલ-ફોન્સ અને કમ્પ્યુટરને પગલે આ બધી પદ્ધતિઓ અપરિપક્વ લાગવા માંડી. ૨૦૦૪ની ચૂંટણી દરમિયાન પ્રચાર દરમિયાન લોકોને વાજપાઈના અવાજમાં રેકોર્ડેડ મેસેજ પહોંચવા માંડ્યા અને સ્વાભાવિક છે કે સામાન્ય માણસ માટે આ ‘પર્સનલાઇઝ્ડ ટચ’ જાદુઇ સાબિત થયો. આ વિચાર મૂળ તો પ્રમોદ મહાજનનો હતો. ૨૦૧૪ પછી જે રીતે ચૂંટણી પ્રચારનું ક્લેવર બદલાયું છે, એમાં તો જાણે પક્ષોએ માઝા મૂકી છે. ફેસબુક, ટ્વિટર અને વૉટ્સએપ્પ હવે ચૂંટણી પ્રચારના કુરુક્ષેત્ર બન્યા છે. પક્ષોની વાતોમાં નવા નારાને બદલે આર અને પાયથન જેવાં સોફ્ટવેરની ચર્ચા થવા માંડી છે. સોશ્યલ મીડિયા દ્વારા મળતા ડેટાને આધારે રાજકીય પક્ષો નિસ્યંદન કરીને વ્યક્તિગત વિચારધારા, જૂથોના અભિપ્રાય જાણી શકે છે. આજકાલ મતદાર સાથે તાલમેલ મેળવવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો બહુ જ મોટાપાયે ઉપયોગ થાય છે.  મોટીમસ રેલીઓ, ભાષણબાજી, બેઠકો સાથે વર્ચુઅલી થયેલી ‘ચાય પે ચર્ચા’,  રોડ શોમાં વપરાયેલી થ્રી ડી હૉલોગ્રામ ઇમેજીઝથી માંડીને ફેસબુક પર પ્રોફાઇલ પિક્ચર માટેની સ્પેશ્યલાઇઝ્ડ ફ્રેમ, ટ્વિટર હેન્ડલ પર બદલાતાં નામો અને વૉટ્સએપ્પ પર આવતાં મેસેજીઝનાં મારા આ બધું જ ચૂંટણી પ્રચારને વધારેને વધારે અસરકારક બનાવવામાં કામ લાગે છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ માટે ડેટા એનાલિસીસનું વેચાણ એક બિઝનેસ મોડલ છે, અને રાજકીય પક્ષો તેનો બેફામ અને બિંધાસ્ત ઉપયોગ કરે છે. પોસ્ટર્સ અને દિવાલો પર લખાપટ્ટી કે પેમ્પ્ફલેટ્સ પર પ્રતિબંધ મુકાયો છે પણ ઇલેક્ટ્રોનિક મીડિયા પર કોઇ પ્રતિબંધ નથી. ઉમેદવારો પર પ્રતિબંધો હોઇ શકે પણ રાજકીય પક્ષો પૈસા ખર્ચવામાં પાછળ વળીને જોતા નથી, અને એ પરિસ્થિતિ લોકશાહી પર તોળાતી તલવાર જેવી છે. ટેક્નોલોજીને આધારે ચાલતાં ચૂંટણી પ્રચારમાં પૈસા સૌથી અગત્યનું પાસું છે. ભા.જ.પા.એ તેની વૃત્તિ મુજબ ફાયદો કરાવે એનો કસ કાઢવો જ એમ કરીને ટેક્નોલોજી અને સોશ્યલ મિડીયાનો ઉપયોગ પક્ષમાં સભ્યો વધારવા માટે પણ કર્યો છે. આચાર સંહિતા લાગુ પડશે તો પણ ‘મૈં ભી ચોકીદાર’વાળાં ડિસપ્લે પિક્ચર્સ, મિમ્સ અને જોક્સ ફર્યા કરશે જેને રોકવાનું કોઇના ય હાથમાં નથી. ટેક્નોલોજી હોય તો પ્રચાર પ્રસાર ‘સોફેસ્ટિકેટેડ’ થવો જોઇએ તેને બદલે બધું જ હદની બહાર, આડેધડ ચાલી રહ્યું છે અને ચાલતું રહેશે. એસોસિયેશન ઑફ ડેમોક્રેટિક રિપોર્ટ અનુસાર ૨૦૧૭-૧૮માં ભા.જ.પા.ને ૨,૯૭૭ ડોનેશન્સ મળ્યાં છે જેનો આંકડો ૪૩૭.૦૪ કરોડે પહોંચ્યો છે જ્યારે કૉન્ગ્રેસને ૭૭૭ ડોનેશન્સમાંથી ૨૬.૬૫૮ કરોડ મળ્યા છે.

પારંપરિક પ્રચારની પદ્ધતિઓમાંથી ડિજીટલ પ્લેટફોર્મનાં ઉપયોગની શરૂઆત રાજકીય પક્ષો માટે પણ અજાણ્યાં પાણી જેવી હતી. વળી આ નવી પદ્ધતિઓને કારણે ગ્રામીણ મતદાતાઓ સુધી પહોંચવામાં આવનારી મુશ્કેલીઓનો પણ તેમને ખ્યાલ હતો, પણ ૨૦૦૮માં અમેરિકાની ચૂંટણીમાં ઓબામાએ જે રીતે ડેટા એનાલિસીસનો ઉપયોગ કર્યો એ પછી ૨૦૧૪ની ભારતીય ચૂંટણીનું ક્લેવર બદલાઇ ગયું. ભા.જ.પા. પાસે ૫૪૩ બેઠકોનો ડેટા હતો, તેમને મોબાઇલ ધારકો અને ઇન્ટરનેટ યુઝર્સનાં આંકડા ખબર હતા, જેને આધારે વ્યૂહરચનાઓ ઘડવામાં આવી. દરેક પોલિંગ બુથમાં કોણ ટેકેદાર હતું, કોણ વિરોધી હતું અને કોણ અનિશ્ચિત હતું તેનો ડેટા પણ પક્ષ પાસે હતો. સેલ-ફોન્સમાં જાહેરાતો, સોશ્યલ મીડિયા પર પ્રતિભાવોથી માંડીને વોઇસ બ્રોડકાસ્ટિંગ વગેરેનો પણ ખૂબ ઉપયોગ થયો.

ચોકીદાર એ ૨૦૧૯ની ચૂંટણીનો ‘બઝ વર્ડ’ બની ચૂક્યો છે. ભા.જ.પા. અને કૉન્ગ્રેસ બન્ને પોત-પોતાની રીતે ચોકીદાર શબ્દનો ખેલ ખેલી રહ્યા છે. ૨૦૧૪ની ચૂંટણી પછીનાં વર્ષોમાં ભારત સ્માર્ટ ફોનનું સૌથી ઝડપથી વિકસેલું માર્કેટ બની ચૂક્યું છે અને ચીન પછી સૌથી વધુ ઇન્ટરનેટ યુઝર્સ ભારતમાં છે. ૪૫૦ મિલિયન ભારતીય પાસે સ્માર્ટ ફોન છે, ૩૦૦ મિલિયન ભારતીયો ફેસબુક પર છે અને, ૨૦૦ મિલિયન વૉટ્સએપ પર સંદેશાની આપ-લે કરનારાં છે. આવનારી ચૂંટણીમાં સોશ્યલ મીડિયાનું પ્રમાણ કેટલું વિસ્તર્યું અને વકર્યું છે એ ચોકીદારોની વધેલી સંખ્યાથી સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. આ જંગનાં શસ્ત્રો ફેસબુક, વોટ્સએપ, યુટ્યૂબ અને ટ્વિટર છે અને માટે ચૂંટણી પંચે પણ દરેક માધ્યમનાં વડાઓ સાથે બેઠક કરીને ચૂંટણી સંબંધિત ખોટા સમાચારો અને માહિતીઓના પ્રવાહને રોકવાની તજવીજ કરી છે.

બાય ધી વેઃ

દેશમાં જે રીતે વગર પગારના ચોકીદારોની સંખ્યા વધી છે, એ જોતાં સમજાય છે કે સોશ્યલ મીડિયા પર પોતાની હાજરીની નોંધ લેવાય એ માટે લોકો કંઇપણ કરવા તૈયાર થઇ જાય છે. લાઇક્સ અને શેર્સને પગલે જેમને પા-શેર લોહી ચઢે છે, એવા લોકોને કારણે એક રીતે તો રાજકીય પક્ષોને જ લાભ થાય છે. જે રાજકીય પક્ષો આ ચર્ચાનો ભાગ નથી હોતા એ પ્રેક્ષક તરીકે મૂંઝવણ અનુભવવા માંડે છે કે હવે આપણે શું કરી શકીએ? પણ પછી ‘કૉલ મી રાહુલ’ પ્રકારના વાઇરલ વીડિયો તેમને પણ થોડોઘણો લાભ કરાવી જાય છે. નવી પેઢીને રાજકારણમાં રસ લેતી કરવા માટે સોશ્યલ મીડિયા અનિવાર્ય તો છે, પરંતુ રાજકીય પક્ષોએ સમજવું રહ્યું કે નવી પેઢી ચોકીદારવાળો પ્રોફાઇલ પિક્ચર નહીં જ મૂકે. ભક્તિવાદ તો જૂના અને જાણીતા જોગીઓને જ ધુણાવે છે. મૂળ તો ફરફરિયાં, પોસ્ટર્સ અથવા નારા બદલે ફ્લેટ સ્ક્રિન પર ચાલતા ચૂંટણી પ્રચારમાં છેતરામણી વાતો, આક્ષેપબાજી, દલીલબાજી, શો-ઑફ હદની બહાર થાય છે અને તે પણ અનિયંત્રિત. આપણે જાગૃત નાગરિક તરીકે ક્યાં અટકવું એ સમજી લેવું પડશે નહીંતર પેલા બહુ ચાલેલા વૉટ્સ એપ્પ જોકની જેમ પહેલા મૂરખા બન્યા અને હવે ગુરખા બનીશું! બીજું બાય ધી વે એમ કે  ચોકીદાર શબ્દની આટલી બધી ચર્ચા તો ક્યારે ય થઇ જ નથી, એટલે જે બિચારા ટાઢ-તડકો-વરસાદ અને ઉજાગરા વેઠીને ચોકીદારી કરનારા અચાનક જ મળેલું આટલું બધું અટેન્શન મળવાથી બઘવાઇ ગયા છે. એમને તો બસ ચોકીદારી કરવી છે, એમને પ્રધાનપદું સંભાળવામાં કોઇ રસ નથી. પણ યાર, સાહેબ ખરા છે, એક નોકરી પકડી રાખતા હોય તો, પહેલાં ચાવાળા, પછી પ્રધાન મંત્રી અને હવે પાછા ચોકીદાર!

સૌજન્ય : લેખિકાની ‘બહુશ્રૃત’ નામક કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 માર્ચ 2019

Loading

24 March 2019 admin
← વીજાણુ ‘વિશ્વમાનવ’
વાચકોને સલામ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved