મહાન વાર્તાકાર મન્ટો (૧૧ મે ૧૯૧૨ • ૧૮ જાન્યુઆરી, ૧૯૫૫) એક ફિલ્મ-પત્રકાર પણ હતા. તેઓ વર્ષ ૧૯૩૬માં ‘મુસવ્વર’નામની એક ફિલ્મ-પત્રિકામાં કામ કરવા માટે સૌપ્રથમ વખત બૉમ્બે આવ્યા હતા. ત્યાર બાદ મન્ટોએ ફિલ્મ ઇન્ડિયા મૅગેઝિનના માલિક અને તે સમયના પ્રખ્યાત ફિલ્મ-પત્રકાર બાબુરાવ પટેલ માટે પણ કામ કર્યું. મન્ટોએ ચાર-પાંચ વર્ષો સુધી ફિલ્મો પર લખ્યું અને ત્યાર બાદ તેઓ પોતે ફિલ્મો લખવા લાગ્યા. જેના કારણે અગાઉથી જ એક વાર્તાકાર તરીકે પ્રખ્યાત મન્ટો બાદમાં બૉમ્બે ફિલ્મઇન્ડસ્ટ્રીમાં એક સ્ક્રીન-પ્લે રાઇટર તરીકે પણ જાણીતા થયા. ૧૨ વર્ષ બૉમ્બેમાં પસાર કરનાર મન્ટોને આ શહેર પ્રત્યે એટલો પ્રેમ હતો કે તેઓ પોતાની જાતને ‘હાલતું-ચાલતું બૉમ્બે’ કહીને સંબોધતા હતા અને એવું કહેવાય છે કે જ્યારે મન્ટો તેમના જીવનના અંતિમ દિવસો દરમિયાન લાહોરમાં હતા, ત્યારે પણ બૉમ્બે શહેરને યાદ કર્યા કરતા હતા.
વિભાજન બાદ બૉમ્બે છોડીને લાહોર જઈને વસેલા મન્ટોએ તેમના જીવનનો સૌથી કપરો સમય તે નવા દેશમાં પસાર કર્યો હતો અને તેમનું સૌથી સર્વાંગપૂર્ણ કાર્ય પણ તે સાત વર્ષો (૧૯૪૮-૧૯૫૪) દરમિયાનનું જ માનવામાં આવે છે. આ દરમિયાન મન્ટોએ આર્થિક તંગી દૂર કરવા માટે ફિલ્મ-પત્રકાર તરીકે ફરી વખત લખવાનું શરૂ કર્યું અને વર્ષ ૧૯૪૦ના દાયકાની જે બૉમ્બે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તેઓ ખૂબ પાછળ છોડીને આવ્યા હતા, તેની વાતો અખબાર-મૅગેઝિનમાં લખવા લાગ્યા. આ તેમના અંગત અનુભવો હતા, પણ તેઓ એક પત્રકારની નજરે આ અનુભવો લખતા હતા અને પોતાની નીડર લેખનશૈલીને કારણે પણ મન્ટોને ઘણા લોકોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. ‘સ્ટાર્સ ફ્રૉમ ધ અનધર સ્કાય’ નામે મન્ટોના લેખોનો ઉર્દૂમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરનાર ખાલિદ હસન લખે છે કે એક તરફ બૉમ્બે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મન્ટોની ભારે માંગ હતી, તેમની પટકથાઓ પરથી ફિલ્મો બની રહી હતી, સાથે તેઓ ફિલ્મોમાં અભિનય પણ કરી રહ્યા હતા, અને મોટા સ્ટાર્સ સાથે તેમના અંગત સંબંધો હતા. પણ જ્યારે મન્ટો પાકિસ્તાન પહોંચ્યા ત્યારે લાહોર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેઓને કોઈ કામ મળી રહ્યું નહોતું.
મન્ટોએ એક ફિલ્મની કથા-પટકથા લખી, પણ તે ફિલ્મ બૉક્સઑફિસ પર ભારે ફ્લૉપ સાબિત થઈ, મન્ટોની વાર્તાઓથી હતાશ સરકારી લોકોએ તેમના રેડિયોલેખનને પણ બંધ કરાવી દીધું અને ત્યારે ‘ઠંડા ગોશ્ત’ નામની તેમની વાર્તા પર કોર્ટકેસ પણ ચાલી રહ્યો હતો. મન્ટો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા અને શરાબના પણ આદી થઈ ગયા હતા, તેઓ પૈસા કમાવવાના હેતુથી ક્યારેક ક્યારેક સીધા અખબાર અથવા તો ફિલ્મ-મેગેઝિનની ઑફિસમાં પહોંચી જતા હતા. ત્યાં જઈને તેઓ એક કાગળ માંગતા અને પછી ઑફિસના કોઈ એક ખૂણામાં બેસીને એક-બે કલાકના સમયમાં એક ‘પીસ’ તૈયાર કરી નાખતા હતા. આ લેખનું વેતન પણ મન્ટો તે સમયે જ મેળવીને સીધા ઘોડાગાડીમાં બેસીને ઘરે પરત ફરતા હતા. આ પ્રકારના જ કોઈ એક લેખમાં મન્ટોએ તેમની અશોકકુમાર સાથેની મિત્રતા વિશે વિસ્તારમાં લખ્યું હતું, જેમાં અશોકકુમાર (દાદામુનિ) સ્ત્રીઓ માટે શું વિચારતા હતા, તે પ્રકારની અનેક ઘટનાઓનો ઉલ્લેખ જોવા મળે છે. અશોકકુમાર માટે હિટ ફિલ્મ Eight Days (૧૯૪૬) લખ્યા બાદ મન્ટોએ તેમના માટે જ એક અન્ય ફિલ્મ લખવાનું શરૂ કર્યું હતું કે જેમાં અશોકકુમાર અભિનય કરવાની સાથે ફિલ્મનું નિર્માણ પણ કરવાના હતા. સાથે જ તેમણે એવો પણ નિર્ણય લીધો કે પોતાના માર્ગદર્શક એવા હિમાંશુ રાયના મૃત્યુ બાદ બૉમ્બે-સ્ટુડિયોને ફરી જીવંત કરશે. આ કામ વિભાજનના દિવસની સાંજે જ શરૂ થઈ ગયું અને હિમાંશુ રાયના જૂના મિત્ર અને સાઉન્ડ-ઍન્જિનિયર સાવિક વાચાએ આ સ્ટુડિયોને ફરી ઊભો કરવા માટેની જવાબદારી લીધી. આ કામ શરૂ કરતાની સાથે જ કંપની પર બોજારૂપ એવા આર્ટિસ્ટ્સ છટણી કરવામાં આવી, પણ કમનસીબી એવી કે બહાર કરવામાં આવેલા આ તમામ આર્ટિસ્ટ્સ હિન્દુ હતા અને તેમની જગ્યાએ જે આર્ટિસ્ટ્સની ભરતી કરવામાં આવી, તેઓ મુસલમાન હતા કે જેમાં ઇસ્મત ચુગતાઈ, કમાલ અમરોહી, સંગીત-નિર્દેશક ગુલામ હૈદર અને મન્ટોનો સમાવેશ થતો હતો. આ કારણે બૉમ્બે ટૉકીઝના અન્ય હિન્દુ કર્મચારીઓના મનમાં ‘હિન્દુ’ અશોકકુમાર અને સાવિક વાચા પ્રત્યે નફરત પેદા થઈ ગઈ. જ્યારે અશોકકુમાર અને સાવિક વાચાએ આ લોકોને ખખડાવીને સમજાવવાનો પ્રયાસ કર્યો, તો સાવિક વાચાને અજ્ઞાત પત્રો મળવા લાગ્યા કે જેમાં એવું લખાણ જોવા મળ્યું કે જો સ્ટુડિયોમાંથી મુસલમાનોને બહાર કરવામાં નહીં આવે, તો સ્ટુડિયોને આગ લગાવી દેવામાં આવશે. આ કારણે અશોકકુમારને લાગ્યું કે જો હિમાંશુ રાય સ્થાપિત બોમ્બે ટૉકિઝમાં તેમના કારણે કોઈ દુર્ઘટના ઘટશે, તો તેઓ લોકોને શું જવાબ આપશે. તે સમયે શહેરમાં કોમી રમખાણોની ઘટનાઓ સતત વધવા લાગી અને આ દરમિયાન એક ફિલ્મની ચર્ચા વખતે તેના લેખક નઝીર અજમેરીએ અશોકકુમાર અને સાવિક વાચાની સાથે આવેલા મન્ટોનો કડક શબ્દોમાં વિરોધ પ્રદર્શિત કર્યો. આ કારણે મન્ટોને લાગી આવ્યું અને કેટલાક દિવસો સુધી વિચાર કર્યા બાદ તેઓ પાકિસ્તાન ચાલ્યા ગયા. આ ઘટનાના ઘણા દિવસો બાદ મન્ટોએ લખ્યું કે ‘… અને હું ચૂપચાપ બાજુની ગલીમાંથી પાકિસ્તાન ચાલી આવ્યો, જ્યાં મારી વાર્તા ‘ઠંડા ગોશ્ત’ પર ખટલો ચલાવવામાં આવ્યો.’
શ્યામ નામે મન્ટોનો એક અંગત મિત્રો હતો. વર્ષ ૧૯૪૦ના દાયકામાં આ ઍક્ટર ભગવાનદાદાની ‘અલબેલા’ (૧૯૫૧) અને નરગિસની ‘મીના બાજાર’ (૧૯૫૦) જેવી ફિલ્મોમાં બૉમ્બેમાં મન્ટોએ ઍક્ટર શ્યામની સાથે આનંદદાયી દિવસો પસાર કર્યા હતા. એક ફિલ્મ- પત્રકાર તરીકે મન્ટોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કેટલીક મહિલાઓનાં સંસ્મરણો પણ લખ્યાં છે. ઍક્ટ્રેસ નગરિસને લઈને મન્ટોએ લખ્યું છે કે ફિલ્મ ‘બરસાત’ (૧૯૪૯) બાદ ખૂબ જ પ્રખ્યાત થઈ ચૂકેલી નરગિસની આંખોમાં તેઓને હંમેશાં ઉદાસી જોવા મળતી હતી. મન્ટોની પત્ની અને બે સાળીઓની સાથે નરગિસને મિત્રતા હતી, આ કારણે જ રૂપેરી પડદા પાછળનું જીવન જીવતી નરગિસને મન્ટો ખૂબ જ સારી રીતે જાણતા હતા કે જે નાની નાની ખુશીઓ મેળવવા માટે ઘણું બધું કરવા માટે તૈયાર હતી. મન્ટો કહેતા હતા કે નરગિસ તેના કામ પ્રત્યે ઈમાનદાર છે, માટે તે સફળ છે. નરગિસની માતાનું નામ જદ્દનબાઈ હતું, તેઓને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રથમ મહિલા સંગીતકાર માનવામાં આવે છે. જદ્દનબાઈ ફિલ્મોમાં નામ કમાયાં તે પહેલાં તવાયફ હતાં અને મન્ટોએ તેમના લેખમાં જદ્દનબાઈના જીવન પર પુષ્કળ લખ્યું છે. મન્ટોએ લખ્યું છે કે નરગિસનાં જીવનના મોટા ભાગના નિર્ણયો જદ્દનબાઈએ લીધા હતાં, જેના કારણે નરગિસને સફળતા મળી, પણ આ સામે નરગિસના બાળપણ અને જવાનીની સ્વતંત્રતા પણ છીનવાઈ ગઈ હતી.
જો સંગીતની વાત કરીએ તો નૂરજહાંને મન્ટો લતા મંગેશકરથી શ્રેષ્ઠ અને કે.એલ. સહગલના સમકક્ષ માનતા હતા, તેમણે મન્ટોના ઘરે જઈને ફૈઝનું ‘આજ કી રાત સાજ-એ-દર્દ ન છેડ’ ગાયું હતું.
[સંપાદિત અનુવાદ : નિલય ભાવસાર, सत्याग्रहમાંથી]
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 12