Opinion Magazine
Number of visits: 9448977
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ઝીલાયેલ ગાંધીજીની છબિ

રંજના હરીશ|Gandhiana|11 December 2018

ભારતીય સ્ત્રીના વિકાસમાં ગાંધીજીએ આપેલ ફાળો અમૂલ્ય છે. જે એક સ્થાપિત સત્ય છે. ગાંધીજીના અહિંસા તથા અસહકાર તેમ જ સત્યાગ્રહ જેવા અત્યંત ઓરિજીનલ લાગતા સિદ્ધાંતોના મૂળ સ્ત્રીજાતના વિચાર અને વર્તનમાં હતા, તેમ બાપુએ પોતે સ્વીકાર્યું છે. પરંતુ સ્ત્રીજાતના આ વિશેષ વર્તન-વ્યવહારનું સૂક્ષ્મપણે વિશ્લેષણ કરી તેમાંથી ઉચિત વર્તનને અસહકાર કે સત્યાગ્રહ જેવા સિદ્ધાંતરૂપે અપનાવવાનો તથા સ્થાપવાનો યશ ચોક્કસ ગાંધીજીને જાય. એ સિદ્ધાંતોનો ઉપયોગ ગાંધીજીએ વિવેક, ક્ષમતા તથા હિંમત સાથે જે પ્રમાણે કર્યો તે કોઈ વીરલો જ કરી શકે ! આમ કરવાની સાથે તેમણે ઘરની ચાર દિવાલોમાં જીવી રહેલ ભારતીય સ્ત્રીને ઘરનો ઉંમરો ઓળંગીને ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવવાની હાકલ કરી. માતૃભૂમિની સ્વતંત્રતાના સંગ્રામમાં સ્ત્રી શું ? અને પુરુષ શું ? બંને એક સરખા ભાગીદાર. બંનેએ માતૃભૂમિ માટે બનતું સઘળુંયે કરવાની તક ઝડપી લેવી જોઈએ. આવો વિચાર જ્યારે બાપુએ વહેતો કર્યો ત્યારે પ્રમાણમાં જુનવાણી તેમ જ પિતૃસત્તાક ભારતીય સમાજે તેને સહર્ષ વધાવી લીધો. અને ભારતીય સ્ત્રીએ ઘરનો ઉંમરો ઓળંગીને સ્વતંત્રતા આંદોલનની સભાઓ અને સરઘસોમાં ભાગ લેવાનું પ્રારંભ્યું. પછી તો ઉત્તરોત્તર તેઓ દરેક ક્ષેત્રમાં પ્રવેશતી ગઈ. પરંતુ સૌ પ્રથમ વાર ભારતીય સ્ત્રીને જાહેર કામકાજમાં ભાગીદારીની તક ગાંધીજીએ મેળવી આપી. આમ ભારતીય નારીના સશક્તિકરણના પાયામાં ગાંધીજીનું આગવું પ્રદાન રહેલું છે.

ભારતીય સ્ત્રીઓની પ્રતિનિધિ તેવી સરોજિની નાયડુ, મિસ સ્લેડ ઉર્ફે મીરાબહેન, દુર્ગાબાઈ દેશમુખ, વિજયાલક્ષ્મી પંડિત, કૃષ્ણા હઠીસિંહ, રેણુકા રે, સુચેતા કૃપલાની, કમલાદેવી ચટ્ટોપાધ્યાય જેવી અગણિત વિદૂષી સ્ત્રીઓએ પોતાનાં જાહેર વક્તવ્યો, લેખન તેમ જ પત્રોમાં ગાંધીજી પ્રત્યેનું ઋણ સ્વીકાર્યું છે. ગાંધીજીના જન્મના 150માં વર્ષના પ્રારંભ નિમિત્તે તેમનું સ્મરણ સ્વાભાવિક છે. ગાંધી યુગની સ્ત્રીઓનાં આત્મકથા લેખનમાં પણ ગાંધીજીની અવિસ્મરણીય છબિ સુપેરે ઝીલાઈ છે. જેની એક ઝલક આ વખતની વિશેષ ગાંધી જયંતી પ્રસંગે અહીં પ્રસ્તુત છે.

સ્વતંત્રતા આંદોલનનો 1947 પૂર્વેનો એ જમાનો એવો હતો કે જ્યારે ગાંધીજી પ્રત્યેક સુસંસ્કૃત, જાગ્રત ભારતીય પરિવારમાં એક સદસ્યનું સ્થાન ધરાવતા. અંગ્રેજી સાહિત્યના ખ્યાતનામ કવયિત્રી કમલા દાસની આત્મકથા 'માય સ્ટોરી’(1976)માં પોતાનાં બાલ્યકાળનું વર્ણન કરતાં  સ્મરે છે કે, તેમની માતાના સાહિત્યકાર મામા કેરળમાં પોતાના નાલપત હાઉસમાં એશોઆરામભરી જિંદગી જીવતા. કમલા દાસની માતા તથા તેમનાં બાળકો પણ નાલપત હાઉસના જ સભ્ય હતાં. કિશોરી કમલા સ્મરે છે કે, "અમારા એ નાલપત હાઉસમાં જ્યારે કોઈપણ નિર્ણય લેવાતો ત્યારે તેને અન્ય વડીલોની સાથોસાથ બાપુની પરવાનગી મળશે કે કેમ તેનો પણ ખ્યાલ રખાતો. આ 'બાપુ' એટલે પરિવારના કોઈ વડીલ સદસ્ય નહીં, પરંતુ એ મહાલયના દિવાનખાનાની દિવાલ પર શોભતી મહાત્મા ગાંધીજીની છબિ !" આ છબિ જાણે ઘરની મુખ્ય વડીલ હતી. આવો હતો એ જમાનો !

………

મોતીલાલ નેહરુનાં મોટાં દીકરી અને જવાહરલાલજીના બહેન પંડિત વિજયાલક્ષ્મીની આત્મકથા 'ધ સ્કોપ ઓફ હેપિનેસ'(1979)માં ગાંધીજીની વાત સતત થાય છે. નેહરુ પરિવારમાં ગાંધીજીનો દરજ્જો એક અતિપ્રિય વડીલનો હતો. વિજયાલક્ષ્મીજીના પ્રેમલગ્ન વખતે પણ ગાંધીજીની પરવાનગી લેવાયેલી. ગાંધીજીએ પોતાને હાથે કાંતેલ, વણેલ તથા રંગેલ ખાદીની સાડી પહેરીને વિજયાલક્ષ્મીજી લગ્નના માંયરામાં બેઠાં હતાં. લગ્ન બાદ તરત નવપરિણીત યુગલ બાપુના આશીર્વાદ લેવા આનંદભવન ખાતેના બાપુના રૂમમાં ગયેલું અને ત્યાં ગાંધીજીએ બ્રહ્મચર્ય પાલન કરીને દેશ ખાતર જીવન સમર્પિત કરવાની વાત કરેલી. આ પ્રસંગને સ્મરતા વિજયાલક્ષ્મીજી લખે છે, મેં બાપુને તરત કહ્યું, "જો તમારે અમને આવા જ આશીર્વાદ આપવા હતા તો અમને પરણવાની પરવાનગી શા માટે આપી ? આવા લગ્નનો શો અર્થ ? બાપુ માફ કરજો તમારી આ વાત મને સ્વીકાર્ય નથી."

………

તો વળી વિજયાલક્ષ્મી પંડિતનાં નાનાં બહેન તથા અમદાવાદના હઠીસિંહ પરિવારના પુત્ર રાજા હઠીસિંહનાં પત્ની કૃષ્ણા હઠીસિંહ પોતાની આત્મકથા 'વિથ નો રિગ્રેટ્સ'(1943)માં બાપુના વ્યક્તિત્વના વિવિધ પાસાઓની સરસ છણાવટ કરે છે. તેઓ પણ પોતાના લગ્નના પ્રસંગનું સ્મરણ કરીને તે વખતે બાપુએ આપેલ આશીર્વાદ વિશે લખે છે, "બાપુએ મને કહેલું, હવે તારો પુનઃજન્મ થઈ રહ્યો છે… તારી નાનીબહેન સ્વરૂપ કાઠિયાવાડમાં નવવધૂ બનીને આવી ખરી, પણ તેણે પોતાના પતિને અલ્હાબાદ આવીને વસવા માટે સમજાવી લીધો… પરંતુ તારામાં અને સ્વરૂપમાં ઘણો ફેર છે. હું સમજું છું કે તું રાજાને અમદાવાદથી દૂર ખેંચી લઈ જવા પ્રયત્ન નહીં કરે… હું આશા રાખું છું કે તું ગુજરાતને તારું ઘર બનાવીશ."

………

પદ્મવિભૂષણ દુર્ગાબાઈ દેશમુખની આત્મકથા 'ચિંતામન એન આઈ'(1980)માં તેઓ ગાંધીજીને  પોતાની કિશોરાવસ્થાના એક માત્ર પ્રેરણાદાયી બળ તરીકે સ્મરે છે. દુર્ગાબાઈ દેશમુખ નાનપણથી જ સ્વતંત્રતા સેનાની તથા ગાંધી વિચારધારાના સમર્થક રહ્યાં. 11 વર્ષની ઉંમરે તેમણે ગાંધીજીની એક પ્રવચનસભાનું આયોજન પોતાના ગામમાં કરેલું. અને આ પ્રવચન માટે રૂપિયા પાંચ હજારનું ઉઘરાણું કરવામાં તેઓ સફળ નીવડેલાં. ગાંધીજીની આ સભા દરમિયાન તેમણે કોઈપણ પૂર્વ આયોજન વગર ગાંધીજીના દુભાષિયા તરીકે કામ કરેલું. જેને કારણે તેઓ આજીવન હિન્દીના પ્રખર સમર્થક તેમ જ પ્રચારક રહેલાં. પોતાની ઉપરોકત આત્મકથામાં તેઓ એક યાદગાર પ્રસંગ સ્મરે છે. સ્વતંત્રતા પૂર્વેના એક કૉન્ગ્રેસ અધિવેશન દરમિયાન સ્વયંસેવિકા દુર્ગાબાઈને ગાંધીજીએ એ સમારંભ માટે સ્ટેજ પર આવી રહેલ દરેક મહાનુભાવના કાર્ડ તપાસવાનું કામ સોંપ્યું. યુવા દુર્ગાબાઈ પોતાનું કામ ખંતપૂર્વક કરવા માંડી. એક પછી એક જનનેતાઓ પાસ બતાવીને સ્ટેજ પર જઈ રહ્યા હતા. એટલામાં નેહરુજી આવી પહોંચ્યા. બેફિકર નેહરુજી સ્ટેજ પર જવા પગથિયાં પર પગ માંડે ત્યાં તો યુવા સ્વયંસેવિકાએ તેમને ટોક્યા અને પાસ બતાવવા કહ્યું. નેહરુજીને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, "હું નેહરુ, મને નથી ઓળખતા?" વળતો જવાબ મળ્યો, "હા જી, ઓળખું છું, પરંતુ બાપુએ પાસ લઈને આવનારને જ સ્ટેજ પર જવા દેવાનો આદેશ આપ્યો છે. તેથી હું મજબૂર છું." સ્મિત સાથે નેહરુજીએ પાસની વ્યવસ્થા કરી અને પછી એ યુવતીને પાસ બતાવીને તેઓ સ્ટેજ પર પહોંચ્યા.

………

જન્મે બ્રિટિશ અને કર્મે મહાત્મા ગાંધીને તથા સ્વતંત્રતા આંદોલનને સમર્પિત એવાં મિસ સ્લેડ ઉર્ફે મીરાબહેનની આત્મકથા 'ધ સ્પિરીટ્સ પિલગ્રીમેજ'(1949)માં પોતે ગાંધીજીના પ્રભાવથી અંજાઈને સર્વસ્વ ત્યજીને જે પ્રમાણે અમદાવાદના હરિજન આશ્રમમાં આવીને વસેલાં તેની વાત કરે છે. તેમનાં આત્મલેખનનું કેન્દ્ર ગાંધીજીનું સ્નેહમયી વ્યક્તિત્વ છે. પરંતુ તેની સાથોસાથ એક અત્યંત કડક એવા નિયામકની છબિ પણ મીરાબહેનનું લેખન ઉપસાવે છે. લંડનથી આવેલ મિસ સ્લેડને ગાંધીજીએ મીરા નામ આપેલું. તેમને આશ્રમ પરિસર પર 8 X 8 ફૂટની નાનકડી ઓરડી આપેલી. જે આજે પણ સાબરમતી આશ્રમમાં મિસ સ્લેડના રહેવાસ તરીકે જોઈ શકાય તેમ છે. આ બ્રિટિશ મહિલાની ખાણી-પીણી, પહેરવેશ, રીત-રિવાજ સઘળું આશ્રમે બદલી નાખ્યું હતું. અધૂરામાં પૂરું ગાંધીજીએ આજ્ઞા કરી કે આ સોહામણી યુવતીએ વાળ ન રાખવા ! આ તે કેવો આદેશ ? ગાંધીજીનો તર્ક હતો કે આશ્રમવાસી પુરુષોમાં યુવતીઓ પ્રત્યે કામના જાગ્રત ન થાય તે માટે આશ્રમમાં વસતી યુવતીઓએ માથાં મુંડાવી નાખવાં ! મીરાબહેને બાપુની આજ્ઞાનું પાલન કર્યું. માથું મુંડાવીને ખાદીની સફેદ સાડીમાં આશ્રમની કોઈ સુવિધા વગરની નાનકડી ઓરડીમાં તેમણે વર્ષો ગાળ્યાં. અને ત્યાં રહીને બાપુની તેમ જ સ્વતંત્રતા આંદોલનની સહાય કરી.

………

આવી જ ઘટના ગુજરાતના પૂર્વ ગવર્નર શ્રી શ્રીમન્નનારાયણજીનાં પત્ની શ્રીમતી મદાલસાબહેને પણ નોંધી છે. ગાંધીના રંગે રંગાયેલ યુવા મદાલસાબહેન લગ્ન પૂર્વે ગાંધીઆશ્રમમાં રહેતાં. મુરતિયારૂપે શ્રીમન્નનારાયણજી તેમને 'જોવા' આશ્રમ ગયેલા. અને ત્યાં માથું મુંડાવેલ કન્યાને જોઈને આઘાત પામી ગયેલા ! ભાવિ પત્ની સાથેની પ્રથમ મુલાકાતમાં તેમણે માત્ર એટલું જ પૂછેલું, "જો લગ્ન થાય તો લગ્ન બાદ તમે વાળ રાખશો ને ?"

તા.ક. ગાંધી જયંતી નિમિત્તે ગાંધી યુગની ભારતીય સ્ત્રીના મનમાં વસેલ અને તેની લેખની દ્વારા તેમની આત્મકથાના પૃષ્ઠો પર ઉતરેલ ગાંધીજીને આવી ખાટી-મીઠી યાદો સાથે શ્રદ્ધાંજલિ.

Email : ranjanaharish@gmail.com

[પ્રગટ : ‘અંતર્મનની આરસી’ નામક સાપ્તાહિક કટાર,  “નવગુજરાત સમય”, 07 નવેમ્બર 2018]

Loading

11 December 2018 admin
← મારી માનો વાંક
કૉન્ગ્રેસ માટે નથી ઢાળ કે નથી કપરાં ચઢાણ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved