Opinion Magazine
Number of visits: 9449148
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

#MeToo-શોધી ચડાવો શૂળીએ નામી નરને જોઈ

રજનીકુમાર પંડ્યા|Opinion - Opinion|2 November 2018

દેશમાં અચાનક #MeTooની ઝુંબેશનું પૂર ફરી વળ્યું છે. કોઈ પણ ‘આદમી’ એના વિષે કલમ લખવા હાથ ઉપાડે ત્યારે ભીતરથી પૂરી સાવધાની સંકોરીને જ કલમ ઉપાડે. કઈ દિશામાંથી ક્યારે, કોણ આવીને, કેવાકેવા તહોમતોના ભાલા પરોવી દેશે સાથે અને અચાનક ક્યારે પોતે આરોપીના કઠેડામાં મુકાઈ જશે એ નક્કી નથી હોતું. એ અંદેશો કલમની શાહી સાથે જ વહેતો હોય છે. એટલે લખવું હોય તે બધું જ ઘસડી મારતાં પહેલાં કલમ ઠોવાઈને ઊભી રહી જાય છે.

હું પણ એવાઓની ‘જ્ઞાતિ’ માંથી જ આવું છું. પણ ‘કહું મને કટેવ’ની રીતે બે શબ્દ તો લખવા જ દો મને.

પહેલું અચરજ તો એ વાતનું થાય છે કે અહોહો, આટલી બધી જોગમાયાઓ એકસામટી, એકસૂરીલી  અને એકલઠ્ઠી  થઈને દેશની દશે દિશાઓમાંથી એકસાથે સાક્ષાત્‌ થઈ ગઈ! એ બધી ખોટી છે એમ તો હું ક્યાં કહું છું? પણ પૂછવાનું એટલુ જ કે શું આટલાં બધાં વરસ શું આ બધીઓ કોઈક પહેલ કરનારી એકાદી હમજખ્મ સખીની રાહ જોતી હશે!

સારું છે. મોડા જાગવું એ ગુનો નથી. જાગી જવા છતાં ઊંઘરેટા પડ્યા રહેવું એ ખોટું છે. અને જાગતાવેંત જૂના જખમ સણકે અને અને એ જુલમીને સબક શિખવાડવાનું શહૂર ચડે એ પણ સ્વાભાવિક છે. પણ મારું તો એટલું જ પૂછવાનું કે એની સામે પડવા માટે આક્રોશને બદલે જાતમાં ઝનૂનનો સંચાર થાય એ યોગ્ય છે ?         

કોઈ પણ સારા કૃત્યને કુકૃત્યમાં ફેરવી નાખવું હોય, તો એના ચાલકબળને ઝનૂનનું સ્વરૂપ આપી દેવું. ઝનૂન જન્મશે એટલે ન્યાય તરત ખતમ થશે. કારણ કે બળને દિશા હોય છે. દૃષ્ટિ હોય છે. પણ ઝનૂન તો અંધ હોય છે, એટલે દિશાવિહીન પણ હોય છે. એ આડેધડ તલવાર વીંઝે છે અને નવાણિયાંઓનાં માથાં પણ વાઢી નાખે છે. એટલે જ તો બળથી પ્રેરાય તેને બળવો કહેવાય છે. ઝનૂનથી પ્રેરાય તેને જેહાદ કહેવાય છે. એક જ નમૂનો દઉં. લવ પુનિત તત્ત્વ છે. પણ લવજેહાદ કેટલી ઘૃણાસ્પદ પ્રવૃત્તિ છે?  આમ છે, કારણ કે જેહાદના નારા સાથે ઝનૂન ઘોળાયેલું છે.

જેહાદનું લક્ષણ શું? એનું લક્ષણ એ કે એમાં કોઈના હાથમાં ઝંડો નથી હોતો, દરેકના હાથમાં દંડો જ હોય છે. ‘દેખો ત્યાં ઠાર કરો’ની દાઝભરી માનસિકતા લઇને દરેક જણ ઘૂમી વળે છે, બલકે ફરી વળે છે. ગમે તે વ્યક્તિ, પછી એ  ધ્યેયશીલ હોય કે સ્વાર્થપટુ, માત્ર જાહેર પ્લૅટફૉર્મ પર ચડીને નારા લગાવી શકવાની તાકાત પર કે ચોક્કસ જાતિની હોવાની કુદરતી લાયકાત પર એ જેહાદીઓમાં લડાયક સૈનિક તરીકે જગ્યા મેળવી લે છે અને પછી ગમે તેના માથામાં દંડો ઝીંકી દે છે.એના આંઉકારા સાંભળવાય એ વ્યક્તિ રોકાતી નથી.

ક્ષુધાતુર અંગ્રેજ પણ ઔદિચ્ય બ્રાહ્મણોની પંગતમાં ‘હમ ભી ડિચ’ કહીને પોતાની પતરાવળી પડાવી દેતો હોય છે, એમ આને જો પીડિતાઓની પંગતનું સ્વરૂપ આપીશું તો આમાં પણ ‘હમ ભી પીડિત’ કહેનારી મહામાયાઓ પોતાની પતરાવળી મંડાવવા તલપાપડ થવા મંડશે.

હવે મુખ્ય વાત પર આવું તો #MeTooની ઝુંબેશ (જેને જેહાદ તરીકે પણ ઓળખવામાં આવે છે.)માં સામેલ થવા ધસી જતી એકેએક મહિલાની, પ્રત્યેકની જેન્યુઇનનેસ ચકાસવી જોઈએ, આંખો મીંચીને એ દરેકને જેહાદનું પ્લૅટફૉર્મ ન આપી દેવાય. એમના માનદંડો-ક્રેડેંશિયલ્સ તપાસ્યા વગરની #MeTooની ઝનૂની ફોજમાં એને ભરતી ન કરી દેવાય. બધા પુરુષો જેન્ટલમેન હોતા નથી તેમ બધી સ્ત્રીઓ પણ સાગમટે જેન્ટલ લેડી નથી હોતી. ધોરીમાર્ગ પર લિફ્‌ટ માગીને પછી એ આપનારા ભલા આદમી ઉપર આળ મૂકીને રૂપિયા ખંખેરનારી નારીઓના કિસ્સા આપણા વાંચવામાં નથી આવ્યા? દહેજવિરોધી કાયદો શુભહેતુલક્ષી છે, પણ એનો ય દુરુપયોગ કરીને કોઈ આખા ખાનદાનને તબાહ કરનારીઓના કિસ્સા ઓછા છે? એમ  આમાં ય આગલા-પાછલા વેરના સિલસિલે બદલો લેવા, બ્લૅકમેલ કરીને પૈસા પડાવવા યા કોઈને પદચ્યુત કરાવવા જો કોઈ મહિલા #MeTooના જુવાળનો ગેરલાભ લેવા માગતી હોય, તો એને આમાંથી ફિલ્ટર કરી નાખવાનું પણ કોઈ સામાજિક મિકેનિઝમ હોવું ઘટે.

‘દિવ્ય ભાસ્કર’ના ઉચ્ચ પદાધિકારી કલ્પેશ યાજ્ઞિકનો દાખલો નજર સામે જ છે, જેમણે એક બ્લૅકમેઇલર મહિલાના ત્રાસથી જ દસમા માળેથી કૂદીને જીવ કાઢી નાખ્યો! આજે હવે અચાનક આપણે જોઈએ છીએ કે આરોપની ફૂંફાડા મારતી જીવતી સર્પમાળા લઈને કોઈના ગળામાં આરોપનારી બહેનોમાંથી કોઈ દસ, તો કોઇ પંદર વીસવર્ષ જૂના આરોપોના રાફડા તોડી લાવીને કૂદી પડી છે. તો શું એમના એકેએક વાક્યને પ્રમાણભૂત માની લેવાનું છે ? ‘A Queen can do no wrong’ની પરિપાટીએ ન્યાય તોળવાનો છે? એક કે એકત્રીસ કે એક હજાર બહેનો ખોટી છે, એમ કહેવું એ બેશક, બેશક, બેશક, વાજબી નથી, પણ એ બધી ય ‘જેન્યુઇન’ છે, એમ માનવું પણ તાર્કિક નથી. એમના વર્ઝનને યથાતથ માની લઈને કોઈ પર તરપીટિયો પાડવો પણ શું વાજબી છે? (હું અકબર, આલોક કે વિનોદ દુઆ કે કોઈ એકની વાત નથી કરતો.)

હું સામાન્ય સમાજ વચ્ચે ફરનારો માણસ છું, એટલે દાવા સાથે કહું છું કે ભલે કોઈ બોલતું નહીં હોય પણ આવી લાગણી અત્યારે શેરીગલીઓમાં વ્યાપક છે. મારા જેવા લાખો છે (જેમાં મહિલાઓ પણ છે જ, છે જ!) કે જે આંધળાં પુરુષ તરફી નથી કે નથી આંધળાં નારીવિરોધી. એ લોકો સમતોલ ધારણના છે. એ લોકો વળી બિલકુલ સમજે પણ છે કે આવા આરોપોની કોઈ સાબિતી ના હોઈ શકે અને સાબિતી ના હોય એટલે એ બન્યું નથી, એમ માની લેવું પણ ઠીક નથી. પણ સામેપક્ષે એ લોકો એમ પણ માને છે કે બધી પીડિતાઓ કાંઈ ખોટી નહીં હોય તેમ બધી પીડિતાઓ કંઈ દૂધેધોયેલી પણ નહીં હોય. વાસ્તે, એવું કંઈક પરીક્ષણ તો આમાં હોવું જોઈએ કે જે તથ્યને સપાટી પર લાવી આપે. એ પરીક્ષણની યંત્રણા શું હોઈ શકે અને કેવી રીતે કામ કરે કહેવા માટે અમારા જેવા આમઆદમીનો પનો તો ટૂંકો પડે. પણ એટલું તો પહેલે પગથિયે સમજાય છે કે એ શોધી આપનારું કોઈ મિકેનિઝમ શોધાવું જોઈએ અને એને માટેની પૂર્વશરત તો એ હોવી જોઈએ કે આના પરથી જેહાદઝુંબેશનું લેબલ દૂર કરવામાં આવે. ઝનૂનનો લશ્કરી ગણવેશ ઉતારી નાખવામાં આવે. એકેએક મામલો વ્યક્તિગત ધોરણે ચકાસવામાં આવે, ફિલ્ટર્ડ કરવામાં આવે. એક શબ્દફેર સાથે ’શોધી ચડાવો શૂળીએ નામી નરને જોઈ’ના કવિ દલપતરામના ગંડુરાજાવાળા ન્યાયને બદલે અસલી જહાંગીરી ન્યાયનો રાહ અપનાવવામાં આવે.  

બહેનો પણ, પક્ષકાર કે પક્ષધર બન્યા વગર એક ન્યાયશીલ વ્યક્તિ બનીને આના પર વિચાર કરે.

એક બીજો મુદ્દો પણ હજુ દબાયેલો છે પણ એને હું આમાં ભેળવીને મૂળ મુદ્દાને પાતળો કરી નાખવા માગતો નથી. માત્ર એનો ઇશારો કરું; પ્રકૃતિએ પુરુષ આક્રમક હોય છે એ વાત સો ટકા સાચી પણ પુરુષને પણ HeTooની સ્થિતિમાં મૂકી દેવાની પ્રકૃતિ ધરાવતી કોઈ કોઈ આક્રમક મહિલાના મામલે શું? આવા કિસ્સા હજુ માત્ર સ્ત્રીઓ દ્વારા કૉલેજોમાં થતા પુરુષના ‘રેગિંગ’ તરીકે જ આપણે વાંચ્યા હશે પણ એથી ય આગળના વ્યક્તિગત પુરુષલક્ષી કિસ્સા પણ મેં તો બહુ જોયા છે.

પણ એની છણાવટ અહીં કરવી એટલે હથેળીના સિક્કાને પલટાવીને જોવા માટે આખી હથેળીને ઊંધી કરી દેવી! એવી અળવિતરાઈ મારે અત્યારે તો નથી કરવી. આ લેખને મારે તળિયેથી ઊંધો વાળીને અવળી દિશા નથી પકડાવા દેવી!                            

E-Mail : rajnikumarp@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2018; પૃ. 16 અને 19

Loading

2 November 2018 admin
← અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી
કેન્દ્ર સરકારે આબરૂ ગુમાવી છે એમાં અરુણ જેટલીનો મોટો ફાળો છે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved