Opinion Magazine
Number of visits: 9448917
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ગુજરાતી લિટરરી અકાદમી ઑફ નૉર્થ અમેરિકા’ સ્વસ્થ છે, એની તબિયત એકંદરે ઘણી સારી છે

સુમન શાહ|Opinion - Opinion|28 October 2018

સામ્પ્રતમાં અમર ભટ્ટ એવા ગાયક છે જે સાહિત્યશ્રીને જાળવી જાણે છે, સૂરને આગળ કરવા શબ્દ સાથે ચૅડાં નથી કરતા

વ્હાલી બચીબહેન : ઘણા મહિને તારો પત્ર મળ્યો.

તું લખે છે, તારું પીઍચ.ડી. પતી ગયું ને તું ખુશ છું. મારાં અભિનન્દન. જો કે, 'પતી ગયું'-ને બદલે 'સમ્પન્ન થયું' કહીએ તો કેવું? ભલે. તેં લખ્યું છે કે સ્વીડનની 'ન્યૂ અકાદમી' વિશેની મેં કરેલી વાતો તને ગમી છે. સાથોસાથ, તેં લખ્યું છે, તને ઉત્તર લખું ત્યારે મારે ગુજરાતી લિટરરી અકાદમી ઑફ નૉર્થ અમેરિકાના ન્યૂ જર્સિ ખાતેના સમ્મેલનમાં મેં ભાગ દીધો તો એ સમ્મેલન મને કેવું લાગ્યું તેનો ચિતાર આપવો. તું એ પણ જાણવા માગે છે કે એ અકાદમીના ભાવિ વિશે મારો અભિપ્રાય શો છે. અધૂરામાં પૂરું તેં લખ્યું કે બધું મારે મારી કૉલમમાં જાહેરમાં કહેવું – કેમ કે એ છે જ 'સાહિત્ય સાહિત્ય' વિશે. તેં મને બહુ લેસન આપી દીધું છે.

આવી બાબતો વિશે હું કોઇના કહેવાથી ન લખું પણ તને ના કેમ પડાય? જણાવું કે હું સમ્મેલનનો ચિતાર નહીં આપી શકું. મારા મન પર પડેલી છાપોની વાતો કરીશ. ગઝલ-ગાન અને નાટકની, બે-બે બેઠકોમાં, મારાથી હાજર પણ ન્હૉતું રહેવાયું. તારે ભર્યોભાદર્યો ચિતાર મેળવવો હોય તો ભૂપેન્દ્રસિંહ આર. રાઓલે તેમ જ દેવિકા ધ્રુવે તેમની FB દીવાલો પર વીગતે લખ્યું છે, જઈને વાંચી લેજે.

તો, સાંભળ : સ્વાગત-પ્રવચન પ્રમુખશ્રીએ, રામભાઇ ગઢવીએ, કરેલું. અહીં પણ સાહિત્યપ્રેમી દાતાઓની આર્થિક સહાયથી એમનાં સ્વજનોની યાદમાં પારિતોષિકો અપાય છે. આ વર્ષનું 'ચુનીલાલ મહેતા પારિતોષિક' પ્રમોદ ઠાકર 'કૃષ્ણાદિત્ય'-ને અપાયું અને 'રમેશ પારેખ પારિતોષિક' મનીષા જોશીને. દાતાઓ હાજર હતા. એમણે પ્રાસંગિક વક્તવ્ય કરેલાં. વિજેતાઓએ પણ આભારના બે બોલ કહેલા. મનીષાએ પોતાના 'કંસારાબજાર' કાવ્યનું પઠન કરેલું. બાબુ સુથારે અતિથતિવિશેષ રમણ સોની સહિતના દરેક આમન્ત્રિત વિદ્વાનનો અનિવાર્ય વીગતો સાથેનો સમુપકારક પરિચય કરાવેલો.

બચીબહેન, આ અકાદમીવાળા પણ એમના ઑડિયન્સની નસ જાણે છે. ઓળખે કે ક્યારે શેની રાહ જોતું થઈ જશે. સમજે કે ઔપચારિકતાઓ પછી ગીત-સંગીત રાખવું પડશે. અમર ભટ્ટની ઑડિયો-સીડીના લોકાર્પણ પછી મુકેશ જોશીના સંચાલન સાથે નરસિંહ-મીરાંથી માંડીને ભગવતીકુમાર શર્માની ગીતરચનાઓનું ગાન થયેલું. હિમાલી વ્યાસ અને જાહ્નવી શ્રીમાંકના ગીત-ગાયનમાં ગંગાસતીનું 'વીજના ચમકારે મોતીડાં પરોવો' અને રમેશ પારેખનું 'રહીશું અમે ગુમાનમાં' અદ્ભુત રીતે ગવાયેલાં. અમરભાઇએ, ખાસ તો, અનિલ જોશીની રચના 'ઝીણાં ઝીણાં રે' અને રમેશ પારેખની રચના 'વહાલ કરે તે વહાલું' એવા વ્હાલથી ગાયેલી કે એથી એમને માટેનું આપણું વહાલ દૃઢ થઈ આવેલું.

અતિથિતિવેશેષ તરીકેના વ્યાખ્યાનમાં રમણ સોનીએ ગુજરાતી સાહિત્યના વર્તમાન વિશે કહ્યું કે, ઢગલાબંધ પારિતોષિકો, સામયિકોની નીતિરીતિ, સસ્તું રેકગ્નીશન, વાચકો કરતાં વધેલા લેખકો, મંદ પડેલી વાચનવૃત્તિ, વગેરેને કારણે આજે નિષ્ઠાભરી સાહિત્યસાધના નથી રહી. એ પ્રશ્નને આગળ કરીને એમણે દલપતરામ, નર્મદ અને ઈચ્છારામની વાતો કરેલી. ચિન્ત્ય ગમ્ભીર વિષય, છતાંય સૌને હસાવી શકેલા.

તો પણ, પાછું ગીત-સંગીત હતું. જો કે એ અમરભાઇ માટેની આવકાર્ય બેઠક હતી. એમણે પોતાના પ્રવેશકાળના ઉછેરની વાતમાં, ન્હાનાલાલના 'વિરાટનો હીંડોળો ઝાકમઝોળ'-ના પણ્ડિત ઓમકારનાથના સ્વરનિયોજનના પોતા પર પડેલા પ્રભાવની વાત કરેલી. ક્ષેમુભાઈ, બાલમુકુંદ દવે અને રાજેન્દ્ર શાહને સંભારેલા. એમણે ગાયેલાં ગીતોમાં, 'આભમાં તોરણ બંધાણાં ત્રિલોકના' અને 'હેજી વ્હાલા સાવ રે અધૂરું મારું આયખું' મને ખૂબ ગમેલાં. બચીબહેન, મારો હવાલો આપીને તારે બીજાંઓને કહેવું કે સામ્પ્રતમાં અમર ભટ્ટ એવા ગાયક છે જે ગુજરાતી સાહિત્યની સૂચક વાતો ગૂંથીને પોતાના ગાયનને અદકેરું બનાવેે છે, સૂરને આગળ કરવા શબ્દ સાથે ચૅડાં નથી કરતા બલકે સાહિત્યશ્રીને સમર્પણભાવે જાળવી જાણે છે.

તું જાણે છે એમ હું વાણિયો, પણ વિદ્યા-ઉપાસક બ્રાહ્મણ છું. પણ એટલે કંઇ મને આ અકાદમીના ભાવિની ખબર થોડી પડે? એના ભૂતકાળનીય ખબર નથી. એ દ્વિ-વાર્ષિક ૧૧-મા ત્રિ-દિવસીય સમ્મેલન માટે હું આગલે દિવસે પ્હૉંચી ગયેલો. ૬થી ૯ સપ્ટેમ્બર જેટલા ટૂંકા વર્તમાનમાં કેટલું જાણી શકાય? તેમ છતાં, મને લાગ્યું કે આ અકાદમી સ્વસ્થ છે, એની તબિયત એકંદરે ઘણી સારી છે. માંડીને વાત કરું, સાંભળ :

બન્યું એવું કે એ સાંજે મને, મણિલાલ હ. પટેલને અને બીજાંઓને જમવા માટે રામભાઇ રેસ્ટોરાંમાં લઇ ગયેલા. એમને શુંયે ઉમળકો ઊગેલો તે મણિલાલ અને મારી જોડે જે વાતોએ વળગ્યા, ન પૂછોની વાત. હું પહેલીવાર મળેલો ને એઓ પ્રમુખ એટલે મારી હદમાં રહેલો. પણ એ હદને એમણે ક્યારે ઑગાળી દીધી, ખબર ન પડી. સામે જમણની રસીલી ડિશો બચારી અમને જોયા કરે. બહુ વાતો કરી. તને તો ખબર છે, આપણા પ્રમુખો મને જાણે, હું ય એમને જાણું, પણ આ પ્રમુખ જોડે ઝટ જે ઘરોબો બંધાયો એવો એમાંના એકેય જોડે બંધાયો નથી. તું ક્હૅવાની, એવું કેમ; કહું તને.

રામભાઇ સાથે ઘરોબો બંધાયો તેનું મુખ્ય કારણ એ કે આ માણસ સાહિત્યકાર નથી. સાહિત્યકાર સાહિત્યકારથી ન કળાય એવું જે ડિસ્ટન્સ રાખે, પ્રમુખ થયા પછી તો ખાસ, મને લાગ્યું, તે રામભાઈ નથી રાખતા. કદાચ આવડતું નહીં હોય. એઓ કેટલાં ય વર્ષોથી પ્રમુખપદે છે. એમને ત્યાં ય લોકશાહી છે, ચૂંટણીયે છે, છતાં એમનું સ્થાન લેવા કોઇ તૈયાર નથી. કારણ? અકાદમીને રામભાઈ ચલાવે છે એવી સીધીસાદી પદ્ધતિએ ચલાવવા કોણ આગળ આવે? પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી વગેરેને જોડ્યાં વિનાનાં, સંસ્થાકીય ભભક વિનાનાં સમ્મેલન કરવાં કયા પ્રમુખને પરવડે? એકેય બેઠકમાં વક્તાઓની વચ્ચે ન્હૉતા બેઠા, બોલ ! પ્રમુખ થયા પછીયે શ્રોતાઓમાં બેસવાનું કોઈને ગમે? અને, રોજ સૌ પહેલાં જાગી જનાર કોણ હતું, કહું તને? રામભાઈનાં પત્ની ભાનુબહેન. સવારના નાસ્તાપાણીથી માંડીને લન્ચ ને ડીનરનાં આયોજનોની દેખભાળ માટે દોડાદોડી કરતાં તું એમને જુએ તો તને એમ લાગે કે આ માજીની છોડીનાં લગનબગન છે કે શું. કોઇ પ્રમુખની પત્નીને તેં કદ્દી પણ આવી સંસ્થાપરક મહેનત કરતાં જોઇ છે?

રામભાઇએ કહ્યું, ડોનેશનો આવે છે, માંગવાં નથી પડતાં. રજિસ્ટ્રેશનના ૧૫૦ ડૉલર છે ને સૌ આપે ય છે. મુખ્યત્વે શ્રીમન્ત પણ સાહિત્યકલાપ્રેમી સજ્જનો નવીન શાહ, સુધીર પરીખ, એચ.આર. શાહ, સુનીલ નાયક, પ્રફુલ્લ નાયક આદિએ કહ્યું કે પૈસાની ચિન્તા ન કરશો, અમે બેઠા છીએ. બચીબહેન, રામભાઈ કાઠિયાવાડી જણ છે. અસલી દૂહા ગાઈ જાણે છે. મરમી છે. વાણી એમની હસતી મધુર – પણ એમાં એમનો વ્યંગ કાજુકતળીમાં મરીની કટકી જેવો, સ્હૅજ તીખો. સંવેદનશીલને જ પ્હૉંચે. ટૂંકમાં, મને એમનામાં એક ખુલ્લા-દિલી જોવા મળી. થયું કે મરીની બે કટકી સાથે આપણે પણ સમ્મેલનની ટિપ્પણી કરશું તો આ પ્રમુખ કાયમી અબોલા તો નહીં જ કરી દે, વધુ વિચારાર્થે સ્વીકારી લેશે.

ઉપર જેટલું હસીમજાકમાં કહ્યું છે એને તારે રામભાઈના પ્રતાપે સમજવું. મારાવાળી બેઠક, કાવ્યપઠનની બે બેઠકો; પન્ના નાયક, અપૂર્વ આશર, બાબુ સુથાર, દેવકી દવે, સુભાષ ભટ્ટ, જય વસાવડા, નેહલ ગઢવી, તુષાર શુક્લ, અનિલ ચાવડા, વગેરેને વિશેની વાતો; બધું બાકી છે. આવતા શનિવારે …

= = =

તારીખ ૨૭/૧૦/૨૦૧૮ના રોજ ‘નવગુજરાત સમય'માં પ્રકાશિત થયેલો લેખ અહીં સૌજન્યસહ મૂક્યો છે

Loading

28 October 2018 admin
← અમને ચોમેરથી સુવિચારો ને સદ્દભાવ પ્રાપ્ત થાઓ
કોમી એકતાની જાળવણી પ્રાર્થના અને સંગીતના માધ્યમથી →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved