Opinion Magazine
Number of visits: 9449510
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૉન્ગ્રેસના નેતૃત્વમાં યુ.પી.એ.ની પુનર્રચના થશે પણ માઈનસ પ્રાઈમ મિનિસ્ટરશિપ

રમેશ ઓઝા|Opinion - Opinion|30 August 2018

મુંબઈમાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસનું અધિવેશન મળ્યું હતું, જેમાં શરદ પવારે વિપક્ષી એકતાની બહુ વિગતવાર નહીં, પરંતુ મોટા સ્વરૂપમાં ફોર્મ્યુલા રજૂ કરી હતી. એમ કહેવામાં આવે છે કે શરદ પવાર આમાં પહેલ કરી રહ્યા છે અને કૉન્ગ્રેસ સહિત મોટાભાગના રાજકીય પક્ષોની તેને માટે સમંતિ છે. છેલ્લા છ મહિનામાં રાહુલ ગાંધીએ કૉન્ગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યું એ પછીથી શરદ પવાર અને રાહુલ ગાંધી વચ્ચે ત્રણ વાર બેઠકો યોજાઈ હતી. આ ઉપરાંત તેઓ અન્ય પક્ષોના નેતાઓના સંપર્કમાં છે. કૉન્ગ્રેસ અને રાહુલ ગાંધીએ વડા પ્રધાનપદનો દાવો પાછો ખેંચીને વિપક્ષી એકતા માટેની અનુકૂળતા પેદા કરી આપી છે એમ પણ શરદ પવારે કહ્યું હતું.

શરદ પવારની ફોર્મ્યુલા એવી છે કે જે રાજ્યમાં જે પક્ષનો પ્રભાવ હોય ત્યાં તેનું વર્ચસ સ્વીકારવામાં આવે. જેમ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ કૉન્ગ્રેસના. આ રાજ્યોમાં બીજા પક્ષોના દાવા હોય તો તેને સમાવવાની જવાબદારી કૉન્ગ્રેસની. જે મતદાર ક્ષેત્રોમાં કૉન્ગ્રેસ નબળી છે અથવા જે મતદાર ક્ષેત્રોમાં વીતેલી ચૂંટણીઓમાં દાવેદાર પક્ષે સારા એવા મત મેળવ્યા હોય તો એ બેઠક દાવેદાર પક્ષને ફાળવવામાં આવે. જે રાજ્યોમાં કૉન્ગ્રેસ ઉપરાંત બીજો પક્ષ છે, પણ સામે બી.જે.પી. મજબૂત છે ત્યાં વીતેલી ચૂંટણીઓમાં પડેલા મતો અને બીજા પક્ષના ઉમેદવારના પરાજયના માર્જિનના આધારે બેઠકોની ફાળવણી કરવામાં આવે. આવાં રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર અને ઝારખંડનો સમાવેશ થાય છે.

કેટલાંક રાજ્યો એવાં છે જ્યાં કૉન્ગ્રેસ અને તેનો પ્રતિસ્પર્ધી પક્ષ એમ બે જ પક્ષ દાયકાઓથી એકબીજાની સામે લડતા આવ્યા છે અને બી.જે.પી. એ રાજ્યમાં પ્રવેશવા માગતો ત્રીજો પક્ષ છે. અહીં બી.જે.પી. મુખ્ય પ્રતિસ્પર્ધી નથી. મુખ્ય પ્રતિસ્પર્ધી કૉન્ગ્રેસ અને અન્ય પક્ષ છે પછી એ પ્રાદેશિક હોય કે રાષ્ટ્રીય. કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા અને ઇશાન ભારતનાં કેટલાંક રાજ્યોમાં આવી સ્થિતિ છે. આ રાજ્યો પર બી.જે.પી.ની નજર છે અને અહીં રાહુલ ગાંધીની અને કૉન્ગ્રેસની કસોટી થવાની છે. બી.જે.પી.ની નજર એટલા માટે છે કે ઉત્તર અને પશ્ચિમ ભારતનાં રાજ્યોમાં જે મતના પ્રમાણમાં અને સઘનતા હોવાને કારણે બેઠકોમાં ગાબડું પડવાનું છે એનું વળતર આ રાજ્યોમાં મળી શકે એમ છે. એ વળતર સઘન નહીં હોય પણ છૂટુંછવાયું હશે એ જુદી વાત છે, પરંતુ અહીં પ્રવેશ માટે જગ્યા છે.

કેરળમાં દાયકાઓથી કૉન્ગ્રેસ અને ડાબેરી પક્ષો એકબીજાની સામે લડતા આવ્યા છે. શું આ બે પક્ષો આ વખતે હાથ મેળવશે? વિધાનસભા માટે નહીં, પરંતુ લોકસભા માટે હાથ મેળવી શકે. આંધ્રપ્રદેશમાં ત્રણ દાયકાથી તેલગુ દેશમ પાર્ટી અને કૉન્ગ્રેસ એકબીજાની સામે લડતા આવ્યા છે તો ઓડિશામાં બીજુ જનતા દલ અને કૉન્ગ્રેસ વચ્ચે બે દાયકા જૂની સ્પર્ધા છે. તમને યાદ હશે કે અવિશ્વાસ પ્રસ્તાવ વખતે આ જ રાજ્યોમાં વિપક્ષી એકતામાં તિરાડ પડી હતી. તેલંગાણા રાષ્ટ્રીય કૉન્ગ્રેસ અને બીજુ જનતા દળે અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં મતદાન નહોતું કર્યું. બીજી બાજુ આંધ્રપ્રદેશમાં ચન્દ્રબાબુ નાયડુ બી.જે.પી. સાથે જવામાં ડર અનુભવી રહ્યા છે. ટી.ડી.પી.ના ખભા પર ચડીને બી.જે.પી. ટી.ડી.પી.ને મારી નાખશે જે રીતે મહારાષ્ટ્રમાં શિવસેનાની સાથે બની રહ્યું છે.

એ પછી આવે છે એવાં રાજ્યો જ્યાં કૉન્ગ્રેસનો ખાસ કોઈ પ્રભાવ જ નથી. આ રાજ્યોમાં કૉન્ગ્રેસ ત્રીજા કે ચોથા ક્રમે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ આવાં રાજ્યો છે. અહીં કૉન્ગ્રેસ પોતાનો દાવો હળવો કરવા તૈયાર છે, પણ બીજા ગેરબી.જે.પી. મુખ્ય પ્રતિસ્પર્ધીઓનું શું? આમાંથી ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષ વચ્ચે સમજૂતી થવામાં વાંધો નહીં આવે એમ લાગે છે. અનુક્રમે અખિલેશ યાદવ અને માયાવતી બન્ને સમજૂતી કરવા આતુર છે. તેમણે પેટા-ચૂંટણી વખતે સમજૂતી કરી પણ હતી. બન્ને મળીને કૉન્ગ્રેસનું જે રહ્યું સહ્યું અસ્તિત્વ છે એનું કાસળ કાઢશે અને કૉન્ગ્રેસ પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી. રાષ્ટ્રીય સ્તરે ઊભા થવું હોય તો અત્યારે કેટલાંક રાજ્યોમાં બલિદાન આપવું પડશે. બિહારમાં નીતીશકુમારે પાલો બદલ્યો એને કારણે કૉન્ગ્રેસને ફાયદો થયો છે. બિહારના ગઠબંધનમાં કૉન્ગ્રેસ ત્રીજા ક્રમેથી બીજા ક્રમે આવી ગઈ છે. આ બાજુ નીતીશકુમાર પાલો બદલીને બેવકૂફ બની ગયા છે અને તેમની હતાશા સ્પષ્ટ નજરે પડી રહી છે.

તામિલનાડુમાં પણ ઉત્તર પ્રદેશની જેમ કૉન્ગ્રેસને જેટલી મળે એટલી બેઠકો સાથે જુનિયર પાર્ટનર બનવામાં વાંધો નહીં આવે. એમ લાગે છે કે ડી.એમ.કે.ના નેતૃત્વમાં તામિલનાડુમાં મોરચો રચાશે અને આ વખતે ડી.એમ.કે.ની તરફેણમાં હવા પણ છે. જે કડાકૂટ છે એ પશ્ચિમ બંગાળની છે. અહીં ત્રિપાંખિયા જંગને નિવારી શકાય એમ નથી. મમતા બેનર્જી અને ડાબેરી પક્ષો વચ્ચે બેઠકોની સમજૂતી થાય તો એને અજાયબી કહેવી પડે. કૉન્ગ્રેસ ઈચ્છે છે કે જેમ બિહારમાં ૨૦૧૫માં જનતા દલ (યુ), રાષ્ટ્રીય જનતા દલ અને કૉન્ગ્રેસ વચ્ચે મહાગઠબંધન થયું હતું એવું પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉન્ગ્રેસ, ડાબેરી પક્ષો અને કૉન્ગ્રેસ વચ્ચે ગઠબંધન થવું જોઈએ. એમાં પાછાં મમતા બેનર્જી વડાં પ્રધાન બનવાના સપનાં જોઈ રહ્યાં છે.

તેમને ત્રીજો મોરચો રચવામાં રસ છે કે જેથી કૉન્ગ્રેસને બહાર રાખી શકાય. આગળ કહ્યું એમ જે રાજ્યોમાં કૉન્ગ્રેસ અને સ્થાનિક પક્ષો વચ્ચે સીધી લડાઈ છે અને જ્યાં બી.જે.પી. એ રાજ્યોમાં પ્રવેશવા માટે રિંગમાં ઊભી છે એવાં રાજ્યોના મુખ્ય પ્રધાનો ત્રીજા મોરચા માટે આગળ આવી શકે છે. મમતા બેનર્જી ઉપરાંત ચન્દ્રબાબુ નાયડુ, નવીન પટનાયક અને ટી. ચન્દ્રશેખર રાવ કદાચ ત્રીજા મોરચામાં જોડાઈ શકે. સમસ્યા એ છે કે મમતા બેનર્જી અથાક પ્રયત્નો કરી રહ્યાં છે, પરંતુ ત્રીજો મોરચો આકાર પામતો નથી.

અહીં જે વિવેચન કર્યું એ તો રાજ્યોનું પરિસ્થિતિવાર કરવામાં આવેલું વર્ગીકરણ છે. આ વર્ગીકરણમાં તમે જોયું હશે કે કૉન્ગ્રેસ નબળી પડી હોવા છતાં કોઈને કોઈ સ્વરૂપમાં દરેક રાજ્યમાં તે અસ્તિત્વ ધરાવે છે. હવે જે નવી વાત નજરે પડી રહી છે એ આવી છે. ૧૮૮૯ પછી પહેલીવાર એવું બની રહ્યું છે કે કૉન્ગ્રેસ બી.જે.પી. સામેના મોરચાના કેન્દ્રમાં હોવા છતાં સત્તાની દાવેદારીના કેન્દ્રમાં નહીં હોય. આવું આ પહેલાં ક્યારે ય બન્યું નથી. ૧૯૮૯નો અને ૧૯૯૬નો ત્રીજો મોરચો ગેર-કૉન્ગ્રેસી ગેર-બી.જે.પી.નો હતો. ૧૯૮૯ના ત્રીજા મોરચાને બી.જે.પી.એ બહાર રહીને ટેકો આપ્યો હતો અને ૧૯૯૬ના મોરચાને કૉન્ગ્રેસે બહાર રહીને ટેકો આપ્યો હતો. ૧૯૮૯ની વી.પી. સિંહની સરકારને  બી.જે.પી.એ ટેકો પાછો ખેચી લઈને તોડી હતી અને ચન્દ્રશેખરની સરકારને કૉન્ગ્રેસે ટેકો પાછો લઈને તોડી હતી. ૧૯૯૬ની દેવગૌડા-ગુજરાલની સરકારો કૉન્ગ્રેસે ટેકો પાછો ખેંચીને તોડી હતી.

આ વખતનો સિનારિયો કદાચ જુદો હશે. સંકેત એવા મળી રહ્યા છે અને શરદ પવાર તેમ જ રાહુલ ગાંધી બન્ને આવા સંકેત આપી પણ રહ્યા છે. ભારતભરમાં રાજ્યવાર સમજૂતી થશે અને એમાં કૉન્ગ્રેસ તેના ગજા મુજબ સ્થાન ધરાવશે. એ સ્થાન પહેલાથી ચોથા ક્રમનું કોઈ પણ હોઈ શકે. બીજું, કૉન્ગ્રેસ વડા પ્રધાનપદ માટેની સ્વાભાવિક દાવેદાર નહીં હોય અને એ સાથે મોરચામાંથી બહાર પણ નહીં રહે જે રીતે ૧૯૯૬માં બન્યું હતું. આનો અર્થ એ થયો કે ત્રીજો મોરચો રચવાની જરૂર નથી. કૉન્ગ્રેસના નેતૃત્વમાં યુ.પી.એ.ની પુનર્રચના થશે પણ માઈનસ પ્રાઈમ મિનિસ્ટરશિપ. કૉન્ગ્રેસને બહુ મોટી સંખ્યામાં બેઠકો મળે તો વડા પ્રધાનપદ મળે પણ ખરું અને ન પણ મળે. કૉન્ગ્રેસે આને માટેની અનુકૂળતા બતાવી છે અને માટે મમતા બેનર્જીને ત્રીજા મોરચા માટે બહુ પ્રતિસાદ મળતો નથી.

ત્રણ સંભાવના નજરે પડી રહી છે. એક જો કૉન્ગ્રેસને સારી એવી બેઠકો મળે તો ડૉ. મનમોહન સિંહ જેવા બિન રાજકારણી પણ આદરણીય તેમ જ સર્વસ્વીકૃત માણસને વડા પ્રધાન બનાવવામાં આવે. જો કૉન્ગ્રેસને ધારેલી બેઠકો ન મળે તો શરદ પવાર અથવા માયાવતીનો ચાન્સ લાગી શકે છે. આમાંથી કોનો ચાન્સ લાગશે એ કહેવું મુશ્કેલ છે.

સવાલ એ છે કે વિપક્ષી એકતા સધાશે તો પણ એ ટકશે? વિરોધ પક્ષોને આ વાતની ચિંતા નથી. અત્યારે તેમને જે રીતે કચડી નાખવાના પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે તેમની તાત્કાલિક જરૂરિયાત છે જાત બચાવવાની. ઊગરવાની. તેમની પૉલિટિકલ સ્પેસ જાળવી રાખવાની. તેઓ કોઈ પણ ભોગે આ કરવાના છે અને તેમાં કૉન્ગ્રેસે વડા પ્રધાનપદનો દાવો છોડી દઈને રસ્તો કરી આપ્યો છે. ત્રીજો મોરચો જ અત્યારે તો અપ્રાસંગિક લાગે છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 30 અૉગસ્ટ 2018

Loading

30 August 2018 admin
← મોટા મિયાં સાહેબ
આ ધરતી પર ઈશ્વરનું રાજ્ય સ્થાપવાનું છે, પણ કયા ઈશ્વરનું? કોના ઈશ્વરનું? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved