Opinion Magazine
Number of visits: 9449071
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોઈ શહેરની મહાનતાનું આકલન એમાં કેટલાં જોવાલાયક સ્થળો છે એના કરતાં માનવીને માનવ બનાવનારાં કેટલાં સ્થળો છે એના આધારે કરવું જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|28 February 2018

સ્ટ્રેન્ડ બુક સ્ટૉલ બંધ થઈ રહ્યો છે

કોઈ શહેરની મહાનતાનું આકલન કરવું હોય તો એ શહેરમાં કેટલાં જોવાલાયક સ્થળો છે એના આધારે કરવા કરતાં એ શહેરમાં માનવીને માનવ બનાવનારાં સ્થળો કેટલાં છે એના આધારે કરવું જોઈએ. આ સ્થળો જોવાલાયક નથી હોતાં, અપનાવવાલાયક હોય છે. યુનિવર્સિટીઓ, એની લૉનો અને કૅફેટેરિયાઓ, ગ્રંથાલયો, પુસ્તકની દુકાનો, કૉફીહાઉસો, નાટ્ય શાળાઓ, આર્ટ ગૅલરીઓ અને એવી ઇમારતોના ઓટલાઓ પરના અડ્ડાઓ શહેરને એની ઓળખ આપે છે.

એશિયાટિક સોસાયટીની લાઇબ્રેરીની ફૉયર, ડેવિડ સાસૂન લાઇબ્રેરી અને પાછળની લૉન, જહાંગીર આર્ટ ગૅલરીમાં આવેલી સમોવર હોટેલ અને બહાર ઓટલાનાં પગથિયાં, મુંબઈ યુનિવર્સિટીની લૉન, ફોર્ટ અને લૅમિંગ્ટન રોડનાં કૉફીહાઉસ, રેશમ ભવનમાંનું ટી સેન્ટર, ભારતીય વિદ્યાભવનનાં પગથિયાં, મરાઠી નાટ્યસંઘ(કેલેવાડી)ની કૅન્ટીન, પૃથ્વી થિયેટર, સાંજના ટાણે દાદરમાં છબીલદાસ સ્કૂલ, રાતના ટાણે દાદર સ્ટેશનની બહાર બબન ચાવાળાની રેંકડી, કાલબાદેવી પર એડ્વર્ડ સિનેમાની બાજુમાં ન્યુ ઍન્ડ સેકન્ડહૅન્ડ બુકશૉપ, ફોર્ટમાં સ્ટ્રેન્ડ બુક સ્ટૉલ, દાદરમાં પ્રીતમ હોટેલની બાજુમાં કોચીન હોટેલના પગથિયે ડાબેરી સાહિત્યની દુકાન એ મુંબઈના અડ્ડાઓ હતા. હતા એટલા માટે કહેવું પડે છે કે આજે માત્ર જહાંગીર આર્ટ ગૅલરીનાં પગથિયાં અને પૃથ્વી થિયેટરને છોડીને બાકીના અડ્ડાઓ બંધ પડી ગયા છે. ઇમારતો છે, અડ્ડાઓ નથી.

વિદ્વાનો, વિચારનારાઓ, વાંચનારાઓ, સર્જકો, લેખકો, કલાકારો, ઝોળાવાલા કર્મશીલો, આ લખનાર જેવા શીખવા-સમજવા માગનારાઓ આવા અડ્ડે જતા. કોઈ ત્યાંથી ખાલી હાથે પાછું આવ્યું હોય એવું જાણમાં નથી. એ આકંઠ પરબ હતી જ્યાં તરસ છિપાતી પણ હતી અને ઊઘડતી પણ હતી. જોવાલાયક સ્થળોમાં આવી અનોખી ચીજ નથી હોતી. પામવાલાયક સ્થળોએ જ આવી આકંઠ પરબ મળશે. 

આજે હવે ઊતરતી કળા છે. મુંબઈ આ બાબતે સમૃદ્ધ હતું, પરંતુ હવેથી એની સમૃદ્ધિનો અંત આવી રહ્યો છે. ગ્રંથાલયો બંધ પડી રહ્યાં છે. વાચકો મળતા નથી એવી ગ્રંથાલયો ચલાવનારાઓની સર્વસાવમાન્ય ફરિયાદ છે. ગ્રંથાલય એક એવી સાંસ્કૃિતક સંસ્થા છે જેમાં થોભવાની અનુમતિ નથી. નવાં-નવાં પુસ્તકો બજારમાં આવે એ ખરીદતાં જવાં પડે અને ગ્રંથાલયની સમૃદ્ધિ વધારતી રહેવી પડે, પછી વાચકો હોય કે ન હોય. પ્રજા વાંચતી થશે એ પછી પુસ્તકો વસાવતાં જઈને પાછી લાઇબ્રેરીને જીવતી કરીશું એવી છૂટ એમાં નથી. વાચકો નથી માટે નવાં પુસ્તકો નહીં વસાવીએ એવું એમાં નથી ચાલતું. આ સ્થિતિમાં એકલદોકલ વાચક માટે  પુસ્તક ખરીદવાનો ખર્ચો ન કરવો પડે એટલે માટે સંચાલકો સમૂળગા ગ્રંથાલયને સંકેલી લે છે. મુંબઈમાં ૮૦ ટકા નાનાંમોટાં ગ્રંથાલયો બંધ પડી ગયાં છે એવું મારું અનુમાન છે અને મને ખોટા પડવાનો ડર નથી.

આ લખનાર મૅટ્રિકમાં બે વાર નાપાસ થયો હતો. દેશમાં દસમા ધોરણ સુધી ભણીને મુંબઈ આવ્યો ત્યારે મુંબઈનું શિક્ષણ અઘરું લાગતું હતું. બીજી વાર નાપાસ થયા પછી ભણવામાંથી મન ઊઠી ગયું. હતાશાના એ દિવસોમાં ભારતીય વિદ્યાભવનની લાઇબ્રેરીએ મારો હાથ ઝાલ્યો હતો. એક સારા સંવેદનશીલ અભિરુચિયુક્ત માણસ બનવા માટે જે વાંચવું જોઈએ એ બધું જ ત્યાં વાંચવા મળ્યું હતું. બારી-દરવાજા ઊઘડતાં ગયાં અને ક્ષિતિજો વિસ્તરતી ગઈ. મુંબઈમાં અને અન્યત્ર અનેક લોકો મારા જેવા હશે જેઓ પુસ્તકો દ્વારા, કલાકૃતિનાં માધ્યમો દ્વારા, કલાકારો અને વિચારકો દ્વારા અને અડ્ડાના દોસ્તો દ્વારા જીવન સાર્થક કરી શક્યા હશે. શિક્ષણસંસ્થાઓમાં જીવન જીવવા માટે ડિગ્રીઓ આપવામાં આવે છે. બાકી અભિજાત માણસની દીક્ષા આવા અડ્ડાઓ પર મળે છે.

મુંબઈ યુનિવર્સિટીની લૉન આવો એક મોટો અડ્ડો હતો જ્યાં હવે બેસવા દેવામાં આવતા નથી. છોકરા-છોકરી પ્રેમ કરવા માટે લૉનનો ઉપયોગ કરે છે એની સામે તેમને વાંધો છે. બે જણ પ્રેમ કરે એની સામે પણ કોઈને વાંધો હોય એવા જગતના થોડાક દેશોમાં ભારત પણ સ્થાન ધરાવે એ જોઈને શરમ આવે છે. પ્રેમ કરનારાઓ શરમાતા નથી તો સત્તાવાળાઓ શા માટે શરમાય છે? શરમાવું જ હોય તો શરમાવા જેવું ઘણું બની રહ્યું છે કૅમ્પસમાં. તેમને જાણ નથી કે લૉનમાં બેસીને ગપ્પાં મારનારાઓ ક્રાન્તિ સર્જી‍ શકે છે. ૧૯૨૪થી ૧૯૩૬ના ગાળામાં વિયેના યુનિવર્સિટીની લૉનમાં બેસનારા વિચારકોએ પાશ્ચત્ય દર્શનશાસ્ત્રમાં મોટી વૈચારિક ક્રાન્તિ સર્જી‍ હતી. એ જૂથ ત્યારે વિયેના સર્કલ તરીકે ઓળખાતું હતું જેણે અત્યારે સ્કૂલ ઑફ થૉટની જગ્યા લઈ લીધી છે. એ જૂથમાં વિજ્ઞાનીઓ અને ટેક્નૉક્રેટો પણ હતા. યુનિવર્સિટીના સતાવાળાઓને જાણ નથી કે લૉનમાં ચર્ચા કરનારાઓ આવતી કાલના માર્ક્સ અને એન્ગલ્સ હોઈ શકે છે, વૉલ્તેર અને રુસો ઝઘડતા હોઈ શકે છે અને છોકરાઓ-છોકરીઓમાં કોઈ સાર્ત્ર અને સિમો બુવર પણ હોઈ શકે છે.

જગત આખામાં આધુનિક યુગમાં જેટલી ક્રાન્તિઓ થઈ છે અને પરિવર્તનો થયાં છે એની શરૂઆત આવા અડ્ડાઓથી થઈ છે. જગત આખામાં જેટલાં સાંસ્કૃિતક સર્જનાત્મક આંદોલનો થયાં છે એ આવા અડ્ડાઓ થકી થયાં છે. મહાન કૃતિઓનું પ્રથમ પઠન અને પરિમાર્જન આવા અડ્ડાઓમાં થયું છે. અનેક વિચારબીજ અને કથાબીજ આવા અડ્ડાઓમાં રોપાયાં છે. અડ્ડાઓ મૌલિકતા, સર્જકતા અને પરિવર્તનની ફળદ્રુપ ભૂમિ છે એટલે આજની પ્રસ્થાપિત વ્યવસ્થાને તેઓ પરવડતા નથી. નવમૂડીવાદી વ્યવસ્થાએ માણસને એટલો રઘવાયો કરી મૂક્યો છે કે હવે તે શાંતિ મેળવવા બાપુઓના મંડપમાં જાય છે, નવી ઊર્જા‍ મેળવવા અડ્ડાઓમાં નથી જતો. નવચેતન અને નવસર્જન પ્રસ્થાપિત વ્યવસ્થાને પડકારશે એનો તેને ભય છે એટલે તેમને ઘાણીનો બળદ બનાવી મૂકવામાં આવ્યો છે જેના પરિણામે અડ્ડાઓ બંધ થઈ રહ્યા છે.

થોડાં વરસ પહેલાં કાલબાદેવીની ન્યુ ઍન્ડ સેકન્ડહૅન્ડ બુકશૉપ બંધ થઈ ગઈ. જમાલભાઈ રતનશી નામના ખોજા વેપારીએ ૧૯૦૫માં નવા અને જૂનાં પુસ્તકોની દુકાન શરૂ કરી હતી. એક વાત નોંધવા જેવી છે કે સેકન્ડહૅન્ડ પુસ્તકોના વ્યવસાયમાં ખોજા અને વહોરા મુસલમાનો જ અગ્રેસેર રહ્યા છે. ગ્રાન્ટ રોડ સ્ટેશનની બહાર સેન્ટ્રલ ક્રૉકરીની જ્યાં દુકાન છે એ પહેલાં જૂનાં પુસ્તકોની દુકાન હતી અને એના માલિક વહોરા છે. તેમણે હવે વ્યવસાય બદલી નાખ્યો છે. કોકિલ નામની જૂનાં પુસ્તકોની દુકાન એક જમાનામાં ન્યુ ઍન્ડ સેકન્ડહૅન્ડ બુકશૉપ જેવી જ નામના ધરાવતી હતી. પહેલાં એ મોહમ્મદ અલી રોડ પર હતી. પછી ફોર્ટમાં કાવસજી પટેલ રોડ પર ખસેડાઈ હતી અને અત્યારે હવે એ બંધ પડી ગઈ છે. કોકિલના માલિક પણ મુસલમાન હતા.

મુંબઈમાં તમને ક્યાં ય ન મળે એ પુસ્તક ન્યુ ઍન્ડ સેકન્ડહૅન્ડ બુકશૉપમાં મળી જાય. ત્યાં ચન્દ્રકાંતભાઈ નામના એક મૅનેજર-કમ-સેલ્સમૅન હતા. હજારો પુસ્તકોને સમાવવા માટે દુકાન નાની પડતી હતી અને ઘોડા ઓછા પડતા હતા. ઘોડા કરતાં ચારગણાં પુસ્તકો થપ્પીમાં હોય. તમે પુસ્તક માગો અને જો હોય તો ચન્દ્રકાંતભાઈ થપ્પી ચીંધીને માણસને કહે કે એમાંથી કાઢી આપ. કોઈ સેટ અધૂરો હોય તો ન્યુ ઍન્ડ સેકન્ડહૅન્ડવાળા ધીરે-ધીરે પૂરો કરી આપે. કોઈ વિદ્વાન કોઈ ખાસ વિષય પર કામ કરતો હોય અને એને લગતાં પુસ્તકો શોધતો હોય તો ચન્દ્રકાંતભાઈ દુકાનમાં આવેલું એ વિષયને લગતું સેકન્ડહૅન્ડ પુસ્તક એ વિદ્વાનને બતાવ્યા વિના વેચાણમાં ન મૂકે. પહેલો ચાન્સ એ સંશોધકનો. હું જ્યારે ‘સમકાલીન’માં નોકરી કરતો હતો ત્યારે ‘સમકાલીન’ વતી ટાઉનહૉલમાં યોજાયેલા પુસ્તક-પ્રદર્શનનું ઉદ્ઘાટન ન્યુ ઍન્ડ સેકન્ડહૅન્ડ બુકશૉપના માલિક પાસે કરાવ્યું હતું અને દુર્ગા ભાગવત એમાં ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

ન્યુ ઍન્ડ સેકન્ડહૅન્ડ પછી હવે જેને મુંબઈની આઇકૉનિક બુકશૉપ તરીકે ઓળખાવવામાં આવતી હતી એ સ્ટ્રેન્ડ બુક સ્ટૉલ બંધ થઈ રહ્યો છે. ટી.એન. શાનબાગે ૧૯૪૯માં કોલાબામાં આવેલ સ્ટ્રેન્ડ સિનેમાની ફૉયરમાં પુસ્તકની દુકાન શરૂ કરી હતી અને એને નામ પણ સ્ટ્રેન્ડ બુક સ્ટૉલ આપ્યું હતું. એ દુકાન વાસ્તવમાં સ્ટૉલ સમાન જ હતી. ૧૯૫૩માં તેમણે દુકાન ફોર્ટમાં ફિરોજશાહ મહેતા રોડ પર ખસેડી હતી, પણ નામમાં સ્ટૉલનું સ્ટોર નહોતું કર્યું, જ્યારે દુકાનનું સ્વરૂપ સ્ટૉલનું સ્ટોર જેવું થઈ ગયું હતું.

શાનબાગ વિશે એમ કહેવાય છે કે તેમણે લોકોને વાંચતા કર્યા હતા. દુકાનમાં પ્રવેશતા દરેક ગ્રાહક પર તેમની નજર હોય. ચોરી ન કરે એટલા માટે નહીં, પણ એ ક્યાં ઠરે છે એ જાણવા માટે. એક પછી એક શેલ્ફ જોતા-જોતા ગ્રાહકના પગ જ્યાં અટકી જાય ત્યારે ત્યાં તે ગ્રાહક શાનબાગ માટે વાચક બની જાય. એ પછી શાનબાગ પોતે મદદમાં આવે. જે લેખકનું પુસ્તક વાચકના હાથમાં હોય એ લેખકનાં બીજાં પુસ્તકોની પણ જાણકારી આપે. ટી.એન. શાનબાગ એવા માલિક હતા જેઓ કૅબિનમાં ક્યારે ય બેઠા નથી. સ્ટ્રેન્ડ બુક સ્ટૉલ જેમ સાચા વાચકોનો અડ્ડો હતો તો અંગ્રેજીમાં જેને સ્નોબિશ કહી શકાય એવા ઉચ્ચભ્રૂ ભદ્રજનોની પણ અહીં આવનજાવન હતી. સ્ટ્રેન્ડની વિઝિટ એ જમાનામાં એલીટ વર્ગ માટે મસ્ટ ગણાતી.

ગોરેગામમાં ફિલ્મસિટીમાં જાઓ અને કોઈ કલાકાર જોવા મળે એમ ફોર્ટમાં સ્ટ્રેન્ડમાં જઈએ તો કોઈ ને કોઈ મોટો માણસ જોવા મળે. વીસમી સદીમાં બૌદ્ધિક વિશ્વમાં ખ્યાતિ ધરાવતો ભાગ્યે જ કોઈ વિદ્વાન હશે જેણે સ્ટ્રેન્ડની મુલાકાત નહીં લીધી હોય. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના શામ લાલ અને ગિરિલાલ જૈન, ‘મહારાષ્ટ્ર ટાઇમ્સ’ના તંત્રી ગોવિંદ તલવલકર, મુલ્કરાજ આનંદ, ખુશવંત સિંહ વગેરે સ્ટ્રેન્ડની નિયમિત મુલાકાત લેતા. એમ કહેવાય છે કે આચાર્ય રજનીશ ભગવાન બન્યા એ પહેલાં સ્ટ્રેન્ડની મુલાકાતે નિયમિત જતા. જવાહરલાલ નેહરુ વરસમાં એક વાર સ્ટ્રેન્ડમાં પુસ્તકો જોવા અને ખરીદવા જતા એમ શાનબાગ પોતે કહેતા. નેહરુ જ્યારે બીજી વાર સ્ટ્રેન્ડમાં આવ્યા ત્યારે તેમણે શાનબાગને તેમને જે પુસ્તકો જોઈતાં હતાં એની યાદી આપી હતી. નેહરુને સમજાઈ ગયું હતું કે આ યુવક પુસ્તકો વેચતો નથી પરંતુ પુસ્તકોને અને વાચકોને પ્રેમ કરે છે, તેમની જરૂરિયાત પૂરી કરી આપે છે.

મુંબઈમાં પહેલાં ક્રૉસ મેદાનમાં શિયાળામાં પુસ્તકમેળા થતા હતા. એમાં ક્યારે ય શાનબાગનો સ્ટૉલ હોય નહીં. મેં ‘સમકાલીન’ માટે તેમની મુલાકાત લીધી ત્યારે આ સવાલ તેમને પૂછ્યો હતો. શાનબાગે કહ્યું હતું કે જે વાંચે છે તે સ્ટ્રેન્ડમાં આવે છે અને અમે માત્ર એટલી જ તકેદારી રાખીએ છીએ કે તેને આવવું પડે. ૨૦૦૭માં શાનબાગ ગુજરી ગયા પછી તેમનાં પુત્રી વિદ્યા વિરકરે વાચકે આવવું જ પડે એની તકેદારી રાખી નહીં એ પણ સ્ટ્રેન્ડ બુક સ્ટૉલ બંધ થઈ જવા પાછળનું કારણ છે. શાનબાગે તૈયાર કરેલા અને સ્ટ્રેન્ડમાંથી બહાર નીકળેલા લોકો ફોર્ટમાં કિતાબખાના નામની પુસ્તકની દુકાન ચલાવે છે અને એ ઠીક-ઠીક ચાલે છે. કિતાબખાના ક્ષેત્રફળમાં ઘણી મોટી દુકાન છે, પણ શાનબાગનો સ્ટૉલ એકમેવ અદ્વિતીય હતો.

હા, તો આપણે પુસ્તકમેળાની વાત કરતા હતા. ૧૯૮૫ પછી કોઈ સમયે પુસ્તકમેળા યોજાતા બંધ થઈ ગયા. વળી ચાર-પાંચ વરસ પછી પૉપ્યુલરવાળા રામદાસ ભટકળે સાંતાક્રુઝમાં SNDTના ગ્રાઉન્ડમાં પુસ્તકમેળા યોજવાનું શરૂ કર્યું, પણ એમાં પણ સફળતા નથી મળી. દોઢ કરોડની વસ્તી ધરાવતા શહેરમાં છેલ્લાં પચીસ વરસથી બુક-ફેર નથી યોજાતા એ જોતાં કલ્પના કરો કે આ શહેરની સાંસ્કૃિતક દરિદ્રતા કેવી હશે!

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ’સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 26 ફેબ્રુઆરી 2018

Loading

28 February 2018 admin
← ભારતની લોકશાહીને લૂણો લાગ્યો?
ભૂસાતાં હોળીચિત્રો : હોળૈયાં અને હારડા →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved