Opinion Magazine
Number of visits: 9448916
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્થાપિતોની હિતરક્ષા માટેનું લોકતંત્ર : સેતુરામન, ગુલામ હુસેન અને આપણે સૌ

પ્રવીણ પંડ્યા|Opinion - Opinion|19 December 2017

વાત ભારતીય નાગરિક  અને લોકતંત્રની છે. એ કહેવા માટે મારી પાસે ઘણા જીવંત ચરિત્રો છે. એ મદુરાઈમાં વસતા ટેક્ષી ડ્રાઈવર સેતુરામન હોઈ શકે છે, અથવા શ્રીનગરમાં વસતા ગુલામ હુસેન હોઈ શકે છે. એ પૌરાણિક વિદિશાનગરીનો અબુ ઘોડાગાડીવાળો પણ હોઈ શકે છે અથવા તો એ જગન્નાથપુરીમાં ફેનિલ વાવાઝોડા વચ્ચે મળેલી દુર્ગા ચાવાળી ય હોઈ શકે છે અને કોલકાત્તાના હાવડા બ્રિજ ચાર રસ્તે મળેલો કવિ નહીં બની શકેલો કોન્સ્ટેબલ પણ હોઈ શકે છે. મારા જેવા એક અણઘડ માણસમાં આ દેશની સાંસ્કૃિતક પરંપરા અને રાજનીતિની જે આછી પાતળી સમજણ પણ વિકસી છે તે કાંઈ માત્ર મોટા મોટા સાહિત્યકારોને કે રાજકીય વિચારકોને વાંચી-સાંભળીને જ નથી વિકસી પણ એમાં અહીં જણાવ્યા એવા અનેક જીવંત ચરિત્રોનો ફાળો છે. આ બધા આજે એટલે યાદ આવે છે કે આજે પણ આ લોકો ભારતના જુદા જુદા ભૂભાગો પર પોતાની રોજીરોટી અને ખુશહાલ જિંદગી માટે સંઘર્ષ કરી રહ્યા છે પણ શમશેર કહે છે તેમઃ ‘પતા નહીં ક્યું મહજ બાદલો કે દો તાર ક્યું ઉસે ઉલઝા દેતે હૈ.’

આજે આપણને અકળાવી મૂકે એવો સવાલ તો એ હોવો જોઈએ કે આ ચૂંટણીનો ઉપક્રમ શેના માટે? મુઠ્ઠીભર સ્થાપિત હિતોની રખેવાળી કરે એવું વહીવટી તંત્ર સ્થાપવા માટે કે કોઈ સૈદ્ધાંતિક-વૈચારિક ભૂમિકા લઈ વ્યાપક હિત માટે કામ કરે એવાં સત્તા મંડળો રચવા માટે?  આ પ્રશ્ન પાસેથી જ ભારતીય લોકતંત્રનું આંખમાં પાણી લાવી દે એવું ટ્રેજિક-કોમિક નાટક આરંભાય છે. અહીંથી જ લોકંત્રમાં જનતાના મત અને મુઠ્ઠીભર સ્થાપિતોની મરજી વચ્ચેનો સંઘર્ષ આરંભાય છે. મહેરબાની કરી મારી વાતને અતિશયોક્તિ ન માનતા, આટલાં વર્ષોમાં આપણે મુઠ્ઠીભર સ્થાપિતોના હિત માટે નહીં પણ વ્યાપક હિત માટે કામ કરે એવાં સત્તામંડળો સ્થાપવામાં વિફળ રહ્યા છીએ. કોટી કોટી સેતુ રામન, ગુલામ હુસેન, અબુ કે દુર્ગા શું ચાહે છે? એ જ કે એને એવું વહીવટી તંત્ર મળે જે એની સુખાકારી માટે, એને સ્પર્શતા હોય એવા મુદ્દા માટે તહેદીલથી કામ કરે. પણ થાય છે તદ્દન વિપરીત. મત એનો લેવાય છે અને સરકારો રચાય છે મુઠીભર લોકોના હિતોની રક્ષા માટે ખડે પગે રહે અને આમને સૌને નોંધારા મૂકી દે એવું સત્તા તંત્ર રચાવાતો. એના મતથી સરકાર રચવા મથતા પક્ષો એવા મુદ્દા લઈ આવે છે જેને એની  સુખાકારી કે બહેતરી સાથે કોઈ જ સબંધ નથી હોતો પણ એ મુદ્દાઓના કારણે એનું જીવવું ઝેર બની જાય છે.

ચારેક વર્ષ પહેલાં દિવાળીના સમયે કેરળ અને તામિલનાડુના પ્રવાસે એકલો ગયેલો. મદુરાઈથી મારી સાથે સેતુ રામન નામના ઊંચા દુબળા શ્યામ રંગી ટેક્ષી ડ્રાઈવર ભાઈ હતા. શોફરનો સફેદ લેબાસ, ભાંગી તૂટી તમિળ છાંટવાળી અંગ્રેજી હિંદી. દિવાળીના સમયે દક્ષિણમાં ચોમાસુ હોય છે. અમે વરસતા વરસાદમાં મદુરાઈથી રામેશ્વરમ્‌ જઈ રહ્યા હતા. રસ્તામાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની જે બસો મળે તે પીળા અને લીલા રંગના વિચિત્ર ચટાપટા વાળી હતી એટલે મેં એમને પૂછ્યું કેઃ

‘હમારે યહાં ગુજરાત મેં તો પહેલે સે એક હલકે બ્લૂ રંગ કી સ્ટેટ ટ્રાન્સપોર્ટ કી બસે હોતી હૈં, યહાં યહ પીલે ઔર હરે રંગ કી લકિરોં મેં ઉલઝી હુઈ બસે ક્યું હૈ.’

સેતુરામને જવાબમાં દક્ષિણી હિંદીમાં કહેલું કે : ‘યહ હમારા પોલિટિકલ કોમ્પ્રોમાઈઝ હૈં, પહલે યહ હોતા થા કિ જૈસે અમ્મા પાવર મેં આતી થી સ્ટેટ ટ્રાન્સપોર્ટ કી બસોં કા રંગ પીલા હો જાતા થા ઔર જેસે હી કરુણાનિધિ આતે થે તો બસો કા રંગ હરા હો જાતા થા. ફિર બાર બાર રંગ બદલને કી ઝંઝટ સે બચને કે લિએ હમને પીછલે કુછ સાલોં કે યહ રાસ્તા નિકાલા હૈં. હરે પીલે પટ્ટે વાલી બસે કર દી હૈ. હું વરસાદમાં દોડતા રાજનીતિના સુવર્ણ મૃગ જેવી એ લીલા-પીળા પટ્ટાવાળી બસો જોઈ રહ્યો.

આગળ જતાં રામેશ્વરમ્ ‌બ્રિજ પર ગાડી ખડી કરી સેતુરામને મારા ફોટા પાડ્યા અને પછી નીચે વહેતા સમુદ્રના પાણીમાં ખોવાઈ ગયા. રામેશ્વરમ્‌થી દરિયામાં થોડે આગળ શ્રીલંકાની હદ શરુ થાય, અહીં જ એ રામસેતુ પણ છે. સેતુરામન અચાનક વ્યક્તિ મટી ઇતિહાસનું એ ફલક બની ગયા, જેમણે દક્ષિણનું પ્રાદેશિક તમિળ પોલિટિક્સ પછીનું અને પહેલાંનું તામિલનાડુ જોયું હતું. સાતમાં દાયકામાં અન્ના દુરાઈએ તમિળોની પ્રદેશવાદી રાજનીતિ આરંભી તે પહેલાં અહીં રાષ્ટ્રીય પક્ષ તરીકે કૉંગ્રેસનો દબદબો હતો. મદુરાઈના  મ્યૂિઝયમમાં ગાંધી અહીં આવ્યા એનો ઇતિહાસ દર્જ છે. મદુરાઈ પાસેના જ કોઈક ગામડાંમાં ગાંધીએ જર્જરીત કપડાંમાં ભૂખ્યા ગરીબોને જોયા, ખાસ તો એક વૃદ્ધ સ્ત્રીને જોઈ, અને પછી એક જ વસ્ત્ર ધારણ કરવાનો નિર્ણય લીધો. ગાંધીની રાજનીતિને કામરાજે બરાબર અનુસરેલી. આપણે સહુ કામરાજને ઈંદિરા ગાંધીના તરફદાર અથવા ખાસમખાસ તરીકે જાણીએ છીએ પણ કામરાજનું સાચું સ્વરૂપ નથી જાણતા. સેતુરામન જાણે છે. રામેશ્વરમ્‌ના બ્રિજ પર ખોવાયેલા સેતુરામન ગાડીમાં બેઠા પણ ગાડી ચાલુ ન કરી. બહાર જોતા રહ્યા. પછી એણે મને કહ્યું કે એનો જન્મ પચાસેક વર્ષ પહેલાં એ સમયે થયેલો, જ્યારે એના પિતા કામરાજની ગાડી ડ્રાઈવ કરતા હતા અને એ વખતે આ પુલ પરથી રામેશ્વરમ્‌ ગયેલા. જ્યારે એમને પુત્રજન્મની વધામણી મળી તો એમણે એનું નામ સેતુરામન રાખ્યું.

સેતુરામન અત્યારે ચાલતી તમિળ રાજનીતિથી ત્રસ્ત છે. એ વિચારે છે કે મારા રાજ્યની સરકારો અહીં વસતા નાગરિકોની ચિંતા કરવાને બદલે શ્રીલંકામાં વસતા તમિળોની ચિંતા કેમ વધારે કરે છે? હવે તો લિટ્ટે નહીં બરાબર છે, પણ ત્યારે લિટ્ટેને અહીંથી ભરપુર સમર્થન મળતું. આ આગવી રાજનીતિ – ‘આગવા તમિલનાડુ’ની અન્ના દુરાઈએ શરૂ કરેલી. એ વખતના સીને સ્ટાર એમ.જી. રામચંદ્રન્‌ અને કરુણાનિધિ એમના  શિષ્યો, પછી બંનેની અલગ અલગ તમિળ પાર્ટી બની જે આજ સુધી વારાફરતી સત્તા ભોગવી રહી છે. પણ આમાં સેતુરામને શું ગુમાવ્યું? એ કામરાજને યાદ કરતા કહે છે કે તેઓ માત્ર એક નાનકડી સુટકેસ સાથે ફરનારા રાજનેતા હતા જેમાં બે-ત્રણ લુંગી અને પહેરણ હોય. કોઈ એક વાર મદુરાઈના એક ઉત્સાહી મ્યુિનસિપાલિટી પ્રમુખે એમની માતા રહેતી હતી એ ઘરમાં હેન્ડપંપ નંખાવી આપ્યો, એને હતું કે કામરાજ ખુશ થશે, શાબાશી આપશે, પણ થયું વિપરીત. કામરાજે પૂછ્યું કે આખી શેરીની સ્ત્રીઓ ક્યાંથી પાણી લે છે? જવાબ મળ્યો કે શેરીના નાકે જે સાર્વજનિક હેન્ડપંપ છે ત્યાંથી. એમણે તાત્કાલિક પોતાના ઘરનો હેન્ડપંપ હટાવવા આદેશ આપ્યો અને કહ્યું જો અહીંની બધી સ્ત્રોઓને એ હેન્ડપંપ સુધી જવામાં તકલીફ ન પડતી હોય તો મારી માને ન પડવી જોઈએ.

આ હતી લગભગ ૧૯૬૫-૭૦ સુધીની તમિલનાડુની રાજનીતિ, જેના પર પડદો ત્યારે પડ્યો જ્યારે શ્રીલંકામાં તમિળ સમસ્યા શરુ થઈ અને નેહરુએ એવું સ્ટૅન્ડ લીધું કે પડોશી દેશમાં ચાલતી આવી ચળવળને આપણે સમર્થન ન આપી શકીએ. બીજા દેશમાં આ રીતનો હસ્તક્ષેપ એના સાર્વભૌમત્વ પર પ્રહાર કરવા સમાન છે. પછી ઈંદિરાથી લઈને રાજીવ સુધીનાએ આ નીતિ પર અમલ કર્યો અને ક્રમશઃ તામિળનાડુની રાજનીતિમાંથી કૉંગ્રેસ સાફ થઈ ગઈ. રાજીવ ગાંધીની હત્યા પાછળ પણ આ નૈતિકતા જવાબદાર હતી. સેતુરામનના કહેવા પ્રમાણે આજે પણ શ્રીલંકામાં તમિળ ચેનલો અને ફિલ્મોની બોલબાલા છે અને તામિળ રાજનીતિમાં શ્રીલંકન તમિળોનો મુદ્દો ચૂંટણી દર ચૂંટણી જોર પકડતો રહે છે જેની સામે તામિળનાડુની ગરીબ જનતાના મુદ્દા ઉવેખાતા રહે છે.

કાશ્મીરના શ્રીનગરમાં વસતા ગુલામ હુસેનની વાત પણ સાંભળીએ તો એવું લાગે કે જાણે સેતુ રામન જ કોઈ અલગ રંગભૂષા-વેશભૂષા અને ભાષામાંંં બોલી રહ્યા છે. એમને મારે ૨૦૧૩માં મળવાનુ થયેલું અમરનાથ યાત્રા પ્રસંગે. મેં આ યાત્રા એટલે કરી હતી કેમ કે અહીં બેઠા બેઠા કાશ્મીર સમસ્યા પર બોલો એનો કોઈ અર્થ નથી. યાત્રાની વાત બાજુ પર રાખી મૂળ વાત પર આવું તો આ એ યાત્રા દરમિયાન ચાર દિવસ ગુલામ હુસેન સાથે રહેવાનું થયેલું. આ વ્યવસ્થા પણ  દાલ લેક પરની એક ટ્રાવેલિંગ ઍજન્સીમાં કામ કરતા ભરુચના વ્હોરા મુસ્લિમ ગુજરાતી ભાઈએ  કરી આપી હતી. પહેલે દિવસે અમે સોનમર્ગ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં એક દુબળો-પાતળો સુંદર નાક-નકશીવાળો યુવાન ટેક્ષી ઊભી રખાવી વાત કરતો હતો. બોલતા બોલતા એ અટકતો હતો. ગુલામ હુસેને અમારી ઓળખાણ કરાવી તો એણે દુઆ-સલામ કર્યાં. પછી ગયો. પણ મારા મનમાં રહી ગયો. મેં જોયું કે ગુલામ હુસેન પણ ગાડી ચલાવતા હતા પણ ચિંતિત હતા. બીજે દિવસે બપોરે લંચ પછી આછા તડકામાં સિગરેટ ફૂંકતા ફૂંકતા એમણે પોતાનું મન ખોલ્યું.

એમણે કહ્યું કે એ એક જ અમારા ઘરમાં ભણેલો ગણેલો છે. ત્રણ છોકરામાં સહુથી નાનો. બાકીના બે મજૂરી કરે છે. પાક્કા નમાઝી છે. ત્રણેક વર્ષ પહેલાં આ સહુથી નાનો કૉમર્સ ગ્રેજ્યૂએટ થયો અને એને થયું કે પરિવારની સ્થિતિ સુધારવા કંઈક ધંધો કરુ. એણે ટ્રાવેલિંગ ઍજન્સી શરુ કરી. કાશ્મીરમાં અમરનાથ યાત્રાના ત્રણ ચાર માસ એમને માટે કમાવવાનો સમય હોય છે. એક વર્ષ એ બરાબર કમાયો. બીજા વરસે એણે બજારમાંથી પાંચેક લાખ રુપિયા ઉઠાવીને ધંધો વિસ્તાર્યો, પણ એમાં અચાનક હુર્રિયતે બંધનું એલાન આપ્યું. અમરનાથ યાત્રા પર પથ્થરમારો થયો. યાત્રા સ્થગિત થઈ. ગુલામ હુસેનનો દીકરો લૂંટાઈ ગયો. આગળની ઘટના ટૂંકાવીને કહું તો પણ એનો દુઃખદ ભાગ એ છે કે એક રાતે આ છોકરાને આર્મીવાળા ઉઠાવીને લઈ ગયા. કોઈકે અરજી આપી હતી કે એ ટ્રાવેલિંગની આડમાં આતંકવાદીઓને સહાય કરે છે. અઠવાડિયા પછી માથામાં ઇજા સાથે પાછો ફર્યો. ત્યારથી તોતડાય છે. હવે કંઈ કામ નથી કરી શકતો. ગુલામ હુસેનના જણાવ્યા પ્રમાણે યાસીન મલિકથી લઈને કશ્મીરિયતના મુદ્દે રાજનીતિ કરતા બીજા ઘણા હુર્રિયત નેતાઓના છોકરા ઇંગ્લૅન્ડ કે અમેરિકામાં ભણે છે પણ ગુલામ હુસેનનો છોકરો … શું તમિળનાડુ કે શું કાશ્મીર કે શું પંજાબ કે શું આસામ? બધે ત્યાંના રહીશોને સ્નાન સૂતકનો ય સબંધ ન હોય એવા મુદ્દે રાજનીતિ થાય છે. સરકારો તૂટે છે અને બને છે પણ સેતુરામન હોય કે ગુલામ હુસેન …..એમની સ્થિતિ બદથી બદત્તર થતી જાય છે.

‘નિરીક્ષક’ના વાચકને જરૂર પ્રશ્ન થશે કે હું ગુજરાતની ચૂંટણી ટાણે આ તામિલનાડુ અને કાશ્મીરની કેમ વાત કરું છું? પણ મને, અને બીજા કેટલાકને દેખાઈ રહ્યું છે કે છેલ્લા બાવીસ વર્ષથી આપણને આગવા ગુજરાત, ગુજરાતની અસ્મિતા, ગુજરાતનું ગૌરવ, ગુજરાતના પનોતા પુત્ર આદિ આદિ સ્લોગનો દ્વારા જે માર્ગે ધકેલવામાં આવી રહ્યા છે, તે માર્ગ આપણને તામિલનાડુ કે કાશ્મીર જ બનાવવા તરફનો છે. અત્યારે ગુજરાતની ચૂંટણીમાં ગુજરાતની કે ગુજરાતના નાગરિકની વાત સત્તાધારી પક્ષ ભા.જ.પે. હાંસિયામાં મૂકી દીધી છે. પાકિસ્તાનને શું લેવાદેવા આપણી ચૂંટણી સાથે? વિપક્ષના નેતા મંદિરમાં જાય કે ન જાય તેથી શું ફેર પડે છે ગુજરાતના ગરીબ નાગરિકને? અને ખેડૂત, યુવાન, દલિત આદિના વિકાસની કે ગુજરાતના વિકાસની વાત કેમ નથી થતી. ઊનામાં જે દલિતોની ચામડી ઉતરડી નાખવામાં આવી એ શું ગુજરાત મોડલ છે? કે પછી થાનગઢ? કે પછી પાટીદાર આંદોલન? ગુજરાતની યુનિવર્સિટીઓ અને અકાદમીનું શું? ચૂંટાયેલી સરકાર ગમે તે પ્રજાકીય સંસ્થાનું લોકતંત્ર અભડાવી એની સ્વાયત્તતા નાબૂદ કરી પોતાનું આપખુદ શાસન રચે એ છે તમારી રાજનીતિ? અને જે આ મૂળભૂત પ્રશ્ન ઉઠાવે તે દેશદ્રોહી? ગુજરાત વિરોધી? આ તો નહીં ચાલે, ભાઈ. તમે ભા.જ.પ. તરીકે આ કરો તો પણ નહીં અને કૉંગ્રેસ તરીકે કરો તો પણ નહીં.

આપણે ચૂંટણી દર ચૂંટણી પ્રજાના જીવન ધોરણ સાથે નિસબત ન ધરાવતા અને લોકતંત્રના અંગે અંગમાં રોગ પ્રસરાવતા ધર્મ-જાતિ-કે શત્રુ દેશ જેવાં મુદ્દાઓના ઘોંઘાટ વચ્ચે જ મત આપીએ છીએ, આપણી સાથે સ્નાન-સૂતકનો ય સબંધ ન ધરાવતા આ બે કે ત્રણ મુદ્દા વચ્ચે આપણે શું પસંદ કરવું એની વિમાસણમાં મૂકાઈએ છીએ. આપણે એ તમામ મુદ્દાઓને હડસેલીને એમ નથી કહી શકતા કે આ તમિલિયત – કશ્મીરિયત કે ગુજરાતીયતની, ભારત પાકિસ્તાનની, કે મંદિર-મસ્જિદની  નિરર્થક રાજનીતિ બંધ કરો અને અમારું દળદર ફીટે એવું કંઈક કરો. પ્રશ્ન એ છે કે કરોડો અબજો રુપિયાના ખર્ચે ચાલતું આ લોકતંત્ર છેક છેલ્લે ઊભેલા માણસને જરા જેટલું ય અજવાળુ કે આશા આપી શકે છે ખરું? કે પછી પાંચ પચ્ચીસ સ્થાપિતોના દિવાનખંડો જ ઝળહળતા કરે છે આપણાં રક્તથી.

તારીખ : ૧૩-૧૨-૨૦૧૭

E-mail : pjagjivandas@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2017; પૃ. 03-04

Loading

19 December 2017 admin
← એક અજાણ્યા ગાંધીની આત્મકથા
General Elections 2019-Left should be part of Secular Democratic Alliance →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved