Opinion Magazine
Number of visits: 9447186
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રા.બી.એમ.મૂળે : એક વિદ્યાર્થી-વત્સલ આચાર્ય, સન્નિષ્ઠ અધ્યાપક અને રુચિસંપન્ન સજ્જ્નની વિદાય

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|9 July 2017

મૂળે સાહેબ કઠણાઈઓ અને કનડગત વચ્ચે  પણ ધીરોદાત્ત રહ્યા હતા …

વિદ્યાર્થીઓના જ કલ્યાણ માટે કાર્યરત રહેનારા પૂર્વ આચાર્ય, અર્થશાસ્ત્રના મહેનતુ અધ્યાપક, ગુજરાતી વિશ્વકોશના સમાજવિદ્યા વિભાગના મુખ્ય સંપાદક અને તેના સેંકડો નાનાં-મોટાં પ્રકરણોના લેખક બાળકૃષ્ણ માધવરાવ મૂળેનું 24 જૂને નેવ્યાંશી વર્ષની વયે અમદાવાદમાં તેમના ઘરે વૃદ્ધાવસ્થાને કારણે અવસાન થયું. આમ તો, નિવૃત્તિ પછી પણ મૂળે સાહેબ સતત વાચન-લેખન કરતા. અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર અને પાટણની કૉલેજોમાં તે ભણાવવા પણ જતા. 

પાંચેક વર્ષ પહેલાં એક નિમિત્તે તેમના વિશે તેમના અનેક વિદ્યાર્થીઓનો સંપર્ક કરવાનો થયો હતો. તેમાંથી એક ગાંધીનગરની કૉલેજમાં બિઝિનેસ મૅનેજમેન્ટ વિષયના એક મહિલા અધ્યાપક આઠેક વર્ષ પહેલાં ગુજરાત યુનિવર્સિટીની કે.એસ. સ્કૂલ ઓફ બિઝિનેસ મૅનેજમેન્ટમાં મૂળે સરના વિદ્યાર્થિની હતાં. તેમની કરોડરજ્જુને પરીક્ષા પહેલાં ગંભીર ઈજા થઈ અને તે પૂરેપૂરાં પથારીવશ બન્યાં. વર્ષ બગાડવું પોષાય તેમ ન હતું. પથારીમાં પડ્યાં રહીને પણ પરીક્ષા આપવાની ધગશ હતી. પણ સંસ્થાના વડા આ વિદ્યાર્થિનીની દશા ધ્યાનમાં લેવા તૈયાર ન હતા. સંસ્થાના આમંત્રિત મુલાકાતી અધ્યાપક મૂળે સર વિદ્યાર્થિનીની વહારે ધાયા. એ વખતે પંચોતેર વટાવી ચૂકેલા આ વડીલે વડા સાથે ઠીક સંઘર્ષ કર્યો. વિદ્યાર્થિની માટે અલાયદા ઓરડા, પલંગ અને રાઇટરની વ્યવસ્થા કરાવી. એક વિદ્યાર્થિની એ પણ યાદ કરે છે કે એક વાર સર તેમને કેટલાક મુદ્દા સમજાવવા માટે કૉલેજમાં સમય ન આપી શક્યા, એટલે એમણે વિદ્યાર્થીનીને નોટ્સ્ બનાવીને ટપાલથી મોકલી !

મૂળે સાહેબ એલ.ડી. આર્ટસ્ કૉલેજના પંદરેક વર્ષ આચાર્ય હતા. એ વખતે એક વિદ્યાર્થિની પર્વતારોહણની રાષ્ટ્ર્રીય કક્ષાની તાલીમ-શિબિર માટે પસંદગી પામી હતી. શિબિર વખતે જ વાર્ષિક પરીક્ષા હતી. એટલે આ આચાર્યે વાઈસ-ચાન્સલરને વિદ્યાર્થિનીની શિબિર સચવાઈ જાય તે રીતે સમયપત્રક ગોઠવવાની વિનંતી કરી. અને તેનો સ્વીકાર થયો !

કલોલની આર્ટસ્ અને સાયન્સ કૉલેજમાં એક અધ્યાપક વિદ્યાર્થિની સાથે ગેરવર્તણૂક કરતો હતો. વિદ્યાર્થિનીની ફરિયાદને આધારે કૉલેજના આચાર્ય મૂળેએ એ અધ્યાપકને વિદ્યાર્થિનીની બદનામી ન થાય એવી કુનેહથી બરતરફ કર્યો. અધ્યાપક સંગઠનનાં ભારે દબાણ અને વિરોધ સામે આચાર્ય અણનમ રહ્યા. કલોલમાં હતા ત્યારે એક બહેને કાર્યક્રમમાં સરસ પ્રાર્થના ગાઈ. તેમની સાથે વાત કરતાં સાહેબને ખબર પડી કે તેમને કપરા સંજોગો વચ્ચે પણ વધુ ભણવાનાં સપનાં હતાં. એટલે તેમણે બહેનને કૉલેજમાં પ્રવેશ આપીને હાજરી અને અભ્યાસ-સામગ્રીની સગવડ કરી આપી. પછી તો એ બહેન મહેસાણાની એક શાળાના આચાર્ય તરીકે નિવૃત્ત થયાં ! કલોલની પાસે આવેલા ઇફ્કોમાં નોકરી કરતાં કેટલાક યુવાન કર્મચારીઓ બી.એસ્સી. થાય તો તેમને બઢતી મળે એમ હતું. મૂળેસાહેબ અને કંપનીએ સાથે મળીને તેમને શક્ય એટલી અનુકૂળતા કરી આપીને ગ્રૅજ્યુએટ થવામાં મદદ કરી.

વિદ્યાર્થીઓ માટેની આવી આસ્થા મૂળે સાહેબે અધ્યાપકના મૂળભૂત કાર્ય એવાં વર્ગશિક્ષણના વિકલ્પે વિકસાવી નથી. તે અરધી સદી કરતાં વધુ વર્ષોથી વર્ગો લેતા રહ્યા છે. બી.ડી. આર્ટસ્ કૉલેજમાં મૂળે સર મુલાકાતી અધ્યાપક તરીકે જતા ત્યારના તેમના વિદ્યાર્થીની અને અત્યારે એક કૉલેજમાં અર્થશાસ્ત્રના અધ્યાપક કહે છે : ‘વિષયમાં પ્રભુત્વ અને વર્ગમાં ભણાવવાની બાબતે સાહેબની તોલે બહુ ઓછા આવે.’ બીજાં એક વિદ્યાર્થિની કહે છે, ‘સાહેબના વર્ગોમાં બેસો એટલે પછી બીજું કંઈ વાંચવાની જરૂર ન પડે. એમના વર્ગોની રનિંગ નોટ્સ્ લો એટલે પૂરું. પણ સાહેબ કશું લખાવે નહીં. હાથમાં કશું રાખ્યા વિના એ મુદ્દાસર ભણાવે. કાળા પાટિયા પર સુરેખ આકૃતિઓ દોરે. વિષયને રસપ્રદ બનાવે.’ મૂળે સાહેબના એક વિદ્યાર્થી અને અત્યારે એક કંપનીના માર્કેટિન્ગ મૅનેજર ઊમેરે છે: ‘તીક્ષ્ણ બુદ્ધિમત્તા, વર્ગ માટેની મહેનત, બિલકુલ પ્રસ્તુત દાખલા આપીને વિષયની છણાવટ અને રજૂઆતની પ્રવાહિતા મૂળે સાહેબની ખાસિયતો છે.’

કે.એસ. સ્કૂલ ઑફ મૅનેજમેન્ટનાં એક અધ્યાપક બહેન કહે છે, ‘ગૅજેટસનો ઉપયોગ કરીને ભણાવવાના આજના જમાનામાં વર્ગમાં વિદ્યાર્થીઓ વચ્ચે ખીલી ઊઠતા.’ તેમની સાથે વાત ચાલતી હતી ત્યારે બીજાં એક અધ્યાપિકા આવ્યાં. તેમણે બહુ ઉત્કટતાથી કહ્યું  : ‘તૂટેલી પટ્ટીવાળાં જૂનાં ચપ્પલ અને એમણે જ કહેલું તેમ પંદર વર્ષ પહેલાંનું સૂતરાઉ શર્ટ પહેરીને આવતા સરે કેટલાં ય વિદ્યાર્થીઓની ફી ભરી છે, દાન આપ્યાં છે. હું જ્યારે મૂંઝવણમાં પડું ત્યારે એમ કલ્પું કે મૂળે સાહેબે આ સંજોગોમાં શું કર્યું હોત ?’

અનેક વ્યક્તિઓ મૂળે સાહેબ તેમના ‘મેન્ટર’, ’ગુરુ’, ‘ફ્રેડ-ફિલોસૉફર-ગાઇડ’, ‘ફાધર-ફિગર’  તરીકે અહોભાવથી વર્ણવે છે. તેમની પાસેથી કોઈને પી.એચડી.ની નોંધણીમાં ભલામણ અને વિષય પસંદગીમાં માર્ગદર્શન મળ્યાં છે. કોઈને પુસ્તકમાં તેમના સહલેખક બનવા મળ્યું છે, તો કોઈને વિરામચિહ્નોથી માંડીને વિશ્લેષણ સુધી શીખવા મળ્યું છે. હતાશામાં દિલાસો મળ્યો છે.

મૂળેસાહેબ પગારનો ત્રીજો હિસ્સો પુસ્તકો માટે વાપરતા. તેમના સમૃદ્ધ ગ્રંથસંગ્રહને જગ્યાની અને જાળવણીની મુશ્કેલી હતી. એટલે સર પુસ્તકોને વિનામૂલ્યે યોગ્ય જગ્યાએ પહોંચાડવા મથતા હતા, પણ કૉલેજોમાંથી પ્રતિભાવ મળતો ન હતો. આ મહિતીની ‘સ્ટોરી’ 22 સપ્ટેમ્બર 2009ના એક અંગ્રેજી છાપામાં આવી. થોડા જ દિવસમાં પ્રિમિયર ઇન્સ્ટિટ્યૂટસવાળા આવીને પુસ્તકો પસંદ કરીને લઈ ગયા.

ગુજરાતી વિશ્વકોશ માટે મૂળે સાહેબે કમ્પ્યૂટર-ઇન્ટરનેટ પહેલાંના સમયમાં પરિશ્રમપૂર્વકના સંશોધનથી તેમના મુખ્ય વિષય અર્થશાસ્ત્ર ઉપરાંત સંગીત, નાટ્ય, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર, રાજકારણ જેવા કંઈ કેટલા ય વિષયો હેઠળનાં અધિકરણો લખ્યા છે. સાથે બસોથી વધુ ગુજરાતી, અંગ્રેજી અને મરાઠી લેખો, તેમ જ કેટલાક મોનોગ્રાફ્સ સહિત અર્થશાસ્ત્રની શાખાઓને લગતાં પચીસ પુસ્તકો તેમણે આપ્યાં છે. જાણીતા વિજ્ઞાની જયંત નારળીકરના પિતા રૅંગ્લર વિષ્ણુ નારળીકરનું જીવનચરિત્ર તે મરાઠીમાંથી ગુજરાતીમાં લાવ્યા છે.

‘નવચેતન’ માસિકના તેમના લેખોમાં થૉમસ માલ્થસ, વસ્તીગણતરી, નક્સલવાદ, રામરાજ્યની વિભાવના, કિંમત અને મૂલ્ય, બાબા આમટેનું ‘આનંદવન’ જેવા લેખો યાદગાર છે. ‘આનંદવન’ને દસેક વર્ષ પૂર્વે તેમણે બે લાખ રૂપિયાની સખાવત કરી હતી. ઉપરાંત ગુજરાતનાં કુષ્ઠરોગ નિવારણ  કેન્દ્રોને પણ તેમણે ટેકો કર્યો હતો. ‘મારી ગાંધીદર્શનયાત્રા’ લેખમાં તેઓ ચાલીસના દાયકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી દૂર થઈને ગાંધીજી, લોહિયા અને સાને ગુરુજી તરફ કેવી રીતે વળ્યા તેની કેફિયત મળે છે. સંઘ વિશેનું વિશ્વકોશનું અધિકરણ તેમણે લખ્યું છે.

ઉચ્ચ શિક્ષણના પીઢ લોકો મૂળે સાહેબને થયેલી રંજાડના સાક્ષી છે. નખશિખ વિદ્યાર્થીવત્સલ અને મૂલ્યનિષ્ઠ રહીને સંસ્થા માટે જાત ઘસી નાખવા છતાં તેમને આચાર્યપદના આખરી વર્ષોમાં ઘણું વેઠવું પડ્યું હતું. વળી મોટી ઉંમરે કરાવેલાં એક ઑપરેશન દરમિયાન ડૉક્ટરની ભૂલને કારણે તેઓ એક અસાધ્ય શારીરિક તકલીફનો ભોગ બન્યા. પણ આ બધા વિશે એક વિરલ ધીરોદાત્ત વ્યક્તિ તરીકે વાત કરવાનું તે ટાળતા. તેમનામાં કડવાશ કે હતાશા ન હતી. પંચોતેરના થયા ત્યાં લગી સાડા ત્રણ દાયકા બહુ કપરાં ટ્રેકિન્ગ કર્યાં. નાટકો જોયાં, ભૂમિકાઓ કરી, દિગ્દર્શન કર્યું.  શાસ્ત્રીય સંગીતમાં એ અમદાવાદના જાણીતા કાનસેન હતા. ‘સપ્તક’ સંસ્થાનું આર્કાઇવ એમના આર્થિક સહયોગમાંથી ઊભું થયું છે.

જ્ઞાનવૃદ્ધ મૂળે સાહેબ કહેતા : “આટલાં વર્ષોમાં વિદ્યાર્થીઓ સાથે એક પણ ખરાબ અનુભવ થયો નથી.  હું કોઇ મોટો માણસ નથી,પણ મારું ભાગ્ય મોટું છે કે મને બહુ સારા વિદ્યાર્થીઓ મળતા રહ્યા છે.”      

મધ્યરાત્રિ, 6 જુલાઈ 2017

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, ૦7 જુલાઈ 2017

Loading

9 July 2017 admin
← દર્શકઘેર આનંદ ભયો, માયધાર વૃંદાવન ગામ
ડૉ. નરેશ વેદઃ આદર્શ અધ્યાપક અને કુશળ વહીવટકર્તા →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved