ઈ.સ. ૧૮૯૨નું વર્ષ. આ વર્ષમાં ગુજરાતી સાહિત્યના ત્રણ સર્જકોનો જન્મ થયો. ધૂમકેતુ, રમણલાલ દેસાઈ અને મલયાનિલ. ત્રણેય ગદ્યસર્જકો છે, વાર્તાકારો છે. હા, અપવાદ રૂપે, રમણલાલ દેસાઈના ‘નિહારિકા’નાં કાવ્યસંગ્રહ પ્રગટ થયો છે ખરો, પણ એ કાવ્યસંગ્રહ રમણલાલનાં વિપુલ ગદ્યસર્જનોમાં ઢંકાઈ ગયો છે.
આપણે મલયાનિલ અને તેમના એકમાત્ર પુસ્તક ગોવાલણી અને બીજી વાતો વિશે વાત કરવાની છે. મલયાનિલનું મૂળ નામ કંચનલાલ વાસુદેવ મહેતા. અમદાવાદમાં તેમનો ઉછેર થયો. વિજ્ઞાનના વિષય સાથે બી.એ. થયા. વાચન, સંગીત અને ચિત્રકલાનો તેમને શોખ હતો. સાહિત્યના વિષય સાથે એમ.એ.ની પરીક્ષા આપવા મુંબઈ ગયા. પણ અચાનક બીમારી આવી અને પરીક્ષા આપી શક્યા નહીં. ઈ.સ. ૧૯૧૬માં એલએલ.બી. થયા. ઈ.સ. ૧૯૧૯માં જૂનની ૨૪મી તારીખે આંતરડાના દર્દને કારણે તેમનું અવસાન થયું.
ઈ.સ. ૧૯૧૨માં ભાનુમતી સામે મલાયનિલનું લગ્ન થયું હતું. ભાનુમતિની વય ત્યારે ૧૨ વર્ષની હતી. મલયાનિલ ૧૯ વર્ષના હતા, ને કૉલેજમાં ભણતા હતા.
મલયાનિલે થોડો સમય મુંબઈ વસવાટ કર્યો, ત્યાં ભાનુમતી સાથે ઘર શરૂ કર્યું પણ નાદુરસ્ત તબિયતના કારણે અમદાવાદ પરત થયા. અહીં જ તેમનું અવસાન થયું.
હજી તો યુવાવય હતી. સંસાર શરૂ કર્યો હતો. યૌવનની મુગ્ધતા ઓસરી ન હતી અને બધું સંકેલાઈ ગયું.
‘ગોવાલણી અને બીજી વાતો’ સંગ્રહમાં કુલ – ૨૨ વાર્તાઓ છે. ઈ.સ. ૧૯૧૩થી ૧૯૧૮, કુલ ૬ વર્ષમાં આ વાર્તાઓ લખાયેલી છે. મલયાનિલે જે સમયગાળામાં આ વાર્તાઓનું સર્જન કર્યું, એ સમયગાળામાં તેમની સામે એનું મૉડેલ ન હતું કે જે વાર્તાલેખન માટે માર્ગદર્શક બની શકે. પાયાથી જ આરંભ કરવાનો હતો. મલયાનિલ આત્મવિશ્વાસપૂર્વક ઝંપલાવે છે, વાર્તનું સર્જન કરે છે.
આજે આપણે ટૂંકી વાર્તાક્ષેત્રે ઘણા આગળ નીકળી ચૂક્યા છીએ. વાર્તા સર્જનના અવનવા પ્રયોગો આપણી સામે છે. ટૂંકી વાર્તા એટલે શું-ની સૈદ્ધાંતિક ચર્ચાઓ પણ ઘણી થઈ ચૂકી છે. આ બધા આધારેથી ટૂંકી વાર્તાની ડબા સમજવાની દૃષ્ટિ આજે વિકસી છે.
જ્યારે મલાયનિલ પાસેનો આવી કોઈ આધાર ભૂમિકા હતી જ નહીં. મલયનિલની વાર્તાઓનું મૂલ્યાંકન કરતી વેળાએ આ વાત આપણે ભૂલવી જોઈએ નહીં.
અહીં મલયાનિલની બધી વાર્તાઓ વિશે વાત કરવી શક્ય નથી અને જરૂરી પણ નથી. કેટલીક એવી વાર્તાઓ વિશે વાત કરીશું કે જેનાથી મલયાનિલની સર્જનકલાનો પૂરતો પરિચય મળી રહે.
સંગ્રહની પહેલી વાર્તા છે. ‘રજનું ગજ’ મલયાનિલની નિરૂપણરીતિની એક વિશિષ્ટતા છે કે હાસ્યની આછી સરવાણી તેમની અનેક વાર્તાઓમાં વહેતી હોય છે. ‘રજનુ ગજ’ શીર્ષક વાર્તાના વસ્તુિવકાસનો ખ્યાલ તરત જ આપી દે છે. વાર્તા જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ તેમાં જુદાં-જુદા પાત્રો પ્રવેશે છે અને ચાલ્યાં જાય છે. પાત્રવૈવિધ્ય, એમનું બોલીવૈવિધ્ય વાર્તાને ગતિમાં રાખે છે. વસ્તુિવકાસ થતો રહે છે. રજનુંગજ થતું રહે છે, વા વાયાથી નળિયું ખસ્યું, એ દેખીને કૂતરું ભસ્યું. અદ્દલ એવો જ ઘાટ અહીં રચાય છે.
અમદાવાદની સાંકડીશેરીના એક ઘરમાં પતિ-પત્ની, પુત્રને વિલાયત ભણવા મોકલવો કે નહીં એની ચર્ચા કરે છે. ચર્ચાના અંતે કશો નિવેડો નથી આવતો. પતિ કંટાળીને બીડી પીવા બીડીનો દાબડો લે છે. પત્નીને લાગ્યું કે પતિ દાબડાનો મારી પર છુટ્ટો ઘા કરશે, પણ એવું કાંઈ થતું નથી.
આટલી અમથી વાતનું વતેસર થયું, કેવું જબરુ વતેસર થયું!
ઇંગ્લૅન્ડના છાપામાં સમાચાર આવ્યા કે અમદાવાદમાં હુલ્લડ ફાટી નીકળ્યું. આ નાનીએવી ઘટનાને લેખકે પૂરેપૂરી મલાવીને રજૂ કરી છે. લેખક બરોબર ખીલ્યા છે. અને વાર્તાને અંતે વિષયને સંબોધીને લેખક કહે છે!
વહાલા વાચક! હવે જરા વાર્તાની શરૂઆતમાં લખાયેલી હકીકત જરા વાંચી જા અને સરખામણી કર કે પહેલી અને અને છેલ્લી ખબર વચ્ચે કાંઈ પણ મળતાપણું છે? ડાર્વિનનો વિકાસવાદ અહીં પણ લાગુ પડે છેને.’
ઘટનાને હળવી રીતે રજૂ કરવી એ મલયાનિલને સહજ સાધ્ય છે. ‘રજનુ ગજ’ પછી ગોવાલણી વાર્તા પણ એ જ રીતે મતલબ કે હળવી રીતે લખાયેલી છે.
દરરોજ સવારમાં દૂધ વેચવા પોતાની શેરીમાં આવતી ગોવાલણી દલી તરફ વાર્તાનાયક ‘હું’, આકપેડિયુ છે. દલીના આંતર્બાહ્ય વ્યક્તિગત પરિચય ‘ચકને ‘હું’ના મનમાં ચાલતા દલીના વિચારો દ્વારા મળતો જાય છે. દલીની અલ્લડતા ઊપસતી જાય છે. અંતે અત્યાર સુધી અલ્લડ અને ભોળી લાગતી ગોવાલણી દલી કેવી તે ઉસ્તાદ છે, એનો હું’ સાથે વાચકને પણ પરિચય થાય છે.
મલયાનિલ ધીરે ધીરે ‘ખૂબીપૂર્વક વાર્તા’ને વળ ચડાવતાં રહે છે. દલીનું વ્યક્તિત્વ અને ‘હું’નું બાધાપણું, કુશળતાથી ઉપસાવે છે. ચમત્કૃિતપૂર્ણ અંત પછી લેખક લખે છે. ‘ચિતારાને અહીં ત્રણ ચિત્ર ચીતરવાનાં હતાં : એક કાલિકા, બીજી જાદુગરણી ને ત્રીજો બેવકૂફ.’
‘પૂર્ણ વિરામનો પશ્ચાત્તાપ’ વાર્તા નથી પણ નાટક છે. ૨૭ પાનાંમાં પથરાયેલી અને સાત પ્રવેશોમાં વહેંચાયેલી આ નાટકની રચના સાલ ઈ.સ. ૧૯૧૪ છે. બટુભાઈ ઉમરવાડિયાનાં નાટકો ‘લોમહર્ષિણી’ મત્સ્યગંધા અને ગાંગેય – આપણને ઈ.સ. ૧૯૨૨-૨૪ના અરસામાં મળે છે. ‘પૂર્ણ- વિરામનો પશ્ચાત્તાપ’ એની અગાઉ લખાયેલ છે. બીજનિક્ષેપ વસ્તુિવકાસ આદિથી અંત લગી એક જ વસ્તુ પર રહેતી લેખકની નજર[focus]થી નાટક ધારી અસર ઊભી કરે છે. એકાધિક પ્રવેશોમાં નાટક વહેંચાયેલું છે. એના લીધે નાટક મંચનક્ષમ બને છે.
આમ તો આ એકાંકી છે, પણ મલયાનિલ તેને નારંગ તરીકે ઓળખાવે છે. બટુકભાઈનાં નાટકો એકાંકી છે, છતાં બટુકભાઈ એ રચનાઓને નાટક તરીકે જ ઓળખાવે છેને! એ નાટક વચ્ચે ભેદ સ્પષ્ટ હોવા છતાં એકાંકીનો ઉલ્લેખ નાટક તરીકે થતો.
મારું કલેક્શન વાતોના આરંભે વાચકને સંબોધે તે ટૂંકી નોંધ લેખકે મૂકી છે.
‘પ્રિય વાચક, આજનું મારું ચરિત્ર’ લખતાં મને જેટલો શોક થાય છે, એટલો જ કદાચ તને વાંચતા થશે. પણ તારે એમ ઉદ્વેગ પામવાનું કે નિરાશ થવાનું કાંઈ કારણ નથી. એવા સંયોગમાંથી કદાચ તારે પસાર થવાનું આવે, તો મારા જેવું હુંતું ન કરે, એની સાવધાની રાખવા જ આ વૃત્તાંત અહીં હું આલેખું છું.
આટલી નોંધ પછી વાર્તા-જેને લેખક વૃત્તાંત કહે છે, એ શરૂ થાય છે. કિશોરવયનાં ભાવિ પતિ-પત્નીના પરસ્પરના વિજાતીય આકર્ષણનું નિરૂપણ લેખકે કુશળતાથી કર્યું છે. નાયક-નાયિકાનાં લગ્ન પછી થોડો સમય પ્રેમની ભરતી રહે છે, પણ બાળકના જન્મ પછી એમાં ઓટ આવવી શરૂ થાય છે. એકબીજાં માટેનો પ્રેમભાવ ઘટી જાય છે.
પ્રણયની આ ભરતી અને આ ઓટ એકાએક નથી આવતાં વાચકને ગળે ઊતરે એ રીતે ક્રમશઃ માનસશાસ્ત્રીય ઢબે નિરૂપણ થયું છે.
મારું સ્નેહલગ્ન ૨૦ પાનાંની કૃતિ છે. આ કૃતિને લાંબીટૂંકી વાર્તા કે ટૂંકી વાર્તા કહી શકાય નહીં. ‘લઘુ નવલકથા’ માટે એક ‘વૃત્તાંત’ કે કાચી સામગ્રી ‘મારું પ્રેમલગ્ન’ કૃતિને ગણી શકાય.
પ્રણયની મુગ્ધતા હજી ઓસરી ન હોય એ ૨૬ વર્ષની યુવાવયે ‘મલયાનિલ’ ચાલ્યા ગયા. પ્રણયનો મુગ્ધ ભાવ તેમની અનેક વાર્તાઓમાં જોવા મળે છે. અને બીજી વસ્તુ છે, મલયાનિલનો નિસર્ગપ્રેમ. તેઓ ચિત્રકાર હતા. ‘મોગરાનું ફૂલ’ વાર્તા ગદ્યમાં લખાયેલું ઊંડી છે. એવી જ બીજી એક વાર્તા છે મૃગચર્યા કલાપીના ભાણાનો યુગખંડકાવ્યનું સ્મરણ કરાવતી ‘મૃગચર્યા’માં પણ વાર્તાપ્યાલોની નાયિકાનો મૃગ પરનો અનન્ય સ્નેહ નિરૂપાયો છે.
‘ચહાનો પ્યાલો’ અને ‘સાકર પિરસણ’ હળવા લલિતનિબંધ સવિશેષ લાગે છે. ‘ચહાનો પ્લાયો’ જુદા-જુદા દાખલાઓ આખી પોતાને જે મુદ્દા વિશે વાત કરવી છે એને લેખક વળ ચડાવતાં જાય છે.
અર્વાચીની ટૂંકી વાર્તા વિશે કોઈ વિવેચકે વિધાન કરેલું છે કે આજના (ગુજરાતી) વાર્તાકારો ગોવાલણીની મટુકીમાંથી નીકળી આવ્યા છે! ‘ગોવાલણી’ નામધારી વાર્તાને ધ્યાનમાં રાખીને આ વિધાન કરવામાં આવેલું છે. ‘ગોવાલણી’ વાર્તાના સુગ્રથિત આદિમધ્ય અને અંત તેમ જ અંતમાં આવતી ચોટ મલયાનિલ પછીના વાર્તાકારો માટે માર્ગદર્શક બને છે. ગોવાલણ વાર્તામાં કોઈ બોધ-ઉપદેશ કે વિચારનું પ્રાધાન્ય નથી. કલા ખાતર કલાનું સહજ રીતે અનુસરણ થયેલું છે. આના કારણે ‘ગોવાલણી’ વાર્તા અર્વાચીનમાં આધુનિક વાર્તા તરીકે સ્થાન પામી શકે છે.
મલયાનિલનું વાચન વિશાળ હોવાથી તેમની લેખન શૈલી સંમાર્જિત છે. દરેક કૃતિ પાછળ મલ્યાનિલે ઠીકઠીક મહેનત લીધી હોય એમ લાગે છે. મોટા ભાગની રચનાઓમાં નાયક પહેલો પુરુષ ‘હું’ છે. આના કારણે અનુભવની સચ્ચાઈ જોવા મળે છે. અલબત્ત એમનું અનુભવવિશ્વ મર્યાદિત છે એ સ્વાભાવિક છે, કારણ કે તેઓ યુવાવયમાં જ ચાલ્યા ગયા.
અનુભવવિશ્વ ભલે મર્યાદિત હોય, પણ લેખન માટે તો તેમનો ઉત્સાહ તેમને અવનવા પ્રયોગ કરવા પ્રેરે છે. આ પ્રયોગોનું અનુસરણ મલયાનિલ પછીની પેઢીના વાર્તાકારોમાં થયેલું છે.
૧૯૧૩થી મલયાનિલ લેખનકાર્ય શરૂ કરે છે. ૧૯૧૮માં ‘ગોવાલણી’ નામધારી વાર્તા પ્રગટ થઈ. ૨૦૧૮માં ‘ગોવાલણી’ વાર્તાને ૧૦૦ વર્ષ પૂરાં થશે. ‘ગોવાલણી’ વાર્તા દ્વારા મલયાનિલે વાર્તાકલાના ક્ષેત્રે એક શિખર સર કર્યું, જે અનુગામી વાર્તાસર્જકો માટે પ્રેરણાદાયી બની રહ્યું.
અને ટૂંકી વાર્તાના આલોચકોને પણ ‘ગોવાલણી’ વાર્તા દાખલારૂપ બની રહી. એના ઓથારે વાર્તાનાં મૂલ્યાકન થતાં રહ્યાં. ગદ્યસ્વરૂપમાં સૌથી વધુ આલોચના ટૂંકી વાર્તાની થતી રહી છે. તેને કરાણે જ નબળી વાર્તાઓ હડસેલાતી ગઈ અને સારી વાર્તાઓ પોષાતી હતી.
ઍરપોર્ટ રોડ, રાજકોટ
સૌજન્ય : “નિરીક્ષક”, ૧૬ જૂન 2017; પૃ. 16-17