Opinion Magazine
Number of visits: 9447396
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ક્રિકેટનું સુપરસ્ટાર કલ્ચર અને આપણી ભક્તિ પરંપરા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 June 2017

1953માં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હતી. તેમાં જવાહરલાલ નહેરુ પણ મેચ રમ્યા હતા. એનાં થોડાં વર્ષો પછી નાગપુરમાં એક સમારોહમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવેલકરે કહ્યું, ‘ભારતમાં ક્રિકેટની આ મોંઘી રમત માત્ર ફેશન જ બની ગઈ છે એટલું જ નહીં, આપણે એના ઉપર કરોડો રૂપિયા ખર્ચીને એટલું જ પુરવાર કરીએ છીએ કે ઇંગ્લિશ લોકો હજુ ય આપણી બુદ્ધિ ઉપર હાવી છે. પંડિત નહેરુ અને બીજા સાંસદો થોડાં વર્ષો પહેલાં ક્રિકેટ રમ્યા હતા એ આ અંગ્રેજીકરણનો પુરાવો છે, નહીં તો એ લોકો ભારતની રાષ્ટ્રીય રમત કબ્બડી રમ્યા ન હોત?’

ગોલવેલકરને કદાચ એ વખતે અંદાજ નહીં હોય કે કબ્બડીની રમતમાં એમને જે રાષ્ટ્રવાદ દેખાતો હતો એના કરતાં ય કટ્ટર રાષ્ટ્રવાદ અંગ્રેજોની રમત ક્રિકેટમાંથી પેદા થશે. ગાંધીજીને હતો. તે વખતે સાંપ્રદાયિક ધોરણે અંગ્રેજો જે પેન્ટાન્ગ્યુલર મેચ રમાડતા હતા તેના ગાંધીજી વિરોધી હતા અને એમણે કહ્યું હતું, ‘કોલેજો કે સંસ્થાઓ વચ્ચેની મેચ તો હું સમજી શકું છું, પરંતુ મને આ હિન્દુ, પારસી, મુસ્લિમ અને અન્ય કોમી ઇલેવનનો તર્ક સમજાતો નથી. મને તો એમ હતું કે રમતની ભાષામાં અને વ્યવહારમાં આવા અનૈતિક ભાગલા વર્જિત હશે.’

ક્રિકેટ આજે દક્ષિણ એશિયામાં ‘ધર્મ’ ગણાય છે અને ક્રિકેટરોને ‘ઈશ્વર’ તરીકે પૂજવામાં આવે છે તેનાં મૂળિયાં ક્રિકેટના સમુદાયિક જન્મમાં છે. ભારતમાં પહેલી ક્રિકેટ મેચ 1721માં ખંભાતમાં રમાઈ હતી અને એમાં માત્ર ઇંગ્લિશ નાવિકો જ હતા. ભારતની પહેલી ક્રિકેટ કલબ 1792માં કલકત્તામાં સ્થપાઈ હતી અને એમાં ભારતીયોને સ્થાન ન હતું. આ આભડછેડના કારણે જ ભારતીયોમાં ક્રિકેટની એવી જ ધર્માંધતા પેદા થઈ હતી જેવી સંગઠિત ધર્મમાં જોવા મળે છે. ક્રિકેટરો માત્ર ખેલાડી ન હતા, પણ સુપરહીરો અને સચિન તેંદુલકર એમનો ભગવાન.

2006માં કપિલ દેવને એક ઇન્ટરવ્યૂમાં આ ‘ઈશ્વર પૂજા’ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એણે ક્રિકેટરો જ નહીં સોનિયા ગાંધી, ધીરુભાઈ અંબાણી, કિરણ મઝમુદાર શો, રતન તાતા, અઝીમ પ્રેમજી અને શિવ નાદર જેવાં નામોનું લિસ્ટ આપ્યું હતું. કપિલે ત્યારે કહ્યું હતું, ‘હીરો કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ માટે અનિવાર્ય છે. દરેક પેઢીએ હીરો પેદા કર્યા છે અને હીરોએ જ જિંદગીઓ બદલી છે.’ કટ ટુ 2017. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત બી.સી.સી.આઈ.ના પ્રશાસક ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ પ્રશાસક સમિતિમાંથી રાજીનામું આપીને કહ્યું છે કે, ભારતીય ક્રિકેટમાં સુપરસ્ટાર કલ્ચરે હદ વટાવી છે, અને ઇમાનદારી તથા ઔચિત્યને તડકે મૂકીને આ (નિવૃત્ત અને સક્રિય) ‘ભગવાનો’ એ બધાં જ કામો કરી રહ્યા છે જે એક આદર્શ મહાનાયકે ના કરવાનાં હોય.

રામ ગુહાએ આમ તો ક્રિકેટના વહીવટના લઇને સવાલો ઉઠાવ્યા છે પરંતુ એમણે જે શબ્દ પસંદ કર્યો છે, સુપરસ્ટાર કલ્ચર, તે ભારતીય જનમાનસના એક વ્યાપક દોષ તરફ પણ ઇશારો કરે છે; વીરપૂજા એટલે કે હીરો વર્શિપ. રામ ગુહા જે સુપરસ્ટાર કલ્ચરની વાત કરે છે તે ક્રિકેટ ઉપરાંત બીજી રમતોમાં તો લાગુ પડે જ છે, તે ઉપરાંત ભારતીય રાજનીતિ, ધર્મ અને ઉદ્યોગમાં પણ એ એટલું જ પ્રચલિત છે ને તેમાં પણ તમામ પ્રકારની બેઇમાની અને ગોરખધંધા ચાલે છે.

ભારત 33 કરોડ દેવતાઓનો દેશ છે. મતલબ કે દરેક વ્યક્તિ, દરેક વર્ગ અને દરેક સમુદાયના વ્યક્તિગત ઈશ્વર છે જેની સાથે એનો વન-ટુ-વન સંબંધ છે. પોતાના કરતાં વધુ સમર્થ, વધુ જ્ઞાની અને વધુ પ્રતિભાવંત વ્યક્તિમાં પોતાનું પ્રતિબિંબ જોવાની જરૂરિયાતમાંથી વીરપૂજા પેદા થઈ છે. વીરપૂજા અથવા વ્યક્તિપૂજા અથવા તો સુપરસ્ટાર કલ્ચર માત્ર ભારત પૂરતું જ મર્યાદિત છે એવું નથી. દરેક સમાજે અને દરેક પેઢીએ પોતાના ‘કલ્ટ લીડર’ પેદા કર્યા છે પછી તે સમાજ હોય, રાજનીતિ હોય, સિનેમા હોય કે રમત હોય.

ભારતના સંદર્ભમાં એક મહત્ત્વનો ફર્ક એ છે કે બીજા સમાજો એમના નાયકોના આચાર-વિચારને મહત્ત્વ આપે છે ત્યારે ભારતમાં લોકો વ્યક્તિને અનુસરે છે. ભારતના સૌથી મોટા નાયક મહાત્મા ગાંધીએ 1937માં આ ફર્ક સમજાવતાં કહ્યું હતું કે, ‘આપણા માટે કોઈ વ્યક્તિનું ભજન કરવું એ સારું ન કહેવાય. આપણે તો એના આદર્શની પૂજા કરવાની હોય.’ 1969માં જ્યારે બીજા એક ગાંધી, ઇન્દિરાએ કૉંગ્રેસનું વિભાજન કર્યું ત્યારે અવિભાજિત કૉંગ્રેસના અંતિમ અધ્યક્ષ એસ. નિજલિંગપ્પાએ ટિપ્પણી કરી હતી કે, 20મી સદીનો ઇતિહાસ એવી કરુણ ઘટનાઓથી ભરેલો પડ્યો છે જેમાં લોકપ્રિયતાની લહેર ઉપર સવાર થઈને લીડર રાજનૈતિક અહંકારનો શિકાર બને અને લોકમતને અધિકાર સમજીને વિરોધીઓને દબાવી દે.

ઇન્દિરા ગાંધી પહેલી લીડર હતી જેના ખયાલાતની લોકોએ પરવા કરી ન હતી અને આંધળા ભાવે એની વ્યક્તિપૂજા કરી હતી. રામ ગુહા ભારતીય રાજનીતિમાં પ્રચલિત વ્યક્તિપૂજાથી ખૂબ વાકેફ છે અને એટલે જ એમણે ક્રિકેટના સુપરસ્ટાર કલ્ચરની ઉપર બત્તી ફેંકી છે. રામચંદ્ર ગુહા એક અગત્યના ઇતિહાસકાર છે અને એમણે ભારતીય રાજનીતિ અને ક્રિકેટ ઉપર ઘણું સંશોધન કર્યું છે અને લખ્યું છે. એમણે ‘ઇન્ડિયા આફટર ગાંધી’ નામની એક સરસ ચોપડી લખી છે. 

એમાં એમણે ડાૅ. બાબાસાહેબ આંબેડકરે 25 નવેમ્બર 1949ના દિવસે સંવિધાનિક સભામાં આપેલા પ્રવચનને ટાંક્યું છે. એમાં બાબાસાહેબ કહે છે, ‘જેણે દેશની સેવા કરી હોય એવા મહાન માણસો પ્રત્યે કૃતજ્ઞ રહેવામાં ખોટું નથી, પરંતુ એ આભારની એક મર્યાદા હોવી જોઈએ. ધર્મમાં ભક્તિથી કદાચ આત્માને મોક્ષ મળતો હશે પરંતુ રાજનીતિમાં ભક્તિ અથવા વીરપૂજાથી દુર્દશાનો રસ્તો ખૂલે છે જે નિરંકુશતામાં જઈને અટકે છે.’

વ્યક્તિ રાજકારણમાં હોય કે ક્રિકેટમાં, એનાં પરિણામો સરખાં જ હોય છે. સાર એ છે કે ક્રિકેટના સુપરસ્ટાર કલ્ચરને દૂર કરવું હશે તો ભારતીય સમાજમાં વ્યાપ્ત વીરપૂજાનો ઇલાજ કરવો પડશે. રાજકારણમાં આપણે ‘બાહુબલીઓ’ની તાકાત સામે જે રીતે માથું નમાવીએ છીએ તે જોતાં ક્રિકેટના સુપરસ્ટાર કલ્ચરનો ઇલાજ નજીકના ભવિષ્યમાં તો દેખાતો નથી. 

સૌજન્ય : “બ્રેકિંગ વ્યૂઝ’, નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 11 જૂન 2017

Loading

11 June 2017 admin
← સ્વતંત્રતા બાંદી ન બને એ કોણ જોશે?
નાવિક ગીત →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved