Opinion Magazine
Number of visits: 9448982
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચંપારણ સત્યાગ્રહ : આઝાદી આંદોલનનો ટર્નિંગ પોઇન્ટ

સુદર્શન આયંગાર|Gandhiana|10 April 2017

રાજકુમાર શુક્લ નામની એક વ્યક્તિએ 1916ની લખનૌની કૉગ્રેસની મહાસભા વખતે ગાંધીજીનો કેડો પકડ્યો. ‘વકીલ બાબુ, આપકો સબ હાલ બતાયેંગે,’ એમ કહેતા જાય અને ગાંધીજીને ચંપારણ આવવા માટે નિમંત્રણ આપતા જાય. ચંપારણના બેતિયા તાલુકાના મુરલી ભારવાહ ગામના આ ખેડૂતે જિલ્લાના તેના જેવા જબરદસ્તીથી ગળીની ખેતી કરતા નાના ખેડૂતોને લોભિયા અંગ્રેજ માલિકોના શોષણથી મુક્ત કરાવવા સંકલ્પ કર્યો હતો અને તેના માટે યોગ્ય નેતૃત્વની શોધમાં હતો.

હિમાલયની તળેટીમાં આવેલા ઉત્તર બિહારના ચંપારણ જિલ્લા વિશે ગાંધીજી કશું જાણતા ન હતા. ગળીના ઉત્પાદન વિશે પણ તેમની સમજ નહિવત્ હતી. પણ શુક્લના ભોળા આગ્રહને વશ થઈને તેઓ ગયા અને ચંપારણ સત્યાગ્રહ ગાંધીજીના પહેલા બિનરાજકીય પણ મહત્ત્વપૂર્ણ સત્યાગ્રહ તરીકે પંકાયો. ઓગણીસમી સદીના આરંભે ચંપારણ જિલ્લામાં ગળીનાં 70 જેટલાં કારખાનાં આવ્યાં. અંગ્રેજ માલિકોએ સમગ્ર જિલ્લાના ખેડૂતોને બાનમાં પકડ્યા.

દરેક ખેડૂતે ત્રણ કઠિયા (તત્કાલીન વીઘે 20 કઠિયા) જમીનમાં ગળીની ખેતી કરવાની અને જે કિંમત માલિક નક્કી કરે તે કિંમતે માલિકને આપી દેવાની પ્રથા. આ ‘તીન કઠિયા’ પદ્ધતિમાં ‘ક્યાં વાવેતર કરવું’થી માંડી બધા જ નિર્ણયો અંગ્રેજ માલિકો વતી તેના કારભારીઓ લે. કોઈ ખેડૂત વિરોધ કરે તો તેના પર પારાવાર જુલમ થાય. ખેડૂતોએ કોર્ટ-કચેરી પણ કરી; પણ એમાં તો વકીલો જ ફાવ્યા. સરવાળે ચંપારણના ખેડૂતો બેહાલ થઈ ગયા હતા.

રાજકુમાર શુક્લે પણ અવાજ ઉઠાવ્યો હતો અને તેઓ પણ જુલમના ભોગ બન્યા હતા. પણ હાર ન માનતા, તેઓએ હામ ભીડી અને પ્રયત્નો ચાલુ રાખ્યા. તેની પડખે વકીલ બ્રજકિશોરબાબુ હતા જે કંગાલ ખેડૂતોના કેસ નીચી અને કોઈવાર નહિવત્ ફી સાથે લડતા. જે વકીલબાબુ વિશે શુક્લ ગાંધીજીને કહેતા હતા, તે આ જ. એમણે જ લખનૌમાં ગાંધીજીને પ્રાથમિક માહિતી આપી હતી.  ગાંધીજી 9 એપ્રિલ 1917ના રોજ કોલકાતાથી ચંપારણ જવા શુક્લ સાથે નીકળ્યા અને પટણા પહોંચ્યા. પહેલા ઉતારે યોગ્ય પ્રતિભાવ ન મળ્યો. પોતે ઇંગ્લેન્ડ ભણતા ત્યારના સહપાઠી મૌલાના મજહરુલ હક્ક યાદ આવ્યા.

ચંપારણ સત્યાગ્રહની કેટલીક સગડ કુમાર શુક્લની ડાયરીમાંથી જડે

શુક્લને ચિઠ્ઠી લખી એમની પાસે રવાના કર્યા, તેઓ તરત મોટર લઈને આવ્યા અને ઘરે લઈ ગયા અને વીતક જાણી. પોતે જમીની હકીકતથી સુપેરે વાકેફ નથી – તેવી નિખાલસ કબૂલાત કરી. જમીન કાયદાની જે સમજ અને માહિતી હતી તે આપીને કહ્યું કે, અસલ કામ તો સ્થળે પહોંચીને સમજાય અને થાય. મુઝફ્ફરપુર જવાનું સૂચવ્યું. રાતની જ ગાડીમાં રવાના થતા પહેલાં ગાંધીજીને યાદ આવ્યું કે કૃપાલાની મુઝફ્ફરપુરની કોલેજમાં અધ્યાપક છે, તેમને તાર કર્યો. કૃપાલાની વિદ્યાર્થીઓ સહિત ઉત્સાહભેર લેવા આવ્યા.

કૉલેજ આચાર્ય અંગ્રેજ, કૃપાલાનીને કહે કે, આ તોફાની ગાંધીને પરિસરમાંથી કાઢો. કૃપાલાનીએ નોકરી છોડી દીધી અને કાયમ માટે ગાંધીજી સાથે  જોડાઈ ગયા.  ગાંધીજી સાથે જોડાયા વકીલોના આગેવાન બ્રજકિશોરબાબુ અને બાબુ રાજેન્દ્રપ્રસાદ અને મંડળી પહોંચી જિલ્લાના મુખ્ય મથક મોતીહારી. ગાંધીજીએ વકીલ ટોળકીને જણાવ્યું કે, પ્રશ્નનો ઉકેલ કાયદામાં નથી, આ તો ન્યાયની માગણી છે. ખેડૂતોના સત્યની ધરાર અવગણના થઈ છે; એટલું જ નહીં તેમની પર પારાવાર જુલમ થઈ રહ્યા છે. અંગ્રેજ માલિકો તેમને થતા આર્થિક નુકસાનનો બોજો પણ ખેડૂતો પર નાખે છે.

જમીનનાં ભાડાં વધારી સાથે જાત-જાતના લાગા (જેને અબવાબ કહેતા) નાખે છે અને ક્રૂર અને હિંસક રીતે વસૂલે છે. ગાંધીજીને સત્યાગ્રહની ભૂમિકા દેખાઇ. પણ તે માટે પરિસ્થિતિનો અભ્યાસ અને એકેએક ખેડૂતની વીતક, જમીન વગેરેના આંકડા, કરાર દસ્તાવેજ ભેગા કરવાના થાય. વકીલોને એમાં જોતર્યા. મોતીહારી પહોંચી તરત જુલમની તપાસ કરવા એક ગામે હાથી પર નીકળ્યા. પોલીસે અટકાવીને 144ની કલમ લગાડી તરત જિલ્લો છોડી દેવાનો કલેક્ટરનો સમન બજાવ્યો.

ગાંધીજી અન્યોને તપાસમાં મોકલી પોતે મોતીહારી પહોંચ્યા. કલેક્ટરને પત્ર લખી જણાવ્યું કે તેઓ તપાસ માટે આવ્યા છે અને પૂરી તપાસ કર્યા વગર જવાના નથી. વીજળી-વેગે વાત ફેલાઈ ગઈ અને મોતીહારીમાં ખેડૂતોનો માનવ-મહેરામણ. ખેડૂતોમાં પારાવાર જિજ્ઞાસા કે, આ કોણ મહાત્મા તેમના કાજે પોતે જેલ જવા અંગ્રેજો સામે પડ્યો છે? મેજિસ્ટ્રેટ અને પોલીસ ચિંતામાં, કાયદા અને વ્યવસ્થાનો પ્રશ્ન થાય તો?

તેમણે ધારેલું કે ગાંધીજી કોર્ટમાં આવી બચાવ કરશે. પણ ગાંધીજીએ તો કાયદાભંગનો સ્વીકાર કર્યો. જે દિવસે તેમની પર કામ ચાલવાનું હતું, તેની આગલી રાત્રે ગાંધીજીએ તૈયારીઓ કરી. ગવર્નર જનરલને લખ્યું, કૈસરે-હિંદનો ચંદ્રક પાછો મોકલ્યો. પંડિત મદન મોહન માલવિયા, આશ્રમમાં મગનલાલ અને ભ્રમણ કરતા દીનબંધુ એન્ડ્રુઝને પરિસ્થિતિથી વાકેફ કર્યા. મેજિસ્ટ્રેટ સામે આપવાનો જવાબ તૈયાર કર્યો. સવારે એટલા શાંત કે લોકોની ભીડ પર કાબૂ કરવા પોલીસની મદદમાં આવી ગયા.

સરકારી વકીલે મુદત માગી અને મેજિસ્ટ્રેટને પણ રાહત લાગી. પણ ગાંધીજીએ કહ્યું કે તેઓ જવાબ વાંચશે. ગુનો સ્વીકારતા તેમણે કહ્યું, ‘હુકમનો અનાદર કરવામાં કાયદેસર સ્થપાયેલી સત્તાનું અપમાન કરવાનો મારો ઉદ્દેશ ન હોઈ, મારું અંતર જે વધારે મોટો કાયદો સ્વીકારે છે – એટલે કે અંતરાત્માનો અવાજ – તેને અનુસરવાનો મારો ઉદ્દેશ છે, એ જ મારે જણાવવું હતું.’ મેજિસ્ટ્રેટે ચુકાદો ત્રણ દિવસ માટે અનામત રાખ્યો. આ બનાવની સ્થાનિક વિસ્તારો સહિત જિલ્લામાં અને આખા દેશમાં જાદુઈ અસર થઈ. ચંપારણના ખેડૂતોનો ભય ભાંગ્યો.

સરકારે ગાંધીજીને તપાસ માટે પરવાનગી આપી. જિલ્લા તંત્ર અને અંગ્રેજ માલિકોને લાગ્યું કે હવે તેઓ ખુલ્લા પડશે. પરિણામે દબાણ કર્યું. જૂનમાં બિહારના ગવર્નરે ગાંધીજીને તપાસ સમેટી અને હેવાલ આપવા જણાવ્યું. ગાંધીજીએ વચગાળાનો હેવાલ મોકલ્યો, જેમાં અન્યાય અને જુલમની વિગતો અને કાયદાભંગના વિગતે દાખલા હતા. તેમણે એક તપાસ પંચની માગણી કરી. ગવર્નરે એ વાત માન્ય રાખી અને ગાંધીજીને એક સભ્ય થવા સૂચવ્યું. ગાંધીજીએ શરત મૂકી કે તેઓ ખેડૂતોના પક્ષકાર તરીકે રજૂઆતો કરશે. શરત ગ્રાહ્ય રહી અને જૂન 1917થી ઓક્ટોબર 1917 સુધી આ પંચે સહુની જુબાનીઓ લીધી.

ગાંધીજીએ પણ 12,000 કિસ્સાઓ અને સ્થળ મુલાકાતોના આધારે રજૂઆત કરી. પંચે અંતે હેવાલ રજૂ કર્યો. જે સ્વીકૃત રહ્યો. ‘તીન કઠિયા’ પ્રથા રદ કરવામાં આવી. ખેડૂતો પાસેથી વસૂલેલા તાવાનના પચ્ચીસ ટકા નાણાં ખેડૂતોને પાછાં આપવાના હુકમ થયા. જબરજસ્તીથી ગળીની ખેતી કરનાર ખેડૂતો છૂટ્યા અને શોષણમુક્ત બન્યા.  ગાંધીજીની મોટી સિદ્ધિ જે આવનાર વર્ષોમાં પણ ખૂબ કામ લાગી તે ગામડાની ગરીબ પ્રજામાં ભયનિર્મૂલનની હતી. ચંપારણ સત્યાગ્રહના લીધે માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પણ સમગ્ર દેશમાં નવચેતનાની લહેર દોડી ગઇ.

અહિંસાત્મક સત્યાગ્રહ અને સત્યની ટેક રાખવા ગાંધીજીએ લોકોમાં અભય કેળવ્યું. લોકો નિર્ભય બન્યા. માત્ર સંઘર્ષ જ – ગાંધીજીની ભૂમિકા ક્યારે ય રહી ન હતી. એમણે જોયું કે ચંપારણનાં ગામોમાં ખેડૂતો અને અન્ય લોકો ખૂબ જ ગરીબ પણ સાથે ગંદા અને નિરક્ષર હતા. ગાંધીજીએ સાબરમતી આશ્રમમાંથી અને અન્ય સ્થળોએથી લોકોને તેડાવ્યા. મહાદેવભાઈ, દુર્ગાબહેન, કસ્તૂરબા, અને અન્ય પંદર લોકો આવ્યાં. ચંપારણના ગામમાં વસ્યાં. શિક્ષણ અને સફાઈનાં કામ મોટા પાયે ઉપાડ્યાં. ગામના લોકોને પણ જોતર્યા. ભીતિ હરવા ગામમાં આજે પણ કસ્તૂરબાના નામે નિશાળ ચાલે છે.

વકીલ મંડળીને સાથે આ કામમાં રાખી તેમને અત્યંત સાદાઈથી રહેતા શીખવાડી, તેઓ કઈ રીતે રાષ્ટ્રસેવા માટેના ઉત્તમ સેવકો બની શકે તેનું દૃષ્ટાંત દેશ સામે મૂક્યું. આ ત્રણ સિદ્ધિઓને લીધે અને સેવક-નેતૃત્વની પોતાની આગવી શૈલી અને આચરણને લીધે ગાંધીજી કોંગ્રેસ અને તેના તત્કાલીન શીર્ષ નેતાઓથી અલગ નીકળ્યા અને રાષ્ટ્રીય ફલક પર સ્થાપિત થયા.

આજે ફરી દેશના નાના ખેડૂતો બેહાલ થતા જાય છે. ચંપારણ સત્યાગ્રહની શતાબ્દીની વેળાએ નાના ખેડૂતોનો સંપોષિત વિકાસ થાય તે માટે સમાજે કટિબદ્ધ થવાની જરૂર જણાય છે.

(લેખક મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ કુલનાયક છે.)

સૌજન્ય : ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 09 અૅપ્રિલ 2017

Loading

10 April 2017 admin
← એક જ માણસ છે આ ધરતી પર જે ઝાકળ જેટલો જ પવિત્ર તેમ જ પારદર્શક છે અને પાછો ગાંધીજીની માફક જાહેર જીવનમાં છે
નવું રાજકારણઃ ભૂતકાળ એ જ ભવિષ્યકાળ? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved