Opinion Magazine
Number of visits: 9449130
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લાલુ અને જૉલી

અંકિત દેસાઈ|Opinion - Literature|31 January 2017

ઘણાં લોકોનાં ઘરે શ્વાન રખાતા હોય છે, પરંતુ એ શ્વાનને ઘરે રાખવાના બધાના હેતુ જુદાજુદા હોવાના. કોઈને પોતાનાં ઘર-વાડી કે મિલકતની રક્ષા કરવા માટે શ્વાન જોઈતા હોય તો કોઈ અમસ્તા અન્યોને જોઈને પણ રાખે. માત્ર વટ ખાતર પ્રાણીઓને ઘરે રાખનારાઓ પણ આ લખનારના ધ્યાને ચઢેલા છે, જેમણે ઘરે રાખેલાં જીવોની યોગ્ય કાળજી ન રાખીને રીતસરના ભૂખે માર્યા છે. પણ માત્ર ચાહત ખાતર નિર્હેતુક મૈત્રી કરીને શ્વાનો-પ્રાણીઓને ચાહનારાં ઘણાં ઓછાં હોય છે. હિમાંશી શેલત એમાંનાં જ એક છે, જેમણે પ્રાણીઓને સ્વાર્થ ખાતર, વટ પાડી દેવા કે ઘર-સંપત્તિની રક્ષા ખાતર નહીં, પરંતુ એ પ્રાણીઓની આંખોની આર્દ્રતા અને એમનો સ્નેહ એમની તરફ આકર્ષતાં રહ્યાં છે અને એટલે તેઓ સતત પ્રાણીઓના સહવાસમાં રહ્યાં છે.

ગયા સપ્તાહે [24 જાન્યુઆરી 2017] આપણે વાયદો કરેલો કે, આ વખતની ‘ટેક ઈટ ઓર લીવ ઈટ’માં આપણે હિમાંશી શેલતની સ્મરણકથા ‘વિક્ટર’ના શ્વાનો વિશે રજૂ કરાયેલાં સ્મરણો વિશે વાતો કરીશું. બિલાડીઓની જેમ જ હિમાંશી શેલતનાં સુરતના બે અને વલસાડનું એક એમ ત્રણેય ઘરે શ્વાનોની પણ ઘણી અવર-જવર રહેતી, જો કે મોટા ભાગના શ્વાનોને બહાર ફરવાની આદત હોય, એટલે એ બધા જમવાના ટાઈમે એમના ઘરે આવે અને મન થાય તો દિવસમાં એકાદ વખત ‘કેમ છો? મજામાં?’ કરી જાય; પણ એ બધા કંઈ બિલાડીઓની જેમ ઘરે ધામા નહીં નાંખે. જો કે એમાં એકલ-દોકલ એવા કિસ્સા પણ ખરાં કે, બહારથી આવી ચઢેલા શ્વાનો ફરી પોતાની દુનિયામાં જવાનું ટાળે અને હિમાંશીબહેનનાં ઘરે જ કાયમી આશ્રય લે! એમાંનો એક એટલે ‘લાલુ’ નામનો દેશી શ્વાન, જે એમના સુરતના ઘરે આવી ચડેલો અને મર્યો ત્યાં લગણ એમની સાથે રહ્યો.

લાલુ વિશે લખેલાં સ્મરણમાં હિમાંશીબહેન પોતે અવઢવમાં પડે છે કે, આ લાલુને માત્ર લાલુ જ કહેવો કે એની કરતૂત અને દેશી ઢબની જીવન શૈલીને હિસાબે ‘લાલિયો’ કહેવો? આ કારણે જ ‘વિક્ટર’માંના એ પ્રકરણનું નામ ‘લાલુ – ના, લાલિયો’ અપાયું છે, જેમાં હિમાંશીબહેને રજૂ કરી છે એ મનસ્વી શ્વાનની વિશેની અત્યંત રસપ્રદ વાતો. એક દિવસ લાલુશેઠ અમસ્તા જ હિમાંશીબહેનના ઘરે આવી ચડેલા અને આવ્યા એવા એમણે કંઈક ખાવાની ઈચ્છા વ્યક્ત કરેલી. નસીબ જોગે એ જે ઘરે આવી ચડેલો એ ઘર પણ પ્રાણીઓ કે આગંતુકોની આગતાસ્વાગતા કરવામાં કંઈ પાછું પડે એવું નહીં, એટલે લાલુભાઈની યોગ્ય સરભરા થઈ અને એના કાને સહેજ વાગ્યું હતું એની પણ ચાકરી થઈ.

શરૂશરૂમાં તો લાલુ માત્ર જમવાના ટાઈમે જ હિમાંશીબહેનને ત્યાં આવતો. સ્મરણકથામાં લખાયું છે એમ, સાડાસાત-પોણા આઠની વચ્ચેના ચોક્કસ સમયે લાલુ ત્યાં આવે અને ભાણું પતાવી ફરી પોતાની દિશામાં ફંટાય. એકાદ દિવસને એને આ બાબતે થોડી ગિલ્ટ અનુભવાઈ હશે કે, ‘ભલે આપણે રખડાં કૂતરા અને આપણા બાપ-દાદાનો ઇતિહાસ પણ કંઈ વખાણવાલાયક નહીં, પરંતુ તો ય આ રીતે ખાઈને ચાલતા થવાની નગુણાઈ તો માણસને જ શોભે, આપણા જેવા વફાદારોને નહીં …’ એટલે લાલુભાઈએ એમના નિત્યક્રમ અને જીવનશૈલીમાં ધરખમ સુધારો આણ્યો અને હિમાંશીબહેનને ત્યાં જ કાયમી પડાવ નાંખવાનું નક્કી કર્યું અને ઘરની ચોકી કરવાનું કે ઘરના સભ્યોને સાથ આપી એમને આનંદ કરાવી પોતાનો રોટલો રળવાનું શરૂ કર્યું.

આ લાલિયાને એવી ટેવ કે, એને હિમાંશીબહેન સાથે એમની કૉલેજમાં જવા જોઈએ. હિમાંશીબહેનના ઘર અને એમ.ટી.બી. કૉલેજ વચ્ચેનું અંતર સાવ નજીવું એટલે હિમાંશીબહેન પગપાળા જ કૉલેજ જાય અને આ તરફ લાલિયાને પ્રાણ જાય, પણ સાથ ન જાયનું ચેટક, એટલે એને સતત હિમાંશીબહેનની સાથે રહેવા જોઈએ, જેને કારણે હિમાંશીબહેનને અનેક વખત ભોંઠા પડવાનો વારો આવેલો અને આ લખનારને તો એવી પણ જાણકારી મળેલી કે, લાલિયાને કારણે હિમાંશીબહેને અન્ય અધ્યાપકોના ઠપકા પણ સાંભળવા પડેલા!

પહેલી વખત લાલિયો કૉલેજ પહોંચી ગયેલો એ વિશે હિમાંશીબહેને ખૂબ મજેદાર શૈલીમાં વર્ણવ્યું છે, એ વિશે આપણે એમના જ શબ્દોમાં વાંચીએઃ

‘હું નોકરી કરવા નજીકની જ કૉલેજમાં જાઉં છું એવી એને એક દિવસ ખબર પડી ગઈ. તે દિવસે એ ચૂપચાપ મારી પાછળપાછળ આવતો રહ્યો. ઘરથી કૉલેજનો માંડ પાંચ-સાત મિનિટનો રસ્તો. હું તો પહોંચીને તરત વર્ગમાં ગઈ. અંગ્રેજીનો વિષય અને હાજરી પૂરવાનું કામ ચાલે, ત્યાં તો બારણામાં ‘યસ મૅડમ’ કહેતો લાલિયો! મને ખોળી કાઢ્યાના ઉલ્લાસમાં એ થનગન નાચતો હતો. હરખનો ઉછાળ એના શરીરમાં સમાય નહીં એટલો. મને જોઈ એટલે સામે બેઠેલાં એંસી-નેવું છોકરાંઓને નજરઅંદાજ કરી એ તો આવી ગયો પ્લેટફોર્મ પર અને ખુરશીની જોડાજોડ ગોઠવાઈ ગયો. હવે જખ મારે છે આખી દુનિયા, એવો ભાવ એના ચહેરા પર. હું અકળામણમાં સ્તબ્ધ – અવાક્. ‘પાછો જા’નો હુકમ માને એવો આજ્ઞાંકિત તો એ હતો નહીં! વર્ગ પૂરો થયો અને મેં જેવા ચૉક-ડસ્ટર હાથમાં લીધા કે કાન ફફડાવી ઍટેન્શનની મુદ્રામાં લાલિયો તૈયાર. મારી પાછળપાછળ ચાલવા લાગ્યો. આ દિવસ પછી એની ઘુસણખોરી વધતી ગઈ અને કૉમન-રૂમ, લાઈબ્રેરી અને આખું કૅમ્પસ- સર્વત્ર એ ‘મેડમના કૂતરા’ તરીકે ઓળખાવા માંડ્યો.’

કૂતરાની હાજરી બધે સર્વપ્રિય હોય નહીં, એટલે કૉલેજમાં લાલિયો સાથે હોય ત્યારે હિમાંશીબહેન માટે થોડી વિકટ પરિસ્થિતિ પણ સર્જાતી, જેને કારણે લાલુ કૉલેજ નહીં આવી શકે એ માટે તેઓ અનેક પેંતરા રચતા, પણ માને એ બીજા, લાલિયો નહીં! લાખ યુક્તિઓ પછી પણ લાલજી તો એમનું ધારેલું જ કરે અને કૉલેજમાં હિમાંશીબહેન જ્યાં હોય ત્યાંથી એમને ખોળી કાઢે! જો કે આ જ લાલિયાના મૃત્યુ પછી હિમાંશીબહેન માટે એકલાં કૉલેજ જવું દુષ્કર થઈ પડેલું. એમણે લખ્યું છે, ‘દિવસો સુધી હું ડોક ફેરવીફેરવીને જોતી રહી કે ક્યાંક લાલિયો આવતો નથી ને પાછળ પાછળ …’

લાલિયા જેવો જ એક અલગારી જીવ જૉલી, જે હિમાંશીબહેનને વલસાડમાં મળેલો. હિમાંશી શેલત અને વિનોદ મેઘાણીએ વલસાડમાં એમનું ‘સખ્ય’ સજાવ્યું, પછી આ જોલી એમને સૌથી પહેલો મળેલો. શિયાળાની કોઈક સવારે વાંકી નદીને કાંઠે ટહેલતાં હિમાંશીબહેન અને વિનોદભાઈ સામે ઊભેલા પારનેરાને જોઈ રહ્યાં હતાં, ત્યારે આલ્સેિશયન જેવો દેખાતો મળતાવડા સ્વભાવનો જૉલી ત્યાં આવી ચઢ્યો અને આવતાવેંત હિમાંશીબહેન સાથે જાણે એને વર્ષોની ઓળખાણ હોય એવી આત્મીયતાથી એમની સાથે રમવા માંડ્યો. સ્મરણકથામાં હિમાંશીબહેને એના નામ સંદર્ભે લખ્યું છે કે, ‘વહેલી સવારે નરવા આનંદની ભેટ ધરનાર આ કૂતરાને અમે ‘જૉલી’ કહેવાનું રાખ્યું, એ હતો પણ ‘જૉલી ગુડ ફેલો. ચોપગા દોસ્ત માટે તલસતા મારા જીવને એ દેવનો દીધેલ જ લાગ્યો.’

આસમાનમાંથી ટપક્યો હોય એવો જૉલી તો આવતાવેંત હિમાંશી શેલત અને વિનોદ મેઘાણી સાથે ગોઠવાઈ ગયો અને એમના ‘સખ્ય’ની સામેના ઘાસિયા પ્લોટમાં એણે રહેવાનું શરૂ કર્યું. ‘સખ્ય’માં આવ્યા પછી હિમાંશી શેલત અને વિનોદ મેઘાણીએ સ્વતંત્રપણે અને સાથે મળીને અનેક પુસ્તકો, અનુવાદો અને સંપાદનો આપ્યાં. આ ઉપરાંત એ બંને ‘નંદિગ્રામ’માં મકરંદ દવે અને કુન્દનિકા કાપડિયા સાથે કેટલીક પ્રવૃત્તિઓમાં પણ પરોવાયેલાં. આવે ટાણે એમણે ઘરને એકલું મૂકીને ક્યાંક બહાર જવું પડતું, પણ જૉલી તો જાણે સેલ્ફ અપોઈન્ટેડ સિક્યુરિટી ગાર્ડ હોય એમ સામેના પ્લોટમાં બેઠો બેઠો ‘સખ્ય’ પર બરાબર નજર રાખે અને કોઈક આગંતુક આવી ચઢે તો આતિથ્યની બધી રીતો ભૂલી એમના પર ખૂબ ભસે. આવું એણે સતત બે-અઢી મહિના કર્યું.

જો કે એક વાર હિમાંશીબહેન અને વિનોદભાઈ ક્યાંકથી ફરીને આવ્યાં ત્યારે જૉલીનો પત્તો નહીં. આસપાસમાં ક્યાંક ગયો હશે એવું માની એમણે થોડો સમય રાહ જોઈ, પણ જૉલીના કોઈ સમાચાર નહીં. સાંજે એમણે આમતેમ તપાસ પણ કરી જોઈ, પરંતુ જૉલી ન જડ્યો એ ન જ જડ્યો. કોઈએ એમને વાવડ આપ્યા કે, બે છોકરીઓ જૉલીને બાંધીને લઈ ગઈ છે. એવામાં રાત થઈ ચૂકી હતી એટલે રાત્રે જૉલીને શોધવાનો કોઈ અર્થ નહોતો, પરંતુ બીજા દિવસે વહેલી સવારે વિનોદ મેઘાણી જૉલીને શોધવા નીકળી ગયા, જ્યાં એક બંગલોની બહાર જૉલીને કોઈએ બાંધેલો હતો!

સવારનો સમય હતો એટલે ત્યાં કોઈની સાથે લમણાં લેવાનો અર્થ નહોતો, પણ વિનોદભાઈએ જૉલીને મુક્ત કર્યો અને પોતાની સાથે ‘સખ્ય’ પર લઈ આવ્યા. છેલ્લા અઢી મહિનાથી આ ત્રણેય જીવોનો નિત્યક્રમ એવો કે, વહેલી સવારે એ ત્રણેય ઘરથી થોડે દૂર વાંકી નદીના કિનારે ફરવાં નીકળે અને એકબીજાં તેમ જ પ્રકૃતિ સાથે ખૂબ ઉત્તમ સમય પસાર કરે. જૉલી ઘરે આવ્યો એટલે એ ત્રણેય ફરી વાંકીને કાંઠે ગયાં અને હજુ તો ત્યાં પહોંચ્યાં જ કે, ફરીથી એક છોકરી હાથમાં સાંકળ લઈને આવી. અને ‘ઝેનિથ’ નામે બૂમ પાડીને જૉલીને એણે પોતાના તરફ બોલાવી લીધો.

જૉલી પણ કહ્યાગરા કંથની જેમ પોતાના નામની બૂમ પડતા જ ત્યાં જઈ પહોંચ્યો અને એણે ગળે સાંકળ બંધાવી લીધી! ત્યારે હિમાંશીબહેન અને વિનોદભાઈને ખબર પડી કે, તેઓ જેમને જૉલી કહીને બોલાવતા હતા એ તો ઝેનિથ નીકળ્યો અને એ ગલૂડિયું હતું ત્યારથી એ બહેનો સાથે રહેતો હતો. પણ એ જીવને સાંકળે બંધાવાનું પસંદ નહોતું અને હવાફેર માટે એને બહાર રખડવાનું ખૂબ માફક આવતું, એટલે ભાઈસાહેબ આ રીતે ચાલી નીકળેલા!

જૉલી ઉર્ફે ઝેનિથ જ્યારે એ દીકરી સાથે નીકળી ગયો ત્યારે હિમાંશીબહેને એના વર્તન વિશે લખ્યું, ‘જીવ તો કપાઈ ગયો. હતાશ બની જવાયું. આવો મજાનો દોસ્ત હવે ચાલ્યો જવાનો હતો. છતાં આમાં બીજું કંઈ કરી શકાય એમ નહોતું. ‘ચાલ ઝેનિથ’, એમ પેલી છોકરીએ કહ્યું એટલે ઝેનિથભાઈ ચાલવા માંડ્યો. આ કૂતરો તો પાક્કો ફિલોસોફર નીકળ્યો! બધી માયા ખંખેરી એણે તો ધામા ઉઠાવી લીધા અને અમારી સામે એક પ્રેમભરી નજર ફેંકી ચાલ્યો ફટાફટ પેલી છોકરી સાથે એના ઘર તરફ …’

ઝેનિથ તો ત્યાર પછી પણ એને મન થાય ત્યારે ‘સખ્ય’ તરફ આવતો રહેલો. હિમાંશીબહેનના પ્રિય શ્વાન વિક્ટરના આક્સ્મિક અવસાન પછી જાણે વિક્ટરની ખોટ પૂરવા આવ્યો હોય એમ નિયમિત ખબર અંતર માટે આવતો. જો કે પહેલાની જેમ એણે ‘સખ્ય’માં ધામા નહોતા નાંખ્યા.

આવતા મંગળવારે લિયો અને વિક્ટર વિશેની વાતો કરીને ‘વિક્ટર’ વિશેની વાતો પૂરી કરીએ.       

સૌજન્ય : https://khabarchhe.com

Loading

31 January 2017 admin
← The Last Day Of Mahatma Gandhi
આ વિકેન્દ્રિત કટોકટી છે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved