નાનું એવું ગામ હતું. આશરે સાતથી આઠ હજારની વસ્તી હશે. સવારના પહોરમાં આશરે ત્રણસો માણસનું ટોળું શિવગિરી આશ્રમની બહાર ભેગું થયું. ટોળું ગુસ્સામાં હતું. બહુ ખેલ ખેલી લીધા. રમતો રમી લીધી. આજે તો તેની આબરૂના લીરેલીરા કરી નાખવા છે. ભાંડો ફોડી નાખવો છે. સાધુતાનો આંચળો પહેરીને આવી લીલા કરે એ ચલાવી જ ન લેવાય.
એક સજ્જન પુરુષે પૂછ્યું,
`શું થયું? તમે લોકો આટલા બધા ગુસ્સામાં કેમ છો?` `અરે! શું વાત કરવી. આશ્રમમાં સ્ત્રીઓનો પ્રવેશ વર્જિત છે. તો પેલી બાઈ આ પહેલાં પણ ઘણી વખત આવી હતી અને આજે સવારે ફરીથી આવી છે. એ શું કામ આવે છે? અમને દાળમાં કંઈક કાળું લાગે છે?`
`જુવો, તમે બધા અને હું શિવગિરી બાપુને પંદર વરસથી ઓળખીએ છીએ. એ કંઈ ખોટું કરે જ નહીં. તમારા બધાની કંઈક ભૂલ થતી લાગે છે. જો, જો, પાછળથી પસ્તાવું ન પડે.`
`અમને ખબર પડે છે. એ, વડીલ, તમારે સાથ ન આપવો હોય તો જઈ શકો છો.`
ને એ સજ્જન વડીલે ચાલતી પકડી.
`રઘુ, જો તો આશ્રમ બહાર આટલો બધો દેકારો શેનો છે?` શિવગિરી બાપુએ તેના શિષ્યને જાણવાની સૂચના આપી.
`રઘુભાઈ આશ્રમ આજે કેમ બંધ છે? દરવાજા ખોલો?`
`આજે આશ્રમના દરવાજા બંધ રાખવાની ગુરુજીની આજ્ઞા છે.`
`શું! કામ પેલી રૂપકડી આવી છે એટલે? દરવાજો ખોલ, આજે તારા ગુરુજીનો ભાંડો ફોડી નાખવો છે. આવા ધંધા આ સંસ્કારી ગામમાં ન ચાલે. કોણ છે એ બાઈ તને ખબર છે?`
`ના, મને નથી ખબર.`
`સાલા બધાં જ ભળેલા છે. મિલીભગત આશ્રમ છે.`
`જુવો, તમે લોકો મારા ગુરુજી માટે જેમતેમ ન બોલો.`
`તો ખોલ દરવાજો એટલે “પાણીનું પાણી અને દૂધનું દૂધ” થઈ જશે.`
`ગુરુજીની આજ્ઞા સિવાય હું દરવાજા ન ખોલી શકું.`
`તો અમે દરવાજો તોડી ને અંદર દાખલ થઈશું.`
`ઊભા રહો, હું ગુરુજીને પુછી આવું.`
`ગુરુજી, આશ્રમ બહાર લગભગ ત્રણસો માણસનું ટોળું છે. તમારા વિશે જેમતેમ બોલે છે. જબરદસ્તીથી આશ્રમમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે, શું કરું?`
`એ બધાને પ્રાર્થનાખંડમાં બેસાડ. હું આવું છું. અને એ લોકોને જઈને કહે, તમે શાંતિ રાખો. બાપુ તમારા દરેક સવાલનો જવાબ આપશે.`
`તમે લોકો પ્રાર્થના ખંડમાં બેસો. ગુરુજી તમારા બધાં જ સવાલના જવાબ આપશે. એવો સંદેશો તમને આપવાનું ગુરુજીએ કહ્યું છે.`
આ વાત સાંભળીને ચાલીશ … પચાસ માણસો આમ જ પાછા વળી ગયા કે સાલું ક્યાંક કાચું કપાય છે.
શિવગિરી બાપુ આશરે પંદર વર્ષ પહેલાં આ ગામમાં આવ્યા હતા. ગામ બહાર બંજર જમીનમાં નાની એવી ઝૂંપડી બનાવી રહેવાનું શરૂ કર્યું હતું. આજુબાજુની વાડી વાળા સવાર –સાંજ ભોજન આપી જતા, પાણી ભરી જતા. આથી વિશેષ બાપુને કોઈ જરૂરિયાત નહોતી. બાપુ આખો દિવસ પ્રભુ ભજનમાં મસ્ત રહેતા. ધીમે ધીમે શિવગિરી બાપુની ભક્તિ અને શ્રદ્ધાની ખ્યાતિ આજુબાજુના ગામમાં પ્રસરતી ગઈ. ગામની પંચાયતે, બાપુને બે એકર જમીન આશ્રમ બનાવવા માટે આપી અને શિવગિરી આશ્રમ બની ગયો. લોકોમાં આસ્થા વધતી ગઈ તેમ આશ્રમમાં ભીડ વધતી ગઈ. તેમ વ્યવસ્થા અને સગવડતા વધતી ગઈ.
એક વખત સત્સંગ પછી બાપુએ ગામના લોકોને કહ્યું,
`હું શિવભક્ત છું. મારી ઇચ્છા આશ્રમમાં શિવમંદિરના નિર્માણની છે. ગામના લોકોએ બાપુની ઇચ્છાને વધાવી લીધી. સારું એવું ભંડોળ એકઠું કરી બે વર્ષ પહેલાં શિવમંદિરના નિર્માણનું પણ કાર્ય શરૂ કરી દીધું હતું. જે આજે પૂર્ણતાના આરે હતું, અને બે મહિના પછી મંદિરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન પણ કરી નાખ્યું હતું.
શિવગિરી બાપુ પ્રાર્થનાખંડમાં આવ્યા, રોજ બાપુના માનમાં બધાં ઊભા થતા. પણ આજે ભક્તોમાંથી કોઈ ભક્ત ઊભા ન થયા.
`અમારે અમારા સવાલના જવાબ જોઈએ છે. આશ્રમમાં સ્ત્રીના પ્રવેશનો નિષેદ્ધ છે. આજે આવેલી એ બાઈ કોણ છે? અને શા માટે વારંવાર આશ્રમમાં આવે છે?`
`રઘુ, માઈને પ્રાર્થનાખંડમાં લઈ આવ. કહેજે ગુરુજીએ બોલાવ્યા છે. ગામના લોકો તમારી ઓળખાણ માંગે છે એટલે.`
માઈ શબ્દ સાંભળીને જ ગામના લોકોમાં સોપો પડી ગયો હતો.
‘તમારે આ માઈ વિશે જાણવું છે ને?`
`બાપુ, હું કઈ કહું?`… “બા”… “બાપા’”.. “પ્રાર્થના ખંડમાં આવો.”
`બાપા, આ લોકોને મારા વિશે જાણવું છે.`
`ભલે, બેટા આપણે તેમની શંકાનું નિવારણ કરી દઈએ. સોનું હંમેશાં સોનુ જ રહે એ કદી કથીર ન થાય.`
`મારું નામ પુંજો, પુંજો પટેલ. આ તમારા શિવગિરી બાપુ એ મારો દીકરો છે. તેનું સંસારી નામ મધુ છે. અને તમારે જેની ઓળખાણ જોઈએ છે એ મારી દીકરી અને આ શિવગિરી બાપુની બહેન છે. તે પહેલી વખત ભાઈને સંસારમાં પાછા આવી જવા માટે સમજાવવા આવી હતી. પણ ભાઈની શિવભક્તિ જોઈને આગ્રહ પડતો મુક્યો.`
`પછી જ્યારે પણ આવી છે એક ભક્ત તરીકે પોતાના પ્રશ્નોના ઉકેલ માટે આવી છે. છેલ્લે આવી ત્યારે ગામ લોકોને તેના પવિત્ર સંબંધ ઉપર કીચડ ઉડાડતા જોયા. મને વાત કરી. અમે નક્કી કર્યું કે શિવગિરી બાપુની વધુ બદનામી થાય તે પહેલાં આ ગામના લોકોની આંખ ઉઘાડવી જોઈએ. તેમની શંકાનું સમાધાન કરવું જોઈએ. આ મારી દીકરી શિવગિરી બાપુની ભક્ત છે અને સંસારી મધુની બે’ન છે.`
`હા, આશ્રમમાં સ્રીના પ્રવેશનો નિષેધ છે. પણ મારી દીકરી જ્યારે, જ્યારે મધુને મળવા આવી ત્યારે, ત્યારે એક ભક્ત, બહેન બનીને આવી છે. હવે તમારે નક્કી કરવાનું છે ….. કે ….. તમારી વિચારધારામાં ખોટ છે કે મારા, દીકરા, દીકરીમાં.`
`બાપુ, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમને માફ કરી દ્યો. અમે તમારા હીતશત્રુઓના બહેકવામાં આવી ગયા હતા.`
`હું, તો સાધુ છું. તમને પસ્તાવો થયો એ જ તમારા માટેની માફી છે. પણ મારી પંદર વર્ષની સાધના પછી, મારી સાથેના સત્સંગ પછી, તમે મને ન સમજી શક્યા, ન ઓળખી શક્યા. એમાં તમારો કંઈ વાંક નથી. મારી સાધુતામાં ક્યાંક કચાશ રહી ગઈ છે. એ દૂર કરવા હું અત્યારે જ આ આશ્રમનો ત્યાગ કરી હિમાલય તરફ પ્રયાણ કરું છું. હવે હું અહી રહી ન શકું અને રહુ તો મારી સાધુતા લાજે. મારા શિષ્યોમાંથી જેને પણ મારી સાથે આવવું હોય એ આવી શકે છે. બીજા કોઈ તીર્થ સ્થાનમાં જવું હોય તો જઈ શકે છે. અહીં નહીં રહી શકે કારણ કે હું આ આશ્રમ જ બંધ કરી દઉં છું.`
એટલું બોલી શિવગિરી બાપુ શિષ્ય સમુદાય સાથે આશ્રમનો ત્યાગ કરી, બંધ કરી નીકળી ગયા.
ગામના લોકો ભૂલનું પરિણામ ભોગવતા ચોધાર આંસુએ શિવગિરી બાપુને જતા જોઈ રહ્યા …. કોઈનામાં રોકવાની હિંમત નહોતી ….. સાધુતા સામે ગામ નૈતિકતા ખોઈ બેઠું હતું. આટલાં વરસના સત્સંગ પછી પણ તેની સાધુતાને ઓળખી નહોતું શક્યું.
e.mail : Nkt7848@gamail.Com
![]()

