Opinion Magazine
Number of visits: 9984479
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિજ્યા મહેતા : 

બી.બી.બી. ગુજરાતી|Opinion - Opinion|7 July 2026

ગુજરાતમાં જન્મેલાં નાટ્યકાર, જેમના પ્રયોગોએ ભારતીય રંગમંચને નવી દિશા આપી

ગયા સપ્તાહે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લેનારાં વિજ્યા મહેતા તેમના નોખા પ્રવાહનાં નાટકો માટે જાણીતાં હતાં

વિજયા મહેતાનાં પ્રયોગાત્મક નાટકોએ પરંપરાગત વાર્તાઓ અને પાત્રોથી જુદી કેડી કંડારીને નોખો ચીલો ચાતર્યો. ગયા સપ્તાહે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લેનારાં વિજ્યા મહેતા તેમના નોખા પ્રવાહનાં નાટકો માટે જાણીતાં હતાં, જેમણે ભારતીય થિયેટર(નાટ્યજગત)નું ચિત્ર સમૂળગું બદલી નાખ્યું.

1960 અને 1970ના દાયકામાં મરાઠી રંગભૂમિ(જે નાટકો મુખ્યત્વે મહારાષ્ટ્રમાં ભજવાતાં હતાં)ને આધુનિક સ્વરૂપ આપવાનું ઘણું-ખરું શ્રેય વિજ્યા મહેતાને આપવામાં આવે છે. પર્ફૉર્મિંગ આર્ટ્સના જગતમાં તેઓ અત્યંત પ્રભાવશાળી હસ્તીઓ પૈકીનાં એક હતાં. તેઓ પ્રયોગલક્ષી નાટકો અને ફિલ્મોનું દિગ્દર્શન કરવા બદલ અને તેમાં અભિનય કરવા બદલ જાણીતાં હતાં, તેમ જ નાના પાટેકર તથા અનુપમ ખેર જેવા બોલીવૂડના ઘણા ઊભરતા તથા લોકપ્રિય અભિનેતાઓનાં માર્ગદર્શક પણ હતાં.

વિજ્યા મહેતાએ તેમના જીવનકાળ દરમિયાન ઘણા પુરસ્કારો મેળવ્યા હતા, જેમાં અભિનય તથા દિગ્દર્શન બદલ નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ તથા આધુનિક ભારતીય રંગભૂમિમાં અમૂલ્ય યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા એનાયત કરાયેલા નાગરિક સન્માન પદ્મશ્રીનો પણ સમાવેશ થાય છે. મોટા ભાગે મરાઠી રંગભૂમિ સાથે સંકળાયેલાં રહેનારાં વિજ્યા મહેતાનો જન્મ 1934માં વર્તમાન સમયના ગુજરાત રાજ્યમાં આવેલા વડોદરામાં થયો હતો. તેઓ કલાકારોના પરિવારમાંથી આવતાં હતાં અને તેઓ સરળતાથી મુખ્ય પ્રવાહના સિનેમામાં તેમની કારકિર્દી ઘડી શક્યાં હોત, પણ તેમણે તેને બદલે થિયેટર(રંગભૂમિ)ની દુનિયા પસંદ કરી હતી.

ભારતીય રંગમંચ પાસે ચાહકોની કમી નથી, પણ પર્ફૉર્મિંગ આર્ટ્સના ક્ષેત્રમાં તેને હંમેશાં ઓછું ગ્લેમરસ સ્થાન મળ્યું છે. પણ મહેતાએ કદી તેની પરવા કરી હોય, એમ લાગતું નથી. વિજ્યા મહેતાએ એક પ્રોફેસરે આપેલા પ્રોત્સાહનથી પ્રેરાઈને મરાઠી નાટકોમાં અભિનયની શરૂઆત કરી હતી.

નિડર અને પ્રયોગાત્મક નાટકો

વિજયા મહેતાએ મુંબઈમાં નૅશનલ સેન્ટર ફૉર ધ પર્ફૉર્મિંગ આર્ટ્સનાં ચૅરપર્સન તરીકે એક દાયકા કરતાં વધુ સમય સુધી સેવા પૂરી પાડી હતી

એ પછી તેમણે આધુનિક ભારતીય રંગમંચના પ્રણેતા ગણાતા ઇબ્રાહીમ અલકાઝી અને અદી મર્ઝબાનના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી અને પ્રયોગશીલતાના તેમના જુસ્સાને તેમના પોતાના કાર્યમાં વણી લીધો. મહારાષ્ટ્રના નાટ્યપ્રેમીઓ વિજ્યા મહેતાને એક એવાં મહિલા તરીકે યાદ કરે છે, જેમણે સામાન્ય જીવન વિશેનાં નિડર અને પ્રયોગાત્મક નાટકો થકી મરાઠી રંગભૂમિની કાયાપલટ કરી. આ બદલાવ મુખ્યત્વે મધ્યમવર્ગીય મરાઠીભાષી દર્શકોને પસંદ પડ્યો, જેમને આખરે તેમના પોતાના જીવનનું પ્રતિબિંબ તખ્તા પર ભજવાતું જોવા મળ્યું. વિજ્યા મહેતાનાં નાટકો રોજિંદા જીવનની આંટીઘૂંટીને તાદૃશ રજૂ કરતાં હતાં, જેમાં પાત્રો ખામી ધરાવતાં, છતાં માન્યામાં આવે, એવાં રહેતાં હતાં અને તેમની પ્રામાણિકતા દર્શકોનાં હૃદયને સ્પર્શી જતી હતી.

વિજ્યા મહેતાને શ્રદ્ધાંજલિ અર્પતાં મહારાષ્ટ્રના અગ્રણી રાજકારણીઓ પૈકીના એક રાજ ઠાકરેએ મહેતાની “હિંમત”ને બિરદાવતાં કહ્યું હતું કે, તેમણે એવા સમયે મરાઠી રંગભૂમિમાં પરિવર્તન આણ્યું, જ્યારે રાજ્ય સ્વયં નવું સ્વરૂપ ધારણ કરી રહ્યું હતું. મહેતાએ 1960માં પ્રયોગલક્ષી મુંબઈ થિયેટર ગ્રૂપ – ‘રંગાયન’ની સહ-સ્થાપના કરી હતી. એ જ વર્ષે મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ હતી. બૉમ્બે રિઑર્ગેનાઇઝેશન ઍક્ટ મુજબ દ્વિભાષી બૉમ્બે રાજ્યનું ગુજરાતી બોલતા રાજ્ય ગુજરાત અને મરાઠી બોલતા રાજ્ય મહારાષ્ટ્રમાં વિભાજન કરવામાં આવ્યું હતું. ઠાકરેએ કહ્યું હતું કે, મહેતા એવા સમયે ઊભરી આવ્યાં, જ્યારે મહારાષ્ટ્ર સામાજિક સુધારણા, ઉદ્યોગીકરણ અને સાર્વત્રિક શિક્ષણ અપનાવી રહ્યું હતું. તે સમયે મરાઠી રંગમંચે “ભવ્ય સેટ અને મેલોડ્રામા”થી આગળ વધીને “ખરા અર્થમાં પ્રયોગાત્મક” બનવાની જરૂર હતી. રાજ ઠાકરેએ લખ્યું હતું, “વિજ્યાતાઈ(વિજ્યાબહેન)એ ખાલીપો પૂર્યો હતો.”

“રંગાયન”એ મરાઠી રંગભૂમિનાં કેટલાંક સૌથી નિડર પ્રયોગલક્ષી નાટકોનું મંચન કર્યું અને સાથે જ કલાકારો અને લેખકોની એક આખી પેઢી તૈયાર કરી.

‘પ્રસિદ્ધિ અને નાણાં કમાવાનો આશય તો દૂર-દૂર સુધી નહોતો.’

નાના પાટેકર સાથે વિજયા મહેતા

વિજ્યા મહેતાએ “રંગાયન” ખાતે જેમનાં નાટકોનું દિગ્દર્શન અને નિર્માણ કર્યું હતું, તે નાટ્યકાર મહેશ એલકુંચવારે તેમની સાથે કામ કરવાનાં સંસ્મરણો ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’ અખબારમાં વાગોળ્યાં છે. “મેં જ્યારે બાઈ (મરાઠી ભાષાનો માનવાચક શબ્દ, વિજ્યા મહેતાને આદરથી બાઈ કહેવામાં આવતાં હતાં) સાથે હાથ મિલાવ્યાં, ત્યારે હું સમજી ગયો હતો કે, મને મારું પોતાનું સ્થાન મળી ગયું છે. અમને મનોરંજન પીરસવામાં કોઈ રસ ન હતો, પ્રસિદ્ધિ અને નાણાં કમાવાનો આશય તો દૂર-દૂર સુધી નહોતો. અમે અમારા કાર્ય દ્વારા નાટક, કળા અને જીવનને ખોળવા માગતાં હતાં,” એમ તેમણે લખ્યું હતું.

મહેતાએ ઘણાં લોકોને નાટક તરફ વળવાની પ્રેરણા પૂરી પાડી હતી. તેમાં ગાયક અને લેખક સ્વાનંદ કિરકિરેનો પણ સમાવેશ થતો હતો, જેમણે કહ્યું હતું કે, વિજ્યા મહેતાનો એક વર્કશૉપ તેમને રંગમંચ સુધી ખેંચી લાવ્યો હતો. તેમણે ઍક્સ પર લખ્યું હતું કે, ત્યાંનું વાતાવરણ એટલું “જકડી રાખનારું” હતું કે, તેમણે “બસ તેમાં જ સ્થાયી થઈ જવાનું નક્કી કર્યું.” મહેતાએ મરાઠીભાષી દર્શકોને સંસ્કૃતનાં ઉત્કૃષ્ટ નાટકો, વિજય તેંડુલકર જેવા મરાઠી નાટ્યકારોનાં પ્રયોગાત્મક નિર્માણો અને બર્ટોલ્ટ બ્રેખ્ત તથા એન્ટન ચેખોવનાં સર્જનોનાં રૂપાંતરણોનો પરિચય કરાવ્યો.

પરંતુ મહેતાના પ્રયોગો ફક્ત નાટકો પૂરતા મર્યાદિત નહોતા.

પીઢ દિગ્દર્શક શ્યામ બેનેગલ (ડાબે) અને વિજયા મહેતા મુંબઈમાં એક પેનલ ડિસ્કશન દરમિયાન

તેમણે કેટલીક પ્રશંસનીય ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું, જેમાં 1985ની “રાવ સાહેબ” (19મી સદીના મહારાષ્ટ્રના એક સુધારાવાદી વકીલ વિશેની વાર્તા) અને 1988માં આવેલી “પેસ્તનજી” જેવી ફિલ્મોનો સમાવેશ થતો હતો. “પેસ્તનજી”માં 1950ના દાયકાના મુંબઈમાં ત્રણ પારસીઓના જીવન દ્વારા પ્રેમ, વ્યભિચાર અને મૈત્રીની વાર્તા દર્શાવાઈ હતી. વિજ્યા મહેતા સાથે કામ કરનારાં કલાકારો તેમની કળા વિશેની ઊંડી સમજ અને દિગ્દર્શન પ્રત્યેના તેમના અભિગમને યાદ કરે છે.

અભિનેતા અનુપમ ખેરે ઍક્સ પર એક પોસ્ટ કરીને “રાવ સાહેબ”માં વિજ્યા મહેતા સાથે કામ કરવાનો તેમનો અનુભવ વાગોળ્યો હતો. તે ફિલ્મમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. “ત્યાં સુધીમાં હું થોડી ફિલ્મો કરી ચૂક્યો હતો અને વિચારતો હતો કે, મને અભિનય વિશે થોડી સમજ છે. પણ તેમની સાથેના દરેક રિહર્સલે મને યાદ અપાવ્યું કે, આ કળાનો મહાસાગર કેટલો વિશાળ છે. તેમની સમજણ, માનવ વર્તન વિશેની તેમની સમજ અને અતિશય સંવેદનશીલતાની સામે હું ખુશી-ખુશી ફરીથી વિદ્યાર્થી બની ગયો,” એમ તેમણે લખ્યું હતું.

મહેતા એક દાયકા કરતાં વધુ સમય સુધી મુંબઈના નૅશનલ સેન્ટર ફૉર પર્ફૉર્મિંગ આર્ટ્સ (એનસીપીએ)નાં અધ્યક્ષપદે પણ રહ્યાં હતાં. તેમની કારકિર્દી દરમિયાન તેમણે અગ્રણી ભારતીય નાટ્યસર્જકો અને કલાકારો તેમ જ પીટર બ્રૂક, યુજેનિયો બાર્બા અને રિચાર્ડ શેકનર જેવી આંતરરાષ્ટ્રીય થિયેટર હસ્તીઓ સાથે પણ કામ કર્યું હતું.

તેમના અવસાન સાથે ભારતીય રંગભૂમિના વિશ્વમાં એક શૂન્યાવકાશ સર્જાયો છે, જે ભરવો મુશ્કેલ છે. અભિનેત્રી સોનાલી કુલકર્ણી જણાવે છે કે, તેઓ અને અન્ય કલાકારો તથા થિયેટરકર્મીઓ વિજ્યા મહેતાનાં ઋણી છે અને તેઓ આ ઋણ કદીયે ચુકાવી શકશે નહીં. કુલકર્ણીએ જણાવ્યું હતું કે, વિજ્યા મહેતાની વિદાય એ તેમને (કુલકર્ણીને) થયેલું નુકસાન છે, એમ કહેવું ઘણી નાની વાત ગણાશે. “એમ કહેવાથી તમે સાચે અમને જે આપ્યું છે, તેનું મૂલ્ય ઓછું થઈ જશે. તમારી હાજરી જે સમૃદ્ધિ લાવી હતી, થિયેટરને તમે જે વિપુલતા ભેટમાં આપી છે, તેનું ઋણ કદીયે ચૂકવી શકાશે નહીં.”

[બી.બી.સી. મરાઠીના સિદ્ધાંત ગાનુ અને મયૂરેશ કોણ્ણુરનાં ઇનપુટ્સ સાથે]
છબિ સૌજન્ય : NCPA Library Archives
સૌજન્ય : https://www.bbc.com/gujarati/articles/cdrp01l6vmzo

Loading

7 July 2026 Vipool Kalyani
← સરકારનો વિરોધ બંધારણીય અધિકાર છે …

Search by

Opinion

  • સરકારનો વિરોધ બંધારણીય અધિકાર છે …
  • અસાધારણ સિદ્ધિઓ કે સામાન્ય સવલતો?: સપનાં બુલેટ ટ્રેઇનનાં છે, પણ મોત મેનહોલમાં મળે છે
  • મેઘ આગમન
  • ચલ મન મુંબઈ નગરી—348
  • ઇંધણના ભાવ ગમે એટલા ઘટે, સરકાર ભાવ ઘટાડવાની નથી –

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved