
રવીન્દ્ર પારેખ
કેન્દ્ર સરકાર કે અન્ય રાજ્યોની સરકાર સામે આજની પ્રજા પાળેલી હોય તેમ વર્તે છે. સરકારનું ભક્ત મંડળ એટલું વ્યાપક છે કે આ દેશમાંથી વિરોધ કરનારાં પરિબળો ઓછાં થતાં જાય છે ને તે ઓછાં જ રહે એવા પ્રયત્નો થાય છે. કેટલાક કિસ્સાઓમાં તો સરકારને ખબર પડે તે પહેલાં ભક્તો જ ન્યાય કરવા બેસી જાય છે. આ ઠીક નથી. સરકારની ભક્તિ ચાલતી હોય તો સરકારનો વિરોધ પણ ચાલવો જોઈએ. કમનસીબી એ છે કે ભક્તોને વાંધો નથી આવતો, પણ વિરોધનો સૂર કાઢનારાઓનું આવી બને છે. આવો વિરોધ કરનાર સરકાર દ્વારા દંડાય છે ને એ મામલો કોર્ટ સુધી પહોંચે છે, તો કોર્ટને નિર્ણય કરવાનું અઘરું થઈ પડે છે. કોર્ટ સરકારની વિરુદ્ધ ચુકાદો આપે તો તે સરકારની વિરુદ્ધ છે, એવું અર્થઘટન થાય ને સરકાર તરફી ચુકાદો આપે તો સરકારની ભાટાઈ કરે છે, તેવો તેનો અર્થ થાય. આવામાં સામાન્ય માણસનું સ્થાન કેવું હોય તે સમજી શકાય એવું છે.
મુંબઈ પોલીસે ભૂતપૂર્વ લોકસભા ઉમેદવાર સઈદ ચૌધરી સામે 2019 થી 2024 દરમિયાન CAA – સિટિઝન્સ એમેન્ડમેન્ટ્સ એકટ, નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ – NRC, બાબરી મસ્જિદ, વકફ બોર્ડનું કહેવાતું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને જ્ઞાનવાપી મસ્જિદ જેવા મુદ્દાઓ પર પરવાનગી વગર શાંતિપૂર્ણ દેખાવો કરવા બદલ અને ‘ભા.જ.પ. સરકાર મુર્દાબાદ’ કે ‘અમિત શાહ મુર્દાબાદ’ જેવા રાજકીય નારાઓ બદલ 4-5 સામાન્ય FIR નોંધવામાં આવી હતી. આવી નારેબાજી કોઈ પણ કાર્યવાહી કરવા માટેનો આધાર કઈ રીતે બની શકે તે સવાલ બોમ્બે હાઈકોર્ટને હતો.
સોશિઅલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા(SDPI)ના જનરલ સેક્રેટરી સઈદ એહમદ અબ્દુલ વાહિદ ચૌધરીએ મુંબઈ પોલીસના તડીપારના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પોલીસે ચૌધરીને 1 વર્ષ માટે મુંબઈ બહાર જવા(તડીપાર)નો આદેશ આપ્યો હતો. સઈદ ચૌધરીની યાચિકામાં જણાવાયું હતું કે ઓક્ટોબર, 2025માં મહારાષ્ટ્ર પોલીસ એકટ (MPA) હેઠળ તડીપારની કાર્યવાહી કરવામાં આવી હતી.
બોમ્બે હાઈકોર્ટે પોલીસની ઝાટકણી કાઢતાં આ આદેશને ગેરકાનૂની અને બદઈરાદાપૂર્વકનો ગણાવ્યો હતો. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકશાહી સ્વસ્થ રાખવા માટે શાંતિપૂર્ણ વિરોધ અને અસંમતિ જરૂરી છે. કોર્ટે જણાવ્યું કે વિરોધ કરવો એ બંધારણીય અધિકાર છે. સરકારની નીતિઓનો વિરોધ કરવો અને સૂત્રો પોકારવા એ બંધારણના અનુચ્છેદ 19 અને 21 હેઠળ નાગરિકોને મળતો મૂળભૂત અધિકાર છે. માત્ર સરકારનો વિરોધ કરવા બદલ કોઈને અપરાધી ન ગણી શકાય. આની સામે પોલીસની ભૂમિકા બદલ પણ કોર્ટે કહ્યું કે પોલીસો કોઈ મુખ્ય મંત્રી કે વડા પ્રધાનના સેવકો નથી, તે લોકસેવકો છે – પબ્લિક સર્વન્ટ છે. સઈદ એહમદને તડીપાર કરવાનો આદેશ એટલે પણ ખોટો હતો કે તે એવા ગુનેગારો માટે છે જેમનાથી જાહેર સુરક્ષાને જોખમ હોય એ સાથે જ રાજકીય અસંમતિ દબાવવા માટે તડીપારનો દુરુપયોગ થઈ શકે નહીં.
બોમ્બે હાઈકોર્ટે સરકાર અને પોલીસની કામગીરી બાબતે એવી ટિપ્પણી કરી કે તમામ નાગરિકોને ભારત સરકારના ગુલામ બનાવવામાં આવી રહ્યા છે. લોકો વિરોધ કરે તો તેમની સામે ખોટા કેસો ઊભા કરીને હેરાન પરેશાન કરવામાં આવે છે. જુલાઈ, 2026માં બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ માધવ જામદારે મુંબઈ પોલીસ દ્વારા સઈદ એહમદ વિરુદ્ધના તડીપારના આદેશને રદ્દ કરતો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.
બોમ્બે હાઈકોર્ટે પરીક્ષાનાં પેપરો લીક થવાના વિરોધમાં દેશભરમાં થયેલાં વિરોધ પ્રદર્શનો મુદ્દે પણ ટકોર કરી હતી. એવા વિરોધ કરનાર સામે કાનૂની પગલાં લેવાયાં હતાં. સુનાવણી દરમિયાન જજ માધવ જામદારે રોકડું પરખાવ્યું હતું કે પોલીસ જનતાને જવાબદાર છે. તે રાજકીય કાર્યકરોને બંધાયેલી નથી. જો કે, વ્યવહારુ ચિત્ર એવું છે કે રાજકીય કાર્યકરોની ખુશામત સુધી પોલીસ પહોંચે છે ને સામાન્ય નાગરિક ગુનેગાર હોય તેમ તેની સાથે વર્તે છે. એ ખરું કે નાગરિકોને સરકારી નિર્ણયો સામે દેખાવો કે આંદોલન કરવાનો અધિકાર છે, પણ એવો અધિકાર સરકાર દ્વારા, તંત્રોને એવી ફરજ પાડે છે કે પેલો અધિકાર પ્રજા પાસે બચે જ નહીં. ટૂંકમાં, પોલીસને વિરોધ કે સૂત્રોચારને મુદ્દે તડીપારનો આદેશ આપવાની સત્તા નથી.
સૂત્રોચ્ચાર દ્વારા કોઈ જાનમાલની હાનિ થતી ન હોય કે હિંસાનો કોઈ પુરાવો ન હોય, તો કોઈને તડીપાર કરી શકાય નહીં. કોર્ટનો સવાલ એ છે કે સૂત્રોચ્ચાર કેમ ન થઇ શકે? સઈદ ચૌધરીએ સૂત્રો પોકાર્યા હોય એટલા પરથી તેને ગંભીર પ્રકારની સજા કરી શકાય નહીં. જસ્ટિસ જામદારે એ પણ સ્પષ્ટતા કરી કે કોઈ પણ પ્રકારનું પ્રદર્શન કાયદાથી પર છે એવું નથી. જે પ્રદર્શનથી કોઈ હાનિ થતી નથી કે જાનમાલનું નુકસાન થતું નથી એવું જ પ્રદર્શન તડીપારની પાત્રતા બનતું નથી. પ્રદર્શનમાં જાહેર હાનિ કે નુકસાનનું પ્રાધાન્ય હશે તો તેવાઓની સામે કાયદો કાયદાની રીતે કામ કરશે.
જસ્ટિસ જામદારે કડક શબ્દોમાં કેટલાક સવાલો એમ કહીને પૂછ્યા હતા કે આ શું છે? તમામ નાગરિકોને ભારત સરકાર ગુલામ બનાવી રહી છે, પરિણામે લોકો વિરોધ કરી શકતા નથી કે આંદોલન કરી શકતા નથી. આ બધું શું ચાલી રહ્યું છે? અત્યારે ઘણાં પેપર્સ લીક થયાં છે. જો લોકો વિરોધ નોંધાવે છે તો, તેની સામે કેસ ઠોકી દેવાય છે. જસ્ટિસ માધવ જામદારે એ પણ જાણવા ઇચ્છ્યું કે સઈદ ચૌધરીને તડીપારનો હુકમ કેમ અપાયો હતો? જજ માધવ જામદાર એટલા ઉગ્ર હતા કે તંત્રનાં અધિકારીઓ પર તેમણે દંડ લાદવાની વાત પણ કરી હતી. અવાજ ઉઠાવવા બદલ તડીપાર કરવાથી વાણી સ્વાતંત્ર્ય અને ગરિમાના અધિકાર પર તરાપ પડે છે. જસ્ટિસ માધવ જામદારે સ્પષ્ટ કહ્યું કે તંત્રે બદઈરાદાથી પગલાં લીધાં હતાં. કોર્ટે કહ્યું કે તડીપારનો આદેશ રદ્દ કરીને રીટ અરજીનો નિકાલ કરવામાં આવે છે.
આજકાલ તો સુપ્રીમ કોર્ટના નિર્ણયો સામે પણ શંકાઓ થાય છે, ત્યાં બોમ્બે હાઇકોર્ટનો આ ચુકાદો અનેક રીતે વિશિષ્ટ છે. તે એ રીતે કે રીટ ફાઈલ કરનાર સઈદને તે પૂરોપૂરો ન્યાય કરે છે ને તે સાથે જ સરકાર ગુલામ બનાવે છે એ વાત પણ પૂરી નિર્ભીકતાથી કરે છે.
આ ચુકાદાની અસર સુપ્રીમ સુધી પહોંચી છે. સુપ્રીમના જાહેર હિતના સિનિયર વકીલ પ્રશાંત ભૂષણે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું, ’હજી એવા જજો મોજૂદ છે જેઓ સરકારને સવાલ કરવાની અને નાગરિકોના અધિકારો માટે ઊભા રહેવાની હિંમત ધરાવે છે. પ્રશંસનીય.’ સુપ્રીમના વકીલનું આ પ્રમાણપત્ર અનેક રીતે ન્યાયનો મહિમા કરે છે. માધવ જામદારે રીટ કાઢી નાખી તે તો એક સહજ ક્રમ હતો, પણ તડીપારનો કાયદો કયા સંજોગોમાં બિનઅસરકારક છે એની સ્પષ્ટતા પણ કરી જ ! તેમણે સરકારને સોંસરા સવાલો કર્યા. એક તરફ સાદો વિરોધ કરનાર જો તડીપારને લાયક ઠરતો હોય, તો સરકારને સીધા સવાલ કરનાર જજ સામે કયો ખેલ નહીં પડે એની કલ્પના જ કરવાની રહે છે.
એમાં કોઈ શંકા નથી કે ભા.જ.પ. સરકારે વિકાસનાં ઘણાં કામો કર્યાં છે ને ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા ઊભી કરી છે. અનેક દેશો સાથે સંપર્ક વધ્યા છે. વેપાર વાણિજ્યની અનેક તકો ઊભી થઈ છે. દેશના 81.5 કરોડ લોકોને મફત અનાજ અપાય છે. અનેક પ્રકારની આર્થિક સહાયની ઘણી યોજનાઓ સક્રિય છે, પણ તે કિન્નાખોરી રાખીને પણ વર્તે છે. ખાસ કરીને વિપક્ષો બહુ સ્વકેન્દ્રી છે એનો લાભ સરકારને મળે છે. મજબૂત વિપક્ષ ન હોવાથી સરકારને એની ચિંતા નથી, એટલે તે મનમાની કરી શકે છે. કોઈ વિપક્ષી નેતા સામે પડ્યો તો તેને સરકારી હેરાનગતિનો ભોગ બનવાનું આવે છે. વિપક્ષને તોડવાનું ને સામેથી પોતાની સાથે કરી લેવાનું સરકારને અનુકૂળ આવે છે. જનતાનો વિરોધ પણ સરકારને અસહ્ય છે, એટલે સઈદ ચૌધરી જેવા રાજકીય નેતા ને તડીપાર કરવાનું ફાવતું આવે છે.
સરકારને એકલદોક્લ વિરોધ પણ માફક આવતો નથી, એટલે તે એવા વિરોધીઓને પજવવાના રસ્તાઓ શોધી કાઢે છે. કંઇ નહિ તો ખોટા કેસો ઊભા કરીને વિરોધીને એટલો પરેશાન કરાય છે કે વિરોધ કરવાની ખો ભૂલી જાય. રાજકીય, સામાજિક, ધાર્મિક વિરોધોનું વાતાવરણ સર્જીને વિવાદ ચાલુ રાખવાનું સરકારને માફક આવે છે. સાદી વાત એટલી છે કે સરકારને લોકશાહી હોવા છતાં વિરોધ માફક આવતો નથી ને તે સામાન્ય માણસનો વિરોધ હોય તો પણ તેને હેરાન કર્યા સિવાય ભાગ્યે જ છોડે છે. એવે વખતે માધવ જામદાર જેવા જજો મોટું આશ્વાસન છે જે યાદ અપાવે છે કે દેશમાં હજી લોકશાહી છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 જુલાઈ 2026
![]()

