તમે ભલે નિર્દોષ હોવ તો પણ પ્રોસેસ ઇઝ પનિશમેન્ટ
સોનમ વાંગચુક પરથી એન.એસ.એ. ઉઠાવી લેવાય અને અલી ખાન મહેમુદાબાદી પરની એફ.આઈ.આર. માટે છેવટે રાજ્ય સરકાર પરવાનગી ન આપે, પણ વિના વાંકે જેલમાં ગોંધાઈ રહ્યા કે એફ.આઈ.આર. – ગત સજાના ભયમાં ફફડતા જીવ્યા, ક્યાં છે એનું વળતર?

પ્રકાશ ન. શાહ
હમણાં જે બે લ-ગ-ભ-ગ નકો નકો કેસ પ્રકાશમાં આવ્યા એની અહીં જિકર કરવાનો ખ્યાલ છે. એક કેસ સોનમ વાંગચુકનો છે, તો બીજો પ્રો. અલી ખાન મહેમુદાબાદીનો છે. લદ્દાખી કર્મશીલ પર્યાવરણી વાંગચુક પૂરા એકસો સિત્તેર દિવસ (બલકે પૂરા છ મહિના જ કહો) જોધપુર જેલમાં ગાળી બહાર આવ્યા છે.

સોનમ વાંગચુક
વાંગચુકને ભારત સરકારે નેશનલ સિક્યોરિટી એક્ટ હેઠળ લદ્દાખથી ઊંચકી સીધા જ બિલકુલ વિપરીત વાયુમંડળવાળી જોધપુર જેલ ભેગા કર્યા હતા. વાંગચુક છેલ્લા કેટલાંક સમયથી, બંધારણીય મર્યાદામાં પોતાના પ્રદેશના વિકાસ અને લોક-સહભાગિતાની દૃષ્ટિએ સ્વાયત્ત કાઉન્સિલ માટે હિલચાલ ચલાવી રહ્યા હતા અગાઉ ભા.જ.પે. એ માટેનું વિધિવત્ વચન પણ આપ્યું હતું. સરકારે વાતચીતનાં દ્વાર ખોલવાને બદલે શાંત આંદોલનને ઉત્તરોત્તર અંજપ થવા દેવામાં સાર જોયો. સોનમ વાંગચુકનો ટ્રેક રેકોર્ડ અનિવાર્યપણે શાંતિમય હિલચાલનો રહ્યો છે. પ્રસંગે અનિચ્છનીય તત્ત્વો કંઈક રમત રમી ગયાં હોય કે કેમ, અને આંદોલન પરત્વે પ્રતિસાદશૂન્ય સરકારી રીતરસમે અકળામણ પેદા કરી હોય કે કેમ, અપવાદરૂપ ઘટના, અશાંતિની બની ના બની અને સરકારે વાંગચુકને ઊંચકી જેલભેગા કરી દીધા. એમાં પણ પહેલા દસ દિવસ ન તો પત્ની ગીતાંજલિનો સંપર્ક, ન વકીલોનો સંપર્ક. આમ છ મહિના પૂરા થવામાં હશે, સુપ્રીમ કોર્ટે ભારત સરકારને સુનાવણીની તારીખ આપી. જેવી સૂચિત તારીખ નજીક ઢૂંકવામાં હતી કે સરકારે પરબારા એન.એસ.એ. ઉઠાવી લીધો. પરિણામે, કેસ ચલાવવાનો રહ્યો નહીં અને વાંગચુકને છોડી મૂકાયા. … બાઇજ્જત, ને નિર્દોષ, પણ કહો ને ______ સજા વગર!
પણ શું આ મુક્તિ, ખરેખર સજા વગરની કહી શકાય ખરી? છ મહિના ગોંધાઈ રહ્યા તે સજા નથી તો બીજું શું. ગીતાંજલિ પતિને મળવા વખતોવખત છેક લદ્દાખથી જોધપુરના મોઘાંદાટ વિમાની દોંડાં ક્યાંથી કરી શકે, એ કોઈ પરોપજીવી રાજકારણી તો નથી. ટૂંકમાં ભલે વાંગચુક છૂટ્યા પણ ‘પ્રોસેસ ઇઝ પનિશમેન્ટ.’

અલી ખાન મેહમૂદાબાદ
અને હવે પ્રોફેસર અલી ખાન મહેમુદાબાદીના કેસ વિશે બે શબ્દ અશોકા યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગના આ વિદ્વાન વડાએ ઓપરેશન સિંદૂર વિશે સોશ્યલ પોસ્ટ વાટે કોમેન્ટ કરી હતી. હરિયાણાના મહિલા કલ્યાણ બોર્ડે એથી ‘લાગણી ઘવાય છે’થી માંડી ‘દેશની સુરક્ષાને ખતરો છે’ તરજ પર ફરિયાદ ફટકારી. જો કે આ પોસ્ટમાં એવું શું છે તેના જવાબમાં બોર્ડે લાળા ચાવ્યા હતા. પણ કિન્નાખોરીથી, અહીંથી, તહીંથી એફ.આઈ.આર.નો સત્તાપક્ષ દ્વારા પરોક્ષ પ્રેરિત દોર ચાલ્યો મહેમુદાબાદીએ એ મતલબનું કહ્યું હશે કે ઓપરેશન સિંદૂર સબબ આપણે કર્નલ સોફિયા કુરેશીની તારીફ કરીએ છીએ તે ઠીક જ છે, પણ દેશમાં સામાન્ય મુસ્લિમ સાથે એવી જ અદબથી કેમ પેશ આવી શકતા નથી. પોતે સાહિત્યિક પ્રતિભા ધરાવતી શખ્સિયત છે એટલે અભિવ્યક્તિમાં વ્યંગોક્તિ પણ હશે.અદાલતે પોલીસ અધિકારીઓની ટીમને પોસ્ટની ‘સઘન’ તપાસ સોંપી. સાહિત્યિક અભિવ્યક્તિ પોલીસ તપાસનો વિષય બની! વેલ, હવે જો કેસ આગળ ચલાવવો હોય તો રાજ્ય સરકારે રજા આપવી પડે. છેલ્લી ઘડીએ, મહેમુદબાદીની આટલી સતામણી ને તાવણી પછી, વાસ્તવિકતા સમજાયેથી હરિયાણા સરકારે કેસ ચલાવવાની રજા ન આપી …. એટલે સજા થવાનો સવાલ રહ્યો નહીં પણ ‘પ્રોસેસ ઇઝ પનિશમેન્ટ.’
એન.એસ.એ. અને એફ.આઈ.આર.ના બેજવાબદાર દોરનું આ જે ત્રાસકારણ ચાલે છે એનો ઉગાર શો ? જેમને છોડી મુકાયા તે વગર ગુને ‘સજા’ પામીને મુક્ત થયા એની જવાબદારી કોની? મતલબ, બીજા શબ્દોમાં અદાલતે કથિત આરોપી સામે નકો નકો ખેલ પાડતાં પરિબળોને કંઈક પણ કહેવાનું જ નથી? ન્યાયની આંખે પાટા બંધાયેલ હોય એવો જે પરંપરાગત ચાલ હતો એનો આ જ માયનો હશે? રાક્ષસી નાગચુડ તરેહના કાયદા કોઈ વાસ્તવિક રક્ષાના હેતુસર છે કે પછી રાજકીય પ્રતિપક્ષીને અગર ‘સોશિયલ પોસ્ટ’ પ્રવૃત્તિસર વીંઝવા માટે? વાંગચુક ને મહેમુદાબાદીની સાખે આ સીધાસાદા પણ બુનિયાદી પ્રશ્નો …
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 18 માર્ચ 2026
![]()

