સંઘ શતાબ્દીએ સરકારી ‘કુલપતિ‘ નિમંત્રક, શિક્ષણની ઠેકડી કે બીજું કંઈ?

પ્રકાશ ન. શાહ
મંગળવારે ગુજરાત યુનિવર્સિટીમાં સંઘ શતાબ્દી નિમિત્તે યોજાયેલ પ્રદર્શિનીના વિરોધમાં એન.એસ.યુ.આઈ.એ શાંત નહીં એવા, કંઈક તોડફોડ સ્કૂલના ‘દેખાવો’ કર્યા તે અંગે સત્તાવાર એફ.આઈ.આર. નોંધાયાના હેવાલો અલબત્ત પોતાને ઠેકાણે ઠીક જ છે. ઊલટ પક્ષે, એન.એસ.યુ.આઈ.એ સ્વતંત્ર તપાસની માગણી કરી છે તે પણ (ભાંગફોડના કોઈ પણ બચાવ વગર) ઠીક જ છે.
ખેર, આમાં જે થવાનું હશે તે થશે અને ઘીના ઠામમાં ઘી પડી રહેવાનું હશે તો પડી રહેશે. પ્રદર્શિનીના આયોજકો ભારત શોધ સંસ્થાન અને ભારતીય વિચાર મંચ (બેઉ સંઘ પરિવારની જ અધિકૃત સંસ્થાઓ) હોવાનું જણાય છે. વ્યાખ્યાનમાળા, મલ્ટીમીડિયા શો વગેરે જે કાર્યક્રમોની શૃંખલા સંઘ શતાબ્દી નિમિત્તે યોજાઈ રહી છે એમાં ગુજરાત યુનિવર્સિટી પોતે વિધિસર કે અવિધિસર અથવા સૈંયા કોતવાલ તરજ પર અર્ધવિધિસર પણ સંકળાયેલી હોવાનું સમજાય છે. શતાબ્દી કાર્યક્રમ શૃંખલાની ઉદ્દઘોષણા વાસ્તે યોજાયેલી પત્રકાર પરિષદમાં સંસ્થાન અને મંચના હોદ્દેદારો જ માત્ર નહીં પણ વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તા સુધ્ધાં સામેલ થયાં હતાં એ જોયાજાણ્યા પછી જુદેસર કદાચ કંઈ કહેવાનું રહેતું નથી.
એટલે જો સર્વગ્રાહી ને નિષ્પક્ષ તપાસ કરવી હોય તો તે કથિત તોડફોડથી શરૂ થઈ તોડફોડમાં જ વિરમે એ તો એક નકો નકો તપાસ જ કહેવાશે, કેમ કે પાયાનો પ્રશ્ન – જો શરૂઆતથી જ શરૂ કરીએ તો – આર.એસ.એસ. શતાબ્દીની ઉજવણીમાં યુનિવર્સિટીની સીધી સંડોવણીના ઔચિત્યનો અથવા સાફ શબ્દોમાં કહીએ તો ઘોર અનૌચિત્યનો બની રહે છે. યુનિવર્સિટીનાં ભવનોમાં સંઘ શતાબ્દી મનાવાય અને એની સત્તાવાર જાહેરાતમાં – મતલબ, નિમંત્રિત તરીકે નહીં પણ નિમંત્રક તરીકે – નીરજાજીનું હોવું સ્વયંભૂ હતું કે અન્યથા એ પણ શૈક્ષણિક મૂલ્યોની દૃષ્ટિએ તપાસલાયક નિઃશંક છે.
તપાસનું ક્ષેત્ર, એમ તો, પ્રદર્શિનીમાં મુકાયેલી સામગ્રીનુંયે હોઈ શકે. ભારતીય વિચાર મંચ વતી સંશોધનમંડિત ને દસ્તાવેજખચિત સામગ્રીને જફા પહોંચાડાયાની ફરિયાદલાગણી લગીર દર્દેદિલ તરાહ પર રજૂ થઈ છે. ‘હરિજન’ અને ‘કેસરી’ જેવા પત્રો, જે ‘રાષ્ટ્રપુરુષો’ દ્વારા પ્રગટ થયા હતા તેમાં સંઘ વિશે ગાંધીજી અને આંબેડકરના પોતાના અભિપ્રાયો (પ્રશંસાપત્રો) હતા તેની અભ્યાસતકથી મુલાકાતીઓ વંચિત રહ્યા, એવુંયે મંચની રજૂઆત પરથી સોડાતું હતું. આવે વખતે જે તે દસ્તાવેજી સામગ્રી સંદર્ભપૂર્વક આવીછે કે નિઃસંદર્ભ, એ મહત્ત્વની વિદ્યાકીય નિસબત બની રહે છે. યથાપ્રસંગ ગાંધીએ ને આંબેડકરે જે કહ્યું તે જરૂર કહ્યું. માત્ર એ એમનો સર્વાંગ ને સમગ્ર ને સર્વાગ્ર અભિપ્રાય હોવો જરૂરી નથી. સંઘ વિશે, દાખલા તરીકે કિશોર મકવાણાના આંબેડકર, મૂળે સંઘપૃષ્ઠભૂના જ ભંવર મેઘવંશીના આંબેડકરથી તત્ત્વતઃ જુદા હોઈ શકે છે. જો શૈક્ષણિક અભિગમની પ્રાથમિકતા અપેક્ષિત હોય તો સંઘ વિશે ગાંધી અને આંબેડકરની સમજ એમના ચોક્કસ તરેહનાં ચૂંટેલાં અવતરણોની બાંદી ન જ હોઈ શકે.
પ્રદર્શિનીના આયોજકોએ સમગ્ર સાવરકર, સમગ્ર આંબેડકર, સમગ્ર ગાંધી સુલભ છે એ ધોરણે સઘળે છેડેથી એમના સંઘ વિષયક વિચારો મૂલ્યો છે કે ચોક્કસ એંગલથી, એ પણ વ્યાપક તપાસનો અંતે જેટલો ચિંતનનો એટલો જ ચિંતાનો મુદ્દો હોઈ શકે છે. સાવરકરે પ્રાયોપવેશનથી દેહત્યાગ કર્યાની તારીખ, જોગાનુજોગ, આજે જ છે. ત્યારે જો એમણે હિંદુત્વના વૈશ્વિક પરિમાણની રીતે વ્યાપક વાત કરી હતી તે ટાંકવું ખોટું ન હોય તોપણ અધૂરું અવશ્ય છે, કેમ કે હિંદુની એમની વ્યાખ્યા પિતૃભૂ-પુણ્યભૂને ધોરણે હતી અને એ કસોટીએ મુસ્લિમ ને ખ્રિસ્તી બારોબાર બાદ થઈ જાય છે. એટલે આખું રાષ્ટ્રચિંતન વાસ્તવમાં વંશભેદને ધોરણે ‘રેઇસિસ્ટ’ બની જાય છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે હજુ થોડાં વરસ પર જ અમદાવાદ યુનિવર્સિટીમાં રામચંદ્ર ગુહાનો શૈક્ષણિક ઉપક્રમ બંધ રખાવ્યો હતો એ યાદ કરીને ગુજરાત યુનિવર્સિટી, ભારતીય વિચારમંચ ને ભારત શોધ સંસ્થાન ખરી ને પૂરી તપાસમાં હાથ બટાવશે તો તે શૈક્ષણિક મૂલ્યોની દૃષ્ટિએ જરૂર સ્વાગતાર્હ બની રહેશે – અને તોડફોડના રાજકારણનો એ શોભીતો ઉત્તર પણ હશે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 25 ફેબ્રુઆરી 2026
![]()

