Opinion Magazine
Number of visits: 9589086
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઓછું ભણેલા લોકો શાસન કરી શકે નહિ એવો કોઈ નિયમ નથી, પણ ભણેલા શાસકોએ ઉત્તમ શાસન પૂરું પાડ્યાના અનેક દૃષ્ટાંતો મોજૂદ છે!

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|31 December 2025

હિતેશ રાઠોડ

છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને કેન્દ્ર અને ગુજરાતના રાજકારણમાં અલ્પશિક્ષિત લોકોના સત્તા પર આવવા વિશે મોઢા એટલી વાતો થઈ રહી છે. સૌ પોતપોતાનો મત રજૂ કરી રહ્યા છે. કોઈના મતે, ઓછું ભણેલા લોકો દેશનો વહીવટ ચલાવવા સક્ષમ નથી હોતા, ઓછું ભણેલા લોકોના હાથમાં સત્તા એટલે વાંદરાના હાથમાં નિસરણી, ઓછું ભણેલા શાસકને લોક-સમસ્યા અને તેના ઉકેલ વિશે વિશદ જાણકારી હોતી નથી, તો કોઈ વળી એમ પણ કહે છે કે શાસન ચલાવવા માટે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત જરૂરી નથી, ઓછું ભણેલા લોકો પણ સારુ શાસન આપી શકતા હોય છે. 

મેટ્રિકથી લઈ ડૉક્ટરેટ ડિગ્રી સુધી વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા શાસકો ભારત દેશને મળ્યા છે, અને એ બધા શાસકોએ પોતાનાં શિક્ષણ, સમજણ, સૂઝ, કૌશલ, કૌવત, આવડત, અનુભવ, કાબેલિયત, ચતુરાઈ અને કોઠાસૂઝથી દેશનો વહીવટ ચલાવી બતાવ્યો છે, કોઈકનાં અસાધારણ કાર્યો આજે પણ યાદ કરવામાં આવે છે તો કોઈકને વળી તેમની અસાધારણ કાર્યશૈલીથી યાદ કરવામાં આવે છે, તો કોઈક વળી તેઓના કેટલાક અણઆવડત ભરેલા નિર્ણયોથી ચર્ચામાં રહ્યા છે. 

એ વાત સાચી છે કે શાસન ચલાવવા માટે શાસકમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત હોવી અનિવાર્ય શરત નથી. શાસન ચલાવવા માટે હૈયે હામ, દિલમાં કોઈના માટે કંઈક કરવાની કસક અને હૈયાઉકલત હોય તો શાસકમાં શૈક્ષણિક લાયકાત છે કે નહિ એ બાબત ગૌણ બની જાય છે. લોકપ્રશ્નો અને સામાજિક સમસ્યાઓ અને તેના વ્યવહારુ ઉકેલ વિશે પાયાની જાણકારી, થોડી કોઠાસૂઝ અને બીજાઓ પાસેથી કામ લેવાનું કૌવત જો શાસકમાં હોય તો ભયોભયો. આ ત્રણ ગુણો વડે પણ તે દેશનો વહીવટ સુચારુ રીતે ચલાવી શકે છે. સ્વતંત્ર ભારતમાં અને એ પહેલાના રાજાશાહી કાળમાં પણ ઓછું ભણેલા કે અભણ શાસકોએ સુ-શાસન આપ્યાના દાખલા ઇતિહાસમાં મોજૂદ છે. અલબત્ત શાસક જો શિક્ષિત હોય તો એની અસરકારકતા ક્યાંકને ક્યાંક એના વહીવટમાં વર્તાયા વિના રહેતી નથી. રાજાશાહીમાં પણ અનેક શિક્ષિત રાજવીઓના લોકકલ્યાણ અર્થેનાં કામો શિક્ષણની સાથોસાથ તેમનામાં આમજનતા પ્રત્યેની સંવેદનશીલતા, સૂઝ, ડહાપણ, દૂરંદેશીતા અને કાબેલિયતના દર્શન કરાવે છે, પછી એ સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા સ્ટેટ હોય, સર ભગવતસિંહજીનું ગોંડલ સ્ટેટ હોય, જામ સાહેબનું જામનગર સ્ટેટ હોય, સર કૃષ્ણકુમારસિંહજીનું ભાવનગર સ્ટેટ હોય, મહારાજા સર વાઘજી ઠાકોરનું મોરબી સ્ટેટ હોય, કે મહારાજા અમરસિંહજીનું વાંકાનેર સ્ટેટ હોય, આ બધા સ્ટેટ પોતપોતાની રીતે ભવ્ય અને આગવી પ્રતિષ્ઠા ધરાવતા હતા. 

અમુક રાજવીઓ એશોઆરામી હોવા છતાં મહદઅંશે એમનો વહીવટ લોકાભિમુખ હતો. લોકોના પૈસે એશ કરતા તો એ સામે લોકોને કંઈક આપવું જોઈએ એવા મત ધરાવતા હતા. પ્રજાને રંજાડનાર તત્ત્વોને તેઓ કદિ બક્ષતા નહોતા. રાજ્યની આમ જનતા પ્રત્યે તેમને ખાસ પ્રકારનો લગાવ રહેતો. અડધી રાતે પણ રાજા સમક્ષ ફરિયાદ કરવાની છૂટ હતી. રાજા પણ પ્રજાની રાવ ધ્યાનથી સાંભળતા અને પ્રજાનો અભિપ્રાય લઈ તેનો ઉકેલ આપતા. 

આ બધાં રાજ્યોના રાજાઓએ એ જમાનામાં પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાનોમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું, અને એમના શિક્ષણની સીધી અસર એમના રાજ્યના વહીવટમાં સ્પષ્ટ ઝલકતી હતી. શિક્ષણ, આરોગ્ય, રોડ, રસ્તા, વીજળી, પાણી, કરવેરા જેવી લોકોને સીધી રીતે સ્પર્શતી બાબતોમાં આ રાજ્યોની કામગીરી ઉડીને આંખે વળગે એવી હતી. આ રાજ્યો લોકોને ફરજિયાત અને મફત શિક્ષણ આપવામાં અગ્રેસર હતા, ખાસ કરીને મહિલાઓ અને વંચિત સમુદાયના લોકોને શિક્ષણ આપવું એ તેમની પ્રાથમિકતા હતી. આ દર્શાવે છે કે શિક્ષિત રાજવીઓ શિક્ષણને વ્યક્તિ અને રાષ્ટ્રના વિકાસ માટે અત્યંત મહત્ત્વનું પરિબળ માનતા હતા. શિક્ષણ ઉપરાંત લોકોને નજીકમાં, મફત અને સમયસર આરોગ્ય સુવિધાઓ મળી રહે એવી સુચારુ આરોગ્ય વ્યવસ્થા તેમ જ આમ જનતા પર કરવેરાનું વધુ ભારણ ન આવે એવી કર વ્યવસ્થા ગોઠવી હતી.

શાસકની શૈક્ષણિક યોગ્યતા રાજ્ય વહીવટ કરવા માટે અનિવાર્ય શરત ભલે ન હોય પણ જો શાસક સુશિક્ષિત હોય તો રાજ્યને અને રાજ્યની પ્રજાને એનાથી કેટલો મોટો ફાયદો થાય છે એના જીવંત ઉદાહરણો આપણા આ રજવાડાઓ છે. ગોંડલ, વડોદરા, ભાવનગર, જામનગર, મોરબી વગેરે જેવા રાજ્યોનો દૃષ્ટાંતરૂપ વહીવટ અને ઉડીને આંખે વળગે એવો અને લોકહિત માટેના તેમનાં કાર્યો ઉત્તમ શાસનના નમૂનારૂપ છે. 

ગોંડલના રાજા ભગવતસિંહજી પ્રજાવત્સલ રાજા કહેવાતા હતા. રાજ્યની સામાન્ય પ્રજા માટેની એમની લાગણી એમના પોતાના સંતાનો કરતાં પણ વિશેષ હતી. પ્રજાની નાની નાની મુશ્કેલીઓનું પણ રાજા ધ્યાન રાખતા હતા. સામાન્ય પ્રજાને ખોટી રીતે રંજાડનાર તેમની ખુદની પ્રજા હોય તો પણ તેઓ તેમને માફી આપવાના મતના નહોતા. એ માટે એમને જે કોઈ કાયદાકીય સજા થતી હોય એ આપવામાં તેઓ પાછી પાની કરતા ન હતા. રાજા ભગવતસિંહજીની પ્રજાવત્સલતા કેટલાક દૃષ્ટાંતો જોઈએ તો, પહેલાના સમયમાં ગોંડલ રાજ્ય હેઠળ આવતા ગામોમાં દર દોઢ બે માઈલને અંતરે બંધાવેલા થાકલા એ ગોંડલ રાજવી સર ભગવતસિંહજીના પ્રજાલક્ષી શાસનનો એક નાનકડો નમૂનો છે. 

ગોંડલ નરેશ સર ભગવતસિંહજી મહારાજ એક વાર ઘોડા પર સવાર થઈ બહારગામ જઈ રહ્યા હતા. ભગવતસિંહજી એકલા જ જઈ રહ્યા હતા અને પહેરવેશ પણ સામાન્ય માણસ જેવો હતો એટલે કોઈને ખબર ના પડે કે આ ગોંડલ નરેશ છે. રસ્તામાં તેમણે એક ગ્રામીણ સ્ત્રીને નીરણનો ભારો નીચે રાખી વિસામો ખાતી બેઠેલી જોઈ. ઘોડેસવારને આવતા દીઠો એટલે એ સ્ત્રી હાથ ઊંચો કરી ઘોડેસવાર મહારાજાને ઊભા રાખ્યા. ભગવતસિંહજીએ ઘોડાને રોક્યો અને પુછ્યું, “બહેન, શું કામ છે”, સ્ત્રીએ કહ્યુ,”ભાઈ, આ નીરણનો ભારો મારા માથા પર ચડાવવામાં મને મદદ કરોને” મહારાજા ભગવતસિંહજીએ ઘોડા પરથી નીચે ઉતરી સામાન્ય માણસની જેમ નીરણનો ભારો સ્ત્રીના માથા પર ચડાવ્યો. જતા જતા સ્ત્રીએ કહ્યું, ”આપણા ભગાબાપુ જો થાકલા બનાવી આપે તો ભારો ચડાવવા માટે કોઈની મદદની જરૂર ન પડે” મહારાજાએ પોતાની ઓળખ આપ્યા વિના પુછ્યું, ”આ થાકલા એટલે શું” ગામડાની એ સ્ત્રી બોલી, “માણસની ઊંચાઈ જેટલા બે મોટા પથ્થર પર એક આડો પથ્થર મુકી તેના પર બાંધકામ કરી જે તૈયાર કરવામાં આવે એ થાકલો. વટેમાર્ગુ થાક ઉતારવા માથા પરનો ભારો ઉપરના આડા પથ્થર પર મૂકી થોડી વાર વિશ્રામ લઈ શકે અને વિશ્રામ કરી લે પછી એ ભારો માથા પર ચડાવવા માટે કોઈની મદદની જરૂર ન પડે. વટેમાર્ગુ પોતે જ ભારાને સીધો પોતાના માથા પર ચડાવી શકે.” માથે ભારો ચડાવી ભગવતસિંહજી વિદાય થયા. ભગવતસિંહજી પોતાનું કામ પતાવી ગોંડલ પરત ફર્યા એ પછી તરત જ રાજ્યના મુખ્ય ઈજનેરને મળવા બોલાવ્યો. ભગવતસિંહજીએ થાકલા બનાવવા વિશે વાત કહી ઈજનેરને સૂચના આપી કે રાજ્યના ગામોગામ રસ્તા પર દોઢેક માઈલના અંતરે આવા થાકલા ઊભા કરી દો જેથી મારા રાજ્યની કોઈ વ્યક્તિને ભારો ચડાવવા માટે કોઈની રાહ ન જોવી પડે અને કોઈના ઓસિયાળા થવું ના પડે. આ થાકલાનો ઉપયોગ માઈલ સ્ટોન તરીકે પણ કરો જેથી વટેમાર્ગુને ખબર પડે કે નજીકમાં આવેલ ગામ કેટલું દૂર છે.

આમ જનતાની મુશ્કેલીને દૂર કરવા એમના સૂચન પર શીઘ્ર અમલ એ સર ભગવતસિંહજીની સામાન્ય પ્રજા પ્રત્યેની સંવેદનશીલતા અને પ્રજાવત્સલ વહીવટનો ઉત્તમ નમૂનો છે.

ગોંડલ રાજ્યના રસ્તા બાબતે બિલખાના મહારાજાએ નોંધ્યું હતું કે ‘ગોંડલ રાજ્યની હદ ક્યાંથી શરૂ થાય અને ક્યાં પૂરી થાય એ જોવા હાથમાં નકશો રાખવાની જરૂર નથી. ગોંડલ રાજ્યના રસ્તા એટલા સમથળ હતા કે તમે ઘોડાગાડીમાં બેઠા હોવ અને રોદા આવવાનું બંધ થઈ જાય તો સમજી લેવાનું ગોંડલની હદ શરૂ થઈ ગઈ છે અને ફરી રોદા આવવાનું શરૂ થાય કે સમજવાનું કે ગોંડલની હદ પૂરી થઈ છે.’ 

શિક્ષણ અને સંસ્કૃતિ વિશે એક અજાયબ કામગીરી એટલે મહારાજા ભગવતસિંહજી ખુદે તેમના જીવનકાળના લગભગ ૨૫ થી વધુ વર્ષ ભાષા અને સંસ્કૃતિ અંગે સંશોધન કરીને કુલ નવ ભાગમાં તૈયાર કરેલ “ભગવદગોમંડલ” નામનો મહાજ્ઞાનકોષ. ભગવદગોમંડલ એ કોઈ જ્ઞાનકોષ માત્ર જ નથી પરંતું એમાં ભારતીય સંસ્કૃતિની સદીઓ પુરાણી પરંપરાઓ અને સંસ્કૃતિની વિરલ વાતો એમણે અથાગ પરિશ્રમ કરીને વણી લીધી છે. ભાષા અને સંસ્કૃતિ અંગે વિશદ માહિતી પૂરી પાડતો આટલો વિશાળ અને સમૃદ્ધ મહાગ્રંથ ભારત વર્ષમાં બીજે ક્યાં ય જોવા નહિ મળે. એક પ્રજાવત્સલ રાજાના શિક્ષણ પ્રેમનું આનાથી મોટું જ્વલંત ઉદાહરણ બીજું ક્યું હોય!

રાજાશાહીમાં જ્યારે ભણતર બહુ ઓછું હતું ત્યારે પણ એ સમયની નગરરચના, નગરની બાંધણી રોડ-રસ્તા, મહેલો, ઈમારતો વગેરે બેનમૂન હતા અને વર્ષો સુધી અડીખમ રહેતા. અલબત્ત સર ભગવતસિંહજી એ વખતના સમયમાં એક સુશિક્ષિત રાજવી ગણાતા હતા અને ગોંડલ સ્ટેટનો સુદૃઢ વહીવટ એમની શૈક્ષણિક યોગ્યતાનું આદર્શ પરિણામ કહી શકાય. જો કે શૈક્ષણિક યોગ્યતા કરતાં પણ વધુ મહત્ત્વનો ગુણ એમનામાં જે હતો તે એ કે રાજ્યની આમ જનતાની સમસ્યાઓ વિશે તેઓ અત્યંત સંવેદનશીલ હતા અને માયાળું હૃદયના રાજવી હતા. શિક્ષણ અને સંવેદનશીલતાનો સુભગ સમન્વય તેમના વ્યક્તિત્વમાં જોવા મળતો હતો. જો આ બંને ગુણો તેમનામાં ન હોત તો તેઓ લોકોના હૃદયમાં સ્થાન બનાવી શક્યા ના હોત. પોતે રાજવી હોવા છતાં લોકોના હિત સાથે સંકળાયેલ અમુક કાર્યો પોતાની જાતે કરવામાં પણ તેઓ કોઈ સંકોચ રાખતા ન હતા.

શાસકની શૈક્ષણિક યોગ્યતા એ શાસનની અનિવાર્ય શરત ન હોવા છતાં વર્તમાનમાં વિકાસના બદલાતા આયામો અને ટેકનોલોજીના વિકાસ અને માનવજીવનમાં તેની ઉપયોગીતાને ધ્યાનમાં લેતા શાસકની શૈક્ષણિક યોગ્યતાને સહેજે અવગણી શકાય એમ નથી. શિક્ષણથી વ્યક્તિમાં બીજું કોઈ પરિવર્તન આવે કે ન આવે પણ શિક્ષણથી વ્યક્તિનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ વધુ વિસ્તરે છે એમાં બેમત હોઈ શકે નહીં. શિક્ષિત વ્યક્તિ જીવન અને જીવન સાથે સંકળાયેલ તમામ પાસાઓને વધુ વ્યાપક દૃષ્ટિકોણથી મૂલવી શકે છે.  

પહેલાના સમયમાં જીવન સાદું હતું અને જરૂરિયાતો સીમિત હતી. મોટાભાગે રોટી, કપડાં અને મકાનને લગતી સમસ્યાઓ પ્રમુખ હતી એટલે શાસકોને પણ સમસ્યાના સમાધાન માટે બહુ વિશેષ પ્રયાસો કરવાના રહેતા નહીં. ઓછા સંસાધનો અને ટાંચા સાધનોથી પણ સમસ્યાનો હલ મળી આવતો હતો. હવે સમયના પ્રવાહની સાથે વિકાસના આયામો, લોકોની જરૂરિયાતો, સમસ્યાઓની જટિલતા વગેરે પણ બદલાતા જાય છે એવે વખતે સમસ્યા ઉકેલ અંગે વ્યાપક દૃષ્ટિકોણની સાથે ઘણા બધા વિષયો અને લોકોના જીવન સાથે સંકળાયેલ બીજી ઘણી બધી બાબતો વિશે પ્રાથમિક જાણકારીની જરૂર પડે છે. શિક્ષિત શાસક પાસે આ બધા ગુણોની અપેક્ષા રહેતી હોય છે. અલબત્ત ભણેલા લોકોમાં આ બધા ગુણો હોય છે એવું જરૂરી નથી, તો પણ ભણેલી વ્યક્તિ પોતાની શૈક્ષણિક લાયકાતની મદદથી ઘણા ગુણો અને કૌશલ્યો સરળતાથી કેળવી શકે છે. આમ, તો શિક્ષણ પ્રાપ્ત કરવાને ઉંમર સાથે કોઈ સંબંધ નથી તેમ છતાં અલ્પશિક્ષિત શાસકની નબળાઈ એ છે કે તેને નવું કંઈ શીખવા કરતાં પોતાના અધકચરા શિક્ષણને જોરે જોહુકમી ચલાવી મનઘડંત, તરંગી, તુઘલકી ફરમાનો છોડવામાં વધુ રસ હોય છે. કોઈ નવી વસ્તુ શીખવી તેને પાકા ઘડે કાંઠા ચઢાવવા જેવું લાગે છે. કદાચ એ તેમની અલ્પશિક્ષિત અવસ્થાનું જ પરિણામ છે કે તેમને દેશ અને લોકોના વિકાસમાં નહિ પણ ખુદના ‘વિકાસ’માં વધુ રસ હોય છે!

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

31 December 2025 Vipool Kalyani
← વિલસી શકી હોત એવી એક ગાયકી જે મોચવાઇ ગઈ

Search by

Opinion

  • વિલસી શકી હોત એવી એક ગાયકી જે મોચવાઇ ગઈ
  • કોઈ લેવા ન આવ્યા?                     
  • દેશને નહીં, ભા.જ.પ.ને / અદાણી-અંબાણીને મોદીજીની જરૂર છે !
  • મેસી બનવાની કહાની : કમજોર કદથી કદાવર કરિયર સુધી
  • સ્ફુલ્લિન્ગ (7) આજકાલનાં સાહિત્યિક સમ્પાદનો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • આભાર
  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved