Opinion Magazine
Number of visits: 9448939
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંવાદના સેતુ કેમ તૂટી રહ્યા છે?: પ્રજાનું પોત એનાં વર્તન અને વાણીથી પરખાય

હિમાંશી શેલત|Opinion - Opinion|4 December 2015

સાંસ્કૃિતક જગતમાં વિચારભેદ ભલે રહે. વાડાબંધી આત્મઘાતક. દુશ્મની હોય તો યે દિલેર હોવી ઘટે.

ત્રણ ઘટનાઓ, અને ત્રણે ત્રણ એટલી આઘાતક કે એને જાણનાર મૂઢ બનીને કશીયે પ્રતિક્રિયા આપવાનું સામર્થ્ય ગુમાવી બેસે. પ્રજાનું પોત એનાં વર્તન અને વાણીથી પરખાય, તેમ દેશનું એના વહીવટથી. ઘટનાઓ જોઈએ.

ગોવામાં ફિલ્મ ફેસ્ટીવલ ચાલે, અને એમાં ભાગ લેવા ફિલ્મ-ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટનો એક વિદ્યાર્થી 21મી નવેમ્બરે ગોવા પહોંચ્યો. એના ટી શર્ટ પર FTIIનું આલેખન હતું. એને કશું સમજાય એ પહેલાં જ એને આંતરવામાં આવ્યો. સલામતી-રક્ષકો એને સ્થળ પરથી તાણી ગયા. એની તપાસ કરવામાં આવી અને અનેક પ્રકારની પૂછપરછ થઈ. આ ધમાલનું કારણ એટલું કે આગલી સાંજે, ફેસ્ટીવલના ઉદ્દઘાટન સમયે, બે વિદ્યાર્થીઓ અચાનક ઊભા થઈ ગયા અને FTIIના અધ્યક્ષ તરીકે થયેલી સરકારી નિમણૂકનો વિરોધ કર્યો, સૂત્રોચ્ચાર કરીને. પ્રસ્તુત ઘટનાને પગલે વધુ દેખાવો, પ્રતિકાર, સૂત્રોચ્ચાર ન થાય, અને ઉચ્ચ કક્ષાના આ આયોજનને ઝાંખપ ન લાગે એ માટે FTII સાથે સંકળાયેલા કોઈ ફેસ્ટીવલમાં હાજર ન હોય તે ઉત્તમ. ઉપર ઉલ્લેખ થયો એ વિદ્યાર્થીના ટી શર્ટે તો ઘણું જાહેર કરી દીધું. એટલે એને બહાર ધકેલવામાં જ સાવધાની. એનો અધિકૃત ડેલિગેટ પાસ રદ કરવામાં આવ્યો.

પ્રશ્ન, જે પેલા વિદ્યાર્થીને થયો તે આપણને પણ થવાનો. સંસ્થાના વડીલ તરીકે, અને હોદ્દાની મહત્તાનો ઉપયોગ થઈ શકે એવી કટોકટીના ટાણે, FTIIના અધ્યક્ષશ્રીએ શું કર્યું એની ખબર ના પડી. પોતાના વિદ્યાર્થીઓનું અપમાન ખમી ખાવાને બદલે એ ઘણું કરી શક્યા હોત, અપ્રગટ રહીને પણ, અને એમ હોદ્દાનું અને પોતાનું માન સાચવી શકાયું ન હોત? પણ આવું કેમ નથી થતું આપણા જાહેર જીવનમાં?

બીજી ઘટના છે બેંગલોરના સાહિત્યોત્સવની. આમ તો સાહિત્યની વાત આવે તો એટલી ધરપત હોય કે છેવટે શબ્દના ઉપયોગ સંદર્ભે મોટી હોનારતો નહીં થાય. જો કે હવે એમ નથી રહ્યું. થોડા સમયથી જે ચર્ચાઓ હોવામાં છે એમાં ભાષા સાથે ભારે મેળ રાખતા સહુ કેવો તરખાટ મચાવી રહ્યા છે! વિચાર સામે વિચાર, તર્ક સામે તર્ક, બૌદ્ધિક વાદવિવાદ કે ખંડનમંડનનો વિરોધ નથી, પણ વ્યક્તિને નાની કે ઓછી દેખાડવા એના બાહ્ય દેખાવની અભદ્ર મજાક થાય ત્યારે ચોંકી જવાય. એમાં દાઢી, ચશ્માં, નામમાં ગુપ્ત રહેલ અર્થ, ઝોળા – બધું આવી જાય. આ મજાક નિર્દોષ હાસ્ય માટે નથી અને એનું નિશાન અલગ છે એ સમજાતાં વાર ન લાગે. પણ આપણો મુદ્દો બેંગલોરનો સાહિત્યોત્સવ છે. આ પ્રસંગના અધ્યક્ષ વિક્રમ સંપથ ઉત્સવમાંથી ખસી ગયા કારણ કે કેટલાક લેખકોએ સમારંભમા હાજર રહેવાનું માંડી વાળ્યું. અહીં મૂળ આપત્તિ એવોર્ડ-વાપસીની.

અધ્યક્ષનો એવો અભિપ્રાય હતો કે એવોર્ડ પરત કરવો એ બૌદ્ધિક રીતે ઉચિત પગલું ન ગણાય. આ વિચાર એમણે એક સ્વતંત્ર વ્યક્તિની હેસિયતમાં કર્યો હોય, અને એને ઉત્સવના પ્રાણતત્ત્વ સાથે સંબંધ ન હોય તો એના વિરોધમાં લેખતો પોતાની જુદી વિચારધારા રજૂ કરી શક્યા હોત. એવોર્ડ પાછા આપનારે આ રસ્તો શા માટે લીધો, અને એવોર્ડ પરત ન આપવા જોઈએ એમ કહેનારને આવું કેમ લાગે છે? એની તંદુરસ્ત ચર્ચા શું એટલી અસંભવ છે?

છતાં આમ ન બન્યું એ હકીકત છે. સાહિત્યનો ઉત્સવ સુમેળ – સંવાદિતાને બદલે વિસંવાદને કારણે કર્કશ બની ગયો, અને કેટલાક સારા વક્તાઓના ઉત્તમ વિચારો કે સર્જકતાના નવીન ઉન્મેષોની રસભરી ચર્ચાને કશો અવકાશ જ ન રહ્યો. બે જૂથ સામસામે આવ્યાં, એ અહીં કે કર્ણાટકમાં, આવકારવા જેવી દશા નથી. રાજકારણમાં ચાલે. સાંસ્કૃિતક જગતમાં વિચારભેદ ભલે રહે. વાડાબંધી આત્મઘાતક. દુશ્મની હોય તો યે દિલેર હોવી ઘટે.

ત્રીજી ઘટના શિરડી પાસે આવેલા શિંગણાપુર શનિના મંદિરમાં મહિલાના પ્રવેશની અને શનિને તેલ ચડાવવાની. આ દેશમાં એવાં દેવસ્થાનો હશે જ જેમાં મહિલાઓ પ્રવેશી નથી શકતી. પ્રવેશ પછી તેલ ચડાવવાની ઘટના એટલે તો અપરાધની ચરમસીમા. ક્રિયાનો વિરોધ કરવા પ્રતિક્રિયા જરૂરી બની. મંદિરમાં છ સેવકોને વહીવટીતંત્રે તાબડતોડ બરતરફ કર્યા, એ લોકો સ્ત્રીને મંદિરમાં પ્રવેશતી અટકાવી ન શક્યા એ ફરજચૂક માટે. પરંપરા તૂટી એટલે પ્રાયશ્ચિત કરવું પડે. મૂર્તિને દૂધથી સ્નાન કરાવ્યું અને આખું મંદિર ધોઈને શુદ્ધિકરણ થયું. આટલી વિગતો તો જાહેર થઈ, બીજું શું થયું હશે એની ખબર નથી. આપણે જે સદીમાં જીવીએ છીએ તે ખરેખર એકવીસમી છે? ભરોસો નથી પડતો. આમ તો સ્ત્રીઓ અને ધર્મનો સંબંધ વિશદ ચર્ચા માગે છે, પણ ચર્ચા કરનારાં અને સાંભળનારાં સુસંવાદ અને સુમેળની ભૂમિકા સાચવી શકે એમ હોય તો જ.

આ ત્રણેય ઘટનાઓ ક્રિયા અને પ્રતિક્રિયાની છે. પ્રમાણિક મતમતાંતર હોય ત્યારે તંદુરસ્ત ચર્ચા માટે અવકાશ હોય છે, આજના સમયમાં એ અવકાશ મળતો નથી. જે થાય છે તેને લાંબા વિચારનો કે સમજનો કોઈ આધાર મળતો નથી. દેશને એક ખૂણે કોઈ સ્ત્રી પોતાના પર થયેલા બળાત્કારની ફરિયાદ પછી યોગ્ય પગલાં નથી લેવાતાં એમ ફરિયાદ કરે તો એક નેતા કહેશે કે બદનામીની આવી જાહેરાત કરતાં શરમ નથી આવતી. જેમને નથી સ્વીકારતા એની ચોપડીના વિમોચન કાર્યક્રમમાં હાજર રહેવાના છો? કરો મોં કાળું! બ્લોગ પર આવું લખ્યું? સામે આપો ધમકીઓ. અને ક્યાંક તો ફટાફટ ચિઠ્ઠીઓ ફાટે છે કપાળે ચોંટાડવાની! ફલાણો આમ બોલ્યો એટલે ફાડો ચિઠ્ઠી દેશદ્રોહીની, ઢીકણો આવું બોલ્યો તો ચોંટાડો ચિઠ્ઠી બનાવટી સેક્યુલરની, પેલો ડાબી તરફ જોઈ બોલે છે તો નક્કી ડાબેરી, ને ત્યાં કોઈ જમણી તરફ જોઈ ડોક નમાવે છે તો ચોંટાડો કાપલી જમણેરીની. અને આ ઠરાવ કોણે કર્યો, ચોંડી દો કપાળે કાપલી – તાલીબાનીની!

એમ જણાય છે કે આપણે વાતચીતની ભાષા જ ભૂલી ગયા છીએ, સઘળું ક્રિયા અને પ્રતિક્રિયા તરફ જ ધકેલાઈ ગયું છે. જો તંદુરસ્ત ચર્ચા કરવાનું ફાવતું હોય અને ગમતું હોય તો જે વર્ગ અસુરક્ષા અનુભવે છે અથવા વર્તમાન હિંસાચારને (શબ્દનો પણ) કારણે ત્રસ્ત છે, એને સામે બેસાડી એની વાત કેમ સાંભળવાની નહીં? ધર્મ સંદર્ભે સ્ત્રીઓ સમાન અધિકાર ઈચ્છતી હોય તો એમની સાથે ચર્ચા કેમ નહીં? એવોર્ડ પાછા આપનારાંઓનો વિરોધ કરવા અનુપમ ખેરની આગેવાની હેઠળ જે સરઘસ નીકળ્યું એને આવકાર મળ્યો, મુલાકાતનો દરજ્જો મળ્યો, તેવો પ્રતિપક્ષને કેમ નહીં?

અને મોટામાં મોટી વક્રતા તો એ છે કે જે વર્ગ વાસ્તવમાં ભય અને અસુરક્ષામાં જીવે છે એની વાત તો આપણે જાણવા છતાં નજરઅંદાજ કરીએ છીએ. માહિતી અધિકારનો ઉપયોગ કરી ભ્રષ્ટ તંત્રને નાથવા બહાર પડેલા કર્મશીલો, સત્તાના બેફામ ઉપયોગને નિયંત્રિત કરવા જીવ સાટે ફરજ બજાવતા અધિકારીઓ, અને અન્યાયને પડકારતા સામાન્યજનો આ દેશ પર જ ભરોસો રાખીને જીવે છે. એમની અસુરક્ષા કાલ્પનિક કે વૈચારિક નથી, એમણે તો એ રીતસર વેઠી છે, દેશ છોડીને જવાની વાત કહ્યા વિના.

લોકતંત્રની ગુણવત્તાની પારાશીશી એનાં પરિપક્વ નાગરિકો, આ એની પહેલી અને પાયાની જરૂરિયાત, એ વિના બધાં બાચકાં કેવળ હવામાં. સંવાદના સેતુ તોડતાં જઈશું તો બચશે શું?

સૌજન્ય : ‘ઓછામાં ઓછું’, “દિવ્ય ભાસ્કર”, 04 ડિસેમ્બર 2015

Loading

4 December 2015 admin
← આંબેડકરી શમણાનાં આ શા હાલ !
હું અને મારું ભારત : ગઈકાલ, આજ અને આવતીકાલ →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved