Opinion Magazine
Number of visits: 9449080
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હાર અને જીતના સૂચિતાર્થો

કુમાર પ્રશાંત|Opinion - Opinion|3 December 2015

બસ જાણે કે જીત જ પૂરતી હતી! કોઈએ કોઈને ન આંકડા પૂછ્યા – ન એવું પૂછ્યું કે નરેન્દ્ર મોદીને કેટલી બેઠકો મળી અને ન એ કે નીતિશકુમારને કેટલી મળી, કોઈએ એ પણ ન પૂછ્યું કે જીતી તો ગયા, પરંતુ લાલુજી આગળ રહ્યા કે નીતિશજી? બધા માટે એટલું જ જાણવું જરૂરી હતું કે નીતિશકુમાર જીતી ગયા અને નરેન્દ્ર મોદી હારી ગયા! ચૂંટણી જંગનો આ જ નકશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પસંદ કર્યો હતો અને બહુ પરસેવો પાડીને, લાંબા સમયથી તેમાં પોતાની પસંદગીના રંગો ભરતા રહ્યા હતા. હવે બધું બેરંગ બનીને પડ્યું છે!

બિહારના જંગમાં આવો ભવ્ય વિજય થઈ શકે છે, એવું કોઈએ ધાર્યું નહોતું, વિજેતાઓએ પણ નહીં! લોકશાહીનું આ પણ એક સૌંદર્ય છે કે લોકોએ શું વિચાર્યું છે, શું નક્કી કર્યું છે, તેનાથી લોકોએ છેવટે શું કર્યું, એનો કશો ખ્યાલ આવતો નથી. છેવટે બને છે એ જ જેને તેઓ અંજામ આપે છે, ઘટે છે એ જ જે તેમણે ઇચ્છ્યું હોય છે! બિહારમાં ફરી એક વખત આ જ સાબિત થયું છે. બિહાર દેશનું ગરીબ અને પછાત રાજ્ય ગણાય છે, પરંતુ તેની માટીમાં કંઈક તો છે કે તે હવાની રૂખ ઓળખી લે છે, તેને સમજે છે અને જરૂર પડ્યે તેને બદલે પણ છે. એટલે આપણા ઇતિહાસમાં ક્યારે ય પણ એવું નથી થયું કે બિહારને છોડીને કે ભૂલીને કોઈ ચાલી શક્યું હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલે છે ઘણું – ઘણું, પરંતુ બહુ ઓછું સાચું બોલે છે. પણ આ એક વાત તેમણે બહુ સાચી કહેલી કે બિહારને છોડીને દેશના વિકાસની વાતનો કોઈ અર્થ નથી. આ ચૂંટણી સાથે જ બિહાર દેશના રાજકારણના કેન્દ્રમાં આવી ગયું હતું અને આ પરિણામે બિહારને દેશના ભાવિ રાજકારણનો એજન્ડા તૈયાર કરવાનું કામ સોંપી દીધું છે.

બિહારમાં આવો વિજય કઈ રીતે શક્ય બન્યો? જેટલી જીભ એટલી વાતો, જેટલા હીરો એટલાં કારનામાંઓની લાંબી યાદી! પરંતુ સાચું તો એ છે કે આ પ્રદેશના (આ દેશના!) કહેવાતા અભણ-અસંગઠિત-શિસ્તહીન-અરાજનૈતિક-અસંસ્કારી વગેરે-વગેરે લોકોમાં ગજબની રાજકીય સમજ અને સંવેદના છે. જરૂર છે બસ એ સંવેદનાના તારને સ્પર્શીને ઝંકૃત કરવાની! આ વખતે આ તારને ચાર લોકોએ સ્પર્શ કર્યો : નરેન્દ્ર મોદીએ, નીતિશકુમારે, લાલુ યાદવે અને રાહુલ ગાંધીએ! નીતિશજી-લાલુજીની જોડીએ આ સમગ્ર અભિયાનને જેવી દિશા આપી, જેવી ગતિ આપી, આવી બીજી એકે ય જોડીનું ઉદાહરણ શોધવું આસાન નથી. બાકી આપણે સૌ જાણીએ છીએ કે આ જોડી સહજપણે બની નહોતી. છતાં આ બન્ને નેતાઓની રાજકીય પીઢતાની નોંધ આપણે લેવી જ રહી. બન્નેના સ્વભાવ અને પ્રકૃતિમાં ખાસ્સો તફાવત છે, પરંતુ આ વખતે બન્નેએ એકબીજાના પૂરક બનવાની કોશિશ કરી.

રાહુલ એક અલગ માટીના રાજકારણી છે, જેમની ખામીઓ-નબળાઈઓ અને કાચાપોચાપણાની ખાસ્સી એવી ચર્ચા થાય છે, પરંતુ તેમની તાકાતની ચર્ચા બહુ ઓછી થતી હોય છે. રાહુલની તાકાત તેમના સાતત્યથી સાબિત થઈ. તેઓ એક જ સ્વરમાં, એક જ વાત પોતાની તમામ સભાઓમાં બોલતા રહ્યા અને બિહારના લોકોમાં વધુ ને વધુ સ્થાન મેળવવાના પ્રયાસો સતત ચાલુ રાખ્યા. રાહુલે આ ચૂંટણીમાં પોતાના એકલાના બળે જ ફરીથી કૉંગ્રેસ માટે જમીન તૈયાર કરી છે, એવું કહેવામાં જરા ય અતિશયોક્તિ નથી. રાહુલ અને બિહારના કૉંગ્રેસી આ જમીનને ફળદ્રુપ બનાવવા માગતા હોય, તો તેમણે રાહુલ ગાંધીએ ઊભા કરેલા જનસંપર્કને પોતાની સમજદારી અને ઈમાનદારી સાથે જાળવી રાખવો પડશે. કૉંગ્રેસે સમજવું જ રહ્યું કે ગાંધીએ બનાવેલો આ પક્ષ ‘માસ પાર્ટી’ છે. તેણે ભલે ગાંધીને છોડી દીધા હોય, લોકો આજે પણ તેના એ સ્વરૂપને જોવા માગે છે. રાહુલે એ સ્તર પર બિહારના મતદારોને સ્પર્શ્યા!

ભારતીય જનતા પાર્ટી માટે એ કબૂલવું કદાચ મુશ્કેલ હશે, કારણ કે તેના વર્તમાન રાજકારણમાં આ વાત પચે એવી નથી, પરંતુ જે પચતી નથી, એવી વાતો જ રાજકારણમાં બહુ મહત્ત્વપૂર્ણ પુરવાર થતી હોય છે. ભાજપની વાત બગડી નરેન્દ્ર મોદીને કારણે, અને માર્ગથી ભટકી ગઈ અમિત શાહને કારણે! નરેન્દ્ર મોદીએ જ્યારે બિહારમાં ચૂંટણીની કમાન સંભાળી, ત્યારે તેઓ ભૂલી ગયા કે તેઓ માત્ર ભાજપના નેતા જ નથી, પરંતુ દેશના વડાપ્રધાન પણ છે. એટલે તેઓ દેશમાં ક્યાં ય પણ કશું પણ બોલતા-કહેતા-સાંભળતા (કે મૌન રાખતા) એ બધાની અસર બિહારના મતદારો પર પડતી હતી! બિહાર ચૂંટણીના પ્રચારક તરીકે તેઓ જે કંઈ કહેતાં-બોલતાં રહ્યા, તેને તો લોકોએ ચૂંટણીલક્ષી હવાબાજી ગણી લીધી, પરંતુ આટલા દિવસોમાં વડાપ્રધાન તરીકે દેશે તેમને જે રીતે ઓળખ્યા છે, તે છાપ બહુ ઊંડાણભરી અને શાલીન નથી. તેમની આ છબી ચૂંટણીલક્ષી હવાબાજીને કારણે વધારે મજબૂત થતી ગઈ. આ મુદ્દાને સમજવાની જરૂર હતી, પરંતુ અમિત શાહે તેના પર ઢાંકપિછોડા કર્યા. ચૂંટણીની કમાન જો બિહારના નેતાઓના હાથમાં હોત અને નરેન્દ્ર મોદી સાથે તેમનો સમસ્તરીય સંવાદ થયો હોત તો આ વાત ધ્યાનમાં આવત અને સુધારી પણ શકાઈ હોત. પરંતુ, ભાજપના ખેમામાં મામલો કંઈક જુદો જ હતો! મુન્નાભાઈ એમબીબીએસમાં જેવો સંબંધ મુન્નાભાઈ અને સર્કિટ વચ્ચે હતો, એવો જ સંબંધ મોદી-શાહ વચ્ચે થયો અને રાજકીય મૂલ્યાંકન અશક્ય બની ગયું. હું તો કહીશ કે બિહારમાં મળેલા વિજયની કિંમતે પણ મુન્નાભાઈ-સર્કિટની આ છબી તૂટે તો એ ભાજપ માટે લાભકારી રહેશે.

લાલુપ્રસાદની છબી અને તેમની રાજકીય સમજ વચ્ચે કોઈ મેળ પડતો દેખાતો નથી! ગુજરાતથી આવેલી ટીમ આ ફરકને ન સમજી શકી. લાલુજીએ પોતાની રાજકીય સમજનો દરેક તબક્કે જે કુશળતાથી ઉપયોગ કર્યો, તે સૌ કોઈ માટે આશ્ચર્યજનક હતું. એક વખત નક્કી થયું કે નીતિશકુમારના નેતૃત્વમાં ચૂંટણી લડવાની છે, પછી લાલુજીએ એક પણ ડગલું એવું ન ભર્યું કે પાછળથી કોઈ ખુલાસા કરવા પડે! બિહારે એક નવા લાલુને નિહાળ્યા. ચૂંટણી મેદાનમાં જીભથી તીર ચલાવવાના પોતાના જે કૌશલ્યથી નરેન્દ્ર મોદીએ સૌને કાયલ બનાવી રાખ્યા હતા, લાલુએ બરાબર એ જ અંદાજમાં તેમને જવાબ આપી આપીને નરેન્દ્ર મોદી અને ભાજપને પરસેવો પડાવી દીધો! મોહન ભાગવત, આરએસએસ, બીફ, અનામતનું કોમવાદીકરણ કરવાની ફુવડ કોશિશ, ઊલટી-સીધી દલીલો અને આંકડાઓ વગેરે બધું જ લાલુ-લપેટમાં ધ્વસ્ત થઈ ગયું! લાલુ આ ચૂંટણીમાં એવું વન મેન આર્મી પુરવાર થયા, જેમની સાથે કોઈ ટકી શક્યું નહીં! સમસામયિક રાજનીતિજ્ઞોએ લાલુપ્રસાદનું જરા નવેસરથી મૂલ્યાંકન કરવું જોઈએ અને લાલુપ્રસાદે હવે ખુદને ગંભીરતાથી લેવા જોઈએ. તેમની પોતાની નબળાઈઓને કારણે અને અંગ્રેજી પ્રેસની મહેરબાનીઓથી લોકો ભૂલી ગયા છે કે લાલુપ્રસાદનાં મૂળ જયપ્રકાશ નારાયણની સંપૂર્ણ ક્રાંતિના આંદોલનમાં છે. આ નવા લાલુપ્રસાદે એની યાદ અપાવી છે. હવે લાલુપ્રસાદ પોતે જ આને ભૂલી ન જાય તો ફાનસ લઈને વારાણસી જવાની વાત દૂર સુધી જઈ શકે છે.

અને આખરમાં નીતિશકુમાર! મને તેમના પ્રત્યે સહાનુભૂતિ થઈ રહી છે, કારણ કે અત્યાર સુધી તેઓ બિહારના મુખ્યમંત્રી હતા અને હવે આગળ પણ રહેશે, પરંતુ આ અભિયાનમાં તેઓ બિહારના નાયકની ભૂમિકામાં ઊભર્યા છે. બિહાર હવે તેમનાથી ઓળખાવા માંડ્યું છે. ચૂંટણીના માહોલમાં જાહેર વિમર્શનું જે પતન તમામ લોકો તરફથી કરવામાં આવ્યું તેમની વચ્ચે નીતિશકુમાર જ એકલા હતા, જેમણે નીચે પડવાનો ઇનકાર કરી દીધો. જંગની પોતાની જરૂરિયાતો હોય છે, જે તમને દરેક પ્રકારના હથકંડા અપનાવવા માટે મજબૂર કરે છે. પરંતુ એવું પણ બનતું હોય છે કે તમે જંગનું મેદાન પણ અને તેનાં હથિયારો પણ નક્કી કરી શકો છો. આવું કદ આસાનીથી હાંસલ થતું નથી. નીતીશકુમારે આ જગ્યા પોતાની યોગ્યતા અને શાલીનતા થકી હાંસલ કરી છે. તેઓ દેશના એવા ગણ્યાગાંઠ્યા રાજકારણીઓમાંના છે, જે આજના દોરમાં જાહેર વ્યવહાર અને વિમર્શનું વ્યાકરણ તૈયાર કરી શકે છે. બિહારે પોતાનો મુખ્યમંત્રી જ નથી ચૂંટ્યો, બલકે પોતાનો રાજકીય વારસો પણ તેમને સોંપ્યો છે. હવે નીતિશે બેવડો બોજ વેંઢારવાનું શીખવું પડશે.

અને બિહાર! તે અઘખુલ્લી આંખોથી જોઈ રહ્યું છે કે આ ચૂંટણીજંગમાં જે જીત્યા અને જે હાર્યા, તેમનામાં આ રાજ્યના બેહાલ અને લાચાર લોકો માટે કેટલો પરસેવો બચ્યો છે. બિહારને કોઈના લોહીની જરૂર નથી, તેને બધાના પરસેવાની જરૂર છે.

(લખ્યા તારીખ – ૯ નવેમ્બર, ૨૦૧૫)

અનુવાદ : દિવ્યેશ વ્યાસ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2015; પૃ. 03-04

Loading

3 December 2015 admin
← — તો મહદ્દ લબ્ધિ
પ્રોફેસર ઈરફાન હબીબ સાથે એક મુલાકાત →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved